કારણકે આ યુક્તિ સરકારની નિષ્ફળતાઓને વિચલિત કરે છે, સાથે કોંગ્રેસ પક્ષનાં અધ્યક્ષ રાહુલ ગાંધી આખરે તો નહેરુ રાજવંશનાં જ વ્યક્તિ છે.
અહીં એક સીધો સવાલ એ થાય છે કે જો રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ ના બન્યા હોત, તો શું આપણા વડાપ્રધાન તાજેતરમાં લોકસભામાં એ વાત કહી શક્યા હોત કે આઝાદી બાદ વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ કરતાં સરદાર વલ્લભભાઈ પટેલ યોગ્ય સાબિત થઈ શક્યા હોત? નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી દરમિયાન નહેરુ વિરુદ્ધ પટેલની યુક્તિનો પ્રચાર કર્યો હતો. હવે ચાર વર્ષ બાદ તેઓ ફરી કેમ આ મુદ્દો ચગાવી રહ્યા છે? કારણ કે પોતાની સરકારની નિષ્ફળતાઓના મુદ્દા પરત્વે મતદાતાઓને વિચલિત કરવાની આ યુક્તિનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ શકે તેમ છે. આ સરકારે દેશના યુવાઓ અને ખેડૂતોને ‘અચ્છે દિન’ની જે ખાતરી આપી હતી તે હજુ સુધી પ્રત્યક્ષત શક્ય બની શકી નથી અને મુસ્લિમો તેમ જ અન્ય લઘુમતીઓ માટે (દલિતો માટે તો ખાસ) ‘ખરાબ સમય’ પ્રત્યક્ષત શક્ય બની શક્યો છે.
ભારતમાં સામાન્ય ચૂંટણી માટે હવે માત્ર એક વર્ષનો સમયગાળો બચ્યો છે. હવે કયા આધાર પર દેશના વડાપ્રધાન ફરી એક વખત ચૂંટણી જીતી શકશે? દેશ ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે તે પ્રકારની ટિપ્પણીથી તેઓ સહેલાઇથી છટકી રહ્યા છે. અને આ જોતાં એવું લાગી રહ્યું છે કે વડાપ્રધાન એ વાત જાણે છે કે નોટબંધી એ એક ભૂલ હતી અને GSTની યોજનાને પણ કાળજીપૂર્વક અમલમાં મૂકવામાં આવી નથી. દેશનું અર્થતંત્ર પણ સરકારનાં બેવકૂફીભર્યા વર્તનનાં શ્રેષ્ઠતમ સ્તરે બિરાજે છે. સાથે દેશનો સમાજ પણ ચાર વર્ષ પૂર્વે જે હતો તેનાં કરતાં પણ ભારે સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યો છે. વડાપ્રધાનની નજર હેઠળ ભારતના ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધો પણ વધુ પ્રમાણમાં વણસી ચૂક્યા છે. જ્યારે આપણા દેશના આંતરિક વ્યથિત વિસ્તાર જેવા કે કાશ્મીર અને નાગાલેંડ પણ વર્ષ ૨૦૧૪માં હતા તેનાં કરતા પણ વધારે વિક્ષુબ્ધ થઈ ગયા છે.
