સહેજે ચારેક દાયકા તો થયા હશે એ વાતને : એક સવારે રઘુવીર ચૌધરીનો ફોન આવ્યો કે લંડનની ગુજરાતી સાહિત્ય એકૅડેમીવાળા વિપુલ કલ્યાણી અહીં છે અને તમને મળવા ઇચ્છે છે. રઘુવીરભાઈના આયોજનપૂર્વક (કહો કે એમના હંમેશના ચૌધુર્ય સદ્ભાગ્યપૂર્વક) જમવા પર મળ્યા અને રૂડી મૈત્રીનો પ્રારંભ થયો. અહીં આ સંભારવાનો આશય અલબત્ત કોઈ મૈત્રીકથા (ખાસ તો કર્મબાંધવીનાં સંભારણાં) આલેખવાનો નથી. માત્ર, એ દિવસની વાતોમાં ‘વિશ્વમાનવ’નો જે આદરભર્યો એટલો જ આત્મીય ઉલ્લેખ વિપુલભાઈએ કર્યો હતો કે ‘તમારો (પ્રકાશનો) આભાર માનવા ઇચ્છું છું, તમને વાંચીને હું એમ.એ. થયો છું.’ તે એક ઇતિહાસવસ્તુ તરીકે નમૂદ કરવા જરૂર ઇચ્છું. એમણે મને આપેલું માન, કેમ કે હું ૧૯૬૪થી એક લેખક તરીકે અને ૧૯૬૮થી સંપાદકમંડળના એક સભ્ય તરીકે તેમ જ ૧૯૭૦ની નવરચના સાથે કંઈક પહેલકારી ધોરણે જોડાયેલ હોઈ, વ્યક્તિગત નહીં પણ એક વૈચારિક ચળવળના પ્રતિનિધિગત હતું.
આ એક વૈચારિક, વ્યાપક અર્થમાં બૌદ્ધિક-નાગરિક આંદોલનના અગ્રયાયી બલકે પર્યાયપુરુષ બેલાશક આપણા એકના એક ભોગીલાલ ગાંધી હતા. ૧૯૫૮ના જાન્યુઆરીમાં એ ‘માનવ’ના પ્રથમ અંક સાથે (‘માનવીય ગૌરવની પુનઃપ્રતિષ્ઠા ઝંખતું માસિક’ એવા અભિલાષ અને ઉદ્બોધ સાથે) ગુજરાતના જાહેર-અને-અક્ષર-જીવનમાં નવેસરથી ઉપસ્થિત થયા હતા. આયુર્યાત્રાના સુડતાલીસમે આ બની આવ્યું (કહો કે દુર્નિવારપણે બનીને રહ્યું) તે એક રીતે કદાચ નવેસર નહોતું; કેમ કે ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક, સ્વાતંત્ર્યસૈનિક અને કૉંગ્રેસ સમાજવાદી – સામ્યવાદી અને આ તબક્કે રેડિકલ સર્વોદયી વિચારયાત્રી ભોગીલાલ ગાંધી લેખન-સંપાદનની કામગીરીમાં તો કે’દીના પડેલા હતા. જો કે, જેમ તૃણમૂલ કામગીરી તેમ લેખન-સંપાદન(સરવાળે ‘સ્ટડી ઍન્ડ સ્ટ્રગલ’)નો એમનો સહજ સિલસિલો ૧૯૫૮માં એક ગુણાત્મક વળાંકે ઊભી પ્રગટ થવા કરતો હતો, એ રીતે એમાં નવતત્ત્વ નિઃશંક હતું.
