ઝુઝારુ સમાજવાદી નેતા રામ મનોહર લોહિયા ! કહે છે કે લખતાં લોહિયો તેમ લઢતાં લોહિયો ! પક્ષો જ્યારે નકરાં ઇલેક્શન એન્જિન બનીને ખોવાતા ને ખવાતા માલૂમ પડ્યા ત્યારે આ એક માણસ એવો હતો, સદૈવ સિવિલ નાફરમાની મિજાજનો, જેણે કહ્યે રાખ્યું હતું કે જિંદા કૌમે પાંચ સાલ તક ઇંતજાર નહીં કરતી. પછીથી, ૧૯૪૨માં, દેશમાં નવી નેતાગીરીને મોખરે જે બે વ્યક્તિત્વ ઉભરવાનાં હતાં – ૪૦ વરસના જયપ્રકાશ અને ૩૨ વરસના રામ મનોહર – એમનું માન ને મૂલ્યાંકન કેવું હશે હરિજન પત્રોના તંત્રી (મહાત્મા ગાંધી)ના મનમાં કે કૉંગ્રેસે અપનાવવા જોગ સમાજવાદી કાર્યક્રમની જેપીની હિમાયત એમણે ૧૯૪૦માં ચહીને પ્રકાશિત કરી હતી ; જેમ 'સત્યાગ્રહ, આજે ને અબઘડી' ('સત્યાગ્રહ નાઉ') એ લોહિયાનો લેખ જૂન ૧૯૪૧માં પ્રકાશિત કર્યો હતો… 'ક્વિટ ઇન્ડિયા'નો ઠરાવ તો હજુ ઑગસ્ટ ૧૯૪૨માં આવવાનો હતો, પણ એના સવા વરસ પહેલાં.
જિંદા કૌમે પાંચ સાલ તક ઇન્તજાર નહીં કરતી, એ લોહિયા-ભૂમિકા સ્વાતંત્ર્યોત્તર ભારતમાં કેવળ બરકરાર જ ન રહી, ઓર નિખરી. જેમ બીજા કેટલાક તેજસ્વી માણસોની તેમ આ બે જણની – લોહિયા અને જયપ્રકાશની – વિશેષતા એ રહી કે તેઓ સત્તાની લગોલગ હોઈ શકે ત્યારે પણ એમણે સમાજની સટોસટ દિલ્હી દરબાર નહીં પણ લોક મોઝાર રહેવું પસંદ કર્યું. જયપ્રકાશ સર્વોદય અને રચનાકાર્યમાં ચાલ્યા ગયા તો લોહિયા અણથક રાજકીય સંઘર્ષમાં રમતા રહ્યા. પણ એમના સંઘર્ષોમાં એક સાંસ્કૃતિક પિછવાઈ સતત રહી. પાછલાં વર્ષોમાં જેમ જયપ્રકાશે 'સંપૂર્ણ ક્રાન્તિ'ને ધોરણે એક લડાયકવિધાયક નેતૃત્વ આપ્યું, લોહિયાએ તેમ એમના સંઘર્ષોમાં 'સપ્ત ક્રાન્તિ'ની ભૂમિકા લીધી : આર્થિક અસમાનતાનું નિર્મૂલન ; નાતજાતગત ઊંચનીચ ભેદભાવ ; સ્ત્રી-પુરુષ અસમાનતા; સામ્રાજ્યવાદ; રંગદ્વેષ; સમષ્ટિ (કલેક્ટિવિટી)ના ઓથર સામે વ્યક્તિગત અધિકારો; સવિનય કાનૂનભંગની વિધિવત્ સ્થાપના – આ એમનાં ક્રાન્તિક્ષેત્રો રહ્યાં.
