જુલાઇ 29, 2020. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સ્મૃતિદિને દેશની નવી શિક્ષણનીતિ રજૂ કરવામાં આવી. 34 વર્ષ બાદ ઘડવામાં આવેલી એકવીસમી સદીની આ પ્રથમ શિક્ષણ નીતિ દેશને નવા આયામો તરફ લઈ જશે તેમ જ એકવીસમી સદીના પડકારોને પહોંચી વળવા સક્ષમ વિદ્યાર્થીઓનું સર્જન કરશે — તેવા દાવા સાથે આવેલી આ શિક્ષણનીતિને અનેક શિક્ષણવિદો, પ્રગતિશીલ લોકો, આવકારી રહ્યા છે, એવા સમયે તર્કબદ્ધ રીતે તેનું વિશ્લેષણ કરવું જરૂરી છે.
‘પ્રાઇવેટ’ને બદલે ‘ફિલાન્થ્રોફિક’
આ સમગ્ર શિક્ષણનીતિ, એક તરફ તો જાહેર શિક્ષણ વ્યવસ્થાની તરફેણ કરતી હોય એવું ચિત્ર ઊભું કરવાની કોશિશ કરવામાં આવી છે, તો બીજી તરફ 'બિટવીન ધ લાઇન્સ' વાંચવાની કોશિશ કરીએ તો શાળા શિક્ષણથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ સુધી ખાનગી સંસ્થાઓના શૈક્ષણિક ક્ષેત્રમાં પ્રવેશને પ્રોત્સાહન આપવાની વાત પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. અલબત્ત વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિનાં ભયાવહ પરિણામો જોયા બાદ, આજે અનેક લોકો ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે, એવા સમયે ખૂબ જ ચતુરાઈપૂર્વક 'ખાનગી' શબ્દનો ઉપયોગ ટાળીને 'ખાનગી ફિલાન્થ્રોફિક-સખાવતી સંગઠન' શબ્દનો ઉપયોગ કર્યો છે.
આ ઉપરાંત અનેક જગ્યાએ ‘પબ્લિક ફિલાન્થ્રોફિક પાર્ટનરશીપ' મોડેલને પ્રોત્સાહન આપવા પર પણ ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. (અગાઉ આ જ પ્રયોગ ‘પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ’ તરીકે થતો હતો) તેનો સીધો અર્થ એ થાય છે કે ખાનગી સંસ્થાઓ ‘ફિલાન્થ્રોફિક ઓર્ગેનાઇઝેશન’ના નામ હેઠળ શૈક્ષણિક ક્ષેત્રમાં રોકાણ કરી શકશે, જેમાં લોકોના પૈસે ઊભી થયેલી માળખાકીય સુવિધાઓ તેમને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે અને નફો તેમના ખિસ્સામાં જશે, જેવું આપણે રેલવે, એરપોર્ટ અને અન્ય અનેક જાહેર સાહસોના ખાનગીકરણનામાં PPP મોડલ રૂપે જોયું છે.
વિદેશી યુનિવર્સિટીઓ માટે જાજમ
શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણના નામે વિદેશી યુનિવર્સિટીઓ(નવી શિક્ષણનીતિ 2020 મુજબ વિશ્વની શ્રેષ્ઠ 100 યુનિવર્સિટી)ને ભારતમાં પોતાનું કેમ્પસ શરૂ કરવા માટે સરકાર ફેસિલિટેટ કરશે એટલે કે સહાયભૂત થશે. યુ.પી.એ. સરકાર 'ફોરેન યુનિવર્સિટી બિલ' લાવી રહી હતી ત્યારે વર્તમાન સરકારે એનો જોરશોરથી વિરોધ કર્યો હતો. આ વિદેશી યુનિવર્સિટીઓ 'વિદ્યાદાન'ના ઉદ્દેશથી ભારતમાં આવશે નહીં એટલું તો નક્કી જ છે. તેમનો ઉદ્દેશ પણ મુખ્યત્વે વેપારનો રહેશે.
