તારીખ પ્રમાણે, ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ વલસાડમાં જન્મેલા નારાયણ દેસાઈનું અવસાન ૧૫ માર્ચ, ૨૦૧૫ના રોજ સુરત નજીકના વેડછી ગામે સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલયમાં થયું. તો ઉંમર થઈ ૯૦ વર્ષની. એકદમ પાકી ઉંમર ! એ ઉંમરની કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ન તો અકાળ માની શકાય ન તો એના મૃત્યુથી શોક થવો જોઈએ. એ જાણ્યા પછી તો બિલકુલ નહીં કે તેઓ મસ્તિષ્ક-આઘાત પછી ૧૦ ડિસેમ્બરથી લગભગ ચેતનાશૂન્ય જ હતા. આધુનિક ચિકિત્સાની તાકાત એમને ત્યારથી અત્યાર સુધી ખેંચી રહી હતી. સુરતની એક હૉસ્પિટલમાં ફરીથી ચેતનવંત થવાના તેમના પ્રયત્નોને મદદ કરવાનો ઉપક્રમ થઈ રહ્યો હતો, છેલ્લે તેમને હૉસ્પિટલથી વેડછી ઘરે પાછા લાવવામાં આવ્યા કે તરત તેમણે પાછા જવાનો નિર્ણય લીધો. નાકમાં લગાવેલી શ્વાસ અને ભોજનની નળીઓ તેમણે જાતે જ કાઢી નાખી અને જીવનસંસારને અલવિદા કરી.
આ તો વ્યક્તિની વાત થઈ. પણ જીવન એમનું એવું હતું જેવું વિરલાઓનું હોય છે અને જ્યારે એવું લાગે કે ભગવાનના કારખાનામાં આવા માણસ બનવાનું બંધ ભલે ન થયું હોય, ઓછું તો થઈ ગયું છે, ત્યારે આ અવસાનનો અવસાદ મન પર ભારી લાગવા માંડે છે. ઇતિહાસમાં મોટા શૂરવીરો, વિદ્વાનો અને વિરાટ હસ્તિઓની ખોટ નથી. ખોટ છે તો પુલોની, સેતુઓની. પુલો જે દિલોને, મનોને, પ્રવાહોને અને એકાધિક વાર ઇતિહાસના કાલખંડોને જોડે છે. નારાયણ દેસાઈ એવા જ એક પુલ હતા અને એમનું નિધન એવા જ એક પુલના તૂટવા જેવું છે. સ્વતંત્રતા-આંદોલનની કેટલી ય હસ્તિઓ વિશે આપણું એટલું લખવું પર્યાપ્ત હોય છે કે તેમના નિધનથી ગાંધીયુગનો એક સ્તંભ નથી રહ્યો. નારાયણ દેસાઈ વિશે એવું કાંઈ લખવું એમના વિશે આપણા અજ્ઞાનનો પરિચય આપવા જેવું હશે.
હકીકત તો એ છે કે તેઓ એ વિરલાઓમાંના હતા જે મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને લોકનાયક જયપ્રકાશ નારાયણ જેવી વિરાટ અને મૌલિક પ્રતિભાઓ વચ્ચે સેતુબંધનું કામ કરતા હતા. ગાંધીના પુત્રવત્ અંગત સચિવ મહાદેવ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈ ગાંધીનો ‘બાબલો’ હતા અને એમના ખોળામાં જ રહ્યા-ભણ્યા-ઊછર્યા હતા. ગાંધીને ત્યાં ભણતરનો અર્થ ચોપડી કે સ્કૂલનું ભણતર નહિ પણ જીવનનું જીવન દ્વારા ભણતર એવો હતો. નારાયણ દેસાઈ પણ એવી જ રીતે ભણ્યા – કોઈ ઔપચારિક શિક્ષણ સંસ્થામાં ગયા વગર જ તેઓ શિક્ષકોના શિક્ષક બન્યા. ગુજરાતી, હિંદી, ઊડિયા, બાંગ્લા અને અંગ્રેજી એમની પોતાની ભાષાઓ હતી અને એ તમામમાં તેમનું વિપુલ લેખન પણ રહ્યું છે. ગુજરાતી સાહિત્યના અત્યંત સમ્માનિત સર્જકોમાં એમની ગણતરી થતી હતી અને ગુજરાતી સાહિત્યનાં કેટલાં ય માન-સન્માન એમના નામે થયેલાં છે. સાહિત્ય અકાદમી, મૂર્તિદેવી વગેરે સાહિત્યિક પુરસ્કારોથી લઈને વિશ્વશાંતિના સક્રિય સેનાની તરીકે પણ તેઓ પુરસ્કૃત-સમ્માનિત થયા.
