Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9335203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક કોને?

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|17 June 2014

− અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક કોને?

– શ્રી આઈ.બી. ઋષિ ઉવાચ & ઓળખી લો, વિકાસ નામના મહા હવનમાં હાડકાં નાખનારા આ દુષ્ટ અસુરોને …

પહેલાં તો આ લખનારે પોતાના અજ્ઞાનની કબૂલાતથી જ શરૂઆત કરવી જોઈએ. આજ લગી હું એવા ભ્રમમાં હતો કે આર્થિક વિકાસનું આખું શાસ્ત્ર એ ઉદ્યમીઓ અને અભ્યાસીઓનો વિષય છે. પણ હમણાં દેશના અનેક એન.જી.ઓ. અને કેટલાંક નાગરિક સમાજ સંગઠનોને લક્ષમાં રાખીને આઈ.બી. કહેતાં ઈન્ટેલજિન્સ બ્યુરોએ વડાપ્રધાનના દફતરની ખિદમતમાં પેશ કરેલા ખ્યાલ આવ્યો કે વિકાસ વિષયક સમજ કેળવવી એ સુવાંગ આઈ.બી. હસ્તક હોઈ શકે એવો ખાસ ઈલાકો છે.

આઈ.બી.નો અર્થશાસ્ત્રી અંદાજ પણ બાકી કહેવો પડે! એણે ટાઢે કોઠે કહ્યું છે કે ‘ગ્રીન પીસ’ પ્રકારના એન.જી.ઓ. જે રીતે ન્યુકલીઅર પાવર પ્લાન્ટ વગેરેના નિર્માણમાં બાધા નાખે છે એને કારણે આપણા અર્થકારણમાં વૃદ્ધિ મોરચે બેથી ત્રણ ટકા જેટલી ઘટ પડે છે. ગુપ્તચરખાતું પરમાણુશક્તિના પેટમાં પ્રવેશી કઈ સુરંગ વાટે ઊભી બજારમાં નીકળ્યું એ હું વિમાસતો હતો અને મારા અજ્ઞાનને કોસતો હતો, એવામાં સદ્દભાગ્યે મને એક તારણહાર નામે સુરજિત ભલ્લા ભેટી ગયા.

મારે પ્રાસસુવિધાપૂર્વક કહેવું જોઈએ કે ભલ્લામાં મને સાક્ષાત્ અલ્લા વરતાયા. એમણે કહ્યું કે ભાઈ આમ જો કોઈ દેશના વૃદ્ધિમોરચે બેત્રણ ટકા જેટલી વધઘટ (બગાસું ખાવા જેટલી) આસાનીથી કરી શકતું હોય તો એના પર હું વારી વારી જાઉં. બલકે, મારું (એટલે કે ગુજરાત મોડલના આશિક અને મોદીના દિલ્હીડંકે આશાપેક્ષાતુર ભલ્લાજીનું) ચાલે તો આ વાસ્તે અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પણ અપાવવાનું ગોઠવું.

વાત એમ છે કે દરેકે દરેક અવતાર પોતાના કર્મની શોધમાં હોય છે. નિયતિદત્ત અને વિધિનિર્મિત એવું એક અવતારકૃત્ય, સ્વાભાવિકપણે જ, બાવાહિન્દી ન્યાયે, દુષ્ટ અસુરોનો નાશ કરવાનું હોય છે. આજકાલ, વિકાસ નામના યજ્ઞમાં હાડકાં નાખનારા કોઈ અસુરો હોય તો તે આપણા એન.જી.ઓ. અને નાગરિક સંગઠનો છે એમ શ્રી આઈ.બી. ઋષિનું કહેવું છે. આઈ.બી. ઋષિના ત્રિકાળદર્શી ગોળામાં, જેમ કે, સાફ દેખાઈ આવ્યું છે કે જાલીમ પરદેશી ફંડો આ બધા એન.જી.ઓ. પૂંઠે કાર્યરત છે.

