દર રવિવારે સવારે, બી.બી.સી. પરથી પ્રસારિત થતા Big question શીર્ષક હેઠળ Nicky Campbell સૈદ્ધાંતિક બાબતો, નીતિવિષયક અને ધાર્મિક મુદ્દાઓની ચર્ચાનું સંચાલન બખૂબીથી કરે છે.
તારીખ બીજી માર્ચને દિવસે, સ્થાનિક હોસ્પિટલોને ધુમ્મસમાં અદ્રશ્ય કરી દેવાનો સમય પાક્યો છે કે નહીં, prenuptial agreementને કારણે લગ્નની મહત્તા ઘટશે કે શું અને બાઇબલની વાર્તાઓ દ્વારા નીતિમત્તા શીખવી શકાય ? − એ ત્રણ મુદ્દાઓ વિષે રસપ્રદ ચર્ચા સાંભળવાનો લ્હાવો લીધો. તેમાંના ત્રીજા મુદ્દા વિષે વધુ વિચારતાં કેટલાક સ્વાનુભવો ટપકાવવાની લાલચ રોકી નથી શકાતી.
મારો મુખ્ય વ્યવસાય લઘુમતી કોમના, શરણાર્થીઓ અને વિદેશથી અભ્યાસાર્થે આવેલ માબાપના સંતાનોને ઇંગ્લિશ, ગણિત અને વિજ્ઞાન ભણાવવાનો હતો. એક શિક્ષિકા નાસ્તિક હતી, તેથી તે પોતાના ક્લાસનાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ધર્મ વિષયક શિક્ષણ આપવા નહોતી ઇચ્છતી, તેથી એ કામ તેણે મને સોંપ્યું (જાણે હું કેમ કોઈ મોટી ધાર્મિક વ્યક્તિ હોઉં!). અભ્યાસક્રમ પર નજર નાખીને મેં મારા પાઠોનું આયોજન કર્યું. તેમાં આ દેશમાં પળાતા મુખ્ય છ ધર્મોની ઉપદેશાત્મક વાર્તાઓ કહેવી જરૂરી હતી. મને તો આ ગમતો વિષય કેમ કે પોતાના સંતાનોને સૂતી વખતે આવી વાર્તાઓ કહેતી અને એ લોકો નિશાળમાં જઈને પોતાના વર્ગના બીજાં બાળકોને કહી આવતા, એટલું જ નહીં, એના પરથી નાનું નાટક રચીને શાળાની પ્રાર્થના સભામાં ભજવી પણ આવતા. આને પરિણામે તેઓને બીજા વર્ગમાં જુદા જુદા ધર્મમાંની આવી વાર્તાઓ કહેવા માટે આમંત્રણ મળવા લાગ્યાં.
હવે મારા શિક્ષણ દરમ્યાન મેં એક નવો પ્રયોગ આદર્યો. કોઈ ધર્મ વિશેષના નામનો ઉલ્લેખ કર્યા સિવાય, એક દિવસ મેં ‘તમે અજાણતા ભૂલ કરો તો એ પાપ કહેવાય’? એ વાર્તા દ્વારા આપણે ચોરી ન કરવી જોઇએ એ વાત સમજાવી. તે પછી વારો આવ્યો એક બાપ પોતાના નાના ઘરમાં છ બાળકો સાથે કેવો પરેશાન થતો હતો તેને તેના ધર્મગુરુએ પોતાની પાસે હોય તેટલા સાધનોથી કેમ સંતોષ માનવો એ વિષે શીખ આપી તે કહ્યું. તો વળી ત્રીજા પાઠમાં પ્રહ્લાદ અને હિરણ્યકશ્યપની વાર્તા માંડી જે તેમને ઈશ્વર સર્વ વ્યાપી છે અને તેનું સ્મરણ કરતાં ખુદ પોતાનો પિતા કે રાજા અટકાવે તો પણ નિર્ભય થઈને તેનું રટણ કરવાનું છોડવું નહીં કેમ કે અંતે તો એવા ભક્તને ઈશ્વર બચાવી લે છે એ વાત શીખવી ગઈ. તેના પછી મેં મૃત્યુ એ જીવનનો અનિવાર્ય ભાગ છે અને તેમાંથી કોઈ બચી નથી શકતું એ ગંભીર વાત કિસા ગૌતમીના કિસ્સાથી કહી સંભળાવી. પાંચમાં પાઠમાં દરિયા કિનારે ભરતી દરમ્યાન તણાઈને આવેલ સેંકડો સ્ટાર-ફીશને એક એક કરીને દરિયામાં નાખતાં નાના બાળકને એની વ્યર્થતા બતાવનારને તે બાળકે ‘આ એક સ્ટાર-ફીશ તો જીવી ગઈ, તેના જીવનમાં તો મેં ફેર કર્યો’ જવાબ આપીને આપણા નાનામાં નાના કર્મથી થોડે ઘણે અંશે પણ જો તફાવત થતો હોય તો તે કરવાની ફરજ છે એ સત્ય સમજાવ્યું. છેલ્લે શ્વેતકેતુ ‘પિતાજી, તમે કહો છો કે ઈશ્વર સર્વવ્યાપી છે, પણ મને તો દેખાતો નથી, હું કેમ કરીને માનું?’ એ પ્રશ્ન લઈને આવ્યો ત્યારે તેના પિતાએ પાણીમાં નમક નાખીને કરેલ પ્રયોગથી જે રીતે એ શાશ્વત્ સત્ય સમજાવ્યું એ મેં પણ વર્ગમાં એ પ્રયોગ કરીને વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો.
આ તમામ છએ છ પાઠો દરમ્યાન એ વર્ગમાંના અલગ અલગ ધર્મ પાળનારા, જુદા જુદા દેશમાંથી આવેલા, અલગ અલગ ભાષા બોલનાર અને વિભિન્ન સામાજિક વર્ગના બાળકોને અંદરોઅંદર વાત કરતાં સાંભળ્યા કે ‘આવી વાર્તા અમને મસ્જિદ, મંદિર, ગુરુદ્વારા, ચર્ચ, સીનેગોગમાં કરે છે.’ મેં જ્યારે તેમને કહ્યું કે તેઓએ અનુક્રમે ક્રીશ્ચીયાનિટી, જ્યુડાઈઝમ, સીખીઝ્મ, બુદ્ધિઝમ, ઇસ્લામ અને હિન્દુઈઝ્મમાંથી વાર્તાઓ સાંભળી તો એ લોકોને મારા પર વિશ્વાસ ન બેઠો. એમનો પ્રશ્ન એ હતો કે બધા ધર્મ પુસ્તકોમાં નીતિમત્તાનો બોધ આપે એવી વાર્તાઓમાં આટલું સામ્ય કેમ હોઈ શકે?
આ Big questionમાં પ્રશ્ન બાઇબલની વાર્તાઓ દ્વારા નીતિમત્તા શીખવી શકાય? એ હોવો જરૂરી હતો કે ખરેખર તો કોઈ પણ ધર્મની વાર્તાઓ દ્વારા નીતિમત્તા શીખવી શકાય કે નહીં તે ચર્ચવું જોઈએ ? મારા મતે દરેક ધર્મની વાર્તાઓ સરખા નીતિમત્તાના ઉપદેશ આપે છે. પણ એથી ય વધુ મુદ્દાનો પ્રશ્ન એ છે કે શું આજના સંસ્થાગત ધર્મ જ માનવ જાતને નીતિમત્તા શીખવે છે? તે પહેલાં માનવ સમાજ અસ્તિત્વ ધરાવતો હતો, તો શું તેઓ નીતિમાન નહોતા? અથવા જેઓ નાસ્તિક છે તેઓ નીતિમાન નથી હોતા? આ મહા પ્રશ્ન કદાચ ભવિષ્યમાં Big questionમાં ચર્ચાય તો નવાઈ નહીં.
મારો અનુભવ તો એમ કહે છે કે જો એક ધર્મની વાર્તાઓ તેના અનુયાયીઓને નીતિમાન બનાવી શકે તો બીજા બધા ધર્મની વાર્તાઓ પણ એ જ કામ કરી શકે એવું વિવિધ ધર્મ-ભાષાભાષી બાળકો પાસેથી હું શીખી છું.
e.mail : 71abuch@gmail.com