ગાંધીની હત્યા થઈ ત્યાં સુધીમાં તેમણે એ જીવનદિશા શોધી લીધી હતી, જેની તલાશમાં આપણે જીવનભર ભટકતા જ રહીએ છીએ. એટલે ગાંધી પછી, ગાંધીની અહિંસક ક્રાંતિની પરિકલ્પના લઈને જ્યારે વિનોબા ભાવેએ ભૂદાન-આંદોલન શરૂ કર્યું, તો નારાયણ દેસાઈ તેમાં એટલી જ સહજતાથી સમાઈ ગયા જેટલી સહજતાથી સાગરમાં નદી સમાઈ જાય છે. પાછળથી પોતાનો સમાજવાદી વેશ ઉતારીને ક્રાંતિના શોધક જયપ્રકાશ નારાયણ પણ ત્યાં જ પહોંચ્યા. ભૂદાન-ગ્રામદાન-ગ્રામસ્તરનાં પગથિયાં ચડતાં જ્યારે સર્વોદય આંદોલન સંપૂર્ણ ક્રાંતિના મુકામ સુધી પહોંચ્યું, ત્યારે એક મોટો વિભ્રમ ફેલાયો. જયપ્રકાશ નારાયણે ત્યારે સમયની ગતિ ન સમજી શકવાના કારણે લથડી રહેલા આંદોલનને એ દિશા આપી જેને આંદોલનના જનક વિનોબા પણ સમજી ના શક્યા. એક જ વાત ઘણી કરુણ રીતે સામે આવી કે ક્રાંતિ પર કોઈનો કૉપીરાઇટ નથી હોતો. જયપ્રકાશ તે સમયે જે લોકોનો અવિચલિત સાથ મળ્યો, તેમાં નારાયણ દેસાઈ સૌથી આગળ હતા. સેતુનો એ સ્વભાવ પણ હોય છે અને ધર્મ પણ કે એ જ્યાં અભાવ કે શૂન્ય જુએ છે, ત્યાં જોડાણ ઊભું કરી દે છે. આવી રીતે આઝાદી મેળવવાના અને આઝાદીને અધિકાધિક અર્થપૂર્ણ બનાવવાના ત્રણ સૌથી મોટા અને પૂરેપૂરા મૌલિક પ્રયાસોને જોડવાનો અવસર નારાયણ દેસાઈને મળ્યો અને તેમણે દરેકને પૂરો ન્યાય આપ્યો. જયપ્રકાશનો સાથ મળ્યો તો નારાયણ દેસાઈ ઘણા ખીલ્યા. દુનિયામાં શાંતિવાદીઓમાં એમનું આગળ પડતું સ્થાન બન્યું અને એમણે યુદ્ધવિરોધી, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને માર્ગદર્શન પણ આપ્યું. જયપ્રકાશ નારાયણના દરેક રાજનીતિક-સામાજિક પ્રયાસની સાથે નારાયણ દેસાઈ સંકળાયેલા રહ્યા.