એમણે જોયું કે ઇલેક્શન એન્જિન અને સત્તા – પ્રતિષ્ઠાન બની રહેલ કૉંગ્રેસ પક્ષ એવો ને એટલો જામી પડેલો છે કે એને હટાવ્યા વગર યથાસ્થિતિને સ્થાને પરિવર્તનની રાજનીતિને સારુ અવકાશ હોવાનો નથી. આ સમજમાંથી એમણે બિનકૉંગ્રેસવાદનો અભિગમ વ્યૂહ નિપજાવી કાઢ્યો. ૧૯૬૭માં સંવિદ કહેતાં સંયુક્ત વિધાયક દળની જે રણનીતિ બની તે આ બિનકૉંગ્રેસવાદને આભારી હતી : '૬૭ની રાષ્ટ્રીય ચૂંટણીઓ પછી કેટલાક મહિનાઓ લગી એક એવી પરિસ્થિતિ બની હતી કે તમે અમૃતરસથી ગાડી પકડો અને કલકત્તા પહોંચો ત્યાં લગી એકે કૉંગ્રેસ-શાસિત રાજ્યમાંથી પસાર થવું ન પડે. કમનસીબે, ૧૯૬૭ના ઑક્ટોબરમાં લોહિયા ગયા અને આ પ્રયોગનો કસ કાઢવા સારુ એમની ઓથ અને સોબત ન રહી.
પણ તમે જુઓ કે, અલગ છેડેથી, ૧૯૭૭નું જનતા રાજ્યારોહણ એ બરાબર એક દસકે નવી દિલ્હીમાં બિનકૉંગ્રેસવાદની પ્રતિષ્ઠાનું હતું. અલબત્ત, ૧૯૬૭માં નહીં એવું ને એટલું લોક આંદોલનનું સૅન્ક્શન ૧૯૭૭ના જનતા પર્વની પાછળ હતું. જેપીએ જી. જાનથી, સંપૂર્ણ સમર્પિતતાથી એમની છેલ્લી (જે ખરું જોતાં છેલ્લાથી આગલી હોવી જોઈતી હતી) ઇનિંગ્ઝ ત્યારે ખેલી જાણી હતી. લોકશાહીની પુન:પ્રતિષ્ઠામાં એ ઇતિહાસનિમિત્ત બની રહ્યા ; પણ લોકશાહી સુવાણ થકી જે ક્રાન્તિ ડગ શક્ય બનત એને પૂરો અવસર ન મળ્યો, કેમકે શ્વાસનો હિસાબ ખૂટ્યો હતો.
લોહિયા-જયપ્રકાશ-ક્રિપલાણી આદિને આપણે સ્વાભાવિક જ કેવળ લોકશાહી માળખા અને પ્રક્રિયાના સીમિત સંદર્ભમાં સંભારતા નથી. ધોરણસરના રાજકારણથી – અને એ પણ મોટી વાત છે – આગળ વધીને પરિવર્તન વાસ્તે ભોં ભંગાતી ચાલે એવી જે એક આપણી ધખના અને ચાલના છે એ સ્તો આપણને આવાં વ્યક્તિત્વ અને નેતૃત્વ કને વારેવારે જવા ધકેલે છે, નોળિયાને જેમ નોળવેલ.
જોકે, આ નોળવેલનું સારસત્ત્વ અને સ્વારસ્ય 'બિનકૉંગ્રેસવાદ' અગર 'ઇંદિરા હટાઓ' માં સીમિત નહોતું ને નથી. ભાજપની ઘોર સાંપ્રદાયિક રાજનીતિ માટે અંજીરપાંદ (ફિગલીક) બની રહેલા જ્યોર્જ ફર્નાન્ડીઝ તે લોહિયાઈ બિનકૉંગ્રેસવાદના વારસદાર બિલકુલ નથી. જ્યાં સુધી રાષ્ટ્રવાદનો અને હિંદુ વારસાનો સવાલ છે, લોહિયાએ 'હિંદુ બનામ હિંદુ'થી માંડીને 'રામાયણ મેળા' સરખી માંડણીઓ થકી રીનેસાંસ અને રેફર્મેશન તેમ નાગરિક સમાજને લાયક સાંસ્કૃતિક નવજાગરણની એક ભૂમિકા રચવા ધારી હતી. ફર્નાન્ડીઝ પુરસ્કૃત અડવાણી કારણ જેવો ધરમમજહબનો કારોબાર એ બેલાશક નહોતો.
'હિંદુ બનામ હિંદુ' એ એક સ્વતંત્ર નિરૂપણ ને વિચારણા માગી લેતી વાત છે, અને એની ચર્ચા વળી ક્યારેક … હાલ તો, રામ મનોહર લોહિયાને શતાબ્દીની સલામ !