ભારતવર્ષમાં ખમણ-ઢોકળાં બનાવવાથી માંડીને જિંદગી જીવવા સુધીના વિષયો અંગે કોર્સ-ક્લાસ-ટ્યૂશન ચાલે છે. પણ આવડા મોટા ભારતને ચલાવવાની જવાબદારી જેમના માથે છે, એવા નેતા શી રીતે થવું, એ માટેના ખાનગી કે જાહેર વર્ગો ચાલતા નથી. પદ્ધતિસરની આઇ.આઇ.પી.એમ.- ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પોલિટિકલ મેનેજમેન્ટ- જેવી કોલેજ તો બહુ દૂરની વાત છે.
આઇ.આઇ.એમ. જેવી અને તેનાં જેવાં ભળતાંસળતાં નામ ધરાવતી બિઝનેસ નિશાળો કોઇના લાખના બાર હજાર કરીને પોતાના બાર હજારના લાખ કેમ કરવા એ શીખવે છે, પણ બે-પાંચ હજાર કરોડનું બજેટ ધરાવતી ચૂંટણી અને રાજકારણના ‘બિઝનેસ’ વિશે તેમને વિચારવાનું સૂઝતું નથી. નેતાઓ એવી સંસ્થાઓમાં જઇને સૂફિયાણાં લેક્ચર ફાડીને, કેટલાંક મોટી ઊંમરનાં બાળકોને સ્ટાઇલથી અહોભાવીત કરીને પરત થઇ જાય છે. બિઝનેસ સ્કૂલમાં લેક્ચર આપવા જનારા અતિથિઓ મોટે ભાગે બિઝનેસ સ્કૂલમાં ભણેલા હોતા નથી.
નેતાઓ વધારે શાણા છે. તેમણે એકડિયા-બગડિયાથી અનુસ્નાતક કક્ષા સુધીના શિક્ષણને ધંધો બનાવીને તેમાં પોતાની-પોતાનાં લાગતાંવળગતાંની દુકાનો જમાવી દીધી છે. પણ રાજકારણના શિક્ષણની ડોકાબારી સુદ્ધાં ખોલી નથી. સામે ચાલીને પોતાના હરીફો ઊભા કરવાનો- પોતાના પગ પર કુહાડો મારવાનો ધંધો કાબા નેતાઓ કરે?
દલીલ કરનારા કહેશે કે નેતાગીરી સ્કૂલમાં શીખવી શકાતી નથી. એમ તો સામાજિક નિસબત કે સમાજસેવા પણ સ્કૂલમાં શીખવી ન શકાય. છતાં એમ.એસ.ડબલ્યુ.- માસ્ટર ઓફ સોશ્યલ વર્ક-ના કોર્સ ધમધમતા નથી?
એ પણ સમજી લેવું જોઇએ કે પોલિટિકલ સાયન્સ ભણેલા અઘ્યાપકો દ્વારા નેતાગીરીની સ્કૂલ ચાલુ થાય એનો કશો મતલબ નથી. (એમાં શાહબુદ્દીન રાઠોડના ‘શિક્ષકોના બહારવટા’ જેવો ખેલ થાય.) રાજકારણ ભણાવનારાને પ્રેક્ટિકલ રાજકારણ આવડતું હોત તો એ પોતે જ એમાં ન જોડાયા હોત? પ્રોફેસરી કરતાં એ ધંધો અનેક ગણો કસદાર છે- અને તેમાં વાઇસ ચાન્સેલર બનવા માટે સત્તાધીશોનાં ચરણ ચાંપવાં ને મૂછો મરડવી પડતી નથી. ઊલટું નેતા બન્યા પછી વા.ચા.ના પદ માટે લાળ ટપકાવતા મુરતિયાઓ આસપાસ બણબણતા થઇ જાય છે.
પ્રેક્ટિકલ જ્ઞાન ન હોય એવા શિક્ષકોએ પત્રકારત્વની નિશાળોમાં ઘણો દાટ વાળ્યો છે. એ જ દૂષણ નેતાગીરીની સ્કૂલમાં દાખલ થાય તો, અત્યારે પત્રકારત્વના અભ્યાસક્રમના જે હાલહવાલ થયા છે, એવી જ સ્થિતિ નેતાગીરીની સ્કૂલની થશે. એટલે નેતાગીરીની સૂચિત કોલેજમાં કે તેના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં શિક્ષક તરીકે જિલ્લા કે તેથી ઉપરની કક્ષાની ઓછામાં ઓછી એક ચૂંટણી જીતેલી વ્યક્તિની જ પસંદગી થવી જોઇએ. ભૂતપૂર્વ વિધાનસભ્ય-સાંસદો મળે તે આવકાર્ય છે. (આમ પણ ઘણાખરા ભૂતપૂર્વો માટે સમય પસાર કરવાનો પ્રશ્ન ગંભીર હોય છે.) ભૂતપૂર્વ મંત્રીઓ મળી આવે તો ઉત્તમ. ‘ચાલુ મંત્રી’ જેવો શબ્દપ્રયોગ વાપરતાં ખચકાટ થાય છે- એ વિશેષણને વાચકો તેના સાચા અર્થમાં લઇ લે તો!
નેતાગીરીની સ્કૂલનો આશય વિદ્યાર્થીઓની ક્ષમતા પારખીને સરપંચથી સાંસદ સુધીની કક્ષાના સર્ટિફિકેટધારી નેતાઓ તૈયાર કરવાનો હોવો જોઇએ. કોર્સમાં પ્રવેશ લીધા પછી જે વિદ્યાર્થીઓનું વલણ નેતાગીરીના દાવપેચ કરતાં કુસ્તીના દાવપેચ તરફનું વધારે લાગે તેમને અધવચ્ચેથી નેતાગીરીને બદલે નેતાગીરીના ‘સપોર્ટંિગ સ્ટડીઝ’ – એટલે કે ગુંડાગીરી, માફિયાગીરી ઇત્યાદિ-ના અભ્યાસક્રમમાં પ્રવેશ આપી શકાય. આમ કરવાથી વિદ્યાર્થીનું વર્ષ બગડતું અટકશે અને તેની પ્રતિભાને યોગ્ય દિશામાં ખીલવાની તક મળશે.
નેતાગીરીના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તકો પરથી પ્રશ્નો તૈયાર કરવાને બદલે સવાલો ઉભા કરીને તેના જવાબો શીખવવાની પ્રથા પાડી શકાય. તેની પરીક્ષામાં પૂછાઇ શકે એવા-
મુખ્યત્વે ચૂંટણીલક્ષી સવાલોના કેટલાક નમૂનાઃ
એક નેતા અમુક લોકોના હાથ કાપી નાખવાની ધમકી આપે ને બીજા નેતા પહેલા નેતાને રોલર નીચે કચડી નાખવાની ધમકી આપે તો ૧) તમે પહેલા નેતાના પક્ષમાં હો તો ચૂંટણીપંચમાં કેવી રીતે રજૂઆત કરશો? ૨) તમે બીજા નેતાના પક્ષમાં હોત કેવી ફરિયાદ કરશો? ૩) તમે ત્રીજા કે ચોથા કે ત્યાર પછીના મોરચામાં હો તો કેવું નિવેદન આપશો?
સ્વિસ બેન્કમાં પડેલાં ભારતીયોનાં નાણાં ભારતમાં પાછા લાવવા માટે સ્વિસ બેન્કના ડાયરેક્ટર પર અરજી લખો. અરજી ગુજરાતીમાં પણ ચાલશે. કેમ કે, તેનો અસલી આશય સ્વિસ બેન્કના ડાયરેક્ટરને નહીં, આપણા મતદારોને પ્રભાવિત કરવાનો રહેશે.
૨૦૦ માણસોને રૂપિયા વહેંચવામાં ૧ નેતાને ૨ કલાક લાગે, તો એ જ કામ કરતાં ૪ કાર્યકરોને કેટલો સમય લાગે? (જવાબ ‘૩૦ મિનીટ’ નથી. કારણ કે કાર્યકરો ખરેખર ૨૦૦ માણસોને રૂપિયા વહેંચવા થોડા જવાના છે!)
ગંભીર ત્રાસવાદી હુમલો થાય ત્યારે ૧) તમે સત્તાધારી પક્ષમાં હો તો, પહેલી વાર ટીવી પર નિવેદન આપતી વખતે કયા રંગનો સૂટ પહેરશો અને રાત્રે ટીવી સ્ટુડિયોમાં યોજાયેલી ચર્ચામાં ભાગ લેતી વખતે કયા રંગનો? ૨) તમે વિપક્ષમાં હો તો ત્રાસવાદી હુમલા બાબતે બૂમરાણ મચાવશો કે બદલાતા સૂટ સામે?
ચૂંટણીનાં પરિણામો પછી તમારે કોંગ્રેસી મોરચાને ટેકો આપવાનું થાય તો તમે કયાં કારણો રજૂ કરશો? ભાજપી મોરચાની સરકારમાં ભળવાનું થાય તો કયા સિદ્ધાંતો રજૂ કશો? અને તૃતિયમ મોરચાની સરકાર બને તો લોકશાહીને બચાવવાની કઇ મજબૂરી આગળ ધરશો?
ધારો કે તમે ‘ક’ પક્ષના વિધાનસભ્ય છો. ‘ખ’ પક્ષ તમને વિધાનસભાની સલામત બેઠક પર ચૂંટણી લડાવીને, તેમની સરકાર બને તો તમને મંત્રી બનાવવાનું વચન આપે છે. ‘ગ’ પક્ષ (મોટા ભાગનો ખર્ચ તમે જાતે ઉપાડી લો એ શરતે) તમને લોકસભામાં ટિકિટ આપવા રાજી છે. ‘ક’ પક્ષ તમને ફરી ટિકિટ આપશે કે નહીં એ નક્કી નથી. તો તમે શું કરશો?
ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના યુગમાં બૂથ કેપ્ચરિંગના પ્રવાહો અને તેની સામે ઊભા થયેલા પડકાર વિશે સવિસ્તર નિબંધ લખો. તેમાં બૂથ કેપ્ચરિંગની નવી પદ્ધતિઓ તરફ અંગૂલિનિર્દેશ કરવામાં આવે- વાંધો ન હોય તો તેનું વિગતે વર્ણન કરવામાં આવે (એ પદ્ધતિઓ પર કોપીરાઇટ લખનારનો રહેશે એની ખાતરી આપીએ છીએ)
એક પક્ષના ઉમેદવારોમાં ૫ ખૂની, ૩ બળાત્કારી, ૮ ગેરકાયદે હથિયાર રાખનારા અને ૨૭ નાના-મોટા ગુનામાં સંડોવાયેલા છે. બીજા પક્ષની ઉમેદવારયાદીમાં ૬ ગેંગસ્ટર, ૪ ખંડણીખોર, ૨ સામુહિક હત્યાકાંડના આરોપીઓ અને ૨૫ નાના-મોટા ગુનામાં સંડોવાયેલા છે. બરાબર હિસાબ ગણીને, સમજીવિચારીને જવાબ આપો ઃ ભારતની લોકશાહીનું ભવિષ્ય કોના હાથમાં સુરક્ષિત છે?