હાલની સ્થિતિમાં લોકસભામાં બી.જે.પી. પાસે બહુમતી મર્યાદિત છે. વર્ષ ૨૦૧૪ના મે મહિનામાં બી.જે.પી.એ પોતાની જીતનો ઉમળકો વ્યક્ત કર્યો હતો અને તે સમયે તેઓના વ્યૂહરચનાકાર વિશ્વાસપૂર્વક એવું કહી રહ્યા હતા કે વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં અમારી પાર્ટી વર્તમાન કરતાં પણ વધારે બેઠકો જીતી લાવશે. અને હવે જ્યારે વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે તેમને એ વાતની પ્રતીતિ થઈ રહી છે કે હવે બી.જે.પી. તેમની હાલની બેઠકો પણ બચાવી શકે તો બહુ છે. વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને ઝારખંડની સંપૂર્ણ અથવા લગભગ તમામ બેઠકો જીતવામાં સફળ રહી હતી અને જ્યાં તેઓનું ગઠબંધન હતું તેવા રાજ્યો જેવા કે બિહાર અને મહારાષ્ટ્રમાં પણ બી.જે.પી.એ બહુમતી પ્રાપ્ત કરી હતી. અહીં એક વાત દેખીતી જણાઈ આવે છે કે આ તમામ રાજ્યોમાં બી.જે.પી.નો જીતનો ગ્રાફ ધીરે-ધીરે નીચે ઉતરી રહ્યો છે અને આ વાસ્તવિકતા બી.જે.પી. પણ જાણે છે. ઉત્તરપ્રદેશ કે જ્યાં તેઓને વર્ષ ૨૦૧૪માં ૭૧ બેઠકો મળી હતી ત્યાં તેઓ આગામી ચૂંટણીમાં બેઠકો ગુમાવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. કદાચ બી.જે.પી. અન્ય કેટલાક રાજ્યોમાં વધારે બેઠકો મેળવી શકશે, પણ દેશની અત્યારની સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં બહુમતી પ્રાપ્ત કરવી એ બી.જે.પી. માટે એક પડકાર છે. પરંતુ, વર્ષ ૨૦૧૯માં બી.જે.પી. જીતશે કેવી રીતે? એક નહિ તો બીજા પ્રકારે અને એકલા નહિ તો ગઠબંધનમાં, તેમજ મતદારમંડળનું કોમી મુદ્દે ધ્રુવીકરણ કરીને અને પાર્ટીના પ્રમુખપદને લક્ષ્યમાં રાખીને ચૂંટણી રચીને તેઓ જીતી શકશે. તેઓ કદાચ કોમી મુદ્દાને પોતાનું હથિયાર બનાવશે નહિ તો વડાપ્રધાનનાં ચહેરાને ધ્યાનમાં રાખીને તો ચોક્કસ ચૂંટણી લડશે. વડાપ્રધાન ફરી એક વખત એવો પ્રચાર કરશે કે જેમાં તેઓ મોદી વિરુદ્ધ રાહુલનો મુદ્દો પ્રકાશમાં લાવી શકે. તેઓ ફરી એક વખત આ ખાડો તૈયાર કરશે. વડાપ્રધાનની આમ આદમીની છબી વિરુદ્ધ રાજકીય વંશજ રાહુલ ગાંધીનો સંઘર્ષ ફરી એક વખત રચાશે. વડાપ્રધાનનો નોંધપાત્ર વહીવટી અનુભવ (હવે વધારીને વડાપ્રધાન તરીકેનો પાંચ વર્ષનો અનુભવ) અને તેની વિરુદ્ધ જ્યારે રાહુલ ગાંધી છે કે જેઓ રાજ્ય અને કેન્દ્રિય કક્ષાએ મંત્રીપદનો સહેજ પણ અનુભવ ધરાવતા નથી, સાથે વડાપ્રધાનની અદ્દભુત વકતૃત્વકળાની આવડત વિરુદ્ધ તટસ્થ જાહેરસભાનો આ સંઘર્ષ રચાશે. દેશની કેટલીક ટેલિવિઝન શ્રેણીની હિન્દી ભાષામાં થતી ચર્ચાઓમાં દેશના વડાપ્રધાન, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઘણી વખત પડકારી ચૂક્યા છે. અને જો રાહુલ ગાંધી જ્યારે આ પડકાર નકારે (ત્યારે સાબિત થાય છે કે જમીની ક્ષેત્રે આ પક્ષો અને સિદ્ધાંતોનું યુદ્ધ છે નહિ કે કોઈ વ્યક્તિત્વનું યુદ્ધ) આવા સમયે મોદી અને ઘણી મીડિયા ચેનલ્સ રાહુલ ગાંધી પ્રત્યે લાગણી વ્યક્ત કરે છે અને રાહુલ ગાંધી ચર્ચામાં નિષ્ફળ રહ્યા એ પ્રકારની વાત આખો દિવસ, આખું અઠવાડિયું અને આખો મહિનો સોશિયલ મીડિયામાં ચર્ચાયા જ કરે છે.
