આનું નામ ખુશકિસમતી. ખુશાલી એ બડી-વર્ડઝવર્થને અનુસરીને ઉમાશંકર કહેશે-યારો, કે આ જમાને જીવવું, નીકળતાં ખયાલ નહોતો, પણ જૂનના પહેલા અઠવાડિયામાં ઇંગ્લેન્ડ પહોંચ્યો ત્યારે યુરોપીય યુનિયનની ચૂંટણીનો માહોલ હતો: પ્રચારજુદ્ધ પૂરું થવામાં હતું અને મતદાન તેમજ પરિણામના તબક્કાની લગોલગના એ દિવસો હતા. યુરોપીય યુનિયન- યુરોપની પાર્લમેન્ટ-એ મનુષ્યજાતિએ સાંકડી રાષ્ટ્રીયતાઓ વળોટી એકસંઘ થવાનું જે સપનું જોયું છે એનો સ્તો એક પડાવ છે. યુરોપના મુલકોની સંસ્થાનમૃગયા અને શાહીવાદ સામે રાષ્ટ્રીય જાગૃતિની આફ્રિકી-એશિયાઈ ચળવળો, વીસમી સદી સંકેલાવા સાથે એક નવી સદી અને સહસ્રાબ્દીને લાયક ધોરણે વધુ ને વધુ પ્રમાણમાં વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિચારે એ આ તબક્કાનો તકાજો છે અને એવી એક ‘સ્થાપક’ (સ્થાનિક એટલી જ વ્યાપક) કોશિશ તે યુરોપીય યુનિયન. એની ચૂંટણીના દિવસોમાં વિલાયતમાં હોવું એને ખુશકિસમતી નહીં તો શું કહેશું, વારુ.
પરિણામોના વિશ્લેષણમાં ઊતરવાનો અહીં કોઈ ખયાલ નથી પણ બ્રિટન અને ફ્રાન્સનાં પરિણામોમાં જે એકબે સંકેત, આશાકિરણ શા તેમ લાલબત્તી શા, વંચાયા એની જિકર જરૂર કરીશું. બ્રિટનમાંથી ઓણ બ્રિટિશ નેશનલિસ્ટ પાર્ટીએ પહેલી વાર યુરોપીય યુનિયનની પાર્લમેન્ટમાં પ્રવેશ કર્યોએ જાણીને એવી લાગણી થઈ જાણે જમણે અંગૂઠેથી શરીરમાં કળિનો પ્રવેશ થયો! બીએનપી એક અતિરાષ્ટ્રવાદી ભૂમિકા લઈને ચાલે છે અને બ્રિટિશ કલ્ચરના લગભગ સામંતી પ્રભુત્વ સાથે ‘બહારના લોકો’ના વિરોધમાં છે. હીધન, નોનબિલિવર, મિથ્યાદ્રષ્ટિ, મ્લેચ્છ, ધ અધર, એવી જે સાંકડી દ્રષ્ટિથી ઊંચે ઊઠવાનો યુગતકાજો છે એની સામે જતી જૂની સાંસ્થાનિક મનોદશાનો એક પડઘો એમાં પડે છે. તે સાથે અલબત્ત આજકાલ આપણે વૈશ્વિકીકરણના જે તરેહના દોરમાં છીએ એની સામેની તીવ્ર પ્રતિક્રિયા પણ એમાં હોઈ શકે છે. માત્ર, આ પ્રતિક્રિયા વૈશ્વિકીકરણની હાલની પ્રક્રિયામાં સંસ્કારક (કરેકિટવ) અભિગમ નહીં લેતાં ઝનૂની જીર્ણમતમાં શરણું શોધે છે. આપણે ત્યાં બબ્બે ચૂંટણીપછાડ પછી અને છતાં ભાજપ આંતરકલહનો માર્યોજો ઉગાર સારુ આ રસ્તો લે તો? વાસ્તવ સાથે સંસ્કારક ધોરણે કામ લેતે લેતે આગળ વધવાના સપના સાથે એ છેહ હશે, અને પક્ષ દેખીતો આગળ વધતે છતે ભારતને વાસ્તે એ પીછેહઠ હશે.
જોકે, વેળાસરની ચેતવણી એ આ ચૂંટણીઓની એક પડકારભરી ખુશકિસમતી છે તો જે શુભનાં બળો, સામસામા સ્થાપિત પક્ષોથી ઉફરાં પ્રગટ થતાં માલૂમ પડયાં એ પણ ખુશકિસમતીનો મામલો છે. બ્રિટનમાં, એક વેળાની સાંસ્થાનિક સામ્રાજયધાનીમાં, લંડનની વિશ્વનગરી ગુંજાશને છાજે તેમ આ ચૂંટણીમાં ગ્રીન પાર્ટીએ પોતાની હાજરી પુરાવી છે. ગ્રીન પાર્ટી, સૌ જાણે છે તેમ, છેલ્લા દાયકાઓમાં જે બધી વૈકિલ્પક વિચારણાઓ વિકસી એનું સંમિલિત ને સમવાયી રાજકીય ઓજાર છે: ન તો જીર્ણમતમાં પાછા ફરવું છે, ન તો ઢાંચાઢાળ ટેકનોટ્રોનિક વૈશ્વિકીકરણના જંતરડામાં જોડાવું છે.
ઔદ્યોગિકીકરણ અને ટેકનોટ્રોનિક તાણ સામે ઊઠેલો આ અવાજ ૧૯૬૮ના યુવા ઉદ્રેકની યાદ તાજી કરે છે, નહીં? ત્યારે અમેરિકાની વિયેટનામ-સંડોવણીના વિરોધનું નિમિત્ત હતું તેમ રુટિન યંત્રઔદ્યોગિક સંસ્કૃતિના ઓથાર તળે અને બજારવાદના ચાપડા વરચે ભીંસાતી શિક્ષણશાહી સામેનો એ વિરોધસૂર હતો, અને ફ્રાન્સમાં એના નેતા ને પ્રવકતા લેખે ઉભરેલો છાત્રયુવા પ્રતિનિધિ કોહન બેન્ડિટ હતો. સાર્ત્ર જેવા સાર્ત્રેએનો ઇન્ટરવ્યૂ લેવાપણું જોયું હતું. જેમ અમેરિકી માર્કેટવાદ તેમ સોવિયેત સામ્યવાદ, બેઉની સામે બેન્ડિટે ત્યારે અસંમતિનો અવાજ બુલંદ કર્યોહતો. યુરોપીય વહેણોનો સતત પરિચય નહીં એટલે થતું’તું કે ‘ઓબ્સોલીટ કોમ્યુનિઝમ’નો લેખક, આપણો આ તીખો તરુણ, કયાં ગયો. યુરોપીય યુનિયનનાં પરિણામોમાં જોઉં છું તો સ્થાપિત પક્ષો વરચે પોતાની જગ્યા બનાવતું એક જહાલ વૈકિલ્પક જૂથ, કોહન બેન્ડિટના નેતૃત્વમાં ઊભર્યું છે.
યુરોપીય યુનિયન ઘટનાનો મરમ ને માયનો મમળાવતાં, જૂનના બીજા અઠવાડિયામાં જોહાનિસબર્ગ અને ડરબન જવાનું થયું, ને શો જોગાનુજોગ! જવાનું થયું તો હતું યાત્રાભાવથી, પણ ત્યારે ખયાલ નહોતો કે દક્ષિણ આફ્રિકા તરફ જે સહજ ગાંધીખેંચાણ છે એનાં તિથિતારીખ ને ટીપણું પણ બરાબર આ જ દિવસોના મેળમાં હશે: પીટર મારિત્ઝબર્ગના સ્ટેશને પ્લાક વાંચતાં સાંભરી આવ્યું કે ૧૮૯૩માં જૂનની ૭મીએ સ્તો એ ઇતિહાસઘટના, ટ્રેનમાંથી ફેંકાવાની, બની હતી. એક એવી ઘટના જે ઈસુના ક્રૂસારોહણ પછી તવારીખમાં કદાચ સૌથી મોટી ઘટના બની રહેવાને સરજાઈ હતી. દુનિયામાં હજુ તો સંસ્થાનવાદ સામે રાષ્ટ્રીય ચળવળનો ને સ્વતંત્રતા આંદોલનોનો જમાનો આવવાનો હતો. અને આ ગાંધીમાનવે, રાષ્ટ્રીય સ્વાધીનતાથીયે એક કદમ આગળ જઈ સમાનતાની લડતનો સૂત્રપાત તે ક્ષણે કરી દીધો હતો.
સ્ટેશને, પ્લાક સન્મુખ વિનત ભાવે ઊભવાનું બન્યું ત્યારે વર્ષોપર એસ.એમ. જોષી સાથે ગાળેલી એક સાંજનું સ્મરણ થઈ આવ્યું: અમદાવાદના સાબરમતી આશ્રમમાં ‘ઘ્વનિ અને પ્રકાશ’ કાર્યક્રમ જોવા એમને લઈ જવાનું બન્યું હતું. એક જૈફ સ્વાતંત્ર્યસૈનિકને માટે ઇતિહાસના લાંબા ફલક પર પાછે પગલે અંતર્યાત્રાની એ ક્ષણો હતી. વચ્ચે વચ્ચે એ આંખમાંથી ઝળઝળિયાં લૂછતા હતા, અને કવચિત્ બે શબ્દો બોલવાનું કરે ત્યારે ડુમાયેલા જણાતા હતા. પાછા ફરતાં, રસ્તે જયારેથોડી વાત કરવાના હોશકોશ આવ્યા, અમને કહ્યું કે તિલક-સાવરકરના હેવાયા અમે તરુણો સ્વતંત્રતાના નશામાં ચૂર હતા. ગાંધીજી આવ્યા અને અમને સમજાયું કે લડતનો ખરો મુકામ તો સ્વતંત્રતાથી કયાંયે આગળ જતો,
સમાનતાનો છે.
ના, આ વાતો કોઈ વીત્યા જમાનાની નથી. આ બધા તીખારા તવારીખ સોંસરા પોતાનું કામ કર્યે જ જતા હોય છે. એ પણ જૂન ૧૯૭૬ની સ્તો બીના હતી કે જોહાનિસબર્ગથી કેટલેક છેટે સોવેટો (સાઉથ વેસ્ટ ટાઉનશિપ)માં બ્લેક છાત્રોએ બગાવતનો બૂંગિયો ફૂંકયો હતો. ૧૯૯૪માં, ગોરા કલાર્ક અને અશ્વેત મન્ડેલા વચ્ચેની સમજૂતી સાથે દક્ષિણ આફ્રિકામાં લોકશાહીનો યુગ બેઠો અને વર્ણવિદ્વેષી કાનૂનના અંત સાથે નવો સૂરજ ઊગ્યો. આ નવી સરકારનું એક પ્રેરણાબિંદુ, કંઈક શકિતસ્રોત પીટર મારિત્ઝબર્ગની એ ઘટના હતી જેણે માનવમુકિત સારુ પ્રતિકારનો અભિનવ રાહ ચીંઘ્યો. એક હિંદીજને બનાવેલ ભોંય પર ગોરાકાળા ને ભાતભાતના લોકે ભેળા હીંડવાણું દીઠું.
આમ તો, અમેરિકી સ્વતંત્રતા અને ફ્રેન્ચ ક્રાંતિએ કરીને જુલાઈનો મહિમા છે- પણ જૂનનો ઘટનાક્રમ, સ્વતંત્રતાને વટી જતી સમાનતા અને ઝનૂની રાષ્ટ્રીયતાને વટી જતી વિશ્વમાનવતાના સંકેતો થકી કંઈ કમ નથી: હાસ્તો, શેલીએ કહ્યું છે તેમ શિશિરના સપાટા પછી વસંત કંઈ વેગળી હોઈ શકતી નથી