‘વિશ્વમાનવ’ એના તેરમા વરસે (૧૯૭૦માં) જ્યારે નવરચિત વિશ્વમાનવ સંસ્કારશિક્ષણ ટ્રસ્ટ મારફતે પ્રગટ થવા માંડ્યું. ત્યારે પ્રારંભિક નિવેદનમાં ભોગીભાઈએ એનો ઠીક ફોડ પાડ્યો હતો :
“૧૯૫૬માં સામ્યવાદી પક્ષ સાથેની લગભગ બે દાયકાની સક્રિય પ્રવૃત્તિમાંથી ફારેગ થઈને, લાંબી માંદગી બાદ, વડોદરા આવીને સ્થાયી વસવાટ શરૂ કર્યો, ત્યારે મારે માટે તો સમસ્યા મારા પુનર્ઘડતરની હતી. નવાં મૂલ્યોની પુનઃસ્થાપનાની એ અદમ્ય અર્જમાંથી એ સમયની મથામણના માધ્યમની અનિવાર્ય જરૂરિયાતમાંથી ‘માનવ’નો પ્રારંભ થયો હતો. તેમાં સહજ રીતે જ, દશરથ અને સુભદ્રાની હૂંફ ભળ્યાં, અને અચાનક જ સુરેશ જોષી જેવા એક પ્રતિભાશાળી સાહિત્યસર્જક-વિવેચકની, અલબત્ત બીજા જ પ્રકારના સાહસની, પરંતુ એવી જ ઉત્કટ અદમ્ય અર્જનો યોગ થતાં ‘વિશ્વમાનવ’ આરંભથી જ તારસ્વરે પ્રગટ થયું અને ચાલુ રહ્યું. માનવીય ચિંતનનાં મૂલ્યો અને સર્જનનાં મૂલ્યોની ખોજ એનો પ્રેરણાસ્રોત રહ્યો. ધીમે ધીમે કરતાં, મધુકર શાહ, ગુલામ મોહમ્મદ શેખ તથા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ જેવા તેજસ્વી યુવાન સાથીઓનો સહયોગ થતાં એનો દેહ પુષ્ટ બન્યો. નવતર અનુભૂતિ અને નવતર ચિંતનની તાજગી એનો પ્રાણવાયુ બન્યો, જ્યાં ક્યાંયથી ‘ઓઝોન’ મળે ત્યાંથી ખોબેખોબા ફેફસાંમાં ભરી લેવાનો તલસાટ વધતો ગયો. અને એ વરસોમાં લગભગ નિયમિત મળતું નાનું-શું ‘ગુરુવારિયું’ (મંડળ) ગુજરાતભરમાં હિલ સ્ટેશન સમું તંદુરસ્ત હવા માટેનું આનંદધામ બની રહ્યું.”
‘વિશ્વમાનવ’(જાન્યુઆરી-ફેબ્રુઆરી ૧૯૭૦)માંથી આ વચનો ઉતારતાં, એમાં નિર્દિષ્ટ હિલસ્ટેશનના મિજાજની કંઈક ઝાંખી આપતા અને ગવાહી પૂરતા સુમન શાહના મે, ૧૯૬૯ના ઉદ્ગારોનું સ્મરણ થઈ આવે છે. ભોગીભાઈએ એમને પ્રથમ સો અંકનું વિહંગાવલોકન લખવાનું સૂચવ્યું ત્યારે, મારું મન આઠ-દસ વર્ષના ભૂતકાળમાં ચાલી ગયું. તે દિવસોના વડોદરાની મારી કેટલીક ભૂરી મુગ્ધ સાંજો મને યાદ આવી ગઈ. તમારે ત્યાં સુરેશભાઈ જોષી, અનિરુદ્ધભાઈ (બ્રહ્મભટ્ટ),(ગુલામ મોહમ્મદ) શેખ, પ્રબોધભાઈ (ચોકસી), કોઈક અપરિચિતો અને મારા જેવા બે-એક વિદ્યાર્થીઓનું અઠવાડિયાના કોઈક વારે મળવાનું બનતું, ને ત્યારે ‘સાહિત્ય’નો વ્યાપક અર્થમાં સ્વાધ્યાય ચાલતો. પિરાન્દેલો, કામુ, કાફકા; તો આ તરફ, વેદોપનિષદો, રવીન્દ્રનાથ, ગાંધીજી, અરવિન્દ, ગીતા વગેરે પ્રકારનું ભારેખમ મિક્સ્ચર રચાઈ જતું. મને પ્રેક્ષકને તમારી કે પ્રબોધભાઈની પ્રશ્નમુખરતા અને સુરેશભાઈની અદ્ભુત સ્પીડ અને પોતાની કવિતાના જેવી જ શેખની ચુપકીદી તો સુભદ્રાબહેનની એમના સ્વભાવ જેવી જ સૌમ્ય કૉફી – બધાં ખંડિત ચિત્રો મારા તે વેળાના મનની એક વાત તીવ્રતાથી પ્રતીત કરાવે છે : ગુજરાતી સાહિત્યમાં ધરખમ ફેરફારો થઈ જવાના છે, એક મુક્ત અને નવા વાતાવરણની રચના આ રામજીમંદિરની પોળમાંથી થઈ રહી છે ને તે ગુજરાતી સાહિત્યને વિશ્વસાહિત્યના પાદરે લઈ જવાની છે ….”
