આપણે ઘણીવાર એક એવો શબ્દ વાપરીએ છીએ જે અતિ પ્રાચીન હોય છે, એનો પ્રાચીન અર્થ (કે એના પ્રાચીન અર્થો) જાણ્યા વિના, ફટ લઈને એને અર્વાચીન અર્થમાં બેસાડી દેતાં હોઈએ છીએ, ત્યારે મોટી ગરબડ ઊભી થાય છે. દા.ત શબ્દ ‘અર્થ’. મહાભારતના એક પ્રસંગે એ વપરાયો, તેને નવા અર્થમાં બેસાડી દીધો, અને ભૂલમાં ભલે, પણ અનર્થ જ થઈ ગયો. પ્રસંગ મજાનો છે.
મહાભારત-યુદ્ધને અટકાવવા વિષ્ટિકાર તરીકે ખુદ કૃષ્ણ ગયા, કાંઈ ન વળ્યું ! કર્ણને એના જન્મની જાણ કરીને ‘ફોડવાનો’ પ્રયત્નેય નિષ્ફળ ગયો. કુંતા પણ એમાં નિષ્ફળ ગયાં ! યુદ્ધનાં દુંદુભી ગડગડ્યા. સૈન્યો સામસામે ગોઠવાયાં. ત્યારે વળી સ્વજનોની સામે લડવામાં અર્જુનનું મન માન્યું નહીં. એને ય કૃષ્ણે સમજાવી દીધો : ‘આ ધર્મ જ છે.’
તે પછી, યુદ્ધ શરૂ થવામાં છે ત્યાં યુદ્ધિષ્ઠિરને થયું કે આવડું મોટું કામ આરંભીએ છીએ, ત્યારે મોટેરાંને – વડીલોને પ્રણામ કરીને આશીર્વાદ મેળવ્યા વિના તો કેમ ચાલે ? ને વડીલો તો હતા સામે પક્ષે ! છતાં ગયા ! આવું ભારતમાં જ બને ! જઈને દ્રોણ અને ભીષ્મને પગે પડ્યા ! એ આખો ય પ્રસંગ વિગતે વાંચવા જેવો છે; અહીં સ્થળ સંકોચ તો અત્યારથી અનુભવું છું ! મુખ્ય વાત પર આવું. વડીલોએ ય આશીર્વાદ આપ્યા ને ‘યુદ્ધમાં જય થાય’ એ સિવાયનું જે માગવું હોય તે માગવા પણ કહ્યું ! ને યુદ્ધિષ્ઠિરે માગ્યું ય એવું ! જાતે જાણજો ! − પણ આ પ્રસંગે આ મોટેરાં, પણ શિષ્યને પોતાની સ્થિતિની સ્પષ્ટતા કરતાં કહે છે :
अर्थस्य पुरुषो दासो, दासस्त्वर्थान् न कदाचित।
इति सत्यं महाराज, बद्धौस्म्यर्थेन कौरवे:।।
અહીં ‘અર્થ’નો ઘણાખરાએ અર્થ કર્યો છે ‘પૈસો’, ‘ધન’ ! આ ભીષ્મ ને દ્રોણ, આજની જેમ રાજપુરુષોના પૈસાની, ધનની લાલચે વેચાઈ ગયેલા હોય ખરા ? તો પછી, ‘અર્થ’નો અહીં શો અર્થ હશે ? એ કાળે ચલણમાં નાણું હતું ખરું?
આ પ્રશ્ને કૃષ્ણપ્રેમી હરીન્દ્ર દવેને ય મૂંઝવ્યા છે. એમનું ‘શ્રીકૃષ્ણ અને માનવસંબંધો’ પુસ્તક વાંચવા જેવું છે. એમની માફક મને ય થયું ચાલો, કોશો જોઈએ. વત્તા, થયું કૌટિલ્યે ય ‘અર્થશાસ્ત્ર’ શબ્દ વાપર્યો છે ! મોંનિયેર, આપ્ટે વગેરે કોશો 25-30 અર્થો આપે છે; તો આપણા ‘ભગવદ્દગોમંડળ’માં 32 અર્થો છે. કૌટિલ્યે ‘જીવનવ્યવહાર’ (રાજ્યવ્યવહાર સહિત) એવા અર્થમાં ‘અર્થ’ શબ્દ વાપર્યો છે. ભારતીય જીવન વ્યવસ્થામાં ચાર ધ્યેયો કે વ્યવહાર ક્ષેત્રો ગણાવવામાં આવ્યા છે. ધર્મ-અર્થ-કામ-મોક્ષ. ત્યાં પણ જીવનવ્યવહાર (માનવ – માનવ વચ્ચેનો વ્યવહાર) એવો અર્થ છે. કોશે આપેલ વિવિધ ને પચાસેક અર્થોમાં એક ‘અર્થ’ જે ‘પ્રાર્થના’ શબ્દમાં પણ છે તે – વિનંતી, અરજી, વચન ! કૌરવે આ બેયને વેણે બાંધી લીધા છે કે તમારે અમારી સાથે રહેવાનું છે. એ જ જાણે છે કે જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે; છતાં વેણે બંધાયા : પેલા શ્લોકનો આમ અર્થ થાય :
માનવી જ્યારે વચન કે વેણથી, અમુક વ્યવહાર માટે, બંધાય છે ત્યારે વેણ બાબતે તો જે થવાનું હોય તે જ થાય છે ! વેણ / વ્યવહાર કોઈના બાંધેલાં નથી ? દ્રોણ – ભીષ્મ (અને કર્ણાદિ પણ !) જાણતા જ હતા કે જ્યાં કૃષ્ણ હોય ને ‘ધર્મ’ હોય (સત્ય હોય) ત્યાં જ જીત હોય. કૃષ્ણ પાસે ય સહાય માગવા દુર્યોધન પહોંચ્યો હતો, ને કૃષ્ણે વિકલ્પ આપ્યો હતો કે શસ્ત્રવિહીન હું કે મારું સશસ્ત્ર મોટું સૈનિક − બેમાંથી એક માગ ! એ વ્યવહાર હતો. દ્રોણના શ્લોકનો હું પદ્યાનુવાદ આમ કરું.
“માનવી વેણનો દાસ, વેણ ન દાસ કોઈનું;
એ જ સત્ય મહારાજ ! બંધાયા વેણ – કૌરવે !”
સૌજન્ય : “બિરાદર”, જુલાઈ 2015, પૃ. 12