છિન્નભિન્ન છું.
નિશ્છંદ કવિતામાં ધબકવા કરતા લય સમો,
માનવજાતિના જીવનપટ પર ઊપસવા મથતી કોઈ ભાત જેવો,
ઘેર ઘેર પડેલ હજી નવ-હાથ-લાગ્યા ભિક્ષુકના ટુક જેમ,
વિચ્છિન્ન છું.
કોણ બોલી ? કોકિલા કે ?
જાણે સ્વિચ્ ઑફ કરી દઉં.
તરુઘટામાં ગાજતો આ બુલબુલાટ −
કુદરતના શું રેડિયોનો
સાંસ્કૃિતક કો કાર્યક્રમ !
ચાંપ બંધ કરી દઉં ? શું કરું એને હું ?
વસંતપંચમી કેમ આવી ને કેમ ગઈ,
મને ખબર સરખી ના રહી !
પ્રકૃતિ, તું શું કરે ?
મારી પ્રકૃતિની જ જ્યાં રામાયણ છે.
માની લીધેલી એકતા વ્યક્તિત્વની
શતખંડ ત્રુટિત મેં નજરોનજર દેખી લીધી છે.
રાગમૂર્તિ, દ્વેષમૂર્તિ, ભયમૂર્તિ −
ત્રિમૂર્તિએ ઘાટ દેવા બહુ કીધું.
તમારે સ્મરણે રુધિર નાચી ઊઠયું,
તમારે દર્શે હૃદય રાચી ઊઠયું,
ને વિરહમાં બસ મરણ યાચી ઊઠયું,
તમે મારી ઝંખનાનું મધુર પ્રેયોરૂપ −
રાગમૂર્તિ, નમોનમો !
તમે મારી વાસનાનું કાલકૂટ વિરૂપ,
આંખની પ્યાલી મહીં ઊછળેલ અગ્નિકૂપ,
ઊડેલ શ્વાસોચ્છ્વાસ સાથે દગ્ધ હૈયાધૂપ,
તમારા સ્પર્શે નયન-પક્ષ્મો વિખૂટાં −
દ્વેષમૂર્તિ, નમોનમો !
તમારા શવ-આશ્લેષથી શીત છૂટયાં,
હીર હૈયા તણાં છેક સુકાઈ ખૂટયાં,
ચેતનાસ્પન્દનો મંદ આક્રંદ-ડૂબ્યાં,
તમે મારી કામનાઓ નગ્ન નિશ્છલ છંદ −
ભયમૂર્તિ નમોનમો !
એક-કેન્દ્ર વ્યક્તિત્વ કરવા મથ્યાં તમે મારે માટે
અને દીક્ષા આપી પ્રેમધર્મની,
જેના કખગઘનેયે પામવાનું કેમે કરી
ફાવતું નથી હજીય.
ને છતાંય ગાડું આ ગબડે છે
કિચૂડ-ખટ્-ચૂં કિચૂડ-ચૂં-ખટ્.
જુઓ પેલા મારા પ્રિયતમ શ્રીમાનને :
પ્રેમ દ્વારા ચાહતાં નથી આવડતું એમને,
ધિક્કાર દ્વારા જ ચાહતાં ફાવે છે ભલા જીવને.
ભલે એમ તો એમ, ઝઘડવાનો સમય ક્યાં છે ?
તમારી શરતે ચાહીશ તમને.
અને આ રહ્યા મારા દ્વિતીય-હૃદય :
પોતાની પામરતાથી ખરડે છે બહુને,
પોતાની વંકાઈ થકી મરડે છે સહુને.
અરે એથી સારી રીતે વર્તવું એને શક્ય હોત,
તો આ રીતે કોઈ કદી વર્તતુંય હશે ખરું કે ?
ને ઓ પેલા ભૂતપૂર્વ … મારા.
અપૂર્વ અનુભવ થયો એમના નિમિત્તે
વારંવાર રટયાં કર્યું મારા મને :
તમને ધિક્કારવાની મને ફરજ નહિ પાડી શકો.
કદીય ધિક્કારી શકાય, એક વાર ચાહ્યું જેને ?
અરે, તું તો દુનિયાને કાંઈ જ સમજતો નથી !
− કહે છે અનેક મને.
બીજા કહે : દુનિયાનો છેક જ છે જીવ તું.
હા, દુનિયાનો શિષ્ય છું હું.
દુનિયા તો દુનિયાદારીમાં માનતી નથી જ નથી.
નથી એણે યાદ રાખ્યા કોટિપતિ,
સફળતાના શહીદોને નથી તે સંભારતી.
મોટા મોટા થઈને જેઓ ફર્યા’તા તેને ય
વિસ્મૃિતની રાખ નીચે ઢબૂરી દીધા છે એણે.
દુનિયા દુનિયાદારીમાં માનતી જો હોત તો તો
કવિઓને, પાગલ પેલા પ્રેમીઓને, સંતોને
સંભારત ક્ષણેય શા માટે ?
સંભારે ન સંભારે કોઈ એની તથા શાને ?
સ્મૃિત ? હા, સ્મૃિત એ જ તો જીવન છે.
આ પૃથ્વીનાં પડ તે ચિરંતન ટકશે, ને આ ઉષ્મા
હૃદય તણી તે વિફળ વીખરશે ?
ના, ના, ના ! સૂર્યને ગરમ રાખવામાં એ જરી જરીક શો સહારો દેશે,
હૃદય હૃદયના ધબકારે તે પુનર્જીવતી ત્રિભુવનદિગ્વિજયી સંચરશે.
કોણ જાણે ?
અટાણે તો ધબકો આ એક પછી એક ઓછી
થતી જાય.
અનંતીકરણ એનું શક્ય હશે ? જાય −
વૈશાખી ખાખી લૂ-લીલા વરસે આકાશથી ત્યાં
પુલ પર થઈ જાય − સરી જાય બસ.
ગૉગલ્સ-આંખ ચિંતનમાં ડૂબેલીય તે હોય તોયે
નીચેથી, સાબર, તારું પાતળુંક ઝરણું
− આનન્ત્ય-મૃગજળ પ્રતિ દોટ દેતું ભોળકડું હરણું −
એ ક્ષીણ પ્રવાહ-પટીની ટાઢકની ધાર
પુલ વીંધી વૈશાખી દોજખ મહીં આરપાર
મારા ચૈતન્યને અડે ને ઠારે અર્ધક્ષણ
દોટ દઈ રહેલી બસ ફરી થાય આહુતિ
ગ્રીષ્મના લૂ-યજ્ઞની જ્વાળાઓ મહીં તે પહેલાં.
મારા લઘુ હૈયાની આ અજાણી ધબક
એટલું જો કરી શકે ? એટલું ના કરી શકે ?
કદાચને ના કરી શકે તો … …
દિનરાત રાતદિન ખિન્ન છું
એક-કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન છું,
ધબકધબકમાં ઊડી રહેલ છિન્નભિન્ન છું.
(સદ્દભાવ : ‘સપ્તપદી’; અમદાવાદ – વડોદરા, ૬/૧૯-૨-૧૯૫૬)