આંબેડકર 125 : રાજકીય હિલચાલની જેમ જ સામાજિક સુધારણાનો એજન્ડા રાહ જુએ છે
બસ હવે, અડતાળીસ જ કલાક આડા છે : કૃતજ્ઞ ભારતજન એકસો પચીસમા વરસમાં પ્રવેશે નિમિત્તે આંબેડકરને વિશેષરૂપે સંભારશે. માલિકી હક્કથી પ્રવર્તતાં જૂથો, સહવરણ(કો-ઓપ્શન)ની ફિરાકમાં રમતાં જૂથો, સૌ કને પોતપોતાનો એજન્ડા અલબત્ત હોય જ. ક્યારેક આંબેડકરની ખુદની રિપબ્લિકન પાર્ટીને ય વટી જઈને માયાવતી જેવાએ ઉત્તરપ્રદેશમાં સિક્કો પાડ્યાની અને રુક્કો ચલાવ્યાની સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની શક્તિનો પરચો આપણે દલિતશક્તિને મોરચે ક્યાં નથી જોયો? અલબત્ત, એમાં અકબંધ દલિત મતબેંક સાથે સર્વજન ફોર્મ્યુલાનો વ્યૂહ, રિપીટ, વ્યૂહ(નહીં કે રસાયણ)નો ફાળો ખાસ્સો હતો. દલિત મસીહાથી માંડી બંધારણકાર જેવી અતિથિ ઓળખમાં ખતવાતા રહેલા આંબેડકર સમગ્ર સુધી આ સૌ વ્યૂહકારો પહોંચી શકતા નથી એ આપણી પ્રજાકીય કારુણિકા છે.
અહીં જ્યારે સમગ્ર આંબેડકરની જિકર કરું છું ત્યારે એવો ખયાલ મુદ્દલ નથી કે એમની અગર ગાંધી અગર લોહિયા કે જયપ્રકાશ કોઈનીયે સાથે આખો વખત અને અક્ષરશ: પૂર્ણ સહમત થવાનું છે. ભાઈ, પોતપોતાના સ્થળકાળસંજોગ અને ગજાસંપત પ્રમાણે એમણે કામ કીધું. પ્રશ્ન એ છે કે તરતમભેદે કે પોતપોતાના અગ્રતાવિવેકે આ સૌ પ્રતિભાઓની પૂંઠે કઈ ચાલના કામ કરી રહી હતી. પોતપોતાને છેડેથી એમને સ્વતંત્રતા અને સમતા જોઈતી હતી. વળી સમતાનો કોઠો જેમ આર્થિક તેમ આપણા દેશના કિસ્સામાં તો સવિશેષ સામાજિક મોરચે ભેદવાનો હતો. આજે આ સૌ સ્કૂલો, અને એવા જ બીજાઓ, એમની ઊર્જા સ્વતંત્રતા અને સમતા (તેમ જ અલબત્ત, સહેજે ઓછી અગત્યની નહીં એવી બંધુતા) માટેની કાનૂની એટલી જ પ્રજાકીય જદ્દોજહદમાં સંયોજે તે જરૂરી છે.
આંબેડકરને દલિત મસીહા કહેવા તે ખોટું છે એમ તો નહીં કહી શકાય. એક આખા પ્રજાસમૂહને ચિરબહિષ્કૃત, ચિરતિરસ્કૃત બનાવી મેલાયો હોય ત્યારે સ્વાભિમાનને ધોરણે એને ગઠિત કરવાનું ચોક્કસ લોજિક છે. પુણે કરાર વખતે આંબેડકરે ગાંધીને એ મતલબનું કહ્યું હતું કે તમે જેટલું કષ્ટસહન, જેટલી ઝુંબેશને જદ્દોજહદ કરો છો એટલી જો દલિતોને જ માટે વાળો તો અમારા લોકો તમને સૌથી ઉપર ઉઠાવશે. ઉલટ પક્ષે, બંને વચ્ચે એ અર્થનો સંવાદ પણ નોંધાયો છે કે મારાવાળા અને તમારાવાળા કરતાં આપણે કદાચ એકબીજાની વધુ નજીક છીએ. આ મુદ્દો ક્યારે સવિશેષ સમજાઈ રહ્યો? જ્યારે કોઈ સન્માન્ય વિદેશી તજ્જ્ઞ ભણી પ્રજાસત્તાક બંધારણના નિર્માણ તરફ જઈ શકતી પસંદગીમાં ગાંધીના સૂચન થકી ગુણાત્મક વળાંક આવ્યો અને નેહરુપટેલે એને માટે આંબેડકરને નિમંત્ર્યા.
