સરકારી સન્માન મેળવવા માટે જિગર જોઇએ. પહેલાં અરજી કરો, પછી સરકારી ધારાધોરણોમાંથી ખરા ઉતરો, સંસ્થાકીય-પ્રવૃત્તિકીય રાજકારણની ગલીઓમાંથી હેમખેમ નીકળો અને બધું થઇ જાય પછી પણ સન્માન સમારંભમાં સન્માનના નામે થતાં અપમાનો હસતા મોંએ વેઠી જાવ…કારણ કે સરકારી એવોર્ડમાં પ્રધાન એકલા જ ‘પ્રધાન’ અને બાકીના સૌ ગૌણ રહેવાના.
આ બધું ગયા રવિવારે અમદાવાદમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા યોજાયેલા દલિત સાહિત્ય અને પત્રકારત્વના એવોર્ડ સમારંભ વિશે સાંભળીને વધુ એક વાર યાદ આવ્યું. આખો કાર્યક્રમ દલિત કવિ નીરવ પટેલ, સાહિલ પરમાર અને એક દલિત પત્રકાર નટુભાઇ ગોહિલને એવોર્ડ તથા રોકડ રકમ વડે સન્માનિત કરવાનો હતો, પણ કાર્યક્રમના નિમંત્રણ-કાર્ડમાં ક્યાંય એવોર્ડવિજેતાઓનાં નામ નહીં. કાર્યક્રમમાં ત્રણ એવોર્ડવિજેતાઓને સ્ટેજ પર બેસાડવાની જગ્યા તો નહીં જ. પહેલી હરોળમાં પણ તેમનું સ્થાન નહીં.
છતાં નીરવભાઇએ લાઇફટાઇમ એચિવમેન્ટ પ્રકારનો રૂ.50 હજારનો અને સાહિલભાઇ-નટુભાઇએ રૂ.25-25 હજાર તથા સન્માનપત્ર ઉત્સાહભેર સ્વીકાર્યાં.
એવોર્ડ લેનાર માટે આ તો કઠણાઇનું છેલ્લું ચરણ હતું. અગાઉ આઠ-દસ મહિના પહેલાં એવોર્ડની જાહેરાત થઇ ગયા પછી નીરવ પટેલ સિવાયના સૌને સત્તાવાર જાણ કરી દેવામાં આવી, પણ સત્તાધીશોને વીંધી નાખે એવી કવિતા લખનારા નીરવભાઇનું નામ જાણે નવેસરથી વિચારણા હેઠળ મુકાયું હોય એવી હવા ઉભી થઇ. ન સરકાર તરફથી કોઇ ખુલાસો, ન નીરવભાઇ તરફથી સરકારના વલણ અંગેનો કચવાટ. આખરે તેમનું નામ પણ જાહેર થયું અને સમારંભમાં હાજર રહીને બીજી હરોળમાં બેસીને તેમણે એવોર્ડ સ્વીકાર્યો.
કવિતા આમ તો મારી ‘લેન’ નહીં. છતાં નીરવભાઇ-સાહિલભાઇની ઘણી કવિતાઓ વાંચીને ફક્ત ડોલી જ નહીં, હાલી ગયો છું. પોતાની પ્રિયતમાના સૌંદર્યની વાસ્તવિક ઉપમાઓ સાથે સરખામણી કરતી સાહિલભાઇની કવિતા ઘણી વાર વાંચી હશે. એવી જ રીતે, નીરવભાઇની ઘણી કવિતાઓ એટલી ધારદાર હોય કે મંટો જેવા લેખકની વાર્તાની ચોટ જેવો ઘા પડે. એવી એક ટૂંકી કવિતા આ પોસ્ટના અંતે મૂકી છે. નરસિંહ મહેતા-શામળીયાની હૂંડી અને ‘સૌનો બેલી ભગવાન’ જેવાં બિનદલિત બની ચૂકેલાં પ્રતીકો-અભિવ્યક્તિઓ, દેખીતી રીતે અમાનવીય લાગે એવી સ્થિતિ અને તેની પાછળ રહેલી જ્ઞાતિગત ભેદભાવની ક્રૂર વાસ્તવિકતા કેવી નાટ્યાત્મક છતાં સચોટ લાગે છે. (મંટોપ્રેમીઓને તેની ‘શ્યાહ હાશિયે’ની વાર્તાઓ યાદ આવે જ.)
કાર્યક્રમ પછી મંચ પરના કેટલાક મહાનુભાવો મંચ પરથી નીચે પણ ઉતર્યા વિના નાસ્તો કરવા બેસી ગયા. એવોર્ડની સંખ્યા વધારે હોય ને પ્રમાણપત્રો જથ્થાબંધ હોય તો એવોર્ડ આપનારી સંસ્થાઓનું ભલું પૂછવું. ચવાણું કાઢવા માટે ડીશો ખૂટે તો કોરાં પ્રમાણપત્રોનો પણ સદુપયોગ કરી લે. એક વાર ફ્રેમ થઇ ગયેલું પ્રમાણપત્ર તો એટલા કામનું પણ રહેતું નથી.
મારો શામળિયો
મારા શામળિયે મારી હૂંડી પૂરી-
નીકર,
ગગલીનું આણું શેં નેકળત?
ચાવંડાની બાધા ફળી
ને જવાનજોધ ગરાહણી ફાટી પડી…
એની ઠાઠડીએ ઓઢાડ્યું રાતું ગવન !
રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય
ગગલીની મા તો
જે મલકાય, જે મલકાય, મારી હાહુ…
બસ ડાઘુઓની પૂંઠ ફરે કે
ધૉડું હડડ્ મસાણે-
મારા ભંગિયાનોય બેલી ભગવાન !
નીરવ પટેલ (2006ના દલિત કાવ્યસંગ્રહ ‘બહિષ્કૃત ફૂલો’માંથી )