મનુભાઈ પંચોળીને સાહિત્યકાર-લેખક-કેળવણીકાર ચિંતક તેમ જ રાજનીતિજ્ઞ તરીકે તો લોકો ઓળખે છે, પરંતુ અહીં તેમની ઓળખાણ એક વૈજ્ઞાનિક અને ગોપ્રેમી તરીકે આપવાની છે. ઇ.સ. ૧૯૬૨થી ઇ.સ. ૧૯૯૭ સધીનાં ૩૫ વર્ષ લોકભારતી ગૌશાળાના મૅનેજર તરીકે સંસ્થાના મૅનેજિંગ ટ્રસ્ટી મનુભાઈ પંચોળી સાથે નિકટનો સહવાસ અને પરિચય રહ્યો. તેમાં ગાયોના પ્રશ્નો અંગે તેમનો પાસેથી મદદ, માર્ગદર્શન અને હૂંફ સતત મળતાં રહ્યાં. તેઓ સંસ્થાની મુલાકાતે આવનાર દેશી વિદેશી મહેમાનોને ગૌશાળાની મુલાકાત લેવાનું ખાસ સૂચવે અને અનુકૂળતા હોય તો મહેમાનોની સાથે પોતે પણ ગૌશાળામાં આવવાનું પસંદ કરે. મહેમાનોને હોંશે-હોંશે ગાયો અને વાછરું બતાવે અને ખેતી અને ગ્રામવિકાસમાં ગૌસંવર્ધન અને ગોપાલનનું મહત્ત્વ કેટલું છે; તે વિગતે સમજાવે. ગૌશાળાની ‘મેના’ નામની ગાયે એક દિવસમાં ૩૬ લિટર દૂધ આપી ગુજરાત રાજ્યમાં પ્રથમ અને ભારત કક્ષાએ બીજું ઇનામ મેળવેલું, તે ગાય બતાવીને મહેમાનોને કહે “ગોશાળા એ અમારી સંસ્થાનું સુંદર ઘરેણું છે.”
પશુઓમાં પ્રજનન માટે કૃત્રિમ બીજદાનની પદ્ધતિ અમલમાં આવતી ગઈ. તેનો શરૂઆતનાં વર્ષોમાં દર્શકે વિરોધ નોંધાવી કહ્યું હતું કે “આ કુદરતના નિયમની વિરુદ્ધ છે, અકુદરતી છે.” હું અને અમારા અધ્યાપક કૃષ્ણાલાલ શુક્લ આ પદ્ધતિની તરફેણ કરનારા હતા. આથી બે-ત્રણ વર્ષ સુધી મનુભાઈને આ પદ્ધતિના અનેક ફાયદા ચર્ચા-વિચારણા કરી અને સમજાવતા રહ્યા. આખરે તેઓ અમારી વાત સાથે સંમત થયા. એટલું જ નહીં, લોકભારતી સંસ્થાએ બે યુવાન કાર્યકરોને કૃત્રિમ બીજદાનની તાલીમ માટે સાબરમતી ગૌશાળાના બીડજ કેન્દ્ર પર મોકલ્યા, તેનાં સાધનો વસાવ્યાં અને સણોસરા તથા પાલીતાણા કેન્દ્ર પરથી આસપાસનાં ગામડાંમાં ગો-સુધારણા અને ગો-સેવાનું કામ મોટા પાયા પર ઉપાડ્યું. મણિભાઈ દેસાઈ સ્થાપિત અને સંચાલિત ભારતીય એગ્રો ઇન્ડસ્ટ્રિઝ ફાઉન્ડેશન (બાસ્ટ્રિફ) દ્વારા આખા દેશમાં કૃત્રિમ બીજદાનની પ્રવૃત્તિ ચાલતી હતી. તેમાં લોકભારતીના એકસોથી વધુ સ્નાતકોને દરેક વર્ષ સુધી નોકરી પણ મળતી રહી. તેમાં પણ મનુભાઈએ એમને સૂચવેલું કે મણિભાઈની સંસ્થાને ઉપયોગી પશુપ્રજનન અને કૃત્રિમ બીજદાનના જાણકાર વિદ્યાર્થીઓ તૈયાર કરવા. અમે તે મુજબના શિક્ષણ (નીડ બેઇઝ્ડ એજ્યુકેશન) પર વિશેષ ધ્યાન આપ્યું. પછીનાં વર્ષોમાં મનુભાઈ જ્યારે અમદાવાદ સંસ્થાગત કામે જાય, ત્યારે બીડજ ગૌશાળા તેમ જ મહેસાણા ડેરીના જગુદણ ફાર્મ પરથી ઉત્તમ વંશાવળીના આખલાના વીર્યના ડોઝ ખાસ પ્રકારનાં થરમૉસમાં લેતા આવે, જેમાં પ્રવાહી નાઇટ્રોજન વાયુનું તાપમાન -૧૯૬૦ સે. જેટલું ઠંડું હોય, જેથી વર્ષો સુધી વીર્ય સંગ્રહી શકાય.