પહેલાં અને પછી કોંગ્રેસ-પ્રતિષ્ઠાન તેમ જ આંબેડકર વચ્ચે વિવાદ, મતભેદ, અસમાન તો પણ સ્પર્ધા એ બધું બેશક ઇતિહાસવસ્તુ છે. પણ બંધારણ ઘડતરમાં અગ્ર કામગીરી થકી આંબેડકર એકંદર નાગરિક ઓળખ અને અધિકારના વ્યાખ્યાકારો પૈકી બની રહ્યા. બલકે, પૂર્વે એમનું પોતાનું તેમને એમને અંગેનાં આકલનો જે પણ હોય, હવે એક નવી ભૂમિકા બની આવી જે રામ મનોહર લોહિયાએ આંબેડકરના અસામયિક નિધનના થોડા સમય અગાઉ બોલી બતાવી હતી – આંબેડકર, હવે સમગ્ર દેશની રાજનીતિ વાસ્તે ક્યારે પહેલ કરો છો? આવો, સાથે મળીને સ્વરાજનિર્માણની એટલે કે લોકશાહી સમાજવાદ ભણીની રાજનીતિ કરીએ. પણ આ મુદ્દે પોતે અભિમત છતાં આંબેડકરનો શ્વાસનો હિસાબ ખૂટવા આવ્યો હતો એનાં ઓસાણ ત્યારે એમને ક્યાંથી હોય.
2015નું આ વરસ જેમ આંબેડકર એકસો પચીસીનું તેમ ગાંધીના ભારત – પુનરાગમની સદીનુંયે છે તે સૌ જાણીએ છીએ. કોચરબ આશ્રમની સ્થાપનાને પણ હવે તરતમાં સો વરસ પૂરાં થશે. આ આશ્રમને શરૂના મહિનાઓમાં જ (સપ્ટેમ્બરમાં જ) એક હરિજન પરિવારના સમાવેશનો પડકાર ઝીલવાનો આવ્યો હતો અને કેટલાક રૂઢિચુસ્ત આશ્રમિકોની નારાજગી વહોરીને (તેમ જ પોતાનું ભોજન જતું કરીને) ગાંધીએ તે બરાબર ઝીલ્યો હતો : 1915ના નવમા મહિનાની અગિયારમી તારીખે આ બન્યું હતું, એક અર્થમાં એ પણ એક ‘નાઈન/ઈલેવન’ હતું. ત્યાર પછી તરતનાં વરસોમાં વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી, ત્યારે પણ હરિજનપ્રવેશ નહીં એ શરતે મળતું દાન જતું કરવા બાબતે ગાંધી સાફ હતા. ઉલટ પક્ષે, તમે જુઓ કે અન્યથા આદરણીય મદનમોહન માલવિય બનારસ હિંદુ યુિનવર્સિટી માટે ગાયકવાડનું દાન સ્વીકારી શક્યા નહોતા, કેમ કે દલિત છાત્ર પ્રવેશ એ ગાયકવાડની ઓફરનું અભિન્ન અંગ હતું.
આંબેડકરનું એકસો પચીસમું વરસ આર્થિક-સામાજિક ન્યાયની શોધમાં સહિયારી નાગરિક મથામણનો પડકાર લઈને આવે છે. દેશમાં વિકલ્પની જે પણ રાજનીતિ ચાલી રહી છે એને મૂલવવા કસોટીના પથ્થરરૂપે તેમ દિશાવિવેક માટે દીવાદાંડી અને ધ્રુવતારકરૂપે હમણાં કહી તે સહિયારી મથામણ અને રાજકીય હિલચાલની જેમ જ સામાજિક સુધારચળવળનો એજન્ડા રાહ જુએ નથી, વિકલ્પની રાજનીતિના પતીજ નથી પડતી, વહેવારિયાઓને આ વાતે કેવી ને કેટલી હશે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 11 અૅપ્રિલ 2015