લોકાયુક્ત પ્રકરણ : ચલ ઉડ જા રે પંછી કે યહ દેસ હુઆ બેગાના ….
છઠ્ઠી ઓગસ્ટ કહેતાં, આમ તો હિરોશીમાની બોમ્બ ઘટનાનું સ્મરણ થઈ આવવું સ્વાભાવિક છે. પણ ગુજરાતના જાહેર જીવનમાં, ખાસ કરીને નાગરિક સમાજના છેડેથી જોતાં આ તારીખ આપણા પંથકની સરજાતી તવારીખનાં સંદર્ભમાં હજુ થોડા દિવસો પર જ મહેતા બોમ્બનો જે અનુભવ થયો તેને કારણે યાદ રહેશે.
૨૦૦૩થી ખાલી પડેલ લોકાયુક્તપદ ધોરણસર ભરાશે એવા આસાએશનો સંદેશો બે’ક વરસ ઉપર મળ્યો ન મળ્યો ત્યાં તો આ મુદ્દે મોદી સરકારની આડોડાઈનો અનુભવ સરાજાહેર બની રહ્યો. અહીં સરકારી રવૈયાની સિલસિલાબંધ તપસીલમાં નહીં જતાં એટલું જ સંભારવું બસ થશે કે એક તબક્કે ગુજરાત હાઇકોર્ટના નિરીક્ષણ મુજબ મુખ્યમંત્રીએ 'માય વે-ઓર હાઇ વે ’ ('મારી વાત માનો કે પછી રસ્તે પડો’) તરેહનું વલણ અપનાવીને 'મિની કોન્સ્ટિટ્યુશનલ ક્રાઇસિસ’(લઘુ બંધારણીય કટોકટી)ની પરિસ્થિતિ ઊભી કરી હતી.
હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બેઉની કસોટીએ લોકાયુક્તપદે ન્યાયમૂર્તિ આર. એ. મહેતાની નિયુક્તિ ખરી ઊતરી એટલે કે વૈદ્ય ઠરી ત્યારે, પૂરાં બે વરસ પછી, રાજ્યમાં નાગરિક સમાજના દિલને કંઇક કરાર વળ્યો હતો. એટલે જ્યારે મહેતા સાહેબે આ પદ માટેની પોતાની સંમતિ પાછી ખેંચી લીધી ત્યારે એ ચોક્કસ જ પ્રજામતને સારુ પછાડ જેવો અનુભવધક્કો હતો. બલકે, કોઇકે ન્યાયમૂર્તિ મહેતાના આ ઇનકારમાં એક પ્રકારે 'છેહ’ સુધ્ધાં જોયો, અને હકસર પ્રેમાક્રમણપૂર્વક એમને ત્યાં 'ધરણા’ કરવાની હદે આ છેહ લાગણીને શબ્દોમાં મૂકી પણ આપી.
કબૂલ કે ગુજરાતમાં બંધારણીય સંસ્થાઓ અને ન્યાયિક પ્રક્રિયા પરત્વે રાજ્ય સરકારનો રવૈયો બધો વખત સાનુકૂળ નથી વરતાતો. કબૂલ કે, તેમ છતાં, સરકારી પેચપવિત્રાને વટી જઇને મહેતા સાહેબની નિયુક્તિ જેવા કોઇક મુદ્દે ન્યાયિક પ્રક્રિયા વાસ્તે આશા બંધાય તેવે વખતે આવો ઇનકાર આવી પડે ત્યારે તીવ્ર પ્રતિક્રિયાને અવશ્ય અવકાશ છે, એનું એક લોજિક પણ છે.
