જોવા સાંભળવા મળવાનું તો મોડેથી થયું, પણ ઉમાશંકરે એમના છડા દિવસોમાં ‘સંસ્કૃિત’માં વેડછી મુલાકાતની ને ‘વહાલુડી વેડછી’માં બે તરુણ શિક્ષકો – નારાયણ અને મોહન-ની જિકર કરી હતી તે પ્રથમ પરિચય : વેડછીના આ શિક્ષકને એમના આયુષ્યના અંતિમ પર્વમાં કુલપતિ નારાયણ દેસાઈરૂપે મળવાનું નિરમાયું હશે, એની તો પેલા બાળકિશોર વાચકને ક્યાંથી ખબર હોય.
આ જે એમનું અંતિમ પર્વ એ જો વિદ્યાપીઠના કુલપતિની હેસિયતથી યુ.જી.સી. બંધનો વચ્ચે સ્વાયત્તતાના યથાસંભવ પુનઃઆવાહ્નપૂર્વ ૨૦૨૦નાં શતાબ્દી વર્ષની સાર્થક ઉજવણી ભણીની આરતભરી મથામણનું બની રહ્યું તો એ જ સમયગાળો પાછો ગાંધીકથાના માધ્યમથી ગુજરાતની ભાવભૂમિને, દૂઝતે જખમે નવસાધ્ય કરવાની, આરઝૂભરી, કહો કે લોકાયની, ચર્યાનોયે બની રહ્યો.
૨૦૦૨ના અંતરધક્કે મહેન્દ્ર મેઘાણી જો ગાંધીના નવાખલી-બિહાર-દિલ્હીએ અંતિમ દિવસોની આંસુલૂછ દાસ્તાં લોકમોઝાર લઈ આવ્યા તો નારાયણભાઈ તો આખીને આખી ગાંધીકથા કહેતે લોકાયનીરૂપે ઉભર્યા અને ૨૦૦૨ના મહાપાતક સંદર્ભે કથાનિમિત્ત તેમ પરિષદ પ્રમુખપદ હર વ્યાસપીઠ પરથી ભાવનાસિક્ત એટલી જ સમજસાફ ભૂમિકાથી ખૂલીને બોલ્યા. આ સંદર્ભમાં વિશિષ્ટ સંજોગોમાં સાહિત્ય પરિષદના પ્રમુખપદે એમને ઇચ્છવાની નિરીક્ષકની જાહેર પહેલ તેમ એમ.એસ.ડી. (સેક્યુલર લોકશાહી આંદોલન) સાથે પણ એમનું જે સંધાન રહ્યું તે સહજ સાંભરે છે. સરળભોળી માનવતા કે સર્વકાર્ય સમભાવમાત્રથી આગળ જતી આ સમજ કાંટેકોર બિનસાંપ્રદાયિકતાએ સંમાર્જિત હતી.
એક રીતે, એમનું આ સ્ટૅન્ડ બિહાર આંદોલનોની યાદ તાજી કરનારું હતું કે સર્વોદય સમજને જેઓ સુષ્ઠુ સુષ્ઠુ વાતોનો વિષય માને છે એમણે એક આહ્લાદક આઘાત સારુ તૈયાર રહેવાની આ ઘડી છે. સમજની રીતે ત્યારે ગાધીવિનોબા વચ્ચે કંઈ વહેંચાયેલા સૌની ચેતનાને જાણે કે જગાડતો, ગાંધી ભણી પુનઃ પુનઃ લઈ જતો એવો એક સમો જયપ્રકાશે એ દિવસોમાં દેશજનતા જોગ બાંધ્યો હતો.
ગાંધી-વિનોબા-જયપ્રકાશ ત્રણેનાં સ્નેહભાજન અને સાથી નારાયણ દેસાઈ માટે, કહેવું હોય તો કહી શકાય કે અભિનવ ગાંધીદીક્ષાનો અવસર હતો. જેમ પ્રેમ, તેમ ગાંધી પણ કમબખ્ત સતત નવસાધ્ય કરવો રહે છે. એક એવો જાલિમ છે એ જેને સંઘર્ષ અને રચનાના સાયુજ્ય વિના સોરવાતું નથી. નહીં કે નારાયણ દેસાઈને આની ખબર નહોતી. પણ હાડ મૂળે શિક્ષકનું : બે’ક વરસ પર વિદ્યાપીઠના નારાયણ દેસાઈ અને લોકસમિતિના ચુનીભાઈ વૈદ્ય બંને એકમંચ થયા, પદવીદાન સમારોહ નિમિત્તે, ત્યારે આંદોલન-પ્રબોધન કરતા ચુનીકાકાનાં દીક્ષાન્ત વચનો અને વિદ્યાપીઠે પ્રતિવર્ષે એકાદ આંદોલનમાં તો જોડાવું જ જોઈએ એવાં નારાયણભાઈનાં કુલપતિવચનો પેલા જાલિમ ખેંચાણની સાહેદી આપતાં હતાં. માત્ર, જયપ્રકાશોત્તર ગુજરાતને એનો પૂરા કદનો આંદોલનપુરુષ મળવાનું પ્રજાસૂય સમણું બાકી રહ્યું. જેની એક સંભાવના ગાંધી શતાબ્દી અને ૧૯૭૨ના વચગાળામાં ઇન્દુલાલ યાજ્ઞિક ને જયપ્રકાશ વચ્ચેની આપલેમાં રહેલી હતી, તેમાં પ્રબોધ ચોકસીનીયે ભૂમિકા હતી પણ ઇન્દુલાલ વહેલા ગયા અને જયપ્રકાશ રાષ્ટ્રીય ચિત્રમાં નવેસર ઊભર્યા ત્યારે પ્રબોધ ચોકસીની વિચાર રૂખ જુદી હતી એ હવે ઇતિહાસવસ્તુ છે.
જોવા મળવાનું થયું તે પૂર્વે, સહેજે સાઠ વરસ પર, એમનું પહેલું પુસ્તક વાંચવાનું બન્યું તે ભૂદાનયાત્રાની ડાયરીરૂપ હતું જેમાં ‘ગામ’ની સરળભોળી સમજમાં સેન્સસ બહાર રહી જતા કે સેન્સર થઈ જતા આખા ને આખા ‘વાસ’ની વાત હતી. આ જ ચર્ચા, પ્રકાશન્તરે, એમણે રણજિતરામ ચંદ્રક સ્વીકારતી વેળાએ પણ કરી હતી – ‘ફાવી ગયેલાઓ’ અને ‘રહી ગયેલાઓ’ની જિકર કરીને. ‘સબ ભૂમિ ગોપાલ કી’ના સૂત્ર માંહેલી માનવતા નર્યું ઊર્મિમાંદ્ય ન બની રહે એવી આ નિરીક્ષા હતી.
આકર ગાંધીચરિત્ર પછી આ લોકાયની બીજા કોઈ સ્થૂળ સંભારણાના મોહતાજ અલબત્ત નથી. સમય મળ્યો હોત અને આ ચરિત્રને એમનો ખુદનો લેખકીય જ નહીં સંપાદકી સંસ્પર્શ પણ એક વાર મળ્યો હોત તો સૌંદર્ય ઓર નિખર્યું હોત, સૌષ્ઠવે કરીને … અલબત્ત, આ તો એકબે કાળી ટીપકી, રૂપાળું છોકરું નજરાઈ ન જાય તે વાસ્તે.
પૂરી ઇનિંગ્ઝ રમીને ગયેલા ગરવા જણને કલ્યાણમૃત્યુ ટાંકણે વિદાયવંદના.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2015; પૃ. 01