બર્કલીના ભાષણમાં રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે વ્યક્તિગત સફળતાથી પર એવી પારિવારિક વંશની ઊંચાઈ એ ભારતીય હોવાપણું દર્શાવે છે. આ આક્ષેપ અનુસાર રાજકારણ કરતાં વિવિધ ક્ષેત્રનો અનુભવ પણ વિશેષ છે અને આ એક શ્રેષ્ઠ અર્ધસત્ય હતું. કેટલાંક કારણોસર પણ મહેન્દ્રસિંહ ધોની અને નંદન નિલેકાની એવી પ્રતિભાઓ છે કે જેઓ અગાઉ રાંચી જેવા શહેરમાં રહેતા હતા નહિ કે મુંબઈમાં. અને બિરલા, તાતા અને અંબાણી એ પછીની છે. અપ્રસિદ્ધ અને પછાત પરિવારોમાંથી આવતા એવા ભારતીયો કે જેમણે વ્યક્તિગત સફળતા પ્રાપ્ત કરી છે તેમની આ સિદ્ધિ ખરા અર્થમાં વખાણવાલાયક છે. ધીરી ગતિએ સામંતશાહીથી દૂર રહીને આગળના ક્રમમાં વધી રહેલી લોકશાહી એ નૈતિક સિદ્ધાંતોનું ચિહ્ન છે. ચોક્કસપણે, કેટલાંક બાળકો તેમનાં માતાપિતા જે ક્ષેત્રમાં સફળ હોય તે ક્ષેત્રમાં પોતાની સફળતાની સરસાઈ કરવા માટે મથતા હોય છે. પણ, તે બાળકો એવું દેખાડીને સફળ થાય છે કે તેઓ પણ ધંધાકીય દ્રષ્ટિએ સફળ થવા મળે તેની પૂરતી લાયકાત ધરાવે છે. અને જ્યારે જે-તે બાળક કોઈ હિસાબ પદ્ધતિનો સ્વીકાર કરે છે ત્યારે તેની કાયદાકીય ગતિવિધિઓ તેના જૈવિક વારસામાંથી પસાર થાય છે. વિશ્વની વિશાળ લોકશાહી પૈકીની એક ભારતીય લોકશાહીમાં સૌથી જૂના રાજકીય પક્ષની પાંચમી પેઢીમાંથી વંશજ આવે તે વિચાર કોઈપણ પ્રમાણિક લોકશાહીનો હિમાયતી છે.
જ્યારે પણ મોદી નહેરુનું કદ ઘટાડવા કશું કહે છે અથવા નહેરુ વિરુદ્ધ પટેલની વાત કરે છે ત્યારે ટ્વીટર પર પણ એવું જણાય છે કે કેટલાક લોકો એવી વિનંતી કરતા હોય છે કે આ વિશે ઐતહાસિક સત્ય જાણો કે જે મોદી ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. નહેરુ અને પટેલ તેઓ સાથીદારો હતા કોઈ હરીફ નહોતા, તેઓ સહકાર્યકરો હતા કોઈ પ્રતિસ્પર્ધકો નહોતા. તેઓએ ભારતને એકઠું કર્યું અને તેને એક લોકશાહીનો નમૂનો બનાવ્યો. તેમ છતાં, સતત વડાપ્રધાનની ભૂલોનું અર્થઘટન કરવું અને તેની હકીકતોને સુધારવી તે અંતે તો તેમના જ હાથમાં છે. કારણકે બી.જે.પી.ની પાસે તેમનાં પોતાના ‘વૈકલ્પિક તથ્યો’ છે, ભૂતકાળમાં આ અંગે તેઓ સતત ચર્ચા કરી ચૂક્યા છે. આપણા વડાપ્રધાન દલીલપૂર્વક કોંગ્રેસ રાજવંશ અને તેનાં અખંડનીય હકીકત પર પ્રહારો કરતા જ રહેશે. જેથી ભવિષ્યમાં પોતાની અને સરકારની નિષ્ફળતાઓ મુદ્દે કોઈનું જલદી ધ્યાન ખેંચાશે નહિ.
દોકલામ વિવાદ અંગે જ્યારે આ સરકારની ટીકા કરવામાં આવે ત્યારે તેઓ વર્ષ ૧૯૬૨નાં યુદ્ધમાં નહેરુની નિષ્ફળતાતો ઉલ્લેખ કરશે, દેશમાં જ્યારે કલાકારની આઝાદીનો મુદ્દો આવે છે ત્યારે આ સરકાર વર્ષ ૧૯૭૫ દરમિયાન ઇન્દિરા ગાંધીની કટોકટીની વાત કરે છે, જ્યારે લઘુમતી પર અત્યાચારની વાત આવે, ત્યારે આ સરકાર વર્ષ ૧૯૮૬માં રાજીવ ગાંધી અને શાહ બાનોનો ચુકાદાનો ઉલ્લેખ કરે છે. મોદી સતત આ ૨૦, ૪૦ અને ૬૦ વર્ષ જૂની ઘટનાઓની ચર્ચા કર્યા જ કરશે અને આ ભૂલો (સત્ય અથવા કથિત) માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જવાબદાર ગણાવ્યા કરશે અને સાથે તેમનાંના દાદા અને પરદાદાનો પણ ઉલ્લેખ કરશે. જ્યારે ચર્ચાઓમાં પોતાની ભૂલોનો ઉલ્લેખ આવે ત્યારે મોદીની આ ભૂલોનું સ્થાન રાહુલ ગાંધીના રાજકીય વંશના શિરે જાય છે.
પોતાનાં પક્ષનાં અધ્યક્ષ તરીકે કોને સ્થાન આપવું તે કોંગ્રેસ પક્ષનું અંગત કારણ છે અને તેનાં ભવિષ્યના જે કોઈપણ પરિણામ માટે પણ તેઓ જ જવાબદાર રહેવાના છે. કારણ કે રાહુલ ગાંધી નહેરુ પરિવારમાંથી આવે છે એટલા માટે તે આજે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ છે આ વાતને લઈને અને રાહુલ ગાંધીના પૂર્વજોએ કઈ ભૂલો કરી હતી તે વાત આપણા વડાપ્રધાન સતત કર્યા જ કરશે અને આખા વંશજને આ ભૂલો માટે જવાબદાર ઠેરવશે. સાથે મતદાતાઓને એવી ચેતવણી પણ આપશે કે તમે કોંગ્રેસને મત આપતા પહેલાં વિચારજો કારણ કે તેમનાં પૂર્વજો જે-તે ભૂલો કરી ચૂક્યા છે. જ્યારે બીજી બાજુ સિંઘ, નેગી, દિવાન અને ગાંગુલી જેવી અટક ધરાવતા લોકો કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને સાથે આપણા વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પણ વાત નહિ કરે. વડાપ્રધાનને એ વાતનો ખ્યાલ આવી ગયો છે કે હવે સરકારની નિષ્ફળતાઓ છુપાવવી અશક્ય છે માટે સતત કોંગ્રેસની ભૂતકાળની ભૂલોને તેઓ વાગોળ્યા કરે છે અને એવું પણ કહે છે કે બિનરાજકીયવંશના વ્યક્તિને મુખ્ય પદ નહિ મળે તે આપણી વિરોધ પક્ષનો સિદ્ધાંત છે અને આમ તેઓ પ્રજાનું ધ્યાન સતત સાચા મુદ્દાઓ પરથી વિચલિત કર્યા કરે છે.
અનુવાદ – નિલય ભાવસાર
e.mail : nbhavsarsafri@gmail.com