ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં જેમ મુદ્રણ અને અખબારો એકબીજાને સહારે વિકસ્યાં, તેમ બીજી બાજુથી મુદ્રણ અને બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ પણ એકમેકને સહારે વિકસ્યાં. તે પહેલાં આપણે ત્યાં જે પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા હતી તે લિખિત કરતાં વધુ બોલાતા શબ્દપર મદાર રાખતી હતી. હા, હસ્તપ્રતો હતી જ આપણે ત્યાં પણ તે ધૂડી નિશાળોના છોકરાઓ માટે નહીં, થોડા પંડિતો કે પુરોહિતો માટે જ તે હતી. જયારે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ પુસ્તકાશ્રયી હતું. તેનો આધાર ગુરુજ્ઞાન નહીં, પુસ્તકની જાણકારી પર હતો. મુદ્રિત પુસ્તકો વગર આ નવું શિક્ષણ આપવાનું શક્ય જ ન બન્યું હોત.
૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મીએ મુંબઈમાં સ્થપાયેલી સોસાયટી ફોર પ્રમોટિંગ ધ એજયુકેશન ઑફ ધ પૂઅર વિધિન ધ ગવર્નમેન્ટ ઑફ બોમ્બે નામની સંસ્થાએ એ જ વર્ષે મુંબઈના કોટ વિસ્તારમાં સેન્ટ્રલ સ્કૂલ શરૂ કરી, જે મુખ્યત્વે બ્રિટિશ બાળકો માટે હતી, અને અંગ્રેજીમાં શિક્ષણ આપતી. પણ ૧૮૧૯માં તેણે શરૂ કરેલી ફોર્ટ સેન્ટ્રલ નેટિવ સ્કૂલ તથા ગિરગાંવ અને મઝગાંવની નેટિવ સ્કૂલોમાં મરાઠી, ગુજરાતી, કાનડી, જેવી ‘દેશી’ ભાષાઓમાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું. પણ ખાટલે મોટી ખોડ એ હતી કે આ નેટિવ સ્કૂલોમાં ભણાવી શકાય એવાં છાપેલાં પુસ્તકો જ એ ભાષાઓમાં લગભગ નહોતાં.
૧૮૧૯ના નવેમ્બરની પહેલીએ માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન મુંબઈ ઇલાકાના ગવર્નર બન્યા અને હોદ્દાની રુએ સોસાયટીના પ્રમુખ બન્યા. પાઠયપુસ્તકો અંગેની મુશ્કેલી તેમના ધ્યાનમાં આવી. તેમણે નકકી કર્યું કે પાઠયપુસ્તકો પણ આપણે જ તૈયાર કરીએ. એ માટે તેમણે નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી શરૂ કરી એટલું જ નહીં, પોતાની અંગત આવકમાંથી તેમણે તત્કાળ રૂ. ૬૦૦ એ કમિટીને આપ્યા જેથી કામ તરત શરૂ થઈ શકે. કેપ્ટન જ્યોર્જ રિસ્ટો જર્વિસ આ કમિટીનો સેક્રેટરી બન્યો. ૧૮૨૨ના ઑગસ્ટની ૨૧મી તારીખથી આ સંસ્થા કમિટીમાંથી સોસાયટી બની અને માતૃસંસ્થાથી અલગ થઈ. ૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં તેણે કુલ છ ગુજરાતી પાઠયપુસ્તકો પ્રગટ કર્યાં હતાં. ૧ લિપિધારા, ૭૨૫ નકલ, રૂ. ૩ (૨) એડવાઇઝ ટુ ચિલ્ડ્રન ઇન શોર્ટ સેન્ટન્સિસ, ૭૮૨ નકલ, રૂ. ૩ (૩) ટેબલ્સ ઇન બનિયન ગુજરાતી, ૧૯૫ નકલ, રૂ. ૩ (૪) ટેબલ્સ ઇન પારસી ગુજરાતી, ૧૯૫ નકલ, રૂ. ૩ (૫) અ ટ્રિટાઇઝ ઑન ધ મેનેજમેન્ટ ઑફ સ્કૂલ્સ, ૧૦૦૦ નકલ, રૂ. ૩ (૬) લેફટનન્ટ કર્નલ કેનેડીએ તૈયાર કરેલ શબ્દકોશ રૂ. ૧૨ (વાર્ષિક અહેવાલમાં નામ અંગ્રેજીમાં છાપ્યાં છે, પણ આ પુસ્તકો છપાયાં હતાં ગુજરાતીમાં.)
