આજકાલ ગુજરાતી કવિતાના રંગઢંગ જોવા જેવા છે. ‘કવિતા’, ‘કવિલોક’ અને હમણાં-હમણાં આપણા યુવા કવિમિત્ર અંકિત ત્રિવેદીના તંત્રીપણા હેઠળ ‘શબ્દાલય’ જેવાં ત્રણ-ત્રણ સ્વતંત્ર સામયિકો માત્ર કવિતા-સામગ્રી લઈને જ પ્રગટ થાય છે. કેવું લાગે છે આ બધામાંથી પસાર થતાં ? ગામડાની ગાય-બળદ પ્રધાન ખેતીનો જેને અનુભવ હશે તે જાણતા હશે કે બળદને ક્યારેક છેરણું થઈ જતું હોય છે. હાલતાં-ચાલતાં આડું-અવળું એનું છેરણું સતત ચાલુ જ રહે ! રસ્તો, રાહદારી અને ખેડૂત બધા એનાથી દુઃખી-દુઃખી થઈ જાય ! આજકાલ કવિતાની હાલત પણ કંઈક આવી છે. અમારા જેવા સુપર સિનિયર કવિતા-ચાહકો, જે-તે સામયિકનો નવો અંક વાંચીને ફોનટૉક કરે, ચર્ચા ચાલે કે આનું કારણ શું ? નિદાન એવું થાય કે ‘અનુભવ’ હોય, તો ઝાડો બંધાયને ? અંકિત જેવા ઉત્સાહી જુવાનિયાઓ નવાં-નવાં પાત્રો લઈને ફર્યા કરે, પણ કંઈક ‘આકાર’ હોય, તો કારી ફાવેને ? અરે, શેરડીના સાંઠાની જેમ જેના દરેક કટકે કાફિયા હોય એવી ગઝલ જેવી ગઝલ પણ આકારવિહીન ? એમાં ય (કદાચ શ્રી-શ્રી-શ્રી ની અસરથી) આપણી કવયિત્રીઓ તો ગુરુમહિમાની ગઝલો પણ ગાવા લાગી છે !
‘કવિતા’નો ૨૮૩મો અંક ‘દીપોત્સવી-પર્વની દીપમાળા’ લઈને આવ્યો છે. અગાઉ જેને કવિતાનો ‘શયદા ઍવૉર્ડ’ મળી ચૂક્યો છે, તે મુંબઈના ચર્મરોગ-નિષ્ણાત ડૉ. હેમેન શાહને ૨૦૧૩નો કવિશ્રી હરીન્દ્ર દવે ઍવૉર્ડ મળે છે. ડૉ. હેમેનને ધન્યવાદ અને હા, ‘ગુજરાતી કવિતામાં વૈદ્યો અને ડૉક્ટરોનો ફાળો’ આવો વિષય પીએચ.ડી. માટે વિચારી શકાય.
આ વખતે માત્ર કવયિત્રીઓની રચનાઓથી જ દિવાળી અંક બન્યો છે. ‘લેખાં-જોખાં’ સાથે ‘હું’ ને માફકસર (લક્ષ્મી ડોબરિયા) કંડારવામાં આ કવયિત્રીઓ પ્રમાણમાં સભાન જણાય છે, પરંતુ અંકની આગળ-પાછળનું કવિતા સંદર્ભેનું ગદ્ય ચિંતાનો વિષય લાગે છે. ‘કવિતા લખે તે કવિ, એમાં સ્ત્રીપુરુષના ભેદ ન હોય.’ આવું કહ્યા પછી તુરત ‘પુરુષ કવિની કવિતા અને સ્ત્રી-કવિની કવિતા માણવા માટે જુદી માનસિકતા અને જુદી સંવેદના હોવી જરૂરી છે. – કવિતાને અપેક્ષિત ઋજુતા, કોમળતા, મુલાયમતા અને મખમલી અનુભૂતિઓ સ્ત્રી કવિ પાસેથી જ મળી શકે અથવા સહજતાથી કે સારી રીતે આવી શકે !’ (રમેશ પુરોહિત) વગેરે વિધાનોમાં ‘કવિતા’, ‘સમજ’ કે ‘ગદ્ય’ કંઈ સચવાતાં લાગતાં નથી. ‘સૌંદર્યની પાર રસળતું સૌંદર્ય’ એટલે શું ? આ જાતના ‘કવિતાઈ ગદ્ય’ પાછળ તર્કસંગત કોઈ વિચારશ્રેણી હોતી નથી, તેમ જ અહીં વિશેષ દુઃખદ તો એ છે કે હજુ આજે પણ આપણે કવયિત્રીઓને ‘મુગ્ધ’ માનીએ છીએ !
ખેર, અમારી પેઢીને તો નિરંજન ભગત જેને ‘ગુજરાતીમાં ગ્રીક’ કહે છે તે બ.ક.ઠા. યાદ આવી જાય ! તેમણે સુન્દરમ્ની ‘વત્સલનાં નયનો’ને ગુજરાતી ભાષાની સૌથી સુંદર, નાજુક, ઋજુ કોમળ રચના ગણાવેલ છે. ‘આપણી કવિતા સમૃદ્ધિ’ના ઉત્તરાર્ધમાં આ આપણી કવિતા‘સમૃદ્ધિ છે, કવિ સમૃદ્ધિ નથી. એમાં કોઈ કવિને પ્રસન્ન કરવાનો કે કોઈ કવિને અપ્રસન્ન કરવાનો ઇરાદો હોઈ ન શકે.’ (ચંદ્રકાન્ત ટોપીવાળા) ‘કવિતા’ના આ અંકમાં કવયિત્રીઓને પ્રસન્ન કરવાનો ઇરાદો જણાય છે.
સંદીપ ભાટિયાએ તૈયાર કરેલું ‘કવિતા’નું મુખપૃષ્ઠ અને સુપ્રસિદ્ધ ચિત્રકાર રવિ વર્મા ઉપર કેતન મહેતાએ તૈયાર કરેલ ફિલ્મ ‘રંગ રસિયા’ જોતાં એમ લાગે છે કે ‘કવિલોક’ અને ‘શબ્દાલય’માં રહેતી ‘કવિતા’એ ઘર બદલ્યું છે કે શું ? સંદીપે રાધાકૃષ્ણની ઝૂલતી ધાતુમૂર્તિના બંને છેડામાં ‘મને રાણી તરીકે માન આપતો વર હું પસંદ કરતી નથી, જે મને ‘સ્ત્રી’ તરીકે ચાહતો ન હોય’ એવું ભર્યું-ભર્યું વાક્ય મૂકીને કવિતા રચી છે.
– પોરબંદર
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2014, પૃ. 15