અલાહાબાદ હાઈકોર્ટે, વરુણ ગાંધી સામેની એફઆઈઆર પરબારી રદ કરવાપણું ન જોયું અને એ મતલબની વરુણની અરજી ડિસમિસ કરી નાખી તેમજ આગોતરા જામીન આપવાની પણ જરૂરત ન જોઈ ! સાફ જાહેર છે કે જે ભાષણ ચૂંટણી પંચને વાંધાભર્યું લખ્યું તે ચોક્કસ જ વાંધાભર્યું હતું અને છે. દેશે સીડી મારફતે વરુણની જે બધી મુદ્રાઓ આ ભાષણ સંદર્ભે જોઈ છે તે ( શબ્દો ધારો કે તમે ન સાંભળો તો પણ ) એના હિંસ્ર આક્રમક તેવર બાબતે તમને લગારે શંકામાં રહેવા દે એમ નથી. આ કિસ્સામાં જોકે બૉડી લૅંગ્વેજ જ નહીં, બૉડી અને લૅંગ્વેજ બંનેની જુગલબંદી, જેમ આંગિકમ્ તેમ વાચિકમ્ ઉભય બાગેબહાર બલકે મત્ત વિલસતાં માલૂમ પડે છે. અને આંગિકમ્ – વાચિકમ્ ની આ હોઉં તો હોઉં ક્ષણોમાં માણસ પોતાને 'ભુવનત્રયમ્'નો સ્વામી સમજે ને સાતમે આસમાને હોય તે સમજીયે શકાય છે. એમાંય આ તો હજુ પુખ્ત-થાય-ત્યારે-થાય એવી પૌગંડ પ્રતિભા છે.
અહીં વરુણના ભાષાકર્મની ચર્ચા મુદ્દલ નથી કરવી; કેમકે એ વિગતવાર બહાર આવી ચૂકેલ છે. માત્ર, ક્યારેક શાલીનતાની છાપ આપતું કવિ – વ્યક્તિત્વ, અને વળી હાર્વર્ડશિક્ષિત બાળ, એવી જે આબરૂ હતી એની સામે આ અવગતિ જોઈને થતો ખેદ જરૂર નોંધીશું.
યસ. ઇટ્સ સૅડ, બૅડ ઍન્ડ મૅડ … પણ એક જવાબદાર હોઈ શકતા ( ખરું જોતાં, હોવા જોઈતા ) વિપક્ષ અને છાયા વડાપ્રધાન તેમજ તેમના સાથીઓ વિશે શું કહેવું. જેવી પીલીભીતની આ આંધળીભીંત બીના બહાર આવી કે ભાજપ પ્રવક્તા રવિશંકર પ્રસાદે નાને પડદે પક્ષના શીર્ષ નેતૃત્વ વતી સત્તાવાર સફાઈ આપતાં કહ્યું હતું કે અમે આ ભાષણ સાથે સંપૂર્ણ અસંમતિ ( ટોટલ ડિસ્ એપ્રુવલ ) જાહેર કરીએ છીએ અને સ્પષ્ટ કરવા માગીએ છીએ કે એની સાથે અમારે સ્નાનસૂતકનોયે સંબંધ નથી ( ટોટલી ડિસ્ એસોસિયેટેડ ). હવે કહે છે કે તપાસમાં જે નીકળવાનું હશે તે નીકળશે; પરંતુ વરુણ ગાંધી અમારા ઘોષિત ઉમેદવાર હતા, છે અને રહેશે. છે ને બિલકુલ સાધ્વી પ્રજ્ઞાવાળી ! પહેલાં 'અમારે એની સાથે કોઈ સંબંધ નથી'નું ગાણું ; અને પછી બૅન્ડવેગનમાં ચડી બેસવાનું – વખત છે ને મતબૅન્કી ધ્રુવીકરણમાં આપણને આમ જોડાઈ જવું ફળેય ખરું… પ્રજ્ઞાઅપરાધનું આ રાજકારણ, ભાજપના વરુણોદયમાંયે સાફ ઝળકે છે.
