વેંકય્યા નાયડુને ટાંકવામાં જોખમ છે : તેઓ ભાજપના પ્રમુખ હતા ત્યારે એમણે એક વાર વાજપેયીને વિકાસપુરુષ અને અડવાણીને લોહપુરુષરૂપે વર્ણવીને એક અર્થમાં વાજપેયીને શેહ આપવાની કોશિશ કરી હતી. પણ બહુ ઝડપથી એમણે લાળા ચાવવા પડ્યા હતા, અને દુત્તા વાજપેયી એમની હંમેશની હાજરજવાબી સાથે ‘ન કોઈ ટાયર્ડ, ન કોઈ રિટાયર્ડ’ કહેતાંકને ભાજપકારણ પર છાઈ ગયા હતા. પણ પંદરમી લોકસભા માટેના મતદાનના આખરી દોર વખતે લાગે છે કે હાલને તબક્કે નાયડુને ટાંકવામાં જોખમ નથી પણ ટાંકવા લાયક અવતરણ (ક્વોટેબલ ક્વોટ) નો સમયસરનો ઉપયોગ છે. જેવી ચૂંટણીની જાહેરાત થઈ કે તરત સુદૂર બેંગલોરથી દેવે ગૌડાએ ત્રીજા મોરચાનું એલાન કર્યું હતું અને મામલો કેવળ પહેલા અને બીજા મોરચાઓ એટલે કે કૉંગ્રેસ વગેરે તેમજ ભાજપ વગેરે વચ્ચેનો નથી તે વરતાવા લાગ્યું હતું. તરત જ ડાબેરીઓએ કૉંગ્રેસ અને ભાજપ સિવાયની સરકારનો કનકવો ચગાવવા માંડ્યો હતો. એ દિવસોમાં, વેંકય્યા નાયડુએ ત્રીજા મોરચાને અંગે ‘પાર્કિંગ પ્લોટ’ જેવી ચિત્રાત્મક ટિપ્પણી કરી હતી. દસમી મેની લુધિયાણા રેલીમાં તેલંગણ રાષ્ટ્ર સમિતિના કે. ચંદ્રશેખર રાવે જે સ્ફૂર્તિથી ઉપસ્થિત થઈ ‘લોહપુરુષ’ અડવાણી સમક્ષ હાજરી ભરી એ જોતાં તેઓ ત્રીજા મોરચાના પાર્કિંગ પ્લોટમાંથી પોતાની ગાડી એનડીએના કાફલા સાથે જોડાવા માટે બહાર કાઢી લાવ્યા એમ જ કહેવું જોઈશે.
ત્રીજા મોરચાની પાર્કિંગ પ્લોટ સંભાવનાઓનો કસ કાઢવાનું વલણ કૉંગ્રેસ પક્ષે મહામંત્રી રાહુલ ગાંધીની પાંચમી મેની પત્રકાર પરિષદ વાટે પ્રગટ કર્યું જ હતું : એમણે બિહારમાં નીતિશકુમારની કામગીરીનાં વખાણ કરીને તેમ ચંદ્રાબાબુ નાયડુએ હૈદરાબાદને વિકસાવ્યાના ઉલ્લેખ સાથે અમારી અને ડાબેરીઓ વચ્ચે મતભેદો છતાં, ભાજપથી વિપરીત, કૉંગ્રેસ-ડાબેરી વિચારોમાં ઘણું સામ્ય છે એમ કહીને ચૂંટણીપશ્ચાત સમજૂતીના સંકેતો આપ્યા હતા.
એક રીતે, ચૂંટણીપૂર્વ નહીં પણ ચૂંટણીપશ્ચાત જોડાણનો આ ખયાલ, મેના બીજા અઠવાડિયામાં ડાબેરીઓનો પ્રિય અભિગમ જણાય છે. એક પા પ્રકાશ કરાત કૉંગ્રેસને અંગે ટેકો આપવાલેવાની વાત ખોટી એમ કહે છે ; બીજી પા સીતારામ યેચુરી અને બુદ્ધદેવ ભટ્ટાચાર્ય કૉંગ્રેસ સાથે ‘બિઝનેસ’ થઈ શકે એમ કહેવાની કાળજી લે છે. બુદ્ધદેવના કહેવા મુજબ એમનાં અને કરાતનાં વિધાનોમાં આંતરવિરોધ ન જોવો જોઈએ ; કેમ કે કરાતે પક્ષની નિર્ધારિત ભૂમિકા (કૉંગ્રેસ અને ભાજપ સિવાયની સરકાર માટેની) વ્યક્ત કરી છે જેમાં ચોક્કસ મતદાનીય રૂખ અપેક્ષિત છે. જો 16 મેનાં પરિણામો આ અપેક્ષાથી જુદા આવ્યાં તો ભાજપને સત્તાની બહાર રાખવા માટે કૉંગ્રેસસાપેક્ષ વિચારણાનો તબક્કો શરૂ થઈ શકે છે.
એનડીએને માટે જો બીજુ જનતા દળનું અલગ થઈ જવું એ આકરો આરંભિક આંચકો હતો તો લુધિયાણા રેલીમાં તેલંગણ રાષ્ટ્ર સમિતિની હાજરી અને નીતિશ – નમોનું એકમંચ હોવું એ વાજીકરણનો મામલો છે. અલબત્ત, બીજી પાસ પોતે ન તો ગુજરાત ગયા છે, ન તો નમોને બિહાર બરક્યા છે એવી સ્પષ્ટતા કરીને નીતિશકુમારે સલામત અંતરનો ખયાલ બરકરાર દાખવ્યો છે. પણ આ ક્ષણે તેઓ સૂચિત ત્રીજા મોરચા સાથે નથી અને ભાજપ જોડે મળીને પટણામાં સરકાર ચલાવવા બાબતે બિહારની જનતા પરત્વે પ્રતિબદ્ધ છે એમ કહેવામાં એમણે કોઈ કસર છોડી નથી.
દરમ્યાન, નવા સાથીઓ ન મળે એ સંજોગોમાં કૉંગ્રેસનું વલણ સ્વાભાવિક જ જૂના સાથીઓના પુનઃ એકત્રીકરણનું છે. લાલુ-મુલાયમ તેમજ કૉંગ્રેસ એકમેકને છૂટાં મેલતાં જણાયાં હતાં એમણે વળી નજીક આવવાનું જરૂરી લેખ્યું છે.
સરવાળે, જોકે, જે સાર નીકળે છે તે એ છે કે મતદાનના પહેલાબીજા તબક્કા લગી જે મામલો કૉંગ્રેસ ગઠબંધન, ભાજપી ગઠબંધન અને ત્રીજા મોરચા વચ્ચેનો લાગતો હતો તે ત્યારે ઝાંખોપાંખો પણ કંઈકે સુરેખ હશે તો હશે ; અત્યારે તો માહોલ ને મામલો ખુલ્લા ખેલ ફરુખાબાદી યાને ‘ફ્રી ફૉર ઑલ’ તરેહનો છે. કોણ કેટલાં માથાંનો મતાદાર છે એ મુદ્દો જ પરિણામ પછી મહત્ત્વનો બની રહેવાનો છે. આદર્શો નહીં પણ આંકડાનો ખેલ એ હોવાનો છે.
આનો અર્થ એ નથી કે 1989ની વીપી ચૂંટણીનાં વીસે વરસે વાનનો જે ખયાલ હતો તે પરવારી ગયો છે. માત્ર, આ વાન મે 2009માં પૂરો નયે ઊઘડે – પણ ઊઘડવાની શરૂઆત જરૂર થઈ ચૂકી છે. આ પ્રક્રિયા – બને કે એમાં યુપીએ અને એનડીએ નયે હોય અને નવાં નામો તેમજ નવી જમાવટો હોય, શરૂ થઈ ચૂકી છે. આવતાં પાંચ વરસમાં (વચમાં એકબે ચૂંટણીદાવ સાથે) એનો વાન ઊઘડીને રહેશે.
સ્વતંત્ર નાગરિક શક્તિએ પ્રજાના બળ તરીકે આ પ્રક્રિયામાં અંદરબહાર દખલ દેવાનું ને દરમ્યાન થવાનું કૌવત, કળા તેમજ કસબ (અને કમિટમેન્ટ) અવિશ્રાંત દાખવવાં રહેશે.