અા પ્રાર્થનાગીત 1892ના અરસામાં લખાયું હોવાનું જણાય છે અને તે ‘ગીતબિતાન’ નામે સંગ્રહના ‘પૂજા’ વિભાગમાં સંગ્રહાયેલું છે. તે સમયે, રવિ ઠાકુરનું વય માંડ 31નું હતું. તે દિવસોમાં, એમની પર અંગ્રેજિયતની ભારે અસર વર્તાતી હતી. મોટાભાઈ જ્રયોતીન્દ્રનાથની પ્રેરણાથી, યુરોપીય તાલના ઢાળમાં ભારતીય પરંપરાના રાગો મિશ્રિત એ પ્રયોગ કરતા રહેતા. અંગ્રેજી વૉલ્ટ્સ તાલમાં રચાયું અા ભક્તિપદ, બ્રાહ્મોસમાજે તત્કાળ અપનાવી લીધેલું અને ત્યારથી સમાજની પ્રાર્થનાસભાઅોમાં ગવાતું રહ્યું.
અહીં મૂળ બંગાળી કૃતિ અાપીએ જ છીએ. જયંતભાઈ મેઘાણીએ અાંગળી ચિંધી બતાડી ને અાપણને અા તેનો ગુજરાતી પાઠ હાથવગો થયો છે. એમના સદ્દભાવથી કાવ્યનો ગુજરાતી પાઠ અને તેનો અનુવાદ અહીં સાદર છે :
અાનંદલોકે મંગલાલોકે બિરાજ’ સત્યસુંદર.
મહિમા તવ ઉદ્દભાસિત મહાગગનમાઝે,
વિશ્વજગત મણિભૂષણ વેષ્ટિત ચરણે.
ગ્રહતારક ચન્દ્રતપન વ્યાકુલ દ્રુત વેગે
કરિછે પાન, કરિછે સ્નાન, અક્ષય કિરણે.
ઘરણી-’પર ઝરે નિર્ઝર, મોહન મધુ શોભા
ફુલપલ્લવ-ગીતગન્ધ-સુન્દર-બરણે.
બહે જીવન રજનીદિન ચિરનૂતન ધારા,
કરુણા તવ અવિશ્રામ જનમે મરણે.
સ્નેહ પ્રેમ દયા ભક્તિ કોમલ કરે પ્રાણ;
કત સાન્ત્વન કર વર્ષણ સન્તાપહરણે.
જગતે તવ કી મહોત્સવ, વન્દન કરે વિશ્વ
શ્રીસમ્પદ ભૂમાસ્પદ નિર્ભયશરણે.
1893
હે સત્યસુંદર, અાનંદલોકમાં મંગલ પ્રકાશમાં વિરાજો.
મહાગગનમાં તારો મહિમા પ્રગટ્યો છે, તારા મણિભૂષણથી વીંટળાયેલા ચરણે વિશ્વજગત રહેલું છે.
ગ્રહતારકો અને સૂર્યચંદ્ર વ્યાકુળ દ્રુત વેગથી અક્ષય કિરણનું પાન કરે છે, એમાં સ્નાન કરે છે.
ધરણી ઉપર ઝરણાં ઝરે છે. ફૂલ, પલ્લવ, ગીત, સુગંધ અને સુંદર વર્ણોમાં મોહન મધુર શોભા વિસ્તરી છે.
નિત્યનૂતન ધારામાં જીવન રાતદિવસ વહી રહ્યું છે. જન્મમાં અને મરણમાં તારી કરુણા અવિરામ વહી રહી છે.
સ્નેહ, પ્રેમ, દયા અને ભક્તિ પ્રાણને કોમલ બનાવે છે. સંતાપ હરવાને માટે તું કેટલું સાંત્વન વરસાવે છે. જગતમાં તારો કેવો મહોત્સવ મચ્યો છે. તારા શ્રીસંપદ ભૂમાસ્પદ નિર્ભય શરણમાં વિશ્વ વંદન કરે છે.
(‘ગીત-પંચશતી’, રવીન્દ્રનાથ ઠાકુર; સાહિત્ય અકાદેમી, નવી દિલ્હી, 1978; પૃ. 2)
ઇન્દ્રાનિલ સેનને કંઠે ગવાયું અને ચંચલ ચક્રવર્તીએ સંગીતે મઢ્યું :
http://www.youtube.com/watch?v=r_tvDXh-ZIg
ચંચલ ચક્રવર્તીના સંગીત નિર્દશનમાં પેશ કૉરસ :
http://www.youtube.com/watch?v=BThbsiokqnU
બ્રાહ્મો સમાજની પ્રાર્થના સ્વરૂપે :
https://www.youtube.com/watch?v=ot_LPU5ff6U