ચાર વાગ્યાનું એલાર્મ વાગ્યું. ચિંતન આંખો ચોળતો મનોમન બબડ્યો, રમણકાકા પણ ખરા છે કયાં અત્યારે સવારે સાડા ચાર વાગ્યામાં આપણું ઘર ઊઘડી જવાનું છે! મને કહે, ‘દીકરા હું તને કારણ વગર આટલી વહેલી સવારે હેરાન ન કરું. તું તો મારો મિત્ર અમૃતનો શ્રવણ છો. અમૃતે કયા જન્મના પુણ્ય કર્યા હશે કે તેને ખોળે તું ઈશ્વર જેવો દીકરો પાક્યો. દીકરા, મને મારા પેટના જણ્યા કરતાં તારા પર વઘારે વિશ્વાસ છે. એટલે તને આટલી વહેલી સવારે સાડા ચાર વાગ્યે મને અને તારી કાકીને આપણા ઘરમાં મૂકી જવા માટે વિનંતી કરું છું.’
‘આમ તો રમણકાકા અને મુક્તાકાકી કારણ વિના કોઈને હેરાન કરે નહિ. બિચારાંની કોઈ મજબૂરી હશે. કદાચ મનમાં હશે કે શહેર જાગે અને કોઈ પડોશી પૂછે કે રમણલાલ આટલી વહેલી સવારે ઘરને તાળું મારી મુક્તાકાકી સાથે કયાં ચાલ્યાં?’ પડોશી પથારીમાં આળોટતા હોય એટલે કોઈ સવાર પૂછે નહીં અને આપણે કોઈને કશો જવાબ આપવાને બદલે મૂગાં મૂગાં આપણા ઘરની વાટ પકડી લેવી. કદાચ બિચારાને મનમાં એમ પણ હોય કે આજકાલ અમારા જેવાં કેટલાં ય ઘરડાં મા-બાપ સંતાનોથી તર છોડાયેલાં આપણા ઘરે રોજ આવતાં હશે. કદાચ ત્યાં પણ એવું તો નહીં હોય ને કે વહેલો તે પહેલો. એ બીકે પણ આટલી વહેલી સવારે આપણા ઘરે જવા નીકળી પડયાં હોય!’
‘ખેર, જે હોય તે પણ રમણકાકા મને કયાં રોજ આમ ચાર વાગ્યામાં ઉઠાડે છે? મારે તો ફકત એક દિવસ વહેલું ઉઠવાનું થયું, એમાં શું કામ આટલી બઘી ચિંતા કરવાની? વળી આવતી કાલે તો ગણેશ ચતુર્થી છે. મારે કયાં કામે જવાનું છે. બસ, કાકાકાકીને આપણા ઘરના દરવાજે ઊતારી પાછો ઘરે આવી સૂઈ જઈશ. કાકાકાકીને જો ગામમાં દીકરાદીકરી મોજૂદ હોત તો આમ થોડા મને કહેવાના હતા કે ચિંતન બેટા, તું અમને આપણા ઘરે મૂકી જા. આ તો મારું સદ્દભાગ્ય કે કાકાએ મને પોતાનો અંગત દીકરો ગણી આ એક સેવા કરવાની તક આપી!’
વિચારોના વમળમાંથી બહાર નીકળી, ચિંતન કાકાએ કહેલા સમય મુજબ સાડાચારના ટકોરે ગાડીનું હોર્ન કાકાના આંગણામાં આવીને વગાડ્યું. હોર્ન કાને પડતાં જ મુક્તાકાકીએ બહાર આવી, ચિંતનને કહ્યું, ‘દીકરા, તું ઘરમાં આવ. તારા કાકા પૂજા કરવા બેઠા છે.’
ચિંતને ઉંબરમાં પગ મૂકયો ન મૂક્યો અને રમણકાકાએ પૂજા ખંડમાંથી બહાર આવતાં કહ્યું, ‘ભાઈ, ચિંતન, તું તો સમયનો બહુ જ પાકો. આ ઘડીએ જ ઘડિયાળમાં સાડા ચારના ટકોરા પડ્યા અને તારી ગાડીનું હોર્ન વાગ્યું, મારી પૂજા પતી ગઈ છે, બસ શહેર અંઘકારની ચાદરમાંથી જાગે તે પહેલાં આપણે આપણા ઘરે નીકળી જઈએ.’
