ગુજરાત સરકારે અકાદમીને મળેલી બંધારણીય સ્વાયત્તતા અને એના લોકતંત્રને જે રીતે બાનમાં લીધું અને જે રીતે લેખકો દ્વારા લોકતાંત્રિક રીતે નહીં પણ સરકારી રાહે પસંદગીથી પોતાને અનુકૂળ એવા અધ્યક્ષની નિમણુંક કરી એ બાબતે ‘પપેટ પોલિટિક્સ’નું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આને કારણે પ્રથમ હરોળના સાહિત્યકારોથી લઈને નવોદિત સાહિત્યકારો સહુ કોઈમાં સરકારનાં આ કૃત્ય પ્રત્યે રોષની લાગણી જન્મી છે. સ્વાયત્ત અકાદમી આંદોલન એ વ્યાપક લેખક સમુદાયની લાગણીનો પડઘો છે.
તારીખ ઃ ૧, મે ૨૦૧૫, ગુજરાત દિવસથી અકાદમીની સ્વાયત્તતા માટે ગુજરાતભરના લેખકોએ સહી ઝુંબેશ વડે આંદોલનને ગતિ આપી છે. વડોદરામાં જયદેવ શુક્લએ સહી ઝુંબેશ ચલાવી અને એમાં સિતાંશુ યશશ્ચંદ્ર, શિરીષ પંચાલ, રમણ સોની, રાજેશ પંડ્યા, હસિત મહેતા, ભરત મહેતા, હેમંત દવે, કિશોર વ્યાસ, ગિરીશ મકવાણા, પીયૂષ ઠક્કર, દીપક રાવળ આદિ લેખક મિત્રોએ આંદોલનને સમર્થન આપ્યું.
વલસાડ ખાતે હિમાંશી શેલતે સહી ઝુંબેશ ચલાવી, જેમાં બકુલા ઘાસવાલા, અરુણિકા દરૂ, નયના દેસાઈ, આશા વિરેન્દ્ર, રાધિકા ટીક્કુ, અપર્ણા કડીકર, આશા આડતિયાની સાથોસાથ રાજેન્દ્ર આચાર્ય, અજિત પારેખ, મનોજ દરૂ, ધનસુખ પારેખ, સુરેન્દ્ર પારેખ, અમૃત દેસાઈ, રમેશ આચાર્ય, રાહુલ ટીક્કુ, અમૃત મોરારજી, પંકજ કડીકર, પ્રશાન્ત દેસાઈ, દિનકરભાઈ તથા પિયૂષ પટેલ જોડાયા. આ ઉપરાંત સુરતમાં બકુલ ટેલર, રવીન્દ્ર પારેખ, ધ્વનિલ પારેખ, જગદીશ કંથારિયા, જેવા સાહિત્યકારો સહી ઝુંબેશમાં સામેલ થયા છે. વિદ્યાનગર તથા આણંદ ખાતે ભગીરથ બ્રહ્મભટ્ટ દ્વારા ચલાવાયેલ સહી ઝુંબેશમાં મણિલાલ હ.પટેલ, જયેન્દ્ર શેખડીવાળા, પિનાકિન પંડ્યા, પરમ પાઠક, રમેશ ચૌધરી, અશોકપુરી ગોસ્વામી, ચતુર પટેલ, માનસિંગ ચૌધરી, કપિલા પટેલ, અનિતા સાળુકે, સાધના પટેલ, પૂજા રાઠવા જેવા સાહિત્યકારોએ આંદોલનના ઠરાવનું સમર્થન કર્યું છે. જામનગર ખાતે અભિજિત વ્યાસ, અબ્દુલ કાદર મેતર, પીયૂષ ભટ્ટ, પ્રફુલ્લ દવે, કિશોર સોની, સતીષ વ્યાસ, વી.એમ. લાહોરા, ઉત્તમ ગોહિલ, મૃણાલ જૈન અને મીના કોટા તથા સુરેન્દ્રનગર ખાતે સુમંત રાવલ અને ગિરીશ ભટ્ટ, ભાવનગર ગદ્ય સભા તરફથી ગંભીર સિંહ ગોહિલ, જયંત મેઘાણી, માય ડિયર જયુ, નિતિન ત્રિવેદી, અજય ઓઝા, મહેન્દ્ર સિંહ પરમાર, પ્રતિભાબહેન ઠક્કર તથા બીજા મિત્રોએ અને સાહિત્યિક સંસ્થાઓએ આંદોલનને ટેકો આપ્યો છે.
ગાંધીનગરમાં હરિકૃષ્ણ પાઠક તથા ડંકેશ ઓઝા સહી ઝુંબેશ ચલાવી રહ્યા છે. આમ સ્વાયત્ત અકાદમી આંદોલન સાથે ગામે ગામના સાહિત્યકારો નિસબતપૂર્વક જોડાઈ રહ્યા છે.