વ્યાવસાયિક શિક્ષણ
છે'ક શાળા શિક્ષણથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ સુધી વ્યવસાયિક શિક્ષણ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. સમગ્ર શિક્ષણ એ મનુષ્યનિર્માણ અને ચારિત્ર્યઘડતરની પ્રક્રિયા છે. વ્યાવસાયિક શિક્ષણ એ પ્રકારના શિક્ષણના મૂળભૂત હાર્દને ખતમ કરી નાખશે. આઇન્સ્ટાઇને કહ્યું હતું કે “વ્યક્તિને નિપુણતા શીખવવી પૂરતી નથી. કારણ કે તેનાથી તે ઉપયોગી મશીન બની શકે, પણ સર્વાંગી વિકાસ પામેલા મનુષ્ય ન બની શકે. વિદ્યાર્થીઓ ન માત્ર મૂલ્યોની સમજણ કેળવે, પરંતુ તેના પ્રત્યે સાચી લાગણી ધરાવે, એ ખૂબ અનિવાર્ય છે. તેમણે સૌંદર્યબોધ અને સારા-નરસાનો વિવેક કેળવવો પડશે. નહીં તો પછી પોતાનાં હાંસલ કરેલાં જ્ઞાનના આધારે તે સર્વાંગી વિકાસ પામેલ મનુષ્યના બદલે સારી તાલીમ પામેલું કૂતરું બનીને રહી જશે … તાત્કાલિક જરૂરિયાતના નામે નિપુણતા ઉપર વધુ પડતો ભાર આપવાના કારણે નિપુણતા સહિત સાંસ્કૃતિક જીવનની તમામ બાબતો જે સ્પિરિટ પર – જે લાગણીઓ પર આધાર રાખે છે, તે જ ખતમ થઇ જશે.”
વડાપ્રધાને નવી શિક્ષણનીતિનાં વખાણ કરતાં કહ્યું કે આવનારા દિવસોમાં આ નીતિના અમલ બાદ વિદ્યાર્થીઓને નોકરી માગવી નહીં પડે. તેમની પદ્ધતિથી પરિચિત હોવાને કારણે તેમની વાતમાંથી એવું પણ વાંચી શકાય કે વ્યવસાયિક શિક્ષણ પૂરું પાડવાની વાત કરીને સરકાર સરવાળે રોજગારી આપવાની જવાબદારીમાંથી પણ છટકી જવા માંગે છે.
શાળાઓનું કેન્દ્રીકરણ
‘સ્કૂલ કૉમ્પ્લેકસ’ના રૂપાળા નામ હેઠળ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઓછી સંખ્યા ધરાવતી શાળાઓના વ્યવસ્થાપનમાં તકલીફ પડે છે. તેથી આવી શાળાઓનું જોડાણ ન્યાયિક રીતે કરવું. આ બાબતનું સીધુ અર્થઘટન એ થાય કે સંખ્યા વધારવાનો પ્રયત્ન કરવાના બદલે એક જ શાળામાં, આસપાસની શાળાનું મર્જર કરીને – તેમને ભેળવી દઈને અંતે શાળાઓ બંધ કરવામાં આવશે, જેવું હાલમાં પણ થઈ રહ્યું છે.
ભાષાઓ વિશે
ત્રણ ભાષા નીતિનો અમલ કરવામાં આવશે. અલબત્ત કોઈ પણ ભાષા કોઈ પણ રાજ્ય પર થોપવામાં આવશે નહીં. સંસ્કૃત પ્રત્યે સરકારને વિશેષ પ્રેમ હોય એ તો સમજાય એવું છે. પણ પરંતુ વિવિધ વિદેશી ભાષાઓમાં શા માટે મેન્ડ્રિન (ચીની) ભાષાનો સમાવેશ કરવામાં નથી આવ્યો? તે જ રીતે પ્રાચીન ભારતીય ભાષાઓમાં પાલી, પ્રાકૃત અને પર્શિયન ભાષાઓનો સમાવેશ થયો છે. પરંતુ અરબી નથી. અનેક ભારતીય ભાષાઓ ઉપર પર્શિયન અને અરબી ભાષાનો પ્રભાવ રહ્યો છે. ત્યાં સુધી કે ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં પર્શિયન – અરબી ભાષાની ભૂમિકા છે.