હાલ જે કકળાટ ચાલે છે કે ચૂંટણી પંચનો શો અખત્યાર, એ વસ્તુત: મુખ્ય મુદ્દો તો નથી. પંચે સલાહ આપી છે કે આ પ્રકારના ઉમેદવારને ઊભો કરવાથી બચવું દુરસ્ત છે. એણે આદેશ નથી આપ્યો, કમકે આ તબક્કે તે એના અખત્યારમાં નથી. છતાં, માનો કે સલાહ સુદ્ધાં નહોતી આપવી જોઈતી. પણ એક જવાબદાર પક્ષને, સિવાય કે તે જાગતોઊંઘતો હોય, આવી સલાહની જરૂરેય ના પડવી જોઈએ. આટલું તો ધારાધોરણસરની રાજનીતિમાં કોઈ પણ પક્ષે સ્વત: સહજસરળ બની આવવું જોઈએ.
વરુણ તો ખેર છોડો – એ એક દૃષ્ટાંત છે, કંઈક રોગલક્ષણ ( સિમટમ ) છે. હા, કેમકે એ એક નહેરુગાંધી છે, અને 'ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની'ને બદલે 'ટ્રિસ્ટ વિથ ડિનેસ્ટી' સામે અવાજ ઉઠાવનારા પક્ષને પણ આવો કૅચ મળે તો એ માટે હાઈપકારો મચાવવાનું ગમે છે એથી તે ( વરુણ ) વધારે મથાળાં મેળવી જાય છે. પણ છેવટે તો, પક્ષ પોતે આવી 'પ્રતિભા'ને કેટલી સ્વીકારે છે, કેટલી ઉછાળે છે અને કેવી ઠમઠોરે છે તે પરથી પક્ષનું પોતાનું રાજકીય શીલ પ્રગટ થાય છે.
શીલની કસોટીએ ધોરણસરનું પક્ષકારણ ક્યાં છે આપણે ત્યાં ? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું આ સોમું વરસ છે : આપણી વિધાનસભાઓ અને લોકસભાઓમાં એક તૃતીયાંશ મહિલા અનામતનો કાયદો આજ સુધી કેમ ઠેલાયા કર્યો છે ? ભાજપમાં આ મુદ્દે ઉમા ભારતી કેમ એકલાં પડી ગયાં હતાં ? સામાજિક ન્યાયની ભૂમિકાએ ઓબીસી કૉન્સ્ટિટ્યુઅન્સીમાંથી જે પક્ષો જાહેર જીવનમાં આવ્યા છે એમને પક્ષે કેમ આનાકાની છે ? તેઓ કહે છે કે મહિલા અનામતનો લાભ સુખી વર્ગની સ્ત્રીઓ – પરકટી મહિલાયેં ઉર્ફે બૉબ્ડ હેર બાનુઓ – ન ઉઠાવી જાય તે માટે મહિલા અનામતમાં પેટા અનામત જરૂરી છે. આ મુદ્દે સર્વસંમતિ અગર એકંદરમતી નહીં સધાતાં મહિલા અનામતનો ખરડો ઠેલાતો જાય છે, અને પુરુષપ્રધાન સમાજમાંથી આવેલા પક્ષખાંઓને પોતપોતાને છેડેથી આ પરિસ્થિતિ ફાવતી પણ આવે છે. બાકી, કાયદામાં શક્ય ન બને તોપણ મહિલા અનામતમાં પેટા અનામતની કાળજી લેવા ઇચ્છતા પક્ષને તેમ કરતાં કોઈ રોકતું તો નથી. પોતાને છેડે, સ્વમેળે, વગર કાયદે આ શક્ય છે જ. પણ જે ટાંચું પડ્યું છે એ તો શીલનું અને પ્રતિબદ્ધતાનું છે.
એસઆઈટી – સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ – ની તપાસમાં ઘણા લોકો ઘરમેળે જાણતા હતા તે બહાર આવ્યું છે કે જેમ ભાજપ – વિહિપ – બજરંગ મંડળી પૈકી ઘણા સાગમટે તેમ કૉંગ્રેસ વગેરે સાથે સંકળાયેલા છૂટાછવાયા લોકો પણ રમખાણી કારવાઈમાં સંડોવાયેલા હતા. આ પૂર્વે ગુજરાતમાં અનામતવિરોધી ઉત્પાતમાં પણ કૉંગ્રેસ અને ભાજપના બીજી હરોળના લોકો સક્રિય હતા, પક્ષોનાં શિસ્તમંડળોએ તે માટે આંખ આડા કાનનું વલણ સળંગ અખત્યાર કરેલું છે. એમને રાજકીય સંસ્કૃતિ શું, રાજકીય શીલ શું, રાજકીય સંસ્કાર શું. એવી છે આ બધી વેજા કે સત્તાતુરાણાં ન ભયં, ન લજ્જા.