હૈયાને દરબાર –
ઓચિંતું કોઇ મને રસ્તે મળે ને કદી
ધીરેથી પૂછે કે કેમ છે?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે.
આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઉપર આકાશ એમનેમ છે.
• કવિ – સ્વરકાર : ધ્રુવ ભટ્ટ • ગાયિકા : શબનમ વિરમાણી ને વૃંદ
https://www.youtube.com/watch?v=t19ZmwHAM-I
ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી
ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.
પહેલી વાર આ ગીત સાંભળ્યું ત્યારથી જ એવું ગમી ગયું હતું કે મન જરા પણ ખિન્ન થાય ને આ પંક્તિઓ યાદ આવી જાય કે ભાઈ, પરિસ્થિતિ જે કંઈ હોય, કુદરતની રહેમમાં શ્રદ્ધા રાખી મોજમાં રહેવું!
આ ગીતનો જાદુ એ છે કે મળ્યું એને માણી લેવું. મોજ તો હૃદયની ભીતર હોવી જોઈએ, એને આમંત્રણ ન આપવાનું હોય. ફાટેલા ખિસ્સાની આડમાં ય મોજ હોઈ શકે. એ મોજ પિછાણતાં આવડવી જોઈએ. આ ખુદ્દારી, આ મોજ હોય તો કુદરતની રહેમ બારેમાસ રહે જ.
કવિ ધ્રુવ ભટ્ટે આ ગુજરાતી ગીતનું તમિળ, બંગાળી વર્ઝન મોકલ્યું ત્યારે તો આનંદ અને આશ્ચર્યનો પાર રહ્યો નહીં. યુવાનોમાં ‘ધ્રુવદાદા’ તરીકે લોકચાહના પામેલા પ્રતિષ્ઠિત કવિ ધ્રુવ ભટ્ટ દિલથી સદા યુવાન છે. આબાલવૃદ્ધ સૌ કોઈના મિત્ર બની શકે. સાદગી એ એમના જીવનનો પર્યાય છે જે એમનાં ગીતો, કથા, નવલકથા દરેકમાં પડઘાય છે. એમની સાથે વાતો કરવી એ આનંદ ઉત્સવ બની રહે. ભાષાના સૌંદર્ય અને ભાષાની સાદગી વિશે અમારે ક્યારેક ચર્ચાઓ પણ થાય, પરંતુ છેવટે એ એવી મૂળ સોતી વાત કરે કે આપણે માનવી જ પડે.
જિંદગીને આનંદમય, સકારાત્મક અને મોજથી કેવી રીતે જીવવી એનું તાદૃશ ઉદાહરણ આ ગીત છે. ધ્રુવ ભટ્ટ આ ગીત વિશે કહે છે, "નાનપણમાં જે જે નિશાળે ભણ્યો ત્યાં ત્યાં કવિતાઓ ગાઈને શિખવાડાતી જોઈ-સાંભળી હતી. પ્રાથમિક ધોરણોમાં ‘હરિને ભજતાં’ હોય, ઝંડા ગીત હોય કે પછી છેક હાઈ સ્કૂલમાં આવતી ‘ગ્રામ્ય માતા’ હોય, મને બરાબર ઠસી ગયું હતું કે કાવ્યો પુસ્તકમાં લાગે છે તે કરતાં ગળામાં વધારે સારાં લાગે છે. હું કવિતા લખતો થયો અને ‘ગાય તેનાં ગીત’ની પાંચમી આવૃત્તિ થઈ ત્યાં સુધીમાં તેમાંનાં બહુ ઓછાં ગીતો ગવાયાં હતાં. બાકીનાં ચોપડીમાં સૂતાં હતાં. એવામાં ‘વસુંધરાની વાણી’ કાર્યક્રમ નિમિત્તે શબનમબહેન વિરમાણીનો સંપર્ક થયો અને એમણે તેમાંનાં ચારેક ગીતો શીખીને ગાયાં જે અત્યંત લોકપ્રિય થયાં. એક કાર્યક્રમમાં શબનમજીએ કહ્યું કે ‘દાદા, આપ કે ગાનેં હમને કહાં કહાં નહીં ગાયે? હર જગહ લોગ પૂછતે હૈં કિ ઈનકે ઔર ગાને નેટ પર ક્યૂં નહીં આતે? આપ નેટ પર આઈએ.’ મારે માટે નેટ પર જવું સહેલું નહોતું. બધાં નહીં તો ય ૧૦૦ ઉપરાંત કાવ્યો કમ્પોઝ કરાવવાં, ગવરાવવાં, રેકોર્ડિંગ કરાવવું, તેનાં વિઝ્યુઅલ્સ શોધવાં, એડિટિંગ કરાવવું એ અઘરું હતું. કોશિશ ચાલુ હતી એવામાં આપણા જાણીતા પ્રોડ્યુસર આસિતકુમાર મોદીને વાતની જાણ થઈ. તેમણે સામેથી એક જ વાક્ય કહ્યું, "આપણે કરીએ.”
મારી બધી મુશ્કલીઓનો ઉકેલ કરતા રહીને પોતાની જરા પણ દખલ વગર એમણે મને કામ કરવા દીધું. આ મારા માટે અદ્ભુત અનુભવ હતો. આ રીતે શરૂ થઈ યુવા પેઢીમાં મારો વિશ્વાસ વધારતી આ સંગીતમય યાત્રા. ‘ઓચિંતું …’ ગીતમાં પહેલાં મને ગીતની ધૂન સૂઝી પછી ગીત લખાયું. આ ગીત એટલું બધું લોકપ્રિય થયું કે મા-બાપ આજે અઢી-ત્રણ વર્ષના બાળકને શીખવાડે છે અને એ ટેણિયાંઓ ગાય પણ છે. ગુજરાતની કેટલી ય શાળાઓમાં આ ગીત ગવાયું છે. પહેલાં ધૂન સ્ફૂરી હોય એવાં મારાં પાંચ-દસ ગીતો છે. ગુજરાતનાં ગામેગામથી અમે નવા સ્વરકારો-ગાયકો શોધીને એમની પાસે ગીતો સ્વરબદ્ધ કરીને ગવડાવ્યાં. કંપોઝરોમાં એ.આર. રહેમાનની સ્કૂલના વિદ્યાર્થી છે, શિખાઉ પણ છે, કુદરતી રીતે સંગીતની સમજ ધરાવનારા ય છે, સંગીતમાં પીએચ.ડી. કરી રહેલા પણ છે અને આકાશવાણીમાં કામ કરી ચૂકેલા વડીલો પણ છે. એક ગીત પાછળ આખી એક ટીમ હોય છે. દરેક ટીમ મેમ્બર પોતાનું કામ માત્ર ‘કામ’ સમજીને કરવાને બદલે પોતાના ‘આનંદની અભિવ્યક્તિ’ સમજીને કરે છે માટે આ ગીતો આટલાં લોકપ્રિય થયાં છે.
ધ્રુવભાઈએ કેટલાંક ગીતોમાં લોકઢાળ લીધા છે તો કોઈકમાં બંગાળનાં બાઉલ ગીતોનો આધાર લીધો છે. કેટલાંક ગીતો ઉત્તર ગુજરાત, ઘેડ પ્રદેશના લોકસંગીત પર આધારિત પણ છે.
