એક વાર માર્ક્વેઝે સરસ કહેલું : છેવટે તો પુસ્તકો મિત્રો માટે લખાતાં હોય છે. પણ “વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ” લખ્યા પછી મને એક પ્રશ્ન થયો છે – મારા લાખો વાચકોમાંથી મેં કોના માટે લખ્યું, નથી જાણતો. એથી હું પરેશાન છું, અવરોધ અનુભવું છું. એવું થાય છે, લાખો આંખો મને જોઈ રહી છે પણ મને ખબર પડતી નથી કે તેઓ શું મારા માટે શું વિચારે છે.
પ્રકરણ : ૭ :
(૧૮ પેજ છે. કુળપૂર્વજ હોસેના મૃત્યુનું અને તે પછીના પીળાં પુષ્પોના વરસાદનું આકર્ષક આલેખન છે.)
મે-માં યુદ્ધ પૂરું થયું. એના બે અઠવાડિયાં પર સરકારે ઘોષણા કરેલી, સાફ સાફ જણાવેલું કે બળવો શરૂ કરનારા એકોએકની ખૅર નથી, આકરામાં આકરી સજા કરવામાં આવશે. એટલે, કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા છદ્મ વેશે પશ્ચિમી સરહદે પ્હૉંચવામાં હતો પણ એને જેલ થઇ. એની સાથે યુદ્ધમાં ૨૧ જણા જોડાયેલા, એમાંના ૧૪ લડતાંલડતાં મર્યા’તા, ૬ ઘવાયા’તા, અને હારના અન્તિમ તબક્કા સુધી એક બિલકુલ એની સાથે રહેલો – તે હતો, કર્નલ જેરિનાલ્ડો માર્કવેઝ.
કર્નલની ધરપકડના સમાચાર માકોન્ડોમાં બરાબર થાય એ માટે અલાયદી વિશિષ્ટ ઘોષણા કરવામાં આવેલી.
‘અરે અરે એ જીવે છે’, ઉર્સુલા એના પતિને કહેવા લાગી. ‘પ્રભુને પ્રાર્થના કરીએ કે એના દુશ્મનો એની પર દયા કરે.’ ઉર્સુલા ત્રણ દિવસ લગી રડી. એક બપોરે કિચનમાં કૅન્ડિ માટેનું ગળ્યું દૂધ હલાવતી’તી, ત્યારે કાનમાં એણે દીકરાનો અવાજ સાવ ચોખ્ખો સાંભળ્યો. ‘એ ઔરેલિયાનો છે ઔરેલિયાનો છે’ એ બૂમ પાડીને દોડતી દોડતી પતિને સમાચાર આપવા ચેસ્ટનટની દિશામાં ગઈ. કહેવા લાગી, ‘મને સમજાતું નથી કે શો ય ચમત્કાર થયો, પણ એ જીવે છે, ટૂંક સમયમાં જ આપણે એને મળવાનાં.’
ઉર્સુલાએ એમ બધું સાચું માની લીધેલું. ઘરની બધી ફ્લોર ઘસીકરીને ચકચકાટ કરી દીધેલી, ફર્નિચરને આમથી તેમ નવી રીતે ગોઠવી નાખેલું. પરન્તુ અઠવાડિયા પછી ઊડતી ઊડતી વાત આવી કે કર્નલને ‘ફાયરિન્ગ સ્ક્વૉડ’ વડે મૉતની સજા ફરમાવાઈ છે, સજા માકોન્ડોમાં જ થશે, લોકોને પાઠ ભણવવામાં આવશે. ઉર્સુલાની ધારણા ઊંધી પડેલી.
પરન્તુ, તેમછતાં, છેક છેલ્લી ઘડીએ કર્નલને એના ભાઈ હોસે આર્કાદિયોએ બચાવી લીધો. અને મુક્ત થતાંની વારમાં કર્નલે બળવાનો શુભારમ્ભ પણ કરી દીધો. એ બળવો તે એની લશ્કરી કારકિર્દી દરમ્યાનના ૩૨-માંનો એક.
કર્નલને નાની-મોટી સફળતા-નિષ્ફળતાઓ મળ્યા કરી. પણ બન્યું એમ કે લિબરલ પાર્ટીના અમલદારોએ એનો છૂટો કર્યો.
જો કે લડાઈઓથી એ હવે થાક્યો’તો. એને એમ પણ થયું’તું કે પોતે અભિમાન કે ગર્વ ખાતર લડેલો, કશી આઈડિયોલૉજિ કે વિચારધારા માટે નહીં. એની નિર્ભ્રાન્તિ એને કાવ્યો લખવા કહે છે. અને એ રેમેડિયોસ સાથેના સંવનનકાળમાં કરતો’તો એવાં કાવ્યો કરવા માંડે છે.
ઔરેલિયાનોની લડાઇઓ ચાલુ હતી એ અરસામાં સાન્તા સોફિયા દ લા પિયાદાદે મૃત પતિ આર્કાદિયોનાં બે જોડિયાં બાળકોને જન્મ આપેલો. એકનું નામ, હોસે આર્કાદિયો સેગુન્દો અને બીજાનું, ઔરેલિયાનો સેગુન્દો રાખેલું.
પણ બ્નેન્દ્યા પરિવારની એ સુખદ ઘટના ઝાઝું ટકી નહીં. કરુણતાઓ વધ્યા જ કરી : કોઇ અકળ કારણે હોસે આર્કાદિયોનું મરણ થયું; ખૂન થયું હોય કે પછી એણે આપઘાત કર્યો હોય : એની પત્ની રેબેકા એકલતામાં ચાલી ગઇ ને જીવનભર વ્યથામાં સબડતી રહી. ઔરેલિયાનો બીજી વાર યુદ્ધમાં ગયો ત્યારે કર્નલ જેરિનાલ્ડો માર્ક્વેઝને ગામ સૉંપીને ગયેલો. એ માર્ક્વેઝને એકાકી જીવન ગુજારતી અમરન્તા સાથે પ્રેમ થઈ ગયો, લાંબા સમય લગી ઝૂરતો રહ્યો, પણ છેલ્લે અમરન્તાએ એના એ હાલ કર્યા જે પિએત્રો ક્રેસ્પીના કરેલા – તિરસ્કાર્યો અને કાયમ માટે ફગાવી દીધો : અને અધૂરામાં પૂરું, ચેસ્ટનટ સાથે બંધાઈને વરસો લગી એકલવાયું જીવતા કુળપૂર્વજ હોસે આર્કાદિયો બ્વેન્દ્યાનું મૃત્યુ થયું.
એના મૃત્યુ પૂર્વેની ઘટનાઓ સ્મરણીય છે. વાત એમ બનેલી કે યુદ્ધમાં ગયા બાદ કર્નલ ઔરેલિયાનો બ્વેન્દ્યા માકોન્ડોમાં વહીવટ કેમ ચાલે છે તેનો દર બે અઠવાડિયે હિસાબ લેતો’તો. આઠેક મહિના વીત્યા હશે, એણે ઉર્સુલાને સંદેશો લખી મોકલ્યો. ખેપિયો લાવેલો એ કવર સીલ્ડ હતું. ઉર્સુલાએ ખોલ્યું. સફેદ કાગળ પર ઔરેલિયાનોએ પોતાના હસ્તાક્ષરમાં માત્ર આટલું લખેલું : પાપાની થાય એટલી કાળજી કરજો, કેમ કે એમનું મૃત્યુ થવાનું છે : ઉર્સુલાને બેસી ગયું. એ બોલી કે, ‘ઔરેલિયાનો ક્હૅ છે, એનો મતલબ કે જાણીને ક્હૅ છે’.
ઉર્સુલા ચેતી ગઈ. ‘ચાલો’ કરીને માણસો લઈ ગઈ અને એ લોકોને હામ આપતી હોસે આર્કાદિયો બ્વેન્દ્યાને ઘરે લઈ આવી. હોસે પહેલાં જેટલો વજનદાર ન્હૉતો રહ્યો, પણ ચેસ્ટનટ વૃક્ષ નીચે લાંઆબા સમય લગી બંધાયેલા રહેવાને કારણે એને એક એવી સિદ્ધિ હાંસલ થયેલી, જેના પ્રતાપે એ પોતાનું વજન મરજી પડે એટલું વધારી શકતો’તો ! એટલે સુધી કે એને સાત સાત માણસો પણ ઊંચકી શકેલા નહીં; જોરથી ઘસડીને બેડ પર લેવો પડેલો.
તાજાં કૂણાં મશરૂમની સુગન્ધથી અને ફૂગથી શોભિતાં કાષ્ઠ-પુષ્પોથી જૂનાં પણ ધ્યાન દઈને સજાવાયેલાં બારણાંઓએ બેડરૂમના વાતાવરણને મઘમઘાટ કરી મેલેલું. કેમ કે તાપ અને વરસાદથી નંખાઈ ગયેલો પ્રચણ્ડ વૃદ્ધ એમાં શ્વાસ લેવાનો’તો.
પરન્તુ બીજી સવારે એ પથારીમાં ન્હૉતો. શક્તિ ઓછી ન્હૉતી પણ હોસેથી કશો પ્રતિકાર થાય એમ પણ હતું નહીં. એને મન બધું સરખું હતું. એ ચેસ્ટનટે પાછો જતો રહ્યો તે મરજીથી નહીં, પણ શરીરને વૃક્ષની ટેવ પડી ગયેલી એટલે.
ઉર્સુલા એનું ધ્યાન રાખવા લાગી, ખવરાવે-પીવરાવે, ઔરેલિયાનોના સમાચાર આપે, વગેરે. પરન્તુ હોસે આર્કાદિયો બ્વેન્દ્યા ખરેખર જેના સમ્પર્કમાં રહી શકે, તે તો હતો, જેને લાંબા સમયથી મળાયું ન્હૉતું, તે પ્રુદેન્સિયો આગિલાર. (પૂર્વાશ્રમમાં હોસેએ એની હત્યા કરેલી તે આગિલાર. સંભવ છે કે આગિલાર એને સાક્ષાત્ થતો હોય કે આભાસ રૂપે મળતો હોય). જો કે હોસે સાવ ખખડી ગયેલો.
આગિલાર દિવસમાં બે વાર આવતો, વાતો કરવા. બન્ને જણા કૂકડાઓની લડાઇઓ યાદ કરતા, બન્નેએ એકમેકને વચન આપ્યું કે મજાનાં પક્ષીઓ માટે આપણે ફાર્મ બનાવશું. પરાક્રમોની વાતો નહીં કરીએ. આમે ય એમને એની જરૂર ક્યાં હતી? કંટાળો આપતા મૃત્યુશીલ રવિવારોએ એ બન્ને બીજું કરે પણ શું?
પછી તો આગિલાર જ એનું ધ્યાન રાખતો’તો; ખવરાવે-પીવરાવે, ઔરેલિયાનોની વારતા કરે – એવી રીતે જાણે ઔરેલિયાનો નામનો કોઈ હતો ને યુદ્ધમાં એ કર્નલ હતો.
પણ હોસે એકલો હોય ત્યારે એને અનન્ત ઓરડાઓનું દૃશ્ય દેખાતું, એને સારું લાગતું. પોતે સપનામાં હોય એમ પથારીમાંથી બેઠો થઈ જાય, બારણું ખોલે, અને એકસરખા રૂમોમાં દાખલ થાય. બેડ એ જ હોય રૉટ-આયર્નના હેડવાળો, એ જ ‘વિકાર ચૅર’, અને પાછળની દીવાલે લટકતું એ જ ‘વર્જિન ઑફ હૅલ્પ’નું ‘આશા કુંવરીનું’ નાનકડું ચિત્ર. એ રૂમથી બારણું ખૂલે બિલકુલ એ રૂમ જેવા જ બીજા રૂમનું, એમાં પ્રવેશે, એ બીજા રૂમથી એવા જ બીજા રૂમમાં, ને એ પછી પણ બીજા એવા જ રૂમમાં, અને એમ અનન્તમાં. હોસેને એક રૂમમાંથી બીજા રૂમમાં પ્રવેશવું ગમતું’તું. એટલે સુધી કે સમાન્તર દર્પણોની ગૅલેરીએથી આગિલાર એના ખભે અડે નહીં, ત્યાં લગી.
એટલે પછી હોસે પોતાના માર્ગેથી પાછા પગે એક રૂમથી બીજા રૂમે જતો; ને આગિલાર એને વાસ્તવિક રૂમમાં મળી જતો. પણ એક રાત્રિએ, હોસેને બેડમાં લાવેલા એનાં બે અઠવાડિયાં પછી, આગિલાર એક વચગાળાના રૂમે એના ખભે અડ્યો અને એ રૂમને વાસ્તવિક સમજી હમ્મેશને માટે ત્યાંનો ત્યાં જ ખોડાઈ ગયો.
બીજી સવારે ઉર્સુલા હોસે માટે નાસ્તો લઈને નીકળતી’તી, ત્યાં એણે એક પુરુષને હૉલ ભણી આવતો જોયો. ખભા પ્હૉળા, બેઠી દડીનો, અને બાંધો મજબૂત. કાળા સૂટમાં હતો, હૅટ પણ કાળો મોટો હતો. હૅટને એણે પોતાની બેપરવાહ આંખો લગી નમાવી રાખેલો. ઉર્સુલાને થયું, અરે ! આ તો મેલ્કીઆદેસ છે ! પણ એ તો પેલી વિસિતાફ્યુમનો ભાઈ હતો ! ગામમાં અનિદ્રાનો રોગચાળો ફેલાયો ત્યારનો ગાયબ હતો, બાદમાં એના કોઈ સમાચાર હતા નહીં.
પછી એ લોકો હોસેના રૂમમાં ગયાં. હોસેને ઢંઢોળાય એટલો ઢંઢોળ્યો, એના કાનમાં જોરથી બોલી જોયું, એનાં નસકોરાં આગળ અરીસો ધર્યો, પણ તેઓ એને જગાડી શક્યાં નહીં.
Pic courtesy : Hayoun Seo
થોડા સમય પછી, સુથાર કૉફિનનું માપ લેતો’તો એ ટાણે એ લોકોએ બારીએથી જોયું કે નાનાં પીળાં પુષ્પો વરસી રહ્યાં છે. આખી રાત એ પુષ્પો ગામમાં વરસતાં રહ્યાં. એ એ શાન્ત હળવો વંટોળ હતો. એ બૂસકાંથી છાપરાં છવાઈ ગયાં. બારણાં સજ્જડ થઈ ગયાં. બહાર પ્રાણીઓને ગૂંગળામણો થઈ.
આકાશેથી એટલાં બધાં પુષ્પ વરસેલાં કે સવારે શેરીઓમાં એની ઘાટી બિછાતો થઈ ગયેલી. બધું પાવડા-સાવરણાથી ચોખ્ખું કરવું પડેલું – જેથી સ્મશાનયાત્રા પસાર થઈ શકે.
(September 2, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર