મધ્યપ્રદેશમાં બનેલા વ્યાપમ્-વ્યાવયસાયિક પરીક્ષામંડળ-ના ગોટાળાએ સંસદની ચોમાસુ બેઠક કશા કામકાજ વગર ધોઈ નાખી. રાજકારણને લીધે વ્યાપમને ભ્રષ્ટાચારની નજરે જ દેશભરમાં જોવાયું છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં તેની તપાસમાં આશરે બે હજાર વ્યકિતઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ છે. પણ વ્યાપમ સાથે એક યા બીજી રીતે સંડોવાયેલી વ્યકિતઓના મોતનો આંકડો પચાસ પર પહોંચ્યો ત્યારે રાષ્ટ્રે એની ગંભીરતા પીછાણી. પણ, બે મૃત્યુ એવાં થયાં કે ગુનાઇત હત્યા સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર તરીકે તેણે બધાંને થથરાવી મૂકયા. કેટલાંક મોત તો ‘ડાયલ એમ ફોર મર્ડર’ની કથા જેવાં હતાં. એટલે કેટલાક કટારલેખકોએ આ બનાવને ‘ડાયલ એમ ફોર મધ્ય’ જેવાં મથાળાં આપ્યાં. સર્વોચ્ચ અદાલતે આ બધાં મોતની તપાસ સી.બી.આઈ.ને સોંપી છે.
વ્યાપમ મધ્યપ્રદેશમાં મેડિકલ કે ઈન્જિનિયરીંગની સરકારી કોલેજોમાં કે ભરતી માટે પરીક્ષા લેતી સંસ્થા છે. આખું પ્રકરણ વ્યાપમ મારફત લેવાતા પ્રિ-મેડિકલ ટેસ્ટના બનાવોમાંથી જન્મ્યું છે. તે ભ્રષ્ટાચાર કે મધ્યપ્રદેશના ભાજપી મુખ્યપ્રધાન શિવરાજસિંહના સ્વચ્છ વહીવટ સંબંધિત પ્રશ્ન પૂરતું મર્યાદિત નથી. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને શાસન કબજે કરનાર ભા.જ.પ. માટે તે ગંભીર પદાર્થપાક શીખવે એવો બનાવ છે. ૨૦૧૪ની ચૂંટણી ઝૂંબેશમાં ભારતનાં યુવકોને રોજગારી આપવાની ખાતરી સૌથી વધુ ભા.જ.પે. આપી છે. નરેન્દ્ર મોદીએ તો આગળ વધીને આ સવાલને સરકાર માટે “ડેમોગ્રાફિક ડિવિડન્ડ” (જનસંખ્યા-જન્ય ફાયદો) ગણાવ્યો હતો. એ કહેતા કે ભારતમાં દર વરસે એકસો વીસ લાખ વ્યકિત નોકરીને લાયક બને છે અને એ બધાને રોજગારી આપવા એ વચનબદ્ધ છે. આવું વચન એ આપતા હતા, ઊંચું મસ્તક કરીને આપતા હતા. કારણ એમને ભરોસો છે કે એકવાર ’મેઈક ઈન ઇન્ડિયા’ અને વિદેશી મૂડીરોકાણ હકીકત બનશે, એટલે થોકબંધ રોજગારી પેદા થશે.
વિશ્વના અર્થશાસ્ત્રીઓ, શાસકોએ અને ખૂદ વિશ્વબેંકે છેલ્લા દસ વરસના વિશ્વના ઔદ્યોગિક વિકાસને રોજગારી વગરનો (જોબલેસ) અને વ્યકિત-વ્યકિતની આવકમાં અસમાનતા વધારનારો ગણાવ્યો છે. ભારતમાં પણ દસ વરસમાં રોજગારી વગરનો અને આર્થિક અસમાનતામાં વધારો કરનાર વિકાસ થયો છે. જાહેર અને ખાનગી ક્ષેત્રે રોજગારીમાં નહીંવત્ વધારો થયો. પરિણામે શહેરોમાં શિક્ષિત કે અશિક્ષિત યુવાનોનાં કીડિયારાં ઉભરાયાં હોય એવી સ્થિતિ છે. રેલવેમાં ભરતી થવાની હોય તો સો-બસો પોસ્ટ માટે હજારો યુવકોની લાઈન લાગે છે. આ બેરોજગારીની પીડા ઓછી હોય એમ મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મરાઠી યુવકોની અગ્રિમતા માંગી ધાંધલ મચાવે છે અને સવાલને વધુ ગૂંચવે છે.
નોકરી વેચાય છે, એટલે કે, અમુક રકમ આપી સંસ્થાનું ફોર્મ ભરો તો રેલવેમાં કે કોઈ કેન્દ્રિય સાહસમાં નોકરી અપાવનારી સંસ્થાઓ અનેક જગાએ ફૂટી નીકળી છે. લાખો રૂપિયા કમાઈ લીધા પછી સંસ્થા જ ગાયબ થઈ જાય છે. ગુજરાતમાં ખુદ સરકારે હજારો તલાટીની ભરતીનો પ્રયોગ કર્યો, તો ભરતીમાં કરોડ કમાઈ જનાર વચેટિયો પકડાઈ જતા હજારો તલાટીની ભરતી રદ કરવી પડી છે. ફરી ભરતી કરતાં સરકાર ગભરાય છે. બેરોજગારીની આવી પરિસ્થિતિનો લાભ લેનાર રાજકીય આગેવાનોનો આપણે ત્યાં તોટો નથી. જે શિક્ષણ બજારમાં તરત નોકરી અપાવે તેવું હોય, તેને લગતી શિક્ષણસંસ્થામાં પ્રવેશ મેળવી આપવા આ બધા દલાલનું કામ કરતા હોય છે. બીજી તરફ શિક્ષણમાં ખાનગી ક્ષેત્રના પ્રવેશ પછી ઊભી થયેલી. ખાનગી મેડિકલ કે ઈજનેરી સંસ્થાઓની ફી મધ્યમ વર્ગની શકિત બહારની થઈ ગઈ છે. પરિણામે ભારતીય યુવકને માટે નોકરીને લાયક થવાના દરવાજા પણ બંધ થયા છે.