ગુજરાતી ભાષાનાં આ પહેલવહેલાં શાલેય પુસ્તકો. તેમાંનાં પહેલાં ચાર વિદ્યાર્થીઓ માટે છે અને બીજાં બે નિશાળોના ‘માસ્તરો’ માટે છે. બીજી નોંધપાત્ર બાબત એ કે ૧૮૨૨થી કેટલાંક વર્ષ સુધી આ સોસાયટી ગુજરાતી પાઠય પુસ્તકોની બે આવૃત્તિ પ્રગટ કરતી – એક ‘બનિયન ગુજરાતી’ (વાણિયા ગુજરાતી, એટલે કે હિંદુ વિદ્યાર્થીઓ માટે) અને બીજી પારસી ગુજરાતી. આ પુસ્તકો તથા શરૂઆતનાં બીજાં પાઠય પુસ્તકો મુંબઈ સરકારના આગ્રહથી મુવેબલ ટાઇપ વાપરીને નહીં, પણ શિલાછાપ પદ્ધતિથી છપાયાં હતાં. આ રીતે છાપવા માટે પુસ્તકની હસ્તપ્રત લહિયા દ્વારા તૈયાર કરાવવી પડતી. શરૂઆતમાં લહિયા તરીકેની કામગીરી જર્વિસના હાથ નીચે રહીને કવિ નર્મદના પિતા લાલશંકર દવેએ બજાવી હતી.
આ પહેલવહેલાં પાઠયપુસ્તકો પ્રગટ થયા પછી બે અણધારી મુશ્કેલી ઊભી થઈ. બ્રિટિશ પદ્ધતિની નવી નિશાળો અને છાપેલાં પાઠયપુસ્તકો પોતાના પેટ પર લાત મારશે એ વાત ધૂડી નિશાળોના બ્રાહ્મણ –વાણિયા માસ્તરો સમજી ગયા. એટલે એમણે લોકોમાં અફવા ફેલાવી કે આ પુસ્તકો છાપવા માટે જે શાહી વપરાય છે તેમાં પશુની ચરબી ભેળવેલી હોય છે અને છાપેલાં પુસ્તકોના પ્રચાર પાછળનો સરકારનો ખરો હેતુ નિશાળના છોકરાઓને વટલાવવાનો છે. આનો રદિયો આપતાં સરકારે જાહેર કર્યું કે છાપવા માટેની શાહી ચરબી વાપરીને નહીં પણ ગાયનું ઘી વાપરીને બનાવાય છે. ( આમ કરવું હકીકતમાં શકય જ નથી, પણ એક જુઠ્ઠાણાનો સામનો સરકારે બીજા જુઠ્ઠાણાથી કર્યો.) એટલે બીજો વિરોધ એ થયો કે મોંઘા ભાવનાં આ પુસ્તકો વેચીને સરકાર છોકરાઓનાં માબાપનાં ખિસ્સાં ખાલી કરવા માગે છે. આના જવાબમાં સરકારે આ પાઠયપુસ્તકોની મોટા ભાગની નકલો વેચવાને બદલે વિદ્યાર્થીઓને મફત વહેંચી !
(વધુ હવે પછી, ક્યારેક)
સૌજન્ય : ‘ફલેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 04 અૉગસ્ટ 2014