ઝુઝારુ સમાજવાદી રામમનોહર લોહિયા (૨૩-૩-૧૯૧૦ : ૧૨-૧૦-૧૯૬૭)નું તો આ શતાબ્દી વર્ષ છે. કિયે છેડેથી એમને સંભારવાનું શરૂ કરવું ? થાય છે, જગતતખતે ઓબામાના ઉદયને અનુલક્ષીને અમેરિકી છેડેથી બે'ક વાત કરું. સ્વરાજ પછી લોહિયા બે વાર અમેરિકા ગયા હતા, ૧૯૫૧માં અને ૧૯૬૪માં પહેલીવાર એ ગયા અને અમેરિકામાં ઠેકઠેકાણે મળવાબોલવાનું, જાણવાસમજવાનું બન્યું એમાં મોન્ટગોમેરીનીયે મુલાકાતનો સમાવેશ થતો હતો. ત્યાંની એક સભામાં એ રંગદ્વેષ વિશે તેમ અન્યાય સામે સવિનય કાનૂનભંગ અગર સિવિલ નાફરમાનીના ગાંધીદીધા હથિયાર બાબત ખુલીને બોલ્યા હતા, બોલતે બોલતે ખીલ્યા હતા. કહે છે કે સભાર્થીઓમાં એક અશ્વેત સન્નારી પણ હતાં – રોઝા પાર્ક્સ. પછીથી, જેમના બસ-ધરણા સાથે સમતાની લડાઈ માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વમાં એક નવો મુકામ હાંસલ કરવાની હતી એ રોઝા પાર્ક્સ.
જોકે ૧૯૫૧ની એ મુલાકાતમાં નહીં એટલા લોહિયા, પછીથી, ૧૯૬૪ની મુલાકાતમાં ઝળક્યા અને ચમક્યા હતા : હવે ચોપ્પનેક વરસના એ, ૧૯૪૨ના વીરનાયકો પૈકીના એક, સ્વરાજનાં બરાબળ સોળે વરસે ૧૯૬૩માં પહેલપરથમ લોકસભા લગી પહોંચ્યા હતા અને લાંબા સમય લગી વડાપ્રધાનપદે રહેલા જવાહરલાલ નેહરુ સામે ગૃહમાં અવિશ્વાસની દરખાસ્ત પર બહસ શક્ય બનાવીને ઇતિહાસ સર્જ્યો હતો. સ્વરાજના સત્તા-પ્રતિષ્ઠાનની ભીંત ફાડીને પીપળો જાણે કે ઊગવા કરતો હતો. સાંસદ લોહિયાએ અમેરિકાની મુલાકાત દરમ્યાન, ભારતીય લેબાસમાં (અલબત્ત, થોડા ગોરા મિત્રો સાથે) એક કાફેટેરિયામાં પ્રવેશ કરવાની કોશિશ કરી હતી, અને તેઓ એક અશ્વેત હોઈ એમને રોકવામાં આવ્યા હતા. હોહલ્લા વચ્ચે, આ સિવિલ નાફરમાનદારને પોલીસ બંદોબસ્ત ઉર્ફે પકડમાં ત્યાંથી ખસેડવાની નોબત આવી હતી.
ગમે તેમ પણ, લોહિયાને અમેરિકી ધરતી પર સત્યાગ્રહી પ્રતિકાર સૂઝી રહ્યો એ બીનામાં એક સાથે બે વાનાં બહાર આવ્યાં – એક તો , એ વિશ્વ નાગરિક હતા, અને બીજી વાત કે સમતાના સદાસન્નદ્ધ સિપાહી પણ હતા. સમતા અને સ્વતંત્રતાની લડાઈ તેમજ સિવિલ નાફરમાનીનું ઓજાર, એમને સારુ સર્વદેશીય-સાર્વભૌમ-સર્વકાલીન બાબત હતી. કદાચ એ જ એમના અસ્તિત્વની ઓળખ અને પરખ હતી. નેપાળ, જ્યાં એ, જયપ્રકાશ અને બીજા ૧૯૪૨માં કયારેક ભોમભીતર હતા – એ નેપાળમાં, પછીનાં વરસોમાં રાણાશાહી સામેના સંઘર્ષમાં ; દેશ આઝાદ થવામાં હતો અને ગોવા હજુ પોર્ટુગલ તાબે હતું ત્યારે ત્યાં સ્વરાજને સારુ સિવિલ નાફરમાની છેડવામાં, લોહિયા ક્યાં ક્યાં નહોતા ! ગોવાની જેલમાં હતા એ, ગાંધીએ ત્યારે કહેલું – લોહિયા આજે કારાગૃહમાં છે તો માનો કે ભારતનો અંતરાત્મા બંધનોમાં છે.
લોકસભામાં લોહિયા જેમ અવિશ્વાસની દરખાસ્ત ઉગામીને તેમ દેશવાસીની સરેરાશ આવક વાસ્તવમાં કેટલી છે એ મુદ્દે બહસ ઉપાડીને છવાઈ ગયા હતા. આ બહસની પિછવાઈ કહો, પગેરું કહો એમની એ માંડણીને આભારી હતાં કે અમેરિકા એના પ્રમુખ પાછળ પોતાની સરેરાશ માથાદીઠ આવકને હિસાબે જે ખરચે છે એના કરતાં અનેકગણું ગરીબ ભારત એના વડાપ્રધાન પાછળ ખરચે છે – રોજના પચીસ હજાર રૂપિયા. જવાહરલાલે પ્લાનિંગ કમિશનને ટાંકીને રોજની માથાદીઠ આવક ૧૫ આના કહી ત્યારે લોહિયાએ ૩ આના સાબિત કરી બતાવ્યા હતા. પહેલી વાર, ગરીબો અને ગરીબી એક સાર્થક ચર્ચાનો મુદ્દો ત્યારે બન્યાં હતાં. કદાચ છેલ્લી વાર પણ ; કેમકે ઇંદિરાજીનાં 'ગરીબી હટાઓ'માં પોપ્યુલિસ્ટ પોલિટિક્સનો પાક્કો પેચ હતો. જોકે વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના દોરમાં વિશ્વવિમર્શમાંથી હવે તો ગરીબીનો કાંકરો જ નીકળી ગયો છે એ જોતાં આ પોપ્યુલિસ્ટ તો પોપ્યુલિસ્ટ બેત પણ ઠીક લાગે તો નવાઈ નહીં.
લોહિયા સમાજવાદી હતા, નિ:શંક હતા. પણ ગરીબીની ચર્ચામાં એમને માર્ક્સ સુધ્ધાં (માર્ક્સવાદની સહજ યુરોપીય પાર્શ્વભૂ જોતાં) બધો વખત જેમના તેમ સ્વીકાર્ય હશે તેમ જણાતું નથી. કૈં નહીં તોપણ એમનાં બે નિરીક્ષણો આ સંદર્ભમાં લાજિમ છે. એક તો, શું મૂડીવાદ કે શું સામ્યવાદ, બેઉ મોટા ઉદ્યોગો ને રાક્ષસકાય યંત્રઆયોજના પર ભાર મૂકે છે, એની સામે રોજગાર એટલા પ્રમાણમાં શક્ય નથી. જે ત્રીજી દુનિયા છે એને તો એની વિશાળ આમજનતા માટે, એના મધ્યમવર્ગી અને મહેનતકશ તબકાઓ માટે રોજગાર જ રોજગારની તાકીદ અને તકાજો તેમજ તાણ છે. યંત્રથી માણસનો વૃથા શ્રમ – ખાસ કરીને વેઠ – ઘટે તે ઠીક જ છે, પણ જરૂરત માફકસરની ટેક્નોલોજીની છે – એવી ટેક્નોલોજીની જેમાં દૂર બેઠે કોઈ ભીમકાય ઉદ્યોગશાહનો, બહુરાષ્ટ્રીય કંપનીનો સંચાર ન હોય. ૧૯૫૧માં, અમેરિકાની મુલાકાત દરમ્યાન લોહિયાએ વ્યક્ત કરેલી ચિંતાઓ – કોઈએ ૨૦૦૮-૨૦૦૯ના અમેરિકાને યાદ કરાવવા જેવી છે.
સમતા અને સ્વતંત્રતાના આ સિપાહી વિશે વિશેષ હવે પછી.