સ્નાતક અભ્યાસક્રમો અને સેમેસ્ટર પદ્ધતિ
સ્નાતક અભ્યાસક્રમ ચાર વર્ષનો કરવામાં આવશે. તેમાં પણ દર વર્ષે વિદ્યાર્થી ઈચ્છે ત્યાંથી દાખલ કે વિદાય થઈ શકશે. આ જ ચાર વર્ષના સ્નાતક અભ્યાસક્રમો જ્યારે દિલ્હી યુનિવર્સિટીમાં દાખલ કરવાની વાત આવી ત્યારે તેનો ખૂબ જ મોટા પાયે વિરોધ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ કર્યો હતો. અંતે તે નીતિ પછી ખેંચવી પડી હતી. નવી શિક્ષણ નીતિ એ જ પદ્ધતિ ફરીથી સમગ્ર દેશમાં લાગુ કરવા માંગે છે.
એવી જ રીતે સેમેસ્ટર સિસ્ટમનો પણ દેશભરમાં ખૂબ જ મોટા પાયે વિરોધ થયો છે. તેને ફરજિયાત બનાવ્યા વિના પણ અપનાવી શકાય, તેવી વાત આ નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. ત્યાં સુધી કે શાળાકીય શિક્ષણમાં પણ સેમેસ્ટર સિસ્ટમની તરફેણ કરવામાં આવી છે. એક તરફ નવી શિક્ષણનીતિ વારંવાર સંપૂર્ણ અભિગમ ધરાવતા શિક્ષણની તરફેણ કરે છે, તો બીજી તરફ શાળાકીય શિક્ષણથી જ સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવાની તરફેણ કરીને તે પોતાના જ ઉદ્દેશનો વિરોધ કરે છે. કારણ કે તદ્દન ઓછી માળખાકીય સુવિધાઓની વચ્ચે ટુકડે-ટુકડે અપાતું શિક્ષણ કદી વ્યાપક બની શકે નહીં.
નવું નિયમન તંત્રઃ કેન્દ્રીકરણનો બીજો રસ્તો
અગાઉની તમામ નિયમન વ્યવસ્થાઓ સત્તાના કેન્દ્રીકરણ સમાન હતી, તેથી નિયમન તંત્રમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે, તેથી ‘લાઇટ બટ ટાઇટ’ (હળવું છતાં ચુસ્ત) નિયમન તંત્ર હોવું જોઈએ — તેવું કારણ આપીને ઉચ્ચ શિક્ષણ માટે ‘હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા’ બનાવવાની વાત છે. તે સત્તાનું કેન્દ્રીકરણ નથી તો બીજું શું છે? નવી શિક્ષણનીતિમાં એક તરફ મલ્ટિડિસિપ્લીનરી કૉલેજ/યુનિવર્સિટીઓને પ્રોત્સાહન આપવાની વાત વારંવાર કરવામાં આવી છે, એટલું જ નહીં આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા નવી શિક્ષણનીતિનો મુખ્ય ઉદ્દેશ પણ છે. તો વિવિધ વિષયો માટે વિવિધ નિષ્ણાતો ધરાવતા નિયમન તંત્રની જરૂરિયાત હોય. તેની સામે એક જ નિયમન તંત્ર એ ખાનગી રોકાણકારો માટે સરળ રસ્તો કરી આપવાનો ઉપાય હોય એમ લાગે છે.
જોગવાઈ મુજબ, શૈક્ષણિક સંસ્થાઓને સ્વાયત્તા આપવાના બહાને, પૂરતી સંખ્યામાં એટલે કે 3,000 વિદ્યાર્થીઓ ધરાવતી કોલેજો જે મલ્ટિડિસિપ્લીનરી વિષયો પણ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવતી હોય, તે કૉલેજો પોતે વિદ્યાર્થીઓને ડિગ્રી આપવા માટે સ્વાયત્ત બની શકશે. આ સંજોગોમાં વિદ્યાર્થીઓની ડિગ્રીનું કેટલું મહત્ત્વ રહેશે? અને ઘણા સંઘર્ષો પછી અસ્તિત્વમાં આવેલી યુનિવર્સિટીઓનું મહત્ત્વ ઘટી જશે. ત્યાર પછી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનું ધ્યેય રહેશે ત્રણ હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા સિદ્ધ કરીને 'સ્વાયત'(?) તેમ જ મલ્ટિડિસિપ્લીનરી સંસ્થામાં ફેરવાઈ જવાનું. આ સંજોગોમાં ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી કૉલેજો, સરકારી શાળાઓની જેમ બંધ થઈ જશે. અંતે ગુણવત્તાયુક્ત યુનિવર્સિટી શિક્ષણ આપવાના બદલે આપણી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સર્ટિફિકેટ વેચતી દુકાનોમાં પરિવર્તિત થઈ જશે.
ચોઇસ-બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમ
ચાર વર્ષનો સ્નાતક અભ્યાસક્રમ અને સેમેસ્ટર સિસ્ટમની જેમ જ ચોઇસ-બેઝ્ડ ક્રેડિટ સિસ્ટમનો પણ એટલો જ મોટા પાયે વિરોધ થયેલો છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થી પોતાના મુખ્ય વિષયમાં જરૂરી જ્ઞાન મેળવવાના બદલે અન્ય, જેને બિનશૈક્ષણિક કહી શકાય તેવા વિષયો તરફ ગેરમાર્ગે દોરાય એવી સંભાવના ઘણી રહે છે. ભારતમાં હાલમાં જ્યાં પણ આ પદ્ધતિ અન્ય કોઈ નામથી પણ દાખલ કરવામાં આવી છે ત્યાં ન તો તેના વર્ગો લેવાય છે, ન તો તે વિષયની અભ્યાસસામગ્રી ઉપલબ્ધ હોય છે, કે ન તેના માટે કોઈ અલગ શિક્ષકોની જોગવાઈ છે. એ બધા વિના જુદા જુદા વિષયો તો પસંદ કરી નખાય, પણ તે વિષયોના ગુણવત્તાસભર શિક્ષણનું શું?
ઑનલાઇન શિક્ષણ
ઓનલાઇન શિક્ષણપદ્ધતિ ક્યારે ય પણ ક્લાસરૂમનો વિકલ્પ હોઈ શકે નહીં. તેમ છતાં નવી શિક્ષણનીતિમાં શાળાકીય શિક્ષણથી જ ઑનલાઇન શિક્ષણને એક વિકલ્પ તરીકે અપનાવવાની તરફેણ કરવામાં આવી છે, જે જોખમી છે. કોરોના મહામારીના આ સમયમાં ઑનલાઇન શિક્ષણને એક વિકલ્પ તરીકે દર્શાવીને, વાલીઓ વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવવામાં આવી રહી છે, તે સંજોગોમાં ઑનલાઇન શિક્ષણ સાથે સંકળાયેલા આત્મહત્યાના બનાવો પણ સમાચારમાં આવી રહ્યા છે. ઑનલાઇન શિક્ષણમાં સવાલ માત્ર વિદ્યાર્થીઓની તકનિકી સક્ષમતાનો નથી. પરંતુ મોબાઇલ કે કમ્પ્યૂટરની સ્ક્રીન નીતિ અથવા નૈતિકતા આધારિત મનુષ્યનું નિર્માણ ન કરી શકે. વર્ગખંડ, શાળા કે કૉલેજ એ માત્ર એક શૈક્ષણિક સંસ્થાનું મકાન નથી. વિદ્યાર્થીઓના સામાજિકીકરણની પ્રક્રિયા અને તેમનું ઘડતર પણ ત્યાં જ થાય છે.
ફીનું ધોરણ
ઉચ્ચ શિક્ષણ હોય કે શાળાકીય શિક્ષણ, વધતી જતી ફી એ ડ્રૉપ આઉટ પાછળનું એક મુખ્ય કારણ છે. પરંતુ આવનારા દિવસોમાં નવી શિક્ષણનીતિના પરિણામે શૈક્ષણિક સંસ્થાઓ પોતાની ફી જાતે નક્કી કરી શકશે. જરૂરિયાત માત્ર એટલી રહેશે કે તેમણે પારદર્શિતા સાથે પોતાનો નિભાવખર્ચ જાહેર કરવો પડશે.
‘પુરાતન ભારતીય મૂલ્યો’
નવી શિક્ષણનીતિ 2020માં વારંવાર પુરાતન ભારતીય મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકારની જે મુજબની ગતિ અને પ્રકૃતિ છે તે જોતાં તો આ નીતિ શિક્ષણના અવૈજ્ઞાનિકીકરણ અને ભગવાકરણને આગળ ધપાવે એવી આશંકા ગેરવાજબી નહીં ગણાય. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં પૂરક વાચનના ભાગરૂપે ભા.જ.પ. સરકાર, આર.એસ.એસ.ના દીનાનાથ બત્રાના માનવીય મૂલ્યોથી વિપરિત એવા પુસ્તકો દાખલ કરી ચૂકી છે.
વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર એરિક હોબ્સબૉને ૧૯૯૨માં બુડાપેસ્ટમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ખાતે એક પ્રવચનમાં કહ્યું હતું કે, 'ઇતિહાસનો વ્યવસાય ભૌતિકશાસ્ત્ર જેટલો જોખમી નથી. પરંતુ હું હવે સમજુ છું કે ઇતિહાસ પણ જોખમી બની શકે છે. ઇતિહાસ ક્યારે ય પણ એક બૉમ્બ ફેક્ટરીમાં રૂપાંતરિત થઇ શકે છે’. ઇતિહાસની તોડમરોડનાં પરિણામો આપણે ભોગવી ચૂક્યા છીએ – ભોગવી રહ્યાં છીએ. ઇતિહાસનું અજ્ઞાન અને તર્ક વગરનો ઉન્માદ, કોરોના મહામારીના આ સમયમાં આપણને આરોગ્યસેવાઓના વિકાસના બદલે મંદિર તરફ ધકેલી રહ્યો છે.
તર્કવિહીન અને અંધ અનુયાયી બને તેવી પેઢી પેદા થાય તે માટે જ પુરાતન મૂલ્યો પર એટલો ભાર મૂકવામાં આવ્યો હોય, એમ લાગે છે. તેની સામે ભારતીય નવજાગરણકાળનાં મૂલ્યોનો ઉલ્લેખ સુદ્ધાં નથી. ભારતમાં આધુનિક શિક્ષણના પ્રણેતા એવા રાજા રામમોહન રોય અને ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર બે સદી પહેલાં કહી ચુક્યા હતા કે દેશને સંસ્કૃતના શિક્ષણની નહીં, વેદ-વેદાંતના શિક્ષણની નહીં, પરંતુ આધુનિક ઇતિહાસ, તર્કવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે જેવા વિષયોના શિક્ષણની જરૂર છે. નવજાગરણકાળના મનીષીઓ અને દેશના આઝાદી આંદોલનના લડવૈયાઓએ આઝાદ ભારતમાં જે વૈજ્ઞાનિક, ધર્મનિરપેક્ષ અને લોકશાહી શિક્ષણનું સ્વપ્ન જોયું હતું તેનો નવી શિક્ષણનીતિમાં છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. શૈક્ષણિક ક્ષેત્રમાં સરકારની જવાબદારી માત્ર આર્થિક છે, તેમ છતાં તે આદર્શને અનુસરવાને બદલે શૈક્ષણિક સંસ્થાઓને સરકારી નિયંત્રણના સકંજામાં લેવામાં આવશે.
ઉપરાંત, 'ફિલાન્થ્રોફિક ઑર્ગેનાઇઝેશન'માં કઈ વિચારધારામાં માનતાં ખાનગી સંગઠનો અને નફો રળી આપતી ખાનગી કંપનીઓનો સમાવેશ થશે, એની કલ્પના કરી શકાય તેમ છે.