પણ જ્યારે રાજ્યપાલ અને મુખ્ય ન્યાયમૂર્તિ જોગ મહેતા સાહેબના શાલીન, સવિસ્તર પત્રમાંથી પસાર થવાનું બને છે ત્યારે એક જુદી જ લાગણી જાગે છે. ન્યાયતંત્રની સીમાઓમાં ઉછરેલું એક સહૃદય વ્યક્તિત્વ ન્યાયસંમત એટલા જ પ્રજાપરક વલણેથી પરિચાલિત થઈ કશુંક કરી છૂટવા, પોતાનું ઉત્તમોત્તમ આપવા તત્પર હોય ત્યારે શાસન અને સત્તાપક્ષ આસપાસની સંરચનાઓ (ખાસ તો શાસકીય માનસિકતા માઇન્ડસેટ) એને સારું અવરોધ ખડા કરવામાં એક તરેહનો સેડિસ્ટ (પરપીડક – આ કિસ્સામાં જો કે 'પર’ કહેતાં 'પ્રજા’ પીડક’ આનંદ લે તે એક અભિજાત અને કુલીન વ્યક્તિને કેવી રીતે સોરવાય ? હમણાં સીબીઆઇ પ્રકરણથી આપણે ત્યાં 'પિંજરનો પોપટ’ (કેઇજ્ડ પેરટ) એ ખાસો ગાજેલો પ્રયોગ છે. મહેતા સાહેબ પ્રકારનાં વ્યક્તિત્વ એમ પાળીતા પોપટ થવું પસંદ ન કરે એ અલબત્ત સમજી શકાય એવું છે. પણ આ કિસ્સો તો,ખરું પૂછો તો, પોતાનું ઉત્તમોત્તમ નિષ્પક્ષ અને નિર્ભીક ધોરણે આપવા ઇચ્છનારને માટે એકંદર વાતાવરણ અકારું થઇ પડયાનો છે …. ચલ ઉડ જા રે પંછી કે યહ દેસ હુઆ બેગાના
વસ્તુત:, આજનો અવસર પડકાર રાજ્યકર્તાઓ અને નાગરિક સમાજનાં જાગ્રત તત્ત્વોને માટે આ પ્રકારનાં વ્યક્તિઓને 'દેસ હુઆ બેગાના’ તરેહના અવસાદમાંથી કેમ કરીને મુક્ત કરી શકાય તે વિચારવાનો છે. મોદી મંત્રીમંડળને ખયાલ હોવો જોઇએ કે ન્યાયમૂર્તિ મહેતાએ એકાધિક ચુકાદાઓ જે તે સમયની સરકારને ન ગમે તેવા આપેલા છે, અને એ બધો વખત કંઈ ભા.જ.પ. જ સત્તારૂઢ હતો એવું તો નથી. નિવૃત્ત થયા પછી મહેતા સાહેબે પ્રજાકીય સુનાવણી જેવી જવાબદારીઓમાં જોડાઇને જે કામ કર્યું તે તો ઊલટાની લોકાયુક્ત કને અપેક્ષિત ન્યાયિક સમસંવેદનાની દ્યોતક બીના છે. જે સરકારને આમ રૂડી રીતે ન્યાયદંડ ધારણ કરનારાઓ સોરવાતા ન હોય એ સરકાર વિશે શું કહેવું.
ગુજરાત ચોક્કસ જ આ દિવસોમાં એવા એક દોરમાંથી ગુજરી રહ્યું છે, જેમાં બેગાનાપન અનુભવાતું રહે છે. ન્યાયમૂર્તિ મહેતા એ કોઈ ચળવળિયા તો નથી કે તમે એમને રાવણની સભામાં અડીંગો જમાવીને બેસી જતાં અંગદની ભૂમિકામાં કલ્પી શકો. એમની ભૂમિકા, એમનો ઉછેર, એમની તહજીબ ન્યાયવિવેક કરી જાણનાર જણની છે. એટલે સરકાર ભલે ક્યારેક દફતરે તાળાં દઈ શકે, આ કોઈ તાળાં તોડો અભિયાની નથી.
અહીં સ્તો પ્રજાની એક વિશેષ ભૂમિકા બની આવે છે. ઉત્તમોત્તમ કાનૂની જોગવાઈઓ અને શ્રેષ્ઠતમ બંધારણીય સંસ્થાઓ છેવટે સજીવ-સપ્રાણ તો જાગ્રત અને સક્રિય લોકમતથી જ રહેતી હોય છે. આ સંસ્થાઓનું મૂલ્ય અવશ્ય છે, પણ કોઈ પણ લોકશાહી નકરી સંસ્થોપજીવી રહી શકતી નથી. લોકાયુક્ત સંતોષ હેગડેના પ્રતાપે યદુરપ્પાને ઘેર જવું પડયું. (જેમાંથી ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાનો પાઠ પાકો કર્યો) એ બીના યાદ કરતી વખતે આપણા લક્ષમાં રહેવું જોઇએ કે 'જંતર મંતર વાયા તહરીર’ના પ્રજાસૂય માહોલનો ફાળો એમાં ઓછો નહોતો.
શુક્રવારનાં છાપાં પૂર્વલોકાયુક્ત ન્યાયમૂર્તિ સોનીનો એક એવો આશાવાદ લઈને આવ્યાં છે કે રાજ્ય સરકાર ચાહે તો હજુ મહેતા સાહેબને મનાવી શકે છે … બને કે, દેસ ઇતના બેગાના ન ભી હો
પ્રકાશ ન. શાહ, લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર 'નિરીક્ષક’ના તંત્રી છે.
(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 10 અૉગસ્ટ 2013)