કોઇથી ના બીઉં, વાઘથી ના બીઉં, વાઘના બાપથી બી ન બીઉં – પણ ટાઢા ટબૂકલા(લોકાયુક્ત)થી બીઉં
કેવું રૂડું થાય જો ગુજરાત સરકારને (એટલે કે આ કિસ્સામાં સવિશેષ તો મુખ્યમંત્રી અને સાથીઓને) એવો સાદો પણ વિવેક સૂઝી રહે કે તે ન્યાયમૂર્તિ આર. એ. મહેતાને લોકાયુક્તનો હવાલો સંભાળી લેવા વિધિવત્ નિમંત્રે એમાં થોડી, મન વગરની ઔપચારિકતા હશે, પણ છેવટે એ છાસિયું અને છાંછિયું નથી એટલી પાતળી પણ પતીજ પડે તો લાંબા સમયથી જેની જરૂર છે એ દોષદુરસ્તી ઉર્ફે 'ર્કોસ કરેક્શ’ની કંઇકે ગરજ સરે. આ ભાષામાં શેરબજાર સોડાતું લાગે તો અલબત્ત વાંધો નથી, કેમ કે વાસ્તવથી નિરપેક્ષપણે ઊંચકાતા શેરો જેવી જ શૈલી ગુજરાતના વર્તમાન નેતૃત્વની છે તે જાણનારા જાણે જ છે. બાકી, ગુરુવારે નવી દિલ્હીમાં ભાજપ સંસદીય ર્બોડ મળી રહ્યું હોય, અડવાણી અને નમો જોડાજોડ બેઠા હોય (વળી વન ટુ વન મળવામાં હોય) અને સર્વોચ્ચ અદાલત રાજ્ય સરકારની (એટલે કે મુખ્યમંત્રીની) ક્યુઅરટિવ પિટિશન યાને – શું કહીશું, રોગહર યાચિકા – કાઢી નાખે એ જોગાનુજોગ ભરફુગ્ગે ટાંકણીદાવથી ઓછો તો નથી જ.
હમણાં રોગહર અરજીનો ઉલ્લેખ કીધો, પણ આ આખી દાસ્તાંમાં રોગ ગુજરાત હાઇર્કોટ અને સર્વોચ્ચ અદાલતના કોઇ ચુકાદામાં નથી કે તમારે ક્યુઅરટિવ અરજ ગુજારવી પડે. રોગ તો ભૈ એ વાતમાં છે કે રાજકીય સંકલ્પશક્તિના અભાવમાં (વિવેક છાંડીને કહીએ તો અવળ સંકલ્પશક્તિના પ્રભાવમાં) ૨૦૦૩થી ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક ટલ્લે ચઢતી એટલે કે ચઢાવાતી રહી છે. વચલી લાંબી ગાથામાં નહીં જતાં અહીં એટલું જ કહેવું બસ થશે કે રાજ્યપાલે છેવટે ગુજરાત હાઇર્કોટના વડા ન્યાયમૂર્તિની ભલામણને ધોરણે લોકાયુક્તની નિયુક્તિ જાહેર કરી તે પછી સર્વોચ્ચ અદાલતે ગુરુવારે રોગહર યાચિકા કાઢી નાખી એ આખો, લગભગ એ વરસ જેટલો ગાળો, ગુજરાતમાં કોઇ સ્વતંત્ર પ્રતિભા ધરાવતા લોકાયુક્તને કેવી રીતે ટાળી શકાય એના સત્તાવાર સરકારી વ્યાયામનો રહ્યો છે.
