મનમંજૂષામાં ૬૫-૬૭ વર્ષ પહેલાં બાળપણ અને નાનકડું ગામ ગલિયાણા અને પછી જસદણની સ્મૃિતઓ સચવાઈને પડી છે. ભાદર, ભાદર કાંઠે ધરોખડામાં, ઘેલો નદી અને તેની આજુબાજુએ પહાડો અને વનરાઈઓમાં અમારાં પગલાંની છાપ તો ભૂંસાઈ ગઈ હશે, પરંતુ હજુએ હૃદયમાં તો કોતરાઈને પડી છે. કેટલાંક કૂવાઓમાં તાગ લેવાં જતાં પથ્થરોએ છોલેલાં હાથપગમાંથી વહેલાં રુધિર પાણીમાં ભળ્યાં હશે અને ‘કોઈનું લોહી વહ્યું અહીંયાં ….’ જાણ્યા વગર તે કૂવાઓ પણ પૂરાઈ ગયા હશે.
એનાથી પણ પહેલાં અમરેલી શહેરથી ખૂબ દૂર નહીં તેવા સીમાડે, ભાણામામાના ખેતરમાં જતાં ગાડું ચલાવવાનું, ભેંશની સવારી કરવાની, રસ્તામાં આવતાં કોઈનાં ખેતરમાં ઘૂસી, મન ભરી માંડવી ઉખેડવાની અને ખાવાની, ખેતર પહોંચી શેરડીના સાંઠા કાપવાના અને નાનકડી ભારી બનાવી, માથે ઉપાડી ચિચોડે પહોંચાડવાની, અને જાણે મસમોટું કામ કર્યું હોય તેમ શેરડીનો રસ પીવાનો. દિવાળીમાસી ઊકળતી કડાઈમાંથી ગોળ કાઢી ઠારી આપે તેનો ટેસડો કરવાનો.
સૌથી વધુ અને અદ્દભુત આનંદ તો નિરભ્ર આકાશમાં ડૂબતો સૂરજ જોવા સ્થિર થઈ જવામાં આવતો. એ વયમાં પણ આકાશમાં રચાતી સંધ્યાની રંગલીલા જોવી ગમતી. હૃદયમાં શાંતિની અનુભૂતિ સમજાતી નહીં તોયે ખૂબ આનંદ આપતી. રાતે રામજી મંદિર કે શિવમંદિરમાં આરતી ટાણે ઢોલ કે ઝાલર – જે હાથમાં આવે તે વગાડવાનાં. આ સમજણ આવ્યાં પછીના જીવનનો પ્રથમ દાયકો.
પછી મુંબઈમાં છ દાયકાએ ઘણું આપ્યું. ઘણું ભુલાવ્યું. ગુમાવ્યું, પરંતુ મારામાં સતત જીવતું ગામડું સંઘર્ષ હોય કે વાવાઝોડું, આજ પણ અક્કબદ્ધ છે. હવે ગામડાંઓએ નવાં રૂપ ધારણ કર્યાં છે. ઘણું બદલાઈ ગયું છે, બદલાઈ રહ્યું છે. સમય સાથે જીવનપ્રવાહો ન બદલે તો જ નવાઈ. સ્થિર રહે તે જીવન ન રહે, તે જડ કહેવાય.
આવાં અનેક વિચારો વચ્ચે દિલીપભાઈ અને શોભના દેસાઈનું નિમંત્રણ સ્વીકાર્યું અને વાપી શહેરથી થોડાં દૂર આવેલાં તેમના નાનકડાં ગામ સોનવાડા પહોંચ્યાં. આમ તો પારડી અને તે પંથકમાં આવેલાં આ વિસ્તારો દેસાઈ લોકોથી ભરપૂર હતાં. હજુ પણ છે. ધીમે ધીમે નવી પેઢીના યુવાનો વધુ કમાણી અને સુવિધા ખાતર શહેરો તરફ સ્થળાંતર કરી ગયા. સોનવાડા ગામ પણ તેમાં અપવાદ નથી. દેસાઈ ઉપરાંત અનેક જાત,ધર્મના લોકોનો અહી વસવાટ છે, પરંતુ હજુએ અહીં ગામડું જીવે છે. મલકના માનવીઓમાં સરળતા અને વહાલ હજુ ય ધબકે છે. છૂટાછવાયાં માટીથી બનેલાં ખોરડાં, આવકાર આપતી ઓકળી પાડેલી ભીંતો અને માટી લીપેલા સ્વચ્છ ઓરડા અને ઓસરી. ચોખ્ખા ઘી નીતરતા જુવારના રોટલા અને ઉભરાતી તાંસળીમાં માખણ તરતી છાશ. માટીના ચૂલામાં બળતણ સંકોરતી ગૃહિણી ઊના રોટલા સાથે હેત પીરસતી આજે પણ જોવા મળે. શહેરોમાં રહી હોજરી સંકોચી બેઠેલાં અમે એ માણીએ તો પણ કેટલું ! મોટી તાવડીમાંથી ઊતરેલ ચાંદાનું અરધિયું તો શું, પાવલું ખાતાએ પેટ ફાટે.