પણ ઋષિ જેનું નામ એણે કવચિત્ જ જાગ્રત રહેવાનું હોય અને વધુમાં વધુ કાળ તો સમાધિમાં (અજ્ઞાનીઓ જેને નિદ્રા વદે છે તેમાં) નિર્ગમન કરવાનો હોય એટલે સરકાર શ્રી જાતેપોતેપંડે આઈ.એમ.એફ. અને વિશ્વ બેંક વગેરે સાથે જે વહેવાર કરે છે, સ્થાપિત પક્ષો ચૂંટણી ટાણે જે એન.આર.આઈ.વટું કરે છે એવી સામાન્ય ગતિવિધિ જોવા સારુ જાગવાની (કે જાગતે છતે જોવાની) જરૂર બેલાશક ન હોય. બલકે, આ દેશમાં એફ.સી.આર.એ કહેતાં ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન્સ એક્ટ જેવી કોઈ જોગવાઈ છે અને પરદેશી ફંડો તેની મારફતે આવે છે, એવી સામાન્ય વાત જાણવાસમજવાનીયે સ્વનામધન્ય આઈબર્ષિ કને જરૂર ન જ હોય, કેમ કે આ કક્ષાની પ્રતિભાઓ જો સંસારની ક્ષુલ્લક વિગતોમાં પડે તો ધરતી બચાડી રસાતાળ જાય.

અને પેલાં નાગરિક સંગઠનો! કનૈયાલાલ મુનશીએ એમની આત્મકથામાં બાળપણનું એક સ્મરણ ટાંકર્યું છે કે વર્ગમાં પંડ્યાજી ઝોકે ચડ્યા તે એવા ચડ્યા કે છુટવાનો ઘંટ વાગ્યો ત્યારે જ એમને ખયાલ આવ્યો કે આજે વિદ્યાર્થીઓને એ-બી-સી ગ્રેડ આપવાના રહી ગયા છે. પણ પંડ્યાજી પણ એક પ્રતિભા, બિલકુલ આઈબર્ષિની જેમ કોઠાડાહ્યા, એમણે તરત રસ્તો કાઢ્યો – પરણેલા ઊભા થાવ. એ. જેમનું ગોઠવાયેલું છે તે ઊભા થાવ. બી. અને મુનશી લખે છે કે મારા જેવાને નસીબે સી ! નાગરિક સંગઠનોની ફંડફાળાની નિયતિ મોટા ભાગના કિસ્સાઓમાં આ સી ગ્રેડ જેવી હોય છે.

પણ આઈબર્ષિએ નક્કી કર્યું કે આપણે એમનું પણ ગૌરવ કરવું જોઈએ. એટલે પૈસેટકે ભલે તમે સી ગ્રેડમાં હો પણ તમારો વક્કર તો બાકી કહેતા પડે. બિલકુલ એ ગ્રેડ જેવો, કેમ કે તમે મોડલ સરકારના વિકાસને ધરાર ડબિન્ક કરો … વૃદ્ધિ મોરચે રૂકાવટ! હવે, આપણાં જે નિરીહ નાગરિક મંડળો, એમને બાપવડાને કશી ગતાગમ તો પડે નહીં. મય દાનવે રચના કરી ત્યારે દુર્યોધનને તો અંધપુત્ર હોવાની વહેવારુ સગવડ પણ હતી કે જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ જેવાં દિવ્ય દર્શન કરી શકે.

આવી દિવ્યદ્રષ્ટિથી વંચિત નાગરિક સંસ્થાઓ આ જળ નથી પણ ઝાંઝવાં છે, અને ગોચર અહીં અગોચર છે એવું બધું અજ્ઞાનવશ બોલી પડે. પરિણામે લોકોને પણ પ્રશ્ન થાય કે આપણે આગળ જઈ રહ્યા છીએ કે પાછળ? આથી જે દ્વિધા અને હતાશા પેદા થાય તેને કારણે અગર તો કોઈ (દોઢ) ડાહ્યાને પ્રશ્નો થાય તેને પરિણામે વિકાસની ગતિ તો રૂંધાય જ ને. લોકો પ્રશ્નો પૂછતા થાય એ સ્તો મુશ્કેલી છે. પછી તો આઈબર્ષિઓની સમાધિ અને રાજર્ષિઓની મૃગયા, બધાં વિશે સવાલ લટકા કરે સવાલ સામે.

રે, આઈબર્ષિ, ભવોભવ ઋણી રહીશું આપના કે આપે અમ સામાન્યજનોનું અધોર અજ્ઞાન દૂર કીધું!

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 14.06.2014

Loading

17 June 2014 પ્રકાશ ન. શાહ
← Just those ……..
જીવતર અાખું એક ઉખાણું →

Search by

Opinion

  • ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
  • જેઇન ઑસ્ટિન અમર રહો !
  • જેઇન ઑસ્ટિન : ‘એમા’
  • ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’: એક વિહંગાવલોકન
  • ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા
  • ગાંધીનો હિટલરને પત્ર 
  • ઈશુનું ગિરિ-પ્રવચન અને ગાંધીજી
  • ગાંધી : ભારતની પ્રતિમા અને પ્રતીક

Poetry

  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !
  • હાલો…

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved