રેનેસાંપુરુષ રાજા રામમોહન રાયની છત્રીએ થોડુંકેક વિશ્વચિંતન
મંગળવારે (સાતમી જુલાઈએ) ઇંગ્લેન્ડમાં બ્રિસ્ટલ ખાતે હતો. આપણા રેનેસાંપુરુષ રાજા રામમોહન રાયની છત્રીએ, એમને કારણે કંઈક ધોરણસરના હોઈ શકતા સૌ પૈકી એકને નાતે વંદન કરવાનો ને બેટરી જરી ચાર્જ કરી લેવાનો ખયાલ હતો. કાર્યક્રમ નક્કી તો કર્યોહતો તારીખવાર જોઈને, પણ જોગાનુજોગ જુઓ, આ દિવસોમાં કોઈકે યાદ આપી ત્યારે ખયાલ આવ્યો કે આજે તો ગુરુપૂર્ણિમા છે… આવે સપરમે દિવસે રાજા રામમોહન રાયનાં દર્શન? મારું ભારતીય ચિત્ત પુલકિત થઈ ઊઠયું!
હમણાં મેં ભારતીય ચિત્તની વાત કરી અને રામમોહન રાયને આપણા રેનેસાંપુરુષ કહ્યાં. ઇતિહાસવસ્તુ તરીકે તે ઠીક જ છે. પણ અઢારમી અને ઓગણીસમી સદીમાં, પરાધીનતા તેમજ જીર્ણમતના સામંતી માહોલમાં, આ દેશ પર જે થોડાંક વિરાટ વ્યકિતત્વો ત્રૂઠયાં, એમનો વિશેષ એમના વૈશ્વિક અને નિતાન્ત માનવીય અભિગમમાં હતો. બે’ક સૈકા પર કયારેક આ જ જુલાઈ મહિનો હશે જયારે રામમોહન રાયે ફ્રેન્ચ ક્રાંતિના માનમાં પ્રીતિભોજન યોજયું હતું. ઉપનિષદપરંપરામાં રમેલા રામમોહન નવી દુનિયાનો જીવ હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વારામાં જયારે પાઠશાળા કે કોલેજ, એવો સવાલ સરકાર તરફથી આવ્યો ત્યારે નવી કેળવણી (કોલેજ-શિક્ષણ) માટે એમણે સાફ હિમાયત કરી હતી. દેશનું એ સદભાગ્ય જ હતું કે એને જો કયારેક ફ્રેન્ચ ક્રાંતિનો હરખ કરતા રામમોહન મળી રહ્યાં હતા તો અમેરિકી સ્વાતંત્ર્યદિવસને અનુલક્ષીને કવિતા કરતા વિવેકાનંદ પણ મળી રહ્યાં હતા. પૂર્વની સંસ્કતિમાં, અઘ્યાત્મપરંપરામાં સ્તો, આ સૌ આવ્યા હતા પણ એમની નજર સામે નવી દુનિયા હતી. સાતત્યની સાથે શોધનપૂર્વક નવસંધાન કરનારા એ સૌ હતા. લંગર છોડયા વગર હલેસાં મારનારા બદ્ધમતિ માણસો એ નહોતા.
પારકે પરદેશ પણ નિ:શેષ આત્મીય એવા, બ્રિસ્ટલ સ્થિત આ છત્રી પરિસરમાં જે બધા હૃદયભાવો ઊમટી રહ્યાં હતા એનો અલબત્ત એક સામ્પ્રત સંદર્ભ હતો, છે અને રહેશે. આપણે વૈશ્વિકીકરણના દોરમાં છીએ. નોબેલ પુરસ્કૃત સ્ટિગ્લિટ્ઝ કહે છે તેમ આ જે એક દુર્નિવાર પ્રક્રિયા છે એને કેવી રીતે ધોરણસર કામ કરતી કરવી- હાઉ ટુ મેઇક ઇટ વર્ક- એ અબજોનો સવાલ છે, કેમ કે (ગાલ્બ્રેથના શબ્દોમાં) વૈશ્વિકીકરણ એ કદાચ આપણે (અમેરિકાએ) પોતાની સમસ્યાઓ ત્રીજી દુનિયાને પરબારી પધરાવવા માટે રચેલો રૂપાળો બેત માત્ર પણ હોઈ તો શકે છે.
