અમદાવાદ શહેરમાં આજે જે રિલીફ રોડ કહેવાય છે, ત્યાં “મોહનલાલ હેમચંદ ઝવેરી – મ્યુિનસિપલ પ્રાથમિક શાળા” આવેલી છે. હું તેમાં ભણેલો. આ વાત ચોથા ધોરણના વર્ગમાં હતો ત્યારની છે.
એ વર્ગ શાળાના હેડમાસ્તર લેતા હતા. ગૌર વર્ણના, ઉજળા સરખા, ગોળમટોળ, સફેદ ઝભ્ભો અને ધોતિયું પહેરેલા એ ‘સાહેબ’ મને હજુ નજરે તરવરે છે. તેઓ ભણાવતા સરસ અને ભાગ્યે જ ગુસ્સો કરતા. સોટી તો નહોતા જ રાખતા; આંગળીઓ પર ફૂટપટ્ટી પણ ન મારતા.
તે દિવસે પણ એવું જ કરેલું એમણે. તેમણે દાખલા ગણવા આપેલા અને અમે વિદ્યાર્થીઓ પોતપોતાની સ્લેટમાં મોઢું નાખીને ગણવામાં પડ્યા હતા. તેમાં બે છોકરા વચ્ચે કશીક ચણભણ થઈ અને તે સાહેબના કાને પડી. તેમણે ઘાંટો પડ્યા વગર દ્રઢ અવાજે પૂછ્યું : “શું છે? કેમ અવાજ કરો છો? દાખલા ગણવામાં ધ્યાન આપો જોઈએ!”
એકાદ મિનિટની શાંતિ પછી એ જ છોકરાઓના અવાજ ફરી મોટા થયા. સાહેબે હવે નામ દઈને પૂછ્યું: “કેમ ભીખુ, શાની કચકચ ચાલે છે?”
ભીખુ નીચું જોઈ ગયો. એની પાસે બેઠેલો રમેશ બોલી ઊઠ્યો: “સાહેબ, આ કનુએ ભીખુને કોણી મારી’તી”. સાહેબે કનુને પૂછ્યું, “આ રમેશ સાચું કહે છે?” કનુ મૂંગો રહ્યો.
સાહેબે કનુને પોતાના ટેબલ પાસે બોલાવ્યો. “તેં ભીખુને કોણી મારેલી ને?” કનુએ રીસભર્યા સાદે કહ્યું, “સાહેબ, એણે મને ગાળ દીધી!”
સાહેબ હજુ તો “એમ?” એટલું બોલે ત્યાં કનુએ સાહેબના કાનમાં જ કહી દીધું કે ભીખુએ કઈ ગાળ દીધેલી.
સાહેબ કહે, “એણે દીધી તો દીધી; પણ તેં લીધી શું કામ? અને અહીં આવીને પછી તે મને દીધી ! જા; બેસી જા. દાખલામાં ધ્યાન આપો, જોઉં ..” અને ભીખુને પણ કહ્યું: “ભીખુ, આવી ગાળ તારા મોઢામાં આવે એટલે પહેલું તો તારું મોઢું ગંધાતું થયું ને? ચાલ, તું પણ દાખલામાં ધ્યાન આપ તો !”
આ બધો વખત સાહેબ નારાજ હતા પણ ગુસ્સે ન હતા તે મને બરાબર યાદ રહી ગયું છે. એ અમારા હેડમાસ્તરનું નામ યાદ નથી રહ્યું; પણ એમની ધીરજ અને એમણે સમજાવેલી વાત તો કાયમ યાદ રહી ગઈ છે.
ગાળ વિશેની તેમની શિખામણ કે તેમની ધીરજ, બંને શીખવા યોગ્ય હતાં – જે હું કંઈક અંશે શીખવા મથતો પણ રહ્યો છું – તેમ છતાં તે ઉપરાંતનું પણ હું તે દિવસથી શીખી ગયો હોઈશ તેમ મને મોટો થયા પછી સમજાયું છે. આજે તેની જ વાત કરવી છે.
અમારા ઘરમાં “સાલો / સાલી” પણ ન બોલાય એવી ગાળ ગણાતી. અમે રિસાઈએ ત્યારે બહુ બહુ તો “ગધેડા” “ચાંપલા” જેવી ગાળ દેતા. ગાળની સાથે તે દેવા માટેનો જે અવાજ, જે લહેકો, જે કાકુ આપણે કાને પડતા હોય છે તેનું મહત્ત્વ મને લગભગ તે જ કાળે, એટલે કે દસ વર્ષની ઉંમરે જ ધ્યાનમાં બેસી ગયું હતું. નિશાળે જતાં આવતાં રસ્તાની કોરાણે આવેલી દુકાનો પરનાં પાટિયાં ઉપર શેઠ દલીચંદ કે શેઠ શંકરલાલ લખ્યું હોય તે વાંચીને મને થતું કે કોઈને ગાળ દેતા હોઈએ એવા અવાજે, “જા જા હવે, દલીચંદ!” કહીએ તો કેવું? એકાદ વાર આવો પ્રયોગ કરેલો ત્યારે સામેનો છોકરો એકાદ ક્ષણ ગૂંચવાઈ ગયેલો; પણ પોતાને કશીક મોટી ગાળ દેવાઈ છે એમ માની લઈને એવો મારવા દોડેલો કે મને ભાગવું ભારે પડી ગયેલું. શબ્દની – એટલે કે અવાજની સુધ્ધા – શક્તિનો આ ત્રીજો પાઠ મને મળેલો.
એ પછી તો “ગાળ” ગણાતા શબ્દો ઉચ્ચારવાની જરૂર જ ના રહી. મને યાદ છે, કોલેજ કાળમાં એક છોકરાને બધા જ પ્રકારની અને બધી કક્ષાની ગાળો આવડતી અને તે સહેજ બોલાચાલી થાય તો ય હંમેશાં મોટી મોટી જ દેતો. એક દિવસ હું એના વાંકમાં આવી ગયો હોઈશ તે એણે મને એક મોટી ગાળ દીધી.
અમારા હેડમાસ્તરે શીખવ્યા મુજબ મેં તે “લીધી” તો નહીં જ પણ સામે કશી દીધી પણ નહીં. માત્ર એની સામે તાકીને એટલું જ કહ્યું કે, “તું એમ ના સમજતો કે ગાળો બધી તને જ આવડે છે; મને આવડે છે તેમાંની એકાદ પણ તને ચોપડાવીશ ને, તો તારા કાનના કીડા ખરી પડતાં વાર નહીં લાગે!!” એ મારી સામે જોઈ રહ્યો. કદાચ પોતાને આવડતી હોય તેમાંની કે તે સિવાયની કઈ ગાળ મારા મનમાં હશે તે વિચારમાં પડ્યો હોઈ શકે. એણે શું વિચાર્યું હશે તે તો કેમ જાણવા મળે; પણ એ એવું જ કંઈક વિચારે અને એ રીતે એક કે વધારે ગાળ લેતો થાય એટલો જ મારો ઈરાદો હતો. અને હા, મારું મોઢું ગંધાતું ન થાય એ તો મારે ધ્યાન રાખવાનું હતું જ ને?
મજૂર વિસ્તારમાં ઉછરેલો હોઈને હું “અપશબ્દ”ની તાકાતથી પરિચિત તો હતો; પરંતુ એના સૂક્ષ્મ અને દૂરગામી આંદોલનો અને ઠંડી શક્તિથી વાકેફ થવા લાગ્યો તેમાં મારા સાહેબે અજાણતાં જ જે ભાગ ભજવ્યો તે માટે હું તેમનો સદાયનો ઋણી છું.
સૌજન્ય : https://bhabhai.wordpress.com/2014/11/25/એમણે-મને-શીખવ્યું-કે-૩/