– ધીખતી ધરાના ઘોર અગન ઝરતા માહોલમાં 'શીતલા સાધુ સંગતિ’ શું કાંક ક્યારે … આજ ભાઈ અત્યારે
વૈશાખી પૂર્ણિમાએ જરી ચંદ્રવિહાર કરવાનો ઓરતો જાગી આવે છે : બુદ્ધજયંતીનો સુયોગ ઝડપી, 'શીતલા સાધુ સંગતિ’ એ ન્યાયે, થોડું પ્રગટ ચિંતન ૨૦૧૩ના ભારતવર્ષમાં, ખાસ તો ૨૦૧૪માં કે તે પહેલાં આવી શકતી સંસદીય ચૂંટણીઓના ઉંબર મહિનાઓમાં કેમ ન કરીએ? દેવદેવીઓની અપરંપાર અપરૂપ સૃષ્ટિમાં જે બે ઇતિહાસસિદ્ધ પ્રતિભાઓ એમના સમગ્ર માનવીય ઐશ્વર્ય સાથે ઊભરી આવે છે, તે કદાચ બુદ્ધ અને મહાવીર છે. માનવીય સિસૃક્ષાના આ જે બે જમાતજુદાં વ્યક્તિત્વ, વિભૂતિમત્ત્વે કરીને જે વ્યાપક અર્થમાં ઈશ્વરરૂપે ઓળખાયાં, એમનો વિશેષ અવતાર પરંપરામાં અગર અન્યથા શો હતો વારુ? ઇતિહાસનું સત્ય અને તથ્ય એક તો એ છે કે બંને ગણરાજ્યનાં સંતાન હતાં – અને એ અર્થમાં કોઈ પણ પ્રકારની ઈજારાશાહી અને અધિકારવાદ એમને સારુ અગરાજ હતાં. સંસ્કૃતને સ્થાને દેશભાષાઓનો ઉપયોગ આ અર્થમાં એમના અભિગમનો દ્યોતક છે એમ જ કહેવું જોઈશે.
પણ ગણરાજ્યનાં સંતાન હોવું તે શી વસ અને જણસ છે એનું એક અનન્ય દૃષ્ટાંત આપણી ધર્મસાહિત્ય પરંપરામાં બુદ્ધને નામે જમે બોલે છે, એ તો ૨૦૧૩ના ભારતને વખતોવખત, બલકે, બધો વખત યાદ આપવાપણું છે. મગધનો મહામંત્રી વસ્સકાર (વર્ષકાર) એકવાર બુદ્ધ પાસે રાજા વતી આર્શીવાદ માગવા ગયો. આર્શીવાદ શેને માટે તો કહે, મગધરાજ વૈશાલી કહેતાં લિચ્છવીઓના ગણરાજ્ય પર આક્રમણ કરવા ચાહે છે, એને વાસ્તે. (કેમ જાણે, રાજાઓ અને મહાત્માઓને અનુક્રમે યુદ્ધ અને આર્શીવાદ સિવાયનો કોઈ વ્યવસાય જ ન હોય) પણ આ તો ભૈ બુદ્ધ હતા. શિષ્ય આનંદ ભણી જોઈ એમણે પૂછ્યું – 'હે આનંદ, વૈશાલીના નગરરાજ્યના સૌ નાગરિકો નિયમિત સભારૂપે મળી પરસ્પર પરામર્શ અને વિમર્શપૂર્વક નિર્ણયો કરે છે?
તેઓ માંહોમાંહે લડવાઝઘડવાને બદલે સભા અને સમિતિરૂપે જે તે તારણ પર પહોંચે છે? ત્યાં મહિલાઓ અને બાળકોની ખરી અને પૂરી કાળજી લેવાય છે? વૃદ્ધોનું સન્માન અને સુવિધા બેઉ સુપેરે સચવાય છે?’ અને પછી, પોતે જ ઉમેર્યું : 'હે આનંદ, જો ત્યાં આ પ્રમાણે બધો વ્યવહાર ધોરણસર ચાલતો હોય, તો એ પ્રજાને કોણ જીતી શકે વારુ?’ આ 'વિશષ્ટિ આર્શીવાદ’ બાબતે વર્ષકાર અને મગધરાજની પ્રતિક્રિયા શું હશે એ ચર્ચામાં નહીં જતાં આપણે સારુ અહીં એટલું જ નોંધવું બસ થશે કે પ્રજાકીય વિચારવિનિમયના સંસદીય પથમાં તેમ જ જાહેર જીવનમાં સંવાદ સંબંધે એક તરેહનો સુકારો અનુભવાય છે. અને જે બધાં રાજકીય-શાસકીય-અર્થકીય સામસામાં સત્તા પ્રતિષ્ઠાનો આ બધું બાન પકડીને બેસી ગયાં છે એમને માટે 'વૈશાખી દાવાનળ’નો ઉરબોલ રૂંધ્યો રૂંધાતો નથી, સિવાય કે શીતલા સાધુ સંગતિ શાં બુદ્ધવચનો કાને અને કાળજે ધરવાપણું સમજાય.