આ પ્રક્રિયામાં પ્રજાના પિસ્તાળીસ કરોડ રૂપિયા કાનૂની પેચપવિત્રાવશ વહી ગયા એનો તો માનો કે દોરીથી બાંધેલા ચશ્માં અને પતરાની પેટી પાછળ મૂકી જનારને નામે બે હજાર કરોડના બાવલાચાળાની સામે કોઇ હિસાબ નથી, પણ ભ્રષ્ટાચાર સામેની એક કુમક દસ દસ વરસથી લકવાયેલી રહી, એનુ શું. અવળમતિલો અવધિ તો જુઓ કે હાઇર્કોટના તત્કાલીન વડા ન્યાયમૂર્તિ મુખોપાધ્યાય ફેરતપાસને ધોરણે ન્યાયમૂર્તિ મહેતાનું નામ પુનરપિ મૂકતા હોય અને રાજ્ય સરકાર લોકાયુક્ત કાયદાને સુધારવા વટહુકમનો ખેલ ધરાર પાડતી હોય બલકે, મુખ્યમંત્રીને સુવાંગ સત્તા બક્ષતો નવો લોકઆયુક્ત ખરડો પણ ગૃહમાં બેધડક દાખલ કરી શકે – બિલકુલ ઇન્દિરાવાળી, કે કાયદો ઉલટાવી બાજી પોતાની તરફેણમાં સુલટાવવી ગુજરાતના લોકાયુક્ત કાયદામાં મુખ્યમંત્રીની ભૂમિકા, જે અર્થમાં અન્ય રાજ્યોમાં આવા કાયદાની હશે તે અર્થમાં નિર્ણાયક નથી. લોકાયુક્તની નિયુક્તિ જેને આધીન હોય તેની સામેની તપાસમાં માનવસહજ કારણે તે ઓછો અને પાછોયે પડી શકે. આ સંભાવના વિચારીને ગુજરાતમાં અમરસિંહ ચૌધરીના કોંગ્રેસકાળમાં હાલનો કાનૂન બન્યો ત્યારે વિપક્ષને નાતે ભાજપને એ બેલાશક ગમ્યો હતો. પણ એની તે વેળાની સંમતિ (બલકે, સહમતિ) હવે પોતે સત્તાપક્ષ છે ત્યારે સમજી શકાય એવાં કારણોસર બાષ્પીભૂત થઇ ગઇ છે.
મુખ્યમંત્રીથી સ્વતંત્ર હોઇ શકતા અર્થાત્ સ્વાયત્તપણે કામ કરતા લોકાયુક્ત સામેના આ વાંધાને વળી વ્યક્તિગત પરિમાણ પણ છે. આ સરકારને ન્યાયમૂર્તિ આર. એ. મહેતા નથી ગમતા, કેમ કે ૨૦૦૬માં સુરત રેલ હોનારત બાબતે પ્રજાકીય સુનાવણીને ધોરણે એમણે જે અભિપ્રાય આપ્યો એમાં આ પૂરને માનવસર્જિત ગણાવી સિંચાઇમંત્રી નરોત્તમ પટેલની સીધી જવાબદારી ઠરાવી હતી. ભંગીકષ્ટમુક્તિથી માંડીને શેરીમાંના ફેરિયાઓની સહુલિયત તેમ જ નાતજાતકોમના ધોરણે હિંસાના બનાવોમાં સરકાર અને પોલિસ માટેની ગોલાણા ગાઇડલાઇન્સ સહિતની કાનૂન કારવાઇઓ એમને નામે જમે બોલે છે. ખરું જોતાં, આવું પ્રજાપરક કર્મશીલપણું તેમ જ એસ્ટાબ્લિશમેન્ટથી નહીં ઓજવાતું વ્યક્તિત્વ તો લોકાયુક્તપદ સારુ વિશેષ લાયકાત ગણાવી જોઇએ પણ એ સ્તો પેલી અવળ રાજકીય સંકલ્પશક્તિની પૂંઠે રહેલો મુદ્દો છે આવતે પખવાડિયે ન્યાયમૂર્તિ આર.એ. મહેતા વિદેશ ખાતેનું કૌટુંબિક રોકાણ પતાવી વતન પરત થશે ત્યારે તેઓ લોકાયુક્તનો પદાધિકાર સ્વીકારવા માગે છે કે નહીં એ સ્પષ્ટ થશે. સરકારે લોકાયુક્ત પ્રશ્ને કેટલેક અંશે તો ન્યાયમૂર્તિ આર. એ. મહેતાને ખુદને નિશાન બનાવીને જે ટાળંટાળી કરી છે એ જોતાં એક કુલીન માણસને શોભીતી રીતે તેમ જ ન્યાયિક વિવેકવશ એમણે હમણાં સુધી તો પદારૂઢ થવા બાબતે સલામત અંતરની ભૂમિકા લીધી છે.
એ જોડાવું પસંદ કરે તો આપણે અલબત્ત રાજી થઇશું. પણ એમનો પથ સરળ નથી હોવાનો : એક તો, ઓછી સત્તાથી કામ લેવાનું છે, અને વળી સત્તાપક્ષની તાસીર બંધારણીય તેમ જ કાનૂની સંસ્થાઓને ધરાર વિપક્ષરૂપ લેખવાની છે … દરમિયાન, એ વાતે રાજીપો કે રાજ્ય સરકારને માપમાં રહેવાનો એક ફરજિયાત મોકો મળ્યો છે, અને વ્યાપક ભારતને 'થાઉં થાઉં’ની પ્રતિભાને સમજવાનો !
(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 20 જુલાઈ 2013)