ઘરનાં ઘર; પ્રાથમિક સગવડો પૂરી પાડવાની સરકારની સરિયામ નિષ્ફળતાને ઢાંકવા તો આ યોજના નથી લવાઈ રહી?
ભારતની વિકાસયાત્રાની જેમ વિકાસનો અભિગમ બદલાતો ગયો છે અને એમાં પ્રારંભમાં ભારત કેન્દ્રીય આર્થિક આયોજનને રસ્તે આગળ વધ્યું ત્યારે જાહેરક્ષેત્રની બોલબાલા હતી, ત્યારે બરાબર યાદ છે કે રાષ્ટ્રીય ગીતમાં 'હિન્દી હમ ચાળીસ કરોડ’ ગવાતું એટલે કે ભારતની જનસંખ્યા ૪૦ કરોડ હતી અને જનતાની સામાન્ય માગણીનું સૂત્ર 'રોટી, કપડાં ઔર મકાનનું હતું.’ ૧૯૯૧માં અભિગમ બદલાયો અને આજે હવે રોટી, કપડાં, મકાનની જગાએ 'પાણી, વીજળી, સડક’ આવી ગયાં. રોટીમાં હરિયાળી ક્રાંતિ પછી અને વસ્ત્રઉદ્યોગ વિકસ્યા પછી કપડાંની માગનું સ્વરૂપ સાવ બદલાઈ ગયું. મકાનના સવાલમાં ઉકેલને બદલે શહેરોની વધતી વસતીને કારણે મુશ્કેલી વધી ગઈ છે. શહેરોમાં આવાસ એક મુશ્કેલ અને મોંઘી જરૂરિયાત બની ગઈ છે. ગામડામાં કાચા મકાનનું પ્રભુત્વ કાયમ રહેવાથી એને પાકા કરવાની સમસ્યા લગભગ વણઉકેલી રહી ગઈ છે. હવે મકાન કે વસવાટ જેવા સાદા શબ્દને બદલે 'પોસાય તેવાં આવાસો’-'એફોર્ડેબલ હાઉસ’ શબ્દ આવ્યો છે. જેથી રાજકર્તાઓ, એનો મનફાવે તેવા ઉકેલ લાવી શકે.
તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓમાં જનતાને લોભાવવા દક્ષિણમાં મફત ટેલિવિઝન સેટથી આગળ વધતાં ઉત્તરપ્રદેશમાં વાત મફત લેપટોપ સુધી પહોંચી. માત્ર ગુજરાત ચૂંટણીમાં રોટી, કપડાં, મકાનમાંથી છૂટી ગયેલું. મકાન 'ઘરનું ઘર’ સ્વરૂપે સૂત્ર કોંગ્રેસ પાછું લાવી હતી. આવા 'ઘરના ઘર’નાં ફોર્મ ગુજરાતમાં લાખો લોકોએ ભરેલાં. આ જોઈ સત્તા પરના ભાજપને પણ સામે 'પંચોતેર લાખ’ મકાન બાંધવાની લાલચ આપવાની ફરજ પડી.
શું છે આ 'એફોર્ડેબલ હાઉસ’? રવિવારનું અખબાર મકાનો અને ફલેટોની આકર્ષક જાહેરાતોથી ભરેલું હોય છે. આ જાહેરાતોમાં કેવી ઓફરો હતી? બે,ત્રણ અને ચાર ઓરડાવાળા સેંકડો ફલેટના અનેક પ્રોજેકટની ઓફર હતી. કેટલાકમાં બગીચા, કલબહાઉસ, સ્વિમિંગ પુલ વિ.નાં આકર્ષણો પણ હતાં. ક્યાંક વળી ૨પ૦૦ ચો.ફૂટ.ના 'વિલા’ની પણ ઓફર હતી. પણ એક ફલેટની કિંમત કેટલી? એક જાહેરાતમાં હતો એનો જવાબ 'માત્ર રૂ. ૧૬ લાખથી શરૂ’ બીજામાં લખ્યું હતું. બે રૂમ ૧૧પ૦ ચો.ફૂટના રૂ. ૧પ-પ૧ લાખ; ત્રણ બેડરૂમ ૧૪૧૦ ચો.ફૂટના રૂ. ૨૦ લાખ; ચાર બેડરૂમ ૨૩૪૦ ચો.ફૂટના રૂ. ૩૧ લાખ.
આ ઓફરોમાં ઘણાએ આ મકાનો 'સૌને પોસાય તેવાં’ ગણાવ્યાં હતાં. સાથોસાથ બેંકોની મકાન માટેની ૯.૯૦ ટકા વ્યાજના લોનની પણ રોજરોજે જાહેરાત આવે છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા કે ઉત્તર મુંબઈમાં મુંબ્રામાં વિકસાવાઈ રહેલી ટાઉનશિપમાં સાત માળની ઈમારત થોડીક મિનિટોમાં ઢળી પડી અને ૭૦ વધુ સ્ત્રી-પુરુષો અને બાળકો એમાં દટાઈ મર્યાં. એમાંથી એનું નકલી બાંધકામ ગેરકાયદે કાર્યવાહીથી બંધાયું હતું એ બહાર પડયું. સૌને પોસાય તેવાં મકાનો શું આવા તો નહીં બનેને? એવો ભય ઘણાને સતાવે છે અને હવે ગંદા વસવાટોની પુન: રચનામાં પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપની પદ્ધતિ સરકારો હરખભેર સ્વીકારી રહી છે ત્યારે એવું બનવા માંડયું છે. સ્લમવિસ્તારોમાંથી ગરીબ નાગરિકો ખસીને ક્યાંક કામચલાઉ વ્યવસ્થામાં વસે તો ખુલ્લી થયેલી જમીનમાંથી મોટો નફો મળે એવા ભાગનું બાંધકામ પહેલાં થાય છે અને બાકી બચેલામાં સ્લમના નાગરિકોનો વારો આવે ત્યાં સુધીમાં મલાઈ હજમ થઈ ગઈ હોય છે. નાગરિક, નોકરી કે રોજગારી માટે મુંબઈ જેવાં શહેરોમાં પહેલાં આવે ત્યારે જ્યાં જેવું મળે તેમાં વસે. જ્યાં વીજળી, પાણી કે ટોઈલેટની સગવડો ન હોય. આવી રીતે વસેલાની દિન-પ્રતિદિન વધતી સંખ્યાને પ્રાથમિક સગવડો પૂરી પાડવાની સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓની સરિયામ નિષ્ફળતાને ઢાંકવા 'એફોર્ડેબલ વસવાટ યોજના’ લવાઈ રહી નથી ને? કારણ, કેન્દ્રસરકારના સંબંધિત મંત્રાલયના સર્વેક્ષણ પ્રમાણે ૨૦૧૨માં આર્થિક રીતે નબળા કુટુંબો માટે એક કરોડ મકાનની; ઓછી આવકવાળાં કુટુંબો માટે ૭૪ લાખની અને મધ્યમ અને એથી ઉપરના દરજ્જાના કુટુંબો માટે ૮ લાખ મકાનની જરૂર અંદાજાઈ હતી.
હવે મીડિયાની જાહેરાત મુજબ બે રૂમ રસોડાના મકાનની કિંમત રૂ. ૧૨ લાખથી શરૂ થાય છે. બાર લાખ રૂપિયા બેંકમાંથી સીધા ચૂકવી શકે એવાં કુટુંબો તો બહુ જૂજ હશે. આવાં કુટુંબોને લોન પર જ આધાર રાખવો પડશે. હવે કોઈ વ્યક્તિ બાર લાખ રૂ.ની ૩૦ વરસના લાંબાગાળાની લોન લ્યે તો પણ એને રૂ. ૧૦પ૦૦નો માસિક હપતો ૩૦ વરસ સુધી ભરવો પડે પોતાની આવકના પ૦ ટકા ઘરના હપ્તામાં આપી બાકી વધેલી આવકમાં ઘર ચલાવવાનું કેટલા અને કોના માટે શક્ય બને આવી શક્તિ હોય તો 'સહુને પોસાય તેવાં મકાન’નો એ માલિક બની શકે. એટલે જ એકલા મુંબઈ શહેરમાં બંધાયેલાં મકાનોમાં રૂ. ૧.૨૦ કરોડની કિંમતના ૮૦ હજાર ફલેટ આજે ખાલી પડયાં છે અને પ૦ હજારથી લાખ મકાનો ખાલી પણ તાળાં મારેલાં છે. એટલે કે વેચાણ માટે નથી. એમ જ ગુજરાતના શહેરી વિકાસ મંત્રાલયે ગુજરાત હાઈર્કોટમાં એફિડેવિટમાં જણાવ્યું છે કે ગુજરાતમાં પંદર લાખ ગેરકાયદે બંધાયેલ ઈમારતો છે. પણ કોઈની પાસે એની પૂરી માહિતી નથી. શું 'એફોર્ડેબલ હાઉસ’ એટલે 'ઘરના ઘર’ની જેને તીવ્ર અને તત્કાળ જરૂર છે એને માટે નથી પણ કોઈ જુદા હેતુ માટે બંધાઈ રહ્યાં છે? સહુના સમાવેશવાળા વિકાસની વાતો કરનારાઓ ફોડ પાડે કે આ માટે એ બધા શું માને છે?
સવાલ ઉકેલવો હશે તો શહેરોમાં પોસાય તેવાં મકાનોની યોજના સરકારી રાહે જ ઘડવી પડશે – એને માટે સરકારો પાસે 'લેન્ડ બેંકો’માં જમીન હોય તો સસ્તા દરે ફાજલ કરવી પડશે. બધા વર્ગો માટે પોસાય તેવાં મકાનો માટે સંયુક્ત પ્રોજેક્ટો ઊભા કરવા પડશે. વસવાટોમાંથી ભારત એક છે તેવી ભાવના બહાર લાવવી પડશે. ટૂંકમાં સાર એવો છે કે 'સહુને પોસાય તેવાં મકાનો’ મોટા પાયે મુંબઈ, અમદાવાદ, વડોદરામાં બંધાઈ રહ્યાં છે. પણ હકીકતમાં મોટાભાગના મકાન તાતી જરૂરવાળાં કુટુંબોની પહોંચ બહાર છે.
લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.
સૌજન્ય : "દિવ્ય ભાસ્કર", 25 અૅપ્રિલ 2013