સોનવાડાની સોનેરી સવાર તો જરૂર જોવી જ છેના નિર્ણય સાથે, દિલીપ-શોભનાનાં સુંદર નિવાસ સ્થાનમાં – જૂનાને વધારી નવું બનાવ્યું છે, આરામથી સૂઈ ગયાં. દિલીપ-શોભના એટલે ગામડું મનભર રાખી જીવતાં મુંબઈનાં માનવી. બન્ને વચ્ચે અને બધાં વચ્ચે તેમનો પ્રેમ સોનચંપાની જેમ મહેંકે છે.
ગાઢી ઊંઘમાંથી સવારે કૂકડાઓએ નહીં, મોરલાઓના ગહેકાટે જગાડ્યાં. ઓસરીમાંથી મોરલાઓ તો દેખાય પરંતુ સાથે આખું જંગલ અને ખેતરો આંખમાં પ્રવેશે. અંધારાને ધકેલતો સ્વચ્છ પવન અને શ્યામરંગી વાદળોની રમત, સ્વચ્છતાની વ્યાખ્યા સમજાવે જ નહીં, મનને પણ સ્વચ્છ કરી, આપણાં સમગ્રને સ્વચ્છમાં ઓગાળી દેતી ઘટના બને. આ પ્રસન્નતાના પર્યાય હોય જ નહીં, અને હોય તો પણ એ વિચારવા પણ મન ન કરે.
પદત્રાણ પગમાં વીંટીને નીકળી પડ્યાં. શુદ્ધ હવાનો કેફ, અમારાં જેવાં શરીરે વૃદ્ધમાં પણ ચેતનાનો પારાવાર પૂરે. ચાસ પાડેલાં ખેતરોની ધારે ધારે, આમ્રમંજરીઓ, બોરડીમાં બોર અને લુમ્બઝુંબ આમલીના કાતરાઓ નજરમાં આવે પણ પરોઢને ચીરતાં કોકરવર્ણ કિરણોને તળાવની ઊંચી પાળેથી જોવાની ઇચ્છા અમને રોકાવા દે તો ઊભાં રહીએ ને ! સરોવરની પાળ પર પહોંચ્યાં ત્યારે અમે અચંબાથી દિગ્મૂઢ, વાચારહિત અને વિસ્ફારિત નેત્રે ઘનગુલાબી રંગના કમળોનાં ઉપવનને જોઈ રહ્યાં. સૂરજ પણ આ દૃશ્ય જોવાં મંથર ગતિએ આવે છે અને ચાલે છે. સ્વર્ગ શું આથી સુંદર હોઈ શકે !
આજે હોલિકાદહનનો તહેવાર અને અમારાં મનમાંથી ગ્રંથિત ગાંઠોનો ઉકેલનો દિવસ. બીજો દિવસ સૌન્દર્ય રંગધામમાં પ્રવેશ. આ બન્ને દિવસ પળેપળ અમે ફૂલો સાથે, પશુપંખીઓ સાથે, હેતાળ માનવો સાથે સંગ કરતાં રહ્યાં. બાળક જેમ નિષ્કારણ ચહેકતાં રહ્યાં. મનગમતાં સ્નેહમેળે મહાલતાં રહ્યાં.
ભુવનમોહન સ્થળે સાથે ન આવી શકેલાં સ્નેહીઓને તક મળે ફરી લાવવાનો નિશ્ચય કર્યો, જેથી અમને પણ આ રંગરંગ ફુવારે ફરી ભીંજાવા મળે.
https://www.facebook.com/kanubhai.suchak/posts/10204945432929153