આવી પરિસ્થિતિનો અંત આર્થિક સુધારામાં વધુને વધુ તેજી લાવવાથી આવશે, એવી ધારણા ધરાવનારા ઘણા લોકો ભૂલી જાય છે કે, જાહેર ક્ષેત્રમાં ૧૯૯૯માં ૧૯૪ લાખને રોજગારી મળતી હતી, તે ૨૦૧૦માં વધવાને બદલે ઘટીને ૧૭૯ લાખ થઈ ગઈ છે. અલબત્ત, એ ગાળામાં ખાનગી ક્ષેત્રમાં રોજગારી ૮૭ લાખમાંથી વધીને ૧૦૮ લાખ થઈ છે. દસ વરસમાં ૨૧ લાખનો વધારો એ તો નહીંવત્ છે. ખાનગી અને જાહેર ક્ષેત્રની રોજગારીની આ પરિસ્થિતિથી સરકાર વાકેફ છે. વધુમાં એ સમજે છે કે ભારતમાં ૯૦ ટકા રોજગારી તો સેવા અને લઘુ—ઉદ્યોગ ક્ષેત્રમાંથી મળે છે. દર વરસે ૧૨૦ લાખ નવા રોજગારને લાયક બનતા યુવકોનો અસંતોષ અને લાચારી વ્યાપમના મૂળમાં છે, એ જેટલું વહેલું સમજીએ તેટલું સારું. હકીકતમાં મધ્યપ્રદેશમાં વ્યાપમમાં જે બન્યું છે તે ભારતમાં રોજ બને છે. પણ મધ્યપ્રદેશમાં ગુનાઇત બળોએ પણ એમાં ઘૂસણખોરી અને ભાગીદારી કરી. એટલે તે વધારે મોટું અહિત કરનાર પ્રકરણ બન્યું. વળી એક પોસ્ટ ગ્રેજયુએટ બેઠક માટેના પ્રવેશની રકમ અઢી લાખ ડોલરે પહોંચી ત્યારે બધી હદ વટાવાઈ ગઈ હોય એવું લાગ્યું.
વિશાળ બેરોજગારી અને કમ નોકરી એક તરફ અને બીજી તરફ સારી નોકરી મળે એવાં શિક્ષણ માટેની અમર્યાદ ઊંચી ફીએ મધ્યમ વર્ગના યુવકોમાં વ્યાપક નિરાશા જન્માવી છે. આ વિષમ પરિસ્થિતિ વ્યાપમ જેવા અનિષ્ટની જન્મદાત્રી છે, એમ ઉઘાડું સમજાય તેવું છે. છતાં ભારતના મધ્યમ વર્ગની મૂંગા મોઢે સહન કરી લેવાની આદત આગળ જતાં કેવા વિસ્ફોટ જન્માવશે, એનો આપણને ખ્યાલ છે ખરો? જયાં સુધી સરકારી અને ખાનગી શિક્ષણ સંસ્થાના ફીના ધોરણમાં સામાન્ય ફરક હતો, ત્યાં સુધી આવી બદી જન્મતી ન હતી. અત્યારે આ ફરક કલ્પના બહારનો છે. પણ હવે કંઈક જૂદું જ બનવાની ભીતિ દેખાઈ રહી છે. કારણ કે આ વરસે ગુજરાત જેવા રાજયમાં ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરીંગની હજારો જગાઓ સેલ્ફ ફાયનાન્સ ક્ષેત્રે ખાલી પડી છે. સરકારી મેડિકલ કૉલેજમાં પ્રવેશ માટે તીવ્ર હરીફાઈ જન્મી છે. એકથી ત્રણ માર્કથી રહી જનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે.
હવે આ પ્રવેશ માટે પોતાના સંતાનને ટયુશન કલાસમાં વધારાનું ભણતર આપવા મધ્યમ વર્ગનો વાલી દેવું કરીને પાંચ લાખનો બોજ ભોગવે છે. પાંચ લાખનાં ટયુશનનો બોજ ભોગવ્યા અને આઠથી બાર કલાકની મહેનત પછી એ વિદ્યાર્થી બે માર્ક માટે રહી જાય અને બીજી તરફ વ્યાપમને રસ્તે કે બીજે રસ્તે ઓછા માકર્સે પ્રવેશ મેળવી જવાના કિસ્સા વધે, ત્યારે વ્યાપમ સ્ફોટક બને છે. ટૂંકમાં વ્યાપમકાંડે અત્યારે ભલે રાજકીય ભ્રષ્ટાચારરૂપે દેશવ્યાપી આક્રોશ જન્માવ્યો, પણ, સરકાર, સમાજ અને રાજકીય નેતાઓએ એના મૂળમાં જે બાબાતો છે એનો ઉકેલ શોધવો પડશે. ગુજરાતમાં સુખી ગણાતા સમાજના યુવાવર્ગના વ્યાપક બનતા જતા અનામત આંદોલનમાં આ બાબતે ભાગ ભજવ્યો હોય તો નવાઈ પામવા જેવું નથી.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 20 અૉગસ્ટ 2015