‘કાકા, તમારે જ કંઈ સામાન આપણા ઘરમાં સાથે લઈ જવાનો હોય તો મને દેખાડો. હું ગાડીમાં મૂકતો થાઉં. તમે અને કાકી આટલી વારમાં તૈયાર થઈ જાઓ.’
‘દીકરા, સામાનમાં ખાસ કંઈ સાથે લઈ જવાનું નથી. આ સામે પડેલ બે થેલીમાં, જેમાં અમારી કપડાંની બે ત્રણ જોડ મૂકેલ છે. તે બે થેલી અને મારી પૂજાની એક નાની રેશમી થેલી, તે અમે લઈને આવીએ છીએ. તું આ બે થેલી તારી ગાડીમાં મૂકતો થા.’
રમણકાકા અને મુક્તાકાકીએ આપણા ઘરે જવા ઘરમાંથી પગ ઊંબરા બહાર મૂકતાં પહેલાં છેલ્લીવાર તેમણે જિંદગીના સાડા પાંચ દાયકા જ્યાં વીતાવ્યા હતા, તે ઘરમાં એક નજર નાખી એટલે આંખમાં જળજળિયાં આવી ગયાં.
‘એકવાર અમારું આ નાનકડું ઘર દીકરા દીકરીના કિલકિલાટથી પંખીના માળાની જેમ ગુંજતું હતું. દીકરાદીકરીને પાળીપોષીને મોટાં કર્યાં, ભણાવીગણાવી ધંધે વળગાડ્યાં. પરણાવીને ઘર સુધ્ધા માંડી દીધાં. સંતાનોને કોણ જાણે કેમ આ શહેર નાનું પડ્યું. કોઈને કોઈ કારણ આપી, અમને રામને ભરોસે મૂકી, વિદેશના સીમાડા ખેડી નાખ્યા. અરે! ઈશ્વર એમાં બિચારાં સંતાનોને શું દોષ દેવો? અમારા ઉછેરમાં કયાંક ખામી હશે. મનોમન જાતને કોસતા રમણકાકાએ ચિંતનને કહ્યું, ‘ચાલ બેટા, હવે આ આપણે નીકળીશું? આ ઘરને હવે છોડી આપણા ઘરે જવાનું જ છે તો પછી શું કામ કારણ વિના આ ઉંમરે હવે રહીને આ ઘરની કે પછી આ સંસારની મોહમાયા રાખવી! દીકરા, લે આ ચાવી અને ઘરને મારી દે તારા હાથે તાળું.’
રમણકાકાને આપણા ઘરમાં જવા ઉતાવળ કરતા જોઈ ઘરને તાળું મારતા ચિંતને રમણકાકાને કહ્યું, ‘કાકા, જરા ઊભા રહો. ખોટી ઉતાવળ ન કરો. હું તમને પગથિયાં ઉતરવા માટે મારો હાથ આપું છું. અંઘારામાં કયાંક પગથિયું ભૂલી ન જાતા. આપણને કંઈ ઉતાવળ નથી. ઘણો સમય છે. તમે જરા ઘ્યાન આપી મુક્તાકાકીનો હાથ પકડી નિરાંતે પગથિયાં ઊતરો.’
‘દીકરા, હવે અમારે અમારા પગના જોરે જ ડગ માંડવાના છે! આ લાકડી અને એકમેકના સહારે જિંદગીનાં બચેલાં બેચાર વરસો પૂરાં કરવાનાં છે. દીકરા, તારી લાગણી અમારા પ્રત્યે છે એની અમે જેટલી કદર કરીએ એટલી ઓછી પડશે! ઈશ્વર, તને સદા સુખી રાખે. હવે અમે તને, આ સમયે આશીર્વાદ સિવાય બીજું આપી પણ શું શકીએ?’