વિદેશી ઓલાદ જર્સી કે હોલસ્ટેનના આખલાના વીર્યથી જે દેશી ગાયને શંકર વાછરડી જન્મે, તે ગાય બની વધારે દૂધ આપે છે, તે જાણી મનુભાઈએ ગોસંસ્કરણના કાર્યક્રમને પણ અનુમતિ આપેલી.
૧૯૭૦-૭૧ના વર્ષમાં રશિયાથી કેટલાક પશુનિષ્ણાત ડૉક્ટરો ગીર ઓલાદના આખલા (ખૂંટ) ખરીદવા લોકભારતીમાં ભારત સરકાર અને ગુજરાત સરકારની ભલામણથી ખાસ આવેલા. તેમણે જે આખલો પસંદ કરેલો, તે ઉત્તમ વંશાવલીવાળી ગાયનો અને ખૂબ જ રૂપાળો હતો. અમે સંસ્થાની ગાયો ફેળવવા રાખેલો, તે તેમણે પસંદ કરી ખૂબ ઊંચી કિંમત આપવા તૈયારી બતાવી. સામાન્ય બજારકિંમત રૂ. એક હજારને બદલે તેમણે રૂ. પંદર હજારે માગણી કરી. અમારા કાર્યકર સાથી તથા ગોવાળોને તે આખલો ખૂબ પસંદ હતો. મારી ઇચ્છા પણ તે વેચવાની ન હતી. રશિયન વૈજ્ઞાનિકોએ મનુભાઈને મળી, મોટી કિંમત ઑફર કરી, તેઓ ગમે તે હિસાબે એ આખલો ખરીદવા માગતા હતા. કિંમત સાંભળી મનુભાઈના કાન પણ ચમક્યા, પરંતુ મને પૂછતા મેં સ્પષ્ટ ના પાડી. તેથી મનુભાઈએ પણ ના પાડી. જો કે બાજુમાં બેઠેલા હિસાબનીશ મનુભાઈ દવેએ ‘દર્શક’ને કહ્યું કે, રૂ. ૧૫ હજાર જેવી માતબર રકમ મળતી હોય, તો ખૂંટ વેચી દેવો જોઈએ. સંસ્થાને પ્રતિષ્ઠા અને પૈસા બે ય મળે છે. ગોપ્રેમી દર્શકે લોકભાષામાં પ્રતિભાવ આપતા કહેલું કે ‘દીકરીનાં માગાં હોય, વહુનાં માગાં ન હોય.’ બધા ચૂપ થઈ ગયા. પોતાની લાગણી બાજુ પર મૂકીને કાર્યકરોની લાગણી અને માંગણીને દર્શક માન આપતા.
મનુભાઈ અવારનવાર અમોને કહેતા કે ગો-સુધારણાનું કામ સંસ્થાની ગૌશાળાની ચાર દીવાલો કે દોઢસો પશુ પૂરતું મર્યાદિત ન રહેવંુ જોઈએ, પરંતુ આસપાસનાં દસ-વીસ ગામડાંનું પશુધન સુધરે તે માટે આપણે પ્રયાસ કરવો જોઈએ, આથી અમે ગૌશાળામાં એક વધુ આખલો (ખૂંટ) આસપાસનાં ગામડાંના લોકોની ગાયો ફેળવવા માટે રાખતા. દર મહિને પંદર-વીસ લોકો પોતાની ગાયો લઈ સંસ્થામાં ફેળવવા આવતા. તેમને ગોપાલન અંગે નિદર્શન અને માર્ગદર્શન મળી રહેતું. આથી સંસ્થાની નજીકનાં આઠ-દસ ગામોની ગાયોની ઓલાદ અન્ય ગામોની ગાયોની ઓલાદ કરતાં ચઢિયાતી જોવા મળતી અને તેની બજારકિંમત પણ વધુ મથતી હતી. મનુભાઈના કહેવાથી સંસ્થાની ‘ભામિની’ નામની ગાય બ્રાઝિલના પશુપાલકોને વેચવામાં આવેલી ભારતના રાષ્ટ્રપતિ ઝાકિરહુસેન લોકભારતી આવ્યા, ત્યારે ગૌશાળાનાં જાનવરો અને તેની તંદુરસ્તી, દેખાવા અને ઉત્પાદન-શક્તિ જોઈ-જાણીને એક ગીર વાછરડીની માગણી સંસ્થા પાસે મૂકી. મનુભાઈએ માગણીનો સહર્ષ સ્વીકાર કરી ‘લીલાવતી’ નામની બે વર્ષની વાછરડી દિલ્હી મોકલી આપી. કવિશ્રી દુલા ભાયા કાગને પણ મનુભાઈએ બે ગીર વાછરડીઓ ભેટ મોકલેલી. આંબલા ગૌશાળાની ગાયોમાં ખરવા-મોવાનો રોગ આવેલ તેથી મનુભાઈ ખૂબ ચિંતિત હતા. તેમણે મને જરૂરી દવા લઈ તેમ જ વિદ્યાર્થીઓ-ગોવાળોને સારવાર કરવા મોકલેલા, તેઓ પોતે પણ સતત ગૌશાળામાં હાજર રહ્યાનું અહીં સ્મરણ થઈ આવે છે.
૧૯૭૮માં મોરારજીભાઈ વડાપ્રધાન હતા, તે વખતે સંસ્થામાં ખેડૂત-સંમેલન બોલાવેલું, તેમાં કાંઈક નક્કર કાર્યક્રમ આપવાની વિચારણા કરતા, મોરારજીભાઈના હસ્તે નજીકના પીપરડી ગ્રામપંચાયતમાં એક ઉત્તમ ધણખૂંટ ગામની ગાયોને ફેળવવા અને ગો-સુધારણા માટે આપવાનું નક્કી થયું. ખૂંટ, અર્પણ-વિધિ પછીથી તરત જ મને પ્રાસંગિક ઉદ્દબોધન કરવા મનુભાઈએ સૂચવેલું. કોઈ પણ તૈયારી વિના અને તે પણ મોરારજીભાઈ જેવા મોટા નેતાની હાજરીમાં કાંઈક કહેવાનો સંકોચ મનમાં થયો, છતાં મનુભાઈના હુકમને માથે ચડાવી ગ્રામવિકાસમાં અને ગોવિકાસમાં ખૂંટનું મહત્ત્વ સમજાવી મેં હળવાશથી કહ્યું, “સ્વરાજ્ય આવ્યા પછી ગામડાંનો વિકાસ કરવા માટે તાલુકાઓમાં તાલુકા વિકાસ – અધિકારી, જિલ્લાના વિકાસ માટે જિલ્લા વિકાસ-અધિકારીની નિમણૂક કરવામાં આવે છે, છતાં જોઈએ તેવો વિકાસ થયો નથી, પરંતુ જો ગામડે ગામડે ઉત્તમ ધણખૂંટની નિમણૂક કરવામાં આવે તો ગ્રામવિકાસ અને ગોવિકાસ કદાચ સારી રીતે થઈ શકત! આ સાંભળી ગંભીર મુખમુદ્રાવાળા મોરારજીભાઈ પણ હસી પડ્યા.” મોરારજીભાઈને હસાવવા બદલ મનુભાઈએ સભા પૂરી થયા બાદ મને ખાસ અભિનંદન આપેલા !
મનુભાઈનાં અનેક જાહેર પ્રવચનોમાં, વર્ગોમાં, વાતચીતમાં ગાયો અને ગોપાલનની વાતનો ઉલ્લેખ અને અનુબંધ થતો, એ બાબત સ્મૃિતપટ ઉપર સારીપેઠે અંકિત થઈ ગઈ છે.
પૂર્વ અધ્યાપક, લોકભારતી-સણોસરા
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2015, પૃ. 15 અને 19