પાછળથી, ૨૦૧૬માં ભોગીભાઈનો જન્મશતાબ્દી-ગ્રંથ ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થયો, તેમાં ગુલામ મોહમ્મદ શેખે એ આરંભકાળને આમ સંભાર્યો છે :
“૧૯૫૫માં અઢાર વર્ષની ઉંમરે વડોદરા ભણવા આવ્યો, ત્યારે કોઈને ય ઓળખું નહિ, પણ સુરેન્દ્રનગરમાં સાહિત્યની સોબતે ઊછર્યો હતો એ નાતે, સુરેશ જોષીને આવતાંવેંત શોધી કાઢ્યા. એમની સંગતે પહેલા મળ્યા તે ભોગીલાલ ગાંધી અને બીજા પ્રબોધ ચોકસી, યુવાકાળના બંધાતા વિચારપિંડમાં એ ત્રિવેણીનો પ્રસાદ પડ્યો ….
“૧૯૫૮ના જાન્યુઆરીમાં ભોગીભાઈએ ‘માનવ’ (જે પછી ‘વિશ્વમાનવ’ થયું) શરૂ કર્યું, તેમાં સાહિત્ય, સમાજ ને રાજકારણના સેતુ પર નવા ભાવકનું આહ્વાન થયું. ખરેખર તો એ માત્ર નવાં ચિંતન અને ચેતના પ્રદીપ્ત કરવાનું સાધન જ નહિ, એક અભિયાન હતું. ડાબેરી વિચારક્રાન્તિમાં રસાયેલી એમની દૃષ્ટિ એમાં ગાંધીવિચાર સામે આંખ મેળવી ઊભી રહી. સાંપ્રત સમયના વિચારવલોણે ગાંધી સાથે માર્ક્સને બેસાડવાનું મંથન અને ડાબેરી પરિપ્રેક્ષ્યોને સર્વોદય અને અહિંસાની એરણે તપાસવાની પહેલ એનાં પ્રમુખ લક્ષ્યો બન્યાં. એટલે સ્તો સર્વોદય વિશેષાંકમાં અન્યોની સાથે બી.ટી. રણદીવેની સમીક્ષા પણ સામેલ થઈ. અનુવાદો અને ટિપ્પણીઓ દ્વારા એમાં બીજું ઘણું ઉમેરાયું. સુભદ્રાબહેને અનુદિત કરેલ માનવજીવનની તરાડોમાં નાગાસાકીવાસીઓની વેદનાનો ચિતાર સાક્ષાત્ સમૂળગો પ્રગટ્યો. ‘હમ બેચેન હૈ’ જેવી શ્રેણીમાં એકલવીરોની કહાણીઓ દ્વારા અનુભૂતિની આકરી ભૂમિ ખૂંદ્યાના નિસબતેમઢ્યા આલેખો આવ્યા. દોસ્તોયવસ્કી અને ચેખોવ સાથે એમાં રેમ્બ્રાન્ટની કથની જોડાઈ. વિશ્વસાહિત્યના નવલિકા વિશેષાંકમાં દઝાઈ ઓસામુ સાથે આલ્બેર કામુ અને પિરાન્દેલો ભેગા થયા. સુરેશભાઈએ ‘યુલિસિસ’ વિશે લખ્યું અને ભગવદ્ગીતા પર એક સોવિયેટ તત્ત્વજ્ઞની ટિપ્પણી આવી. ભોગીભાઈ ‘ઉપવાસી’ ઉપનામે કવિતા લખતા એટલે નવી કવિતા પર ચાંપતી નજર. મેં હરિગીત/પરંપરિતના આશરે છૂટ લેતું લખવા માંડ્યું હતું, એમાં ગોઠિયા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ પણ જોડાયા ….