ધ્રુવ ગીતોને ઈન્ટરનેટના માધ્યમથી દુનિયાભરમાં પહોંચાડનાર નીલા ટેલિફિલ્મ્સ – ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ના પ્રોડ્યુસર-ડિરેક્ટર તેમ જ સાહિત્ય-સંગીતપ્રેમી આસિત મોદી કહે છે, "ધ્રુવભાઈનો પરિચય થયો, એમની કવિતાઓ એમના જ મોઢે સાંભળી. અમને રસ પડ્યો. પ્રકૃતિ અને માનવીય સંવેદનાઓથી ભરેલી આ કવિતાઓમાં મને કોઈ અદીઠ શોધની ઝંખના દેખાઈ. એમનું લખાણ જીવનને ઉજાસ આપનારું છે. ખુલ્લા મનથી લખાયેલાં ગીતો હોવાથી આખું વિશ્વ ખોલી આપે છે. આ ગીતોની ખાસિયત એ છે કે એમાં સૂર વણાયેલો છે. ખમીરી અને કુદરત સાથેના સંબંધનું ગજબનું એક્સપ્રેશન છે. ગાવામાં એટલાં સરળ છે કે હાલતો-ચાલતો કોઈ પણ માણસ ગાઈ શકે. આ કવિતાઓ લોકો સામે ગેય-સ્વરૂપે મૂકવા કવિતાઓ કંપોઝ કરાવીને તૈયાર કરાવવાનું કામ ધ્રુવભાઈને જ સોંપ્યું. આ કામમાં અમારો કોઈ વ્યાપારી હેતુ નથી. માત્ર અને માત્ર ગુજરાતી સાહિત્યના સંવર્ધનને લક્ષ્યમાં રાખીને જ આ કામ કરવું તેમ નક્કી અમે કર્યું છે. તે અંગે અમે પહેલેથી જ સ્પષ્ટ રહ્યા છીએ. નવોદિતોને તક મળે તેમ જ આપણું સંગીત-સાહિત્ય લોકો સુધી પહોંચે એ જ ઉદ્દેશ છે. કેટલાંક ગુજરાતી કાવ્યોનો અનુવાદ બંગાળી, મરાઠી, તમિલ, તેલુગુ, કચ્છી વગેરેમાં થયો. બંગાળથી લક્ષ્મણદાસ બાઉલે ધ્રુવભાઈની એક કવિતા સામેથી મગાવી. તેનો બંગાળી અનુવાદ કરાવીને ગાઈ. ગુજરાતી સાહિત્ય માટે આ પહેલો પ્રસંગ હશે કે કોઈ બાઉલ ગાયક ગુજરાતી કવિની કવિતા મગાવે અને પોતાના ગાનમાં તેને સામેલ કરે. આમ ધ્રુવ ગીતો ગામેગામ પ્રચલિત થવા લાગ્યાં.
ધ્રુવભાઈને પહેલેથી જ ભણવાનું ગમતું નહોતું. ક્યારેક તો ટીંગાટોળી કરીને તેમને શાળાએ લઈ જવા પડતા. વિધિસરના ભણતરથી છેટા રહીને અંદરનું અસલપણું-અલગારીપણું એમણે અકબંધ રાખ્યું અને ભારતીય સાહિત્ય અને ગુજરાતી ભાષાને એક મૂર્ધન્ય સર્જક મળ્યા. આ ધરતીપુત્રે દરિયાને અઢળક ચાહ્યો છે. દરિયો અને માનવજીવનને કેન્દ્રમાં રાખીને વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. ધ્રુવભાઈએ સાસણગીરના આદિવાસીઓ વચ્ચે કામ કર્યું છે તો યુવા વિદ્યાર્થીઓ સાથે શિબિરો કરી છે.
આવી એક દરિયાઈ શિબિરમાં તેમને અનેક અનુભવો થયા. એક માજીને અમાવસ્યાનું દરિયામાં સ્નાન કરવું હતું. ખૂબ જ ઉંમરલાયક હોવાથી ધ્રુવભાઈ પાસેના દરિયામાંથી તેમના માટે પાણીની ડોલ ભરીને લાવ્યા. માજી બોલ્યાં ‘દરિયો કંઈ ડોલમાં આવતો હશે!’ ધ્રુવભાઈ માજીની વાત સાંભળીને, દરિયા સાથેના તેમના અંતરંગ સંબંધને જાણીને હચમચી ગયા. એ હતું લાજવાબ નવલકથા ‘સમુદ્રાન્તિકે’નું બીજ.
આ પુસ્તકથી તેઓ ગુજરાતી સાહિત્યમાં છવાઈ ગયા. ગુજરાતી સાહિત્ય પરિષદે તેને ગ્રામીણ નવલકથા વિભાગમાં ઈનામ આપ્યું તો ગુજરાત સાહિત્ય અકાદમીએ તેને પ્રવાસનું પુસ્તક માનીને પુરસ્કૃત કર્યું. ગુજરાતીની સફળતા અને ચપળતામાં દરિયાનો સિંહફાળો છે. ‘તત્ત્વમસિ’ નોવેલમાં એમણે નર્મદા નદી સાથેનો નાતો પ્રસ્થાપિત કર્યો જેમાંથી સુંદર ફિલ્મ ‘રેવા’નું નિર્માણ થયું. આમ પાણી સાથે ધ્રુવભાઈનો પાણીદાર નાતો છે. ધ્રુવ ભટ્ટનાં ગીતોની દુનિયા સહજ, પ્રાકૃતિક અને લીલીછમ છે. તેઓ ગુજરાતી ગીતોમાં નવો ઉઘાડ લઈને આવ્યા છે. એમનાં ગીતોમાં પાણી જેવી જ તરલતા અને તાજગી છે. તેમનાં ગીતોમાં જીવન છે, નવોન્મેષ છે, પ્રકૃતિ છે, વૃક્ષો છે, દરિયો-નદી અને વાદળ છે. આખેઆખાં ગીતો એમને એમ જ કુદરતી રીતે સ્ફૂરે છે. એ ગીતો વારંવાર સાંભળવાં ગમે તેવાં છે. આ ગીત પણ એક સામાન્ય આદિવાસી સાથેના સંવાદની જ નીપજ છે.
શબનમ વિરમાણીના નામથી સંગીતચાહકો ભાગ્યે જ અજાણ હશે. કબીરનાં પદો-દોહા ગાઈને એમણે વૈશ્વિક સ્તરે નામના મેળવી છે. આમ તો એ ફિલ્મ મેકર છે. એમની ‘કબીરા ખડા બાઝાર મેં’ ડોક્યુમેન્ટરીને નેશનલ એવોર્ડ મળ્યો છે. તેઓ ધ્રુવ ગીતોથી ઘણા પ્રભાવિત થયાં અને એમણે ધ્રુવ ભટ્ટનાં કેટલાંક ગીતો ગાઈને દેશ-વિદેશમાં લોકપ્રિય કર્યાં. શબનમજી સાથે ધ્રુવભાઈએ કબીર યાત્રાઓ કરી હતી. મુસાફરીમાં સાથે હોય ત્યારે ધ્રુવભાઈ એમને એમનાં ગીતો ગાઈ સંભળાવે અને શબનમજી રેકોર્ડ કરી લે. ‘ઓચિંતું …’ ગીત શબનમજીને ખૂબ ગમી ગયું અને અનેક જગ્યાએ એ રજૂ કર્યું. એ પછી ધ્રુવભાઈનાં બીજાં ચાર ગીતો એમણે ગાયાં. તાજેતરમાં ‘પ્યાલી ભર કર પી લે સાધો, બસ પ્યાલી ભર જી લે સાધો …’ શબનમજીએ રેકોર્ડ કર્યું. શબનમ વિરમાણી ‘ઓચિંતું …’ ગીત અને ગીતકાર ધ્રુવ ભટ્ટ વિશે કહે છે, "ધ્રુવદાદાને મળવું એ મારા જીવનની બહુ મહત્ત્વની ગિફ્ટ છે. એમનાં ગીતો મેં જ્યાં જ્યાં ગાયાં છે ત્યાં અદ્ભુત લોકચાહના પામ્યાં છે. ‘ઓચિંતુ …’ ગીતમાં તો જાણે આનંદનો ફુવારો ઊડતો હોય એવી અનુભૂતિ થાય. આ આનંદ બાહ્ય આનંદ નહીં, ભીતરનો-અંતરમનનો આનંદ છે જે કુદરત, પ્રેમ, એકતા સાથે સંકળાયેલો છે. ધ્રુવદાદાનાં કેટલાંય ગીતોમાં પાણી મેટાફર એટલે કે રૂપક કે અર્થાલંકાર તરીકે પ્રયોજાયું છે. એમની અન્ય કવિતા,
‘ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે
સાવ ધોળાં કે સાવ કાળાં જેમ ચાહીએ એવા ફૂલ-ગુલાબી
રંગની રેલમછેલ…’ની આ પંક્તિઓ કેવી સચોટ છે;
‘આપણામાંથી આપણે તો બસ નીકળી જાવું ઝરમરીને કોઈ અજાણી ઝાકળ ઘેલી પાંદડી વિશે…!’
હું મારી જાતને નસીબદાર માનું છું કે ધ્રુવદાદાનાં ગીતો ગાવાની મને તક મળી.
ગુજરાતી પ્રજા તરીકે આપણે માટે ય આ ગૌરવની વાત છે કે યુવા પેઢી તેમ જ બિનગુજરાતીઓ પણ ગુજરાતી ગીતો સાથે જોડાઈ રહ્યા છે.
સમુદ્રાન્તિકે, અતરાપિ, અકૂપાર, તત્ત્વમસિ, લવલી પાનહાઉસ ફેમ સુપ્રસિદ્ધ લેખક ધ્રુવ ભટ્ટે લખેલા આ ગીત પરથી ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિનાં માતા ડો. રાજલક્ષ્મી શ્રીનિવાસને આ ગીતનો તમિળ ભાષામાં અનુવાદ કર્યો અને જયંતી રવિનાં દીકરી કૃપા રવિએ આ ગીત ગાયું છે. માતા, દીકરી અને દૌહિત્રી એમ ત્રણ પેઢીએ સાથે મળીને આ ગીત ગાયું છે! આ ગીતની મજા એ છે કે, પહેલાં તમિળ ભાષામાં કૃપા રવિ અને જયંતી રવિના અવાજમાં એ સંભળાય છે અને તે પૂરું થતાં તરત જ ગુજરાતીમાં સંભળાય છે. એટલે એક રીતે આ તમિળ-ગુજરાતી કોમ્બો ગીત છે. આમ આ સુપરડુપર ગીત તમિળ, બંગાળી અને મરાઠી એમ ત્રણ ભાષામાં રજૂ થયું છે. કેરળની શાંતિપ્રિયા બાઉલ પહેલાં મલયાલમમાં અનુવાદ કહીને પછી ગુજરાતી વર્ઝન ગાય છે. પંદર વર્ષ પહેલાં એ કવિ પિતા સાથે ગુજરાત આવી હતી અને ભેટરૂપે ગુજરાતમાં કરેલા કેમ્પ ફાયરની ભસ્મ અને આ ગુજરાતી ગીત ભેટરૂપે લઈ ગઈ હતી.
"મારા એક જ કાવ્યસંગ્રહમાંથી ૧૦૮ ગીતો ગવાઈ ગયાં છે. ૧૨૫ ધ્રુવ ગીત કર્યા પછી અમે જુદા જુદા સાંપ્રત કવિઓનાં ગીતો રેકોર્ડ કરીશું. એ મુજબ મારા પછી કવિ દલપત પઢિયારનાં ૧૧ ગીતો લેવાશે, કહે છે ધ્રુવ ભટ્ટ.
મારી દૃષ્ટિએ આ બહુ ઉત્તમ કામ થયું છે. કોઈ એક જ ગુજરાતી કવિનાં આટલાં બધાં ગીતો એકસાથે પ્રચલિત થયાં હોય અને નવોદિતો દ્વારા ગવાયાં હોય એ ગુજરાતી સંગીતની અનન્ય ઘટના છે. સુગમ સંગીતને નવો જ આયામ મળ્યો છે. બંગાળના રવીન્દ્ર ગાનની જેમ જ ધ્રુવ ગાન ઘર ઘરમાં ગવાય તો એ ગુજરાતી સુગમ સંગીતની ઐતિહાસિક ઘટના બની રહેશે.
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 15 ઍપ્રિલ 2021
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=688718