કહે છે કે બુદ્ધ અને મહાવીરના સતત વિહારે કરીને મગધની ભૂમિ બિહાર તરીકે ઓળખાવા માંડી. આ બિહાર અને એનું નેતૃત્વ તેમ જ આજનું કથિત ગુજરાત મોડેલ અને એનું નેતૃત્વ આજે જાહેર ચર્ચામાં ક્વચિત્ સામસામે મુકાય છે. સ્વાધીન ભારતની તવારીખમાં બિહાર, જયપ્રકાશના આંદોલનના દિવસોમાં દેશ આખાનું એક 'નર્વ સેન્ટર’ બની રહ્યું હતું. ડાયાલિસીસ લેતા જયપ્રકાશ, કવિ ભગવતીકુમાર શર્માએ એ દિવસોમાં કહ્યું હતું, દેશની દૂષિત લોકશાહીનું જ જાણે કે ડાયાલિસીસ કરી રહ્યા છે આ બિહારમાં કર્પૂરી ઠાકુરની પરંપરામાં સમાજના સૌ ગરીબ, અતિગરીબ, પછાત, અતિપછાત તબકાની બાલાશ જાણતી સર્વસમાવેશી રાજનીતિનો અધ્યાય શરૂ થયો અને આજે પણ ભલે વૈશ્વિકીકરણની અર્થનીતિ વચ્ચે પણ એનો આવડયો એવો અંશ નીતિશ હસ્તક અમલી છે. (મોદી પણ પ્રસંગોપાત પોતાની ઓબીસી ઓળખ આગળ કરવાની કાળજી લે છે.)
ખેર, આ ચર્ચાને અને બુદ્ધને કોઈ સંબંધ હોય તો તે એ છે કે એમણે અને મહાવીરે એક અર્થમાં પ્રતિલોમ પદાર્પણ કરી, ચાતુર્વણ્ય અધિષ્ઠિત સમાજમાં જનસામાન્યને સારુ પ્રવેશમોકળાશનો ધર્મવ્યૂહ અમલી બનાવ્યો. તમે જુઓ કે ઓબીસી-સમાવેશી શિવાજીને ફૂલે જેમ 'અમારા શુદ્રોના રાજા’ એમ હોંશે હોંશે ઓળખાવે છે, તેમ સ્વતંત્ર ભારતમાં એક નાજુકનિર્ણાયક પળે સમતા સિપાહી આંબેડકરને જડી રહેલું વાનું બુદ્ધ અને તેમના ધર્મનું હતું. સમતાની શોધમાં એમણે શતસહસ દલિત દેશબાંધવો સાથે ભગવાન તથાગતનો ન્યાયપથ લીધો હતો, એ હમણાં જેનો નિર્દેશ કર્યો એ બુદ્ધદીધી પ્રવેશમોકળાશને સ્તો આભારી છે. સમતા સિપાહી આંબેડકરને જે ન્યાયી સમાજ જોઈતો હતો તે કારણે સ્તો સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં એમણે હિંદુ કાયદામાં સુધારાના મુદ્દાને પોતાના રાજીનામાની હદે અગ્રતા આપી હતી.
ખરું જોતાં વીસમી સદીમાં ગાંધીકૃપાએ સત્યાગ્રહના ઉન્મેષ સાથે અને આંબેડકર આદિની અનવરત આંદોલનકારિતાને પ્રતાપે હૃદયસરસો સમજાઈ રહેતો મુદ્દો કોઈ હોય, તો તે એ છે કે બુદ્ધ અને મહાવીરની અવરૂદ્ધ ક્રાંતિ ગાંધીલોહિયાજયપ્રકાશના રાહે એટલી જ ફૂલે-આંબેડકર પરંપરામાં રાજકીય, સામાજિક, આર્થિક સમગ્ર પ્રાગટય માગે છે. વસ્તુત : અને તત્ત્વત: આ કોઈ સુવાંગ નવી વાત નથી. સ્વરાજની લડતના વારાથી શરૂ થયેલી લોકશાહી પ્રક્રિયામાં બુદ્ધ આદિ સાથે એક અનુસંધાન અવશ્ય હતું. કાશ, સંસદીય ચૂંટણીઓના આ ઉંબરમહિનાઓ દરમિયાન ભળતાસળતા હાકોટાછીંકોટાને બદલે બુદ્ધની સાખે આ સૌ સવાલો ઊઠે!
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, May 25, 2013