તારીખ ૧ મેથી ૭ મે, ૨૦૧૫ ગુજરાત દિવસથી અમદાવાદ ખાતે યોજાયેલા પુસ્તક મેળામાં સાતે સાત દિવસ લેખકોએ સહી ઝુંબેશને વેગ આપ્યો. આ દિવસોમાં સ્વાયત્ત અકાદમી આંદોલન સમિતિ વતી પ્રવીણ પંડ્યા, મનિષી જાની, સ્વાતિ જોશી, સંજય શ્રીપાદ ભાવે, રમેશ ર. દવે, ભારતી દવે, નયના શાહ, કિરીટ દૂધાત, કિશોર ગૌડ, પ્રકાશ ન. શાહ, કમલેશ ઓઝા, મનહર ઓઝા, મયૂરિકા માયા, બિપિન પટેલ, ઉમેશ સોલંકી અને જિજ્ઞેશ મેવાણી વગેરેએ સ્ટોલે સ્ટોલે ફરીને લેખકો અને સાહિત્ય રસિકોને સહી માટે પ્રેર્યાં હતાં. ત્યાં આવનાર લેખકો આંદોલનથી અવગત થાય એ માટે અકાદમીના ઇતિહાસ અને વર્તમાનને આલેખતી ‘અકાદમી આંદોલન આ માટે’ પત્રિકા પણ વહેંચવામાં આવી, સાથોસાથ લેખકોએ ‘સ્વાયત્ત અકાદમી આંદોલન’નો બિલ્લો લગાડીને આંદોલનને સમર્થન આપ્યું. આંદોલનના સમર્થનમાં સહી કરનારાઓમાં મંજરી મેઘાણી, ભગવાનદાસ પટેલ, રાવજી સોંદરવા, નિરંજના વોરા, હસમુખ પટેલ (પૂર્વ શિક્ષણમંત્રી), ડૉ. મફતલાલ પટેલ, ઉર્વીશ કોઠારી, પ્રિન્સિપાલ બનેસિંહ ગઢવી, પ્રવીણ હિરપરા, આશિષ કક્કડ, ધિરેન અવાશિયા, કેતન રૂપેરા, અમૃત ગંગર, રામજીભાઈ પટેલ, ડૉ. જેઠો લાલવાણી, હુંદરાજ બલવાણી, નેહા શાહ, ઈન્દુ રાવ, લતા હિરાણી, મોહ્યુદ્દીન બોમ્બેવાલા, કુસુમ રાજગોર વગેરેનો સમાવેશ થતો હતો. (સ્થળસંકોચના કારણે પૂરી યાદી સમાવી શકાઈ નથી.)
આટલી કવાયત પછી ‘હવે શું?’ એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. આંદોલન પોતે પોતાનો માર્ગ ગ્રહણ કરી રહ્યું છે. રમેશ ર.દવે મનુભાઈ પંચોળી’ ‘દર્શક’ શતાબ્દી નિમિત્તે દર્શકના સમગ્ર સાહિત્ય અંગે વીસ ગ્રંથોનું સંપાદન કરવાના હતા – પણ એમને લાગ્યું કે જે અકાદમીની સ્વાયત્તતા માટે દર્શક લડ્યા હોય, જેની બંધારણ સમિતિના તેઓ અધ્યક્ષ રહ્યા. એમની શતાબ્દી પ્રસંગે એ જ અકાદમીની સ્વાયત્તા છિનવાઈ જાય એ કેવું, અને એના બંધારણીય માળખાને નિષ્ક્રિય કરીને સરકાર દ્વારા ફરી એને ૧૯૮૨ની સરકારી અકાદમી જેવી સ્થિતિમાં મૂકી દેવાય કે જેનો ઉમાશંકરે પણ વિરોધ કર્યો હતો. સંપાદન છોડવાનો નિર્ણય કરીને સ્વાયત્તતાહીન અકાદમીનો બહિષ્કાર કરવાની દિશા ચીંધી છે.
આંદોલન સમિતિ તરફથી ગુજરાતી સાહિત્ય પરિષદને એક અનુરોધ પત્ર મોકલાયો છે. એમાં જણાવાયું છે કે ૨૦૦૭ના ગાંધીનગર અધિવેશન વખતે પરિષદની કાર્યવાહક સમિતિ તથા મધ્યસ્થ સમિતિએ સંયુક્તપણે અકાદમીની સ્વાયત્તતા માટે ઠરાવ કર્યો જ છે તો હવે એનો અમલ કરવામાં પરિષદે પાછી પાની ન કરવી જોઈએ.
મિત્રો, અનેક મોરચે સ્વાયત્ત અકાદમી આંદોલન ચાલી રહ્યું છે. સ્થિતિ પપેટ પોલિટિક્સ બનામ પૂર્ણ સ્વાયત્તતા અને લોકતંત્ર વચ્ચેની લડતના રસ્તે છે.
૧૨-૫-૨૦૧૫
e.mail : pjagjivandas@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” 16 મે 2015, પૃ. 02-03