જયપ્રકાશ ગયા તો ગાંધી-ક્રાંતિની ધારા કંઈક હતપ્રભ પણ થઈ અને થોડી ભટકી પણ. એ સમયે જે થોડા લોકોએ આગળ આવીને તેને સંભાળવાનું અને તેને દિશા આપવાનું કામ કર્યું, તેમાં ઊડિશાના મનમોહન ચૌધરી, રાજસ્થાનના સિદ્ધરાજ ઢઢ્ઢા, મહારાષ્ટ્રના ઠાકુરદાસ બંગની સાથે નારાયણ દેસાઈ પણ હતા. સુરત નજીક વેડછી ગામમાં તેમણે સંપૂર્ણ ક્રાંતિની તાલીમ આપવાના હેતુથી એક વિદ્યાલયની સ્થાપના કરી – સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય! યુવાનોને અહિંસક ક્રાંતિથી પરિચિત કરાવવાની આ એમની યોજનાબદ્ધ કોશિશ હતી. પ્રકૃતિથી તેઓ શિક્ષક હતા, વૃત્તિથી શાંતિસૈનિક અને વિચારોથી ક્રાંતિકારી. પછીનાં કેટલાંક વર્ષોમાં દેશભરમાં એકઠાં થઈ રહેલાં પ્રતિક્રિયાવાદી બળોને જોઈને એનો અહિંસક સામનો કરવાના રસ્તા તેઓ શોધી રહ્યા હતા. આ ત્યારની વાત છે, જ્યારે નારાયણ દેસાઈના ગુજરાતને સાંપ્રદાયિક બળોએ પોતાની પ્રયોગશાળા બનાવવાનું નક્કી કર્યું હતું. તેઓ રામ જન્મભૂમિ વિવાદના સમયે પણ વિવેક માટે સાદ કરતા રહ્યા અને પછી અયોધ્યા પહોંચીને શાંતિપૂર્ણ ઉપવાસ-ધરણાના કાર્યક્રમમાં સામેલ થયા અને હિંસક હુમલા સહન કર્યા. પછી ૨૦૦૨માં ગુજરાતમાં નરસંહાર થયો. તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને લાગ્યું કે તેમના મુખ્યપ્રધાને રાજધર્મનું પાલન ન કર્યું, તો નારાયણ દેસાઈને લાગ્યું કે આપણાથી રાષ્ટ્રધર્મનું પાલન કરવામાં ચૂક થઈ. તો એનું પરિમાર્જન શું ? તેમને અંતરથી રસ્તો મળ્યો અને તેઓ ગાંધીકથા લઈને સમાજ આગળ ઉપસ્થિત થયા. એ કહેવા ખાતર તો ગાંધીની કથા હતી, પણ અસલમાં એક વ્યક્તિએ આદરેલું યુદ્ધ જ હતું.
ગાંધીને પણ ઇતિહાસના એક વળાંક પર વ્યક્તિગત સત્યાગ્રહનું હથિયાર સૂઝ્યું હતું. નારાયણ દેસાઈને ગાંધીની જીવનગાથામાં પણ એક હથિયાર દેખાયું અને તેઓ એ હથિયારને લઈને લોકોની વચ્ચે જવા લાગ્યા. કથાનો આ અભિક્રમ વિકસિત પણ થવા લાગ્યો અને આવશ્યક પણ બનતો ગયો. પછી તો પોતાની કથા લઈને તેઓ દેશભરમાં ગયા, દેશની બહાર પણ ગયા અને ભાષાઓની કેટલીય દીવાલો પણ પાર કરી એમણે. આ પહેલાં તેમણે પોતાના પિતા મહાદેવ દેસાઈની બૃહદ્દ જીવનકથા – અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ – અને પછી ચાર ખંડોમાં ફેલાયેલી ગાંધીની જીવનગાથા – મારું જીવન એ જ મારી વાણી – સમાજને આપી દીધી હતી. લેખો-વ્યાખ્યાનોનો અતૂટ ક્રમ તો ચાલતો જ રહ્યો હતો. કસ્તૂરબા અને જયપ્રકાશના જીવનનાં વિવિધ પાસાંને સમેટતી એક નાટિકા પણ આ દરમિયાન આવી. તેમને હૃદયની બીમારી હતી. તેમની ઑપનહાર્ટ સર્જરી થઈ ચૂકી હતી. તેઓ પેસમેકરના આધારે જીવતા હતા. પણ પોતાનો ચરખો ઉઠાવીને અને પોતાનો ચરખો ચલાવીને તેઓ કેટલીય વાર સમયની ગતિને પાછળ છોડતા રહ્યા.
પણ દરેક સ્પર્ધાનો અંત આવે જ છે. સમયની સાથેની એમની સ્પર્ધા એમણે અંતે સમાપ્ત કરી દીધી. સંપૂર્ણ ક્રાંતિ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને જાણે રેખાંકિત કરતાં સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયમાં તેમણે અંતિમ વિશ્રામ લીધો. વેડછી ગામને અડીને વહેતી વાલ્મીકિ નદીના કિનારે સજાવેલી ચિતાના સહારે તેઓ પોતાના ગાંધી-વિનોબા-જયપ્રકાશની પાસે પહોંચી ગયા.
હિંદીમાંથી અનુવાદ : આશિષ મહેતા
e.mail : k.prashantji@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2015; પૃ. 02-03