જૂની શિક્ષણનીતિઓની સરખામણી
નવી શિક્ષણનીતિમાં શિક્ષણ પાછળ જી.ડી.પી.ના 6 ટકા ખર્ચ કરવાનું સૂચન છે. વર્ષ 1964માં કોઠારી કમિશને પણ આ જ વાત કરી હતી. 1964 બાદ '21મી સદીના પડકારો'નો સામનો કરવા ઘડાયેલી આ શિક્ષણનીતિના ઉદ્દેશોને હાંસલ કરવા માટે શું 6 ટકા ખર્ચ પૂરતો છે? જી.ડી.પી. નહીં પરંતુ કેન્દ્રીય બજેટના 10 ટકા શિક્ષણ પાછળ ઓછામાં ઓછા ખર્ચાવા જોઇએ.
વર્ષ 1954માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ચેરમેન સી.ડી. દેશમુખે કહ્યું હતું કે, 'અમે શિક્ષિત બેરોજગારોની સંખ્યા ઘટાડવા માટે શિક્ષણને સંકુચિત કરવા માગીએ છીએ.' આઝાદી મળ્યા બાદ તરત જ 1954માં યુ.જી.સી.ના ચેરમેનનું આ કથન દર્શાવે છે કે દેશમાં શિક્ષણની દિશા કઈ તરફ રહેશે! 1986ની નવી શિક્ષણનીતિએ શિક્ષણમાં ખાનગીકરણ અને વેપારીકરણનાં દ્વાર ખોલી આપ્યાં. નવી શિક્ષણનીતિ 2020 ગૌરવપૂર્ણ રીતે નોંધે છે કે આ નીતિનો ઉદ્દેશ 1986ની શિક્ષણનીતિના અધૂરા ઉદ્દેશોને પૂર્ણ કરવાનો છે. અલબત્ત, વિશ્વ વ્યાપાર સંગઠન હેઠળ થયેલા 'જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ ઇન સર્વિસ' દ્વારા શિક્ષણ પણ વૈશ્વિક બજારમાં વેચી શકાય તેવી વસ્તુ બની અને શિક્ષણમાં પણ મુક્તબજારનો દોર શરૂ થયો.
કોરોના મહામારીમાં લોકો પોતાની અસંમતિનો અવાજ ઉઠાવવા જાહેરમાં આવી શકે તેમ નથી, ત્યારે નવી શિક્ષણનીતિ જાહેર કરવામાં આવી છે. કોરોનાને કારણે દેશમાં લાખો લોકો પીડિત છે અને હજારો લોકોનાં મૃત્યુ થયાં છે એવા સમયમાં આ નીતિને કેબિનેટમાં મંજૂરી આપવી અને એ પણ એવા સમયમાં જ્યારે સંસદ પણ કાર્યરત નથી, એ બંધારણીય મૂલ્યોના સિંચનની વાત કરતી શિક્ષણ નીતિના કહેવાતા ઉદ્દેશથી વિપરીત પગલું નથી? કે પછી કોરોના મહામારીને અવસરમાં ફેરવીને જે રીતે મજૂરકાયદામાં ફેરફારો કરવામાં આવ્યા, રેલવેનું ખાનગીકરણ કરવામાં આવ્યું, એ જ રીતે આ શિક્ષણનીતિ માટે પણ તક ઝડપી લેવામાં આવી છે?
ભારત જેવા વૈવિધ્ય ધરાવતા દેશમાં સર્વસમાવેશી શિક્ષણનીતિ ઘડવાનું કામ અતિ કઠિન છે. નવી શિક્ષણનીતિના ઘડતર અને મંજૂરીની પ્રક્રિયામાં લોકોની સામેલગીરીને સમગ્રપણે અવગણવામાં આવી હોવાથી આ નીતિનાં ઘડતર અને મંજૂરી, બંને બિનલોકશાહી છે. નવી શિક્ષણનીતિનાં આગળ વર્ણવેલાં જોખમો સામે ઊભા થવું એ આજના સંજોગોમાં આપણી ઐતિહાસિક જવાબદારી બને છે.
e.mail : vaghelarimmi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 17 ઑગસ્ટ 2020; પૃ. 07-11