‘કાકાકાકી ગાડીમાં ગોઠવાયાં. ચિંતને ગાડી ચાલુ કરી, ગાડી અંઘકારને ચીરતી ઘીરે ઘીરે નાની મોટી શેરીઓ વટાવતી શહેરના મુખ્ય ગાંધી માર્ગ પર આવી પહોંચી. બારી બહાર શહેરને ઝીણી નજરે નિહાળતા રમણકાકાએ ચિંતનને પૂછયું, ‘ચિંતન બેટા, આ ગાંધી માર્ગ છે?’
‘હા, કાકા.’
‘તો બેટા, તું એમ કર ને. ગાડીને જરા આગળ જઈને શેઠ જાધવજી માર્ગ પર વાળી લે.’
‘કાકા, આપણું ઘર તો ગાંધી માર્ગના છેવાડે આવેલા ગોવિંદજી મહેતા માર્ગના ખૂણા પર આવેલું છે.’
‘હા દીકરા, મને ખબર છે. પણ હું તને કહું છું તે પ્રમાણે કર.’
ચિંતનને મનમાં થયું, જાધવજી માર્ગ પર આવેલી હવેલીમાં મંગળાના દર્શન કરીને પછી આપણા ઘરમાં જવાની કાકાની ઈચ્છા હશે! ઘર તો આમે ય સવારે દશ સાડા દશ પહેલાં કયાં ખૂલે છે?
મારે તો તેમને દરવાજે ઊતારીને પાછા ચાલ્યા આવવાનું છે. એ વિચાર સાથે એણે ગાડી જાધવજી શેઠ માર્ગ પર વાળી લીઘી.
‘ચિંતન, આ શું લક્ષ્મીનારાયણનું મંદિર ગયું?’
‘હા, કાકા.’
‘તો પછી, જરા ડાબી બાજું નજર નાખતો રહેજે. હમણાં જ બે પાંચ મિનિટમાં વલ્લભનાથ અનાથ આશ્રમ આવશે. બેટા, તું ગાડી થોડી વાર માટે અનાથ આશ્રમમાં ઊભી રાખજે.’
કાકાની આ વાત સાંભળી ચિંતન ફરી પાછો વિચારમાં ચડી ગયો.
‘અરે, કાકાને જવું છે આપણા ઘરે તો પછી મને કેમ કહે છે કે તું ગાડી અનાથ આશ્રમમાં ઘડીક માટે ઊભી રાખજે. ખરેખર શું આનું નામ જ બુઢાપો! માણસ અનાથ આશ્રમ અને આપણા ઘરની વ્યાખ્યા પણ ભૂલી જાય! માણસને સંતાનોની ખોટ કેટલી સાલતી હશે? કે એકલતામાં માણસ કશું વિચારી પણ શકતો નથી. કદાચ કાકાકાકીએ થોડીક મૂડી બચાવી રાખી હશે, સંતાનોના દીકરાદીકરીને વારસામાં આપી જવા. કદાચ કાકાકાકીને રહી રહીને સમજાયું હશે કે વિદેશમાં વસતા દીકરાઓને આપણા રુપિયાની કિંમત પણ શું? કદાચ મનોમન નક્કી કરી લીધું હશે કે આપણી પાસે જે કંઈ નાની એવી બચત છે આપણા ઘરમાં જતાં પહેલાં અનાથ આશ્રમમાં દાનમાં આપી દઈશું. અરે, ભગવાન! હું પણ કેવો મૂર્ખ છું. ખોટા કારણ વિના વિચારના વર્તુળમાં અટવાયો છું. કાકાએ પોતાની મૂડી તો શું આ નાનકડું ઘર પણ સંતાનોના સુખ માટે આજે છોડી દેવું પડ્યું છે. દીકરાને વિદેશ જવું હતું ત્યારે કાકાએ ઘરને બેન્ક પાસે ગિરવે મૂકીને લોન લીઘી હતી. આ ઉંમરે કાકા લોન ન ભરી શકતાં કાકાએ ઘર વેચી લોનની રકમ બેન્કને ભરપાઈ કરી. આજે આપણા ઘરે જવા નીકળ્યા છે.’
વિચારમાં ને વિચારમાં અનાથ આશ્રમ વહી જતા પણ બારીમાંથી અનાથ આશ્રમની રાહ જોતા રમણકાકાની નજર વલ્લભનાથ આશ્રમના પાટિયા પર પડી. તેમણે ચિંતનને સ્વપ્નમાંથી જગાડ્યો.
‘ચિંતન, મને લાગે છે કે વલ્લભનાથ અનાથ આશ્રમ આવી ગયો છે.’
‘કાકા, સારું થયું તમે મને યાદ કરાવ્યું. નહિતર અનાથ આશ્રમ નજર સામે પસાર થઈ જાત.’ એમ કહેતા ચિંતને ગાડીને અનાથ આશ્રમના દ્વાર પાસે ઊભી રાખી દીઘી.
રમણકાકાએ ગાડીમાંથી નીચે ઊતરતાં મુક્તાકાકીને કહ્યું, ‘મુકતાગૌરી, પેલી પૂજાની થેલી મને જરા આપો તો.’
કાકીએ કાકાના હાથમાં થેલી મૂકતાં જરા આકાશ સામું જોયું. અને પછી આંખે આવેલાં આંસુ સાડલાના છેડે લૂછી, થેલી સામે બે હાથ જોડી, થેલી કાકાના હાથમાં મૂકી.
કાકા ઘીમે ઘીમે ડગલાં ભરતાં, આશ્રમનાં બે ચાર પગથિયાં ચડી આશ્રમની ઓસરીમાં ખાલી પડેલા એક ઘોડિયા પાસે ગયા. ત્યાં રોજ કોઈ દુઃખિયારી સ્ત્રી પોતાના સંતાનને વહેલી સવારના અંઘકારમાં મૂકીને જતી રહેતી. રમણકાકાએ આજુબાજુ નજર કરી કે કોઈ તેમને જોતું તો નથી ને. પછી હાથમાં પકડેલ રેશમી થેલીમાંથી, રોજ વહેલી સવારે પૂજાપાઠ કરતા હતા તે બાલકૃષ્ણની મૂર્તિ બહાર કાઢી. તેની સામે બે હાથ જોડી બોલ્યા, ‘હે, બાલકૃષ્ણ, મેં અને મુકતાગૌરીએ છેલ્લા પાંચ દાયકાથી તનમનથી તમારી ભકિતભાવથી સેવા કરી છે. આજ સમય સંજોગોને આઘીન થઈ, ન છૂટકે અમારે તમને આજ અનાથ આશ્રમના દ્વારે મૂકી જવા પડે છે. હે, મારા વહાલા, તું અમને માફ કરી દેજે. અમે મજબૂર છીએ. જયાં અમારે આજ આપણા ઘરનું શરણું લેવું પડ્યું છે, ત્યાં અમે તને અમારી સાથે ક્યાંથી લઈ જઈએ?’
ક્ષમાયાચના કરતા કાકાની આંખ છલકાઈ ગઈ. કચવાતે મને હળવેકથી માથે વહાલભર્યો હાથ ફેરવતાં લાલાને ઘોડિયામાં મુકી એક લાચાર સ્ત્રીની જેમ બાળક પર મીઠી નજર નાખતી, જતાં જતાં બાળકના આગમનનો ઘંટ વગાડી, આશ્રમના ગૃહપતિને બાળકના પઘરામણીની જાણ કરતી જાય, એ રીતે કાકાએ આશ્રમનાં પગથિયાં ઊતરતાં, ગૃહપતિને જાણ કરવા બેત્રણ વાર ઘંટ વગાડી, થોડેક દૂર આશ્રમનાં દ્વાર પાસેના દરવાજાની તિરાડમાંથી ગૃહપતિ આવીને લાલજીને આશ્રમની અંદર ક્યારે લઈ જાય છે તે જોવા લાગ્યા.
e.mail : preetam.lakhlani@gmail.com