કબૂલ કે આ બે જુદી જુદી વાત છે. વૈચારિક અભિગમમાં રહેલી વૈશ્વિકતા અને વૈશ્વિકીકરણની આર્થિક પ્રક્રિયા બે કંઈ એક જ વાત નથી. બંને વાનાંને વર્તમાન વાસ્તવમાં તળેઉપર તપાસવાની નવયોજવાની તક-તાકીદ-તકાજો આજે છે એટલાં કદાચ કયારેય નહોતાં. ત્રીજી દુનિયા વૈશ્વિકીકરણનાં ભયસ્થાનો બાબતે સચેત રહે એ બેલાશક જરૂરી છે. પણ આ સચિંતતા, જો સાંકડા અને ઝનૂની રાષ્ટ્રરાજયવાદ રૂપે વ્યકત થવા કરે તો? તાજેતરમાં યુરોપીય યુનિયન માટેની ચૂંટણીમાં અહીં ઇંગ્લેન્ડમાં બીએનપી-બ્રિટિશ નેશનલિસ્ટ પાર્ટીએ ઢેકો કાઢયો તે કથિત પહેલી દુનિયામાંય બદ્ધમત ને જીર્ણમત રાષ્ટ્રવાદરૂપે કેવાં શીંગડાં ભરાવી શકે એનો એક નાદર નમૂનો નથી તો બીજું કશું નથી.
આજના જેવાં સંચારસાધનો કે સંદેશવાહનો નહોતાં એ જમાનામાં જો રામમોહન રાય અને વિવેકાનંદ સરખાની જાગતિક ભૂમિકા વિસ્મય જગવે છે તો હાલની ટેકનોટ્રા"નિક દુનિયામાં (બને કે કયારેક માહિતીની ગતિ પ્રકાશની ગતિ કરતાં પણ વધુ હશે, ત્યારે) બદ્ધમત અને જીર્ણમતનું હોવું કેવળ વિષાદ જગવે છે. એક નવી દુનિયાનું આવવું દુર્નિવર છે એનો નાટયાત્મક પરચો તો ચારેક દાયકા પર, ઘોર યહૂદીદ્વેષી હિટલરની પુત્રીએ એક યહૂદીનું વરણ કર્યું ત્યારે જ મળી રહ્યો હતો. હમણાં હમણાં, ખાસ તો દક્ષિણ અને પૂર્વ આફ્રિકાના પ્રવાસ દરમિયાન, સતત અનુભવાતું વિસ્મય ને કૌતુક જોકે એ વાતે હતાં કે ફરજિયાત વાડાબંધી (સેગ્રેગેશન) ખતમ થયેલ છે, પણ આપણું લોક કેમ જાણે મુકિતનો મુંઝારો અનુભવી રહેલ છે. વાડા હતા ત્યારે બંધ દુનિયામાં એક ‘સલામતી’ હતી જેમાં ભેદભાવ કોઠે પડી ગયેલ હતો. ખુલ્લી દુનિયામાં કમબખ્ત સલામતી કયાંથી લાવવી? લંગર છૂટયું એટલે મુકિતનો મારગ મજધારમાં, મઘ્ય પ્રવાહમાં, મુખ્ય પ્રવાહમાં.
જે ડાયસ્પોરા છે, વતન જેને સારુ સ્મૃતિ છે, પણ જેની સાથે એનો સંબંધ મુલાકાતીથી વધુ નથી અને એક નવું વતન એને મુબારક લાગવા માંડયું છે તે તેમજ કથિત મૂળ વતન બંને વચ્ચેનો સંબંધ વળી એક જુદી જ પરિસ્થિતિ રચે છે. વચ્ચે ત્રણેક અઠવાડિયાં પૂર્વ આફિકામાં રહેવામળવાનું થયું ત્યારે જોયું કે ૨૦૦૮ના જાન્યુઆરીમાં થયેલી ચૂંટણીહિંસા પછી કેન્યા હજુ થાળે પડયું નથી. જયારે એ હિંસા ચાલતી હતી અને જેમ બાકી આફ્રિકન-એશિયન તેમ ગુજરાતીઓ પણ એથી સલામતીની શોધમાં હતા ત્યારે તળ ગુજરાતમાં ચિત્ર શું હતું? સત્તાવારપણે એક એવી છાપ આપવામાં આવી હતી કે કેન્યાના ગુજરાતીઓ નિશાન પર (ટાર્ગેટેડ) છે, અને ભારત સરકાર એમની દાઝ જાણતી નથી. કેન્યા હિંદુ કાઉન્સિલના એક પૂર્વપ્રમુખ ત્યારે આકસ્મિક જ અમદાવાદમાં હતા. એમણે કેન્યાના પોતાનાં સૂત્રો દ્વારા તપાસ કરી. રાજય સરકારને સમજાવવા ઇચ્છયું કે ગુજરાતીઓને જેમાં લક્ષ્ય બનાવાયાં હોય એવી આ કોઈ વંશીય હિંસાનો કિસ્સો નથી. ગાંધીનગરના વડા દફતરમાં એમણે વાત પણ કરી, પરંતુ સત્તાવાર જાહેર પ્રતિક્રિયામાં તો એ જ અસલનો રાગ આલાપાતો રહ્યો. પૂર્વપ્રમુખ અમને આ બધી દાસ્તાં કહી રહ્યાં હતા ત્યારે તળ ભૂમિનું પોતાનાં ડાયસ્પોરી સંતાનો તરફનું વલણ કેવું પઝેસિવ ન હોવું જોઈએ તે સુપેરે સમજાઈ રહ્યું હતું. કેન્યાનો ગુજરાતી જરૂર અભય ઇચ્છે છે, પણ કોઈ તળ ગુજરાતી તરીકે નહીં- કેન્યાના નાગરિક તરીકે, એક આફ્રિકન એશિયન તરીકે તે એનો હક્ક બને છે.
ઓળખનું રાજકારણ, એક નવી વૈશ્વિક સમજ માગે છે, નહીં? કેન્યાનું જ ઓઠું આગળ ચલાવું તો જે બધો ટોળીઓનો સમાજ છે તે ‘ટ્રાઇબલ’ભૂમિકાને નાગરિક ભૂમિકાએ સંક્રાંન્ત કરી શકતો નથી તેની મુશ્કેલી છે. તમે કિકુયુ છો તો છો, મસાઈ કે બીજા છો તો છો, પણ છેવટે તો તમારા સૌનાં લટિયાંજટિયાં નાગરિક સમાજને નાતે ગુંથાયેલાં છે, અને એ જ નિયતિ ગુજરાતીઓ સહિતના આફ્રિકન એશિયન સમુદાય સમસ્તની છે. નાતજાતગત, ટોળીગત, વંશગત, વર્ણગત ઓળખો પર સ્ટીમ રોલર ફેરવવાની વાત આ અલબત્ત નથી. પણ એક સાથે હોઈ શકતી ભાતીગળ ઓળખો સાથે અને છતાં નાગરિક ઓળખની અનિવાર્યતા પર ઘટતો ભાર મૂકવાની વાત આ ખચિત છે.
માટે સ્તો રેનેસાંપુરુષ રામમોહન રાયનું એ વાતે વિસ્મયવ્યાકુળ સ્મરણ કે એમને ફ્રેન્ચ ક્રાંતિનો મહિમા સમજાઈ રહ્યો હતો, જેમ વિવેકાનંદને અમેરિકી સ્વાતંત્ર્યનો.