“આ મંડળીમાં … બે સાહિત્યરસિયા દાક્તર – મધુકર શાહ (એણે વાર્તાઓના અનુવાદો કર્યા ને પરમાણુવિજ્ઞાન પર ‘વિશ્વમાનવ’નો વિશેષાંક સુભદ્રાબહેન સાથે મળીને કર્યો.) અને દામોદર બલર (એ તો પછી નવલિકાઓ અને નવલકથાઓ લખતા થયેલા ને ચિત્રો પણ કરતા.) હર્ષદ ત્રિવેદી પ્રાસન્નેય ક્વચિત્ આવે. માધવ અચવળ ચડી આવે. મુંબઈગરા રસિક શાહ અને જયંત પારેખ વડોદરા આવ્યા હોય, તો અચૂક જોડાય. પ્રબોધભાઈ મોડા મોડા પ્રવેશે : એમનો ભારે દેહ, જરાક ઊંચો પાયજામો ને હાથમાં ટચૂકડી થેલી સૌ જોઈ રહે. એ બેસે ત્યારે ત્રિપુટીનાં રૂપ ભળાય. પ્રબોધભાઈનો કતરેલી મૂછવાળો, મરમે મરકતો ચોરસ લાગે એવો ચહેરો, સુરેશભાઈના ગોળાકાર ચહેરેથી નીકળતી ધારદાર નજર ને ઉપસેલા હાડકે કોરેલો, અગમ ઊર્જાથી સળવળતો – ઊજળેવાન ભોગીભાઈનો, પ્રબોધભાઈ આવીને નુક્તેચીની કર્યા વગર ન રહે, અને પળવારમાં વાચન, વાર્તાલાપ અને સંવાદ-વિવાદમાં પલટાય. સુરેશભાઈ ચર્ચાને સાહિત્યિક ઝોક આપે પણ પ્રબોધભાઈ એને અચૂક સમાજકારણ-રાજકારણ તરફ ખેંચી જાય. કોઈક વાર પેચીદા મુદ્દે એમની અને ભોગીભાઈની સામસામી થાય. આમાંથી અમે બાકાત રહેતા, કારણ કે અમારી તે કાળની સાહિત્યદૃષ્ટિને એ ખપનું નહોતું. પણ સાંભળ્યું તે કોઈ પછીતે પડ્યું રહ્યું. દાયકાઓ બાદ સાહિત્યકળાને રાજકારણની એરણ પર મૂલવવાનું થયું, ત્યારે સંવાદ-વિવાદની એ ઉન્મત્ત પળોને ખોયાનો ખેદ થયો ….”
રામજીમંદિર પોળ – ગોપાળઘરની એ ઓઝોન સાંજોની લગરીક સહેલ પછી થોડી સ્થૂળ વિગતો અંકે કરી લઈએ. ત્યારે, મુંબઈના પાર્ટી, દિવસોના વારાનું ચેતન પ્રકાશન ગૃહ ભોગીભાઈ પોતાની સાથે વડોદરે લઈ આવેલા, અને ‘વિશ્વમાનવ’નું સંચાલન-સંપાદન પણ ત્યાંથી જ(ગોપાળઘર, રામજીમંદિર પોળ, વડોદરા)થી થતું. પહેલા અંકના લેખકોમાં જ સુરેશ જોષી, રવિશંકર મ. રાવળ, મધુકર શાહ એમ બંધાતી ટીમ ઊભરી આવે છે. રવિભાઈ ર.મ.રા. એમ ટૂંકી સહી સાથે ‘હરતાં ફરતાં’ની કૉલમકારી કરતા તો મધુકર શાહ વિજ્ઞાન ક્ષેત્રે વિહરતા, અને સુરેશભાઈ સાહિત્ય ક્ષેત્રે સર્જનથી માંડીને આસ્વાદને આવરી લેતા. બીજા જ અંકથી ગુલામ મોહમ્મદ શેખ ચિત્રકળાનો આસ્વાદ કરાવતા માલૂમ પડે છે. મિતાક્ષરી પુસ્તક નોંધો અને તેમ જ ઘરદીવડા અને પડઘા ને પ્રવૃત્તિ તરેહની નોંધો પહેલા બીજા અંકમાં દેખા દઈ એક સાતત્યનો સંકેત આપે છે. પ્રણવ(પ્રબોધ ચોકસી)ની અવારનવાર નોંધો પણ સ્થિર થવા લાગે છે. પહેલા અંકમાં જો ભોગીભાઈએ ગાંધીને વિશેષાંજલિ રૂપે વૈચારિક ઊહાપોહ કર્યો હતો, તો ત્રીજા અંકમાં કાર્લ માર્ક્સને વિશેષાંજલિ રૂપે આ જ ઊહાપોહની ધાટીએ એમણે આગળ ચાલવું મુનાસીબ માન્યું હતું. ચોથો અંક આવતે-આવતે લેખકોમાં રમણલાલ સોની, ગુલાબદાસ બ્રોકર સરખાં પીઢ નામો તો લાભશંકર ઠાકર જેવું મુકાબલે નવું નામ પણ જોવા મળે છે.
પ્રકાશનની શરૂઆતના સાત મહિના પછી, ઑગસ્ટ ૧૯૫૮થી માસિક ‘માનવ’, એની લાંબી ઓળખ મુજબ ‘વિશ્વમાનવ’ બન્યું; કેમ કે સરકારના નવા કાનૂન મુજબ એક જ ‘રાજ્ય’માં એક જ નામનાં બે સામયિકો, જુદી-જુદી ભાષામાં પણ પ્રગટ થઈ શકે એની છૂટ નહોતી. (દ્વિભાષી મુંબઈમાં ત્યારે નાગપુર પાસે તમસારથી ‘માનવ’ નામનું એક હિંદી સામયિક નીકળતું હતું.)
પહેલા વરસની, કહો કે શગ ઘટના ઑક્ટોબર-નવેમ્બરના સંયુક્ત અંક તરીકે પ્રકાશિત થયેલ સર્વોદય વિશેષાંકની હતી. ભૂદાન પદયાત્રી વિનોબા ગુજરાતમાં ૨૨મી ઑક્ટોબરે પ્રવેશ્યા હતા અને જાન્યુઆરીની ૧૩મી સુધી એમની યાત્રા ચાલવાની હતી. ‘ભૂમિપુત્ર’ની ઉમંગી સામગ્રી, દૈનિક પત્રોની સમાચારફેરી, સૌથી જુદી પડતી તરતમ વિચારસામગ્રી આ સમૃદ્ધ અંકની વિશેષતા હતી. આ અંકને આવકારતાં ઈશ્વર પેટલીકરે ‘સંસાર’માં લખ્યું હતું કે ગુજરાતનું ‘મૉડર્ન રિવ્યૂ’ થવાની જે અભિલાષા ‘વિશ્વમાનવ’ના પ્રથમ અંકમાં પ્રકાશિત થઈ હતી, તેને યોગ્ય આ અંક છે. ઉમાશંકર જોશીએ ‘સંસ્કૃતિ’માં આ પ્રયત્નને આવકારપાત્ર ગણાવી લખ્યું હતું કે તંત્રીએ પોતે લંબાણથી અને ઝીણવટથી ‘સર્વોદય-ક્રાંતિવિજ્ઞાન’ની ચર્ચા કરી છે, આ અંકની સૌથી મોટી સેવા તો વિનોબાનાં પ્રવચનોમાંથી વિષયનો, કઈ તારીખે ને કયે સ્થળે એ શબ્દો બોલાયા તેનો નિર્દેશ કરીને ચૂંટેલાં અવતરણો આપવા પાછળ અંકનો ત્રીજો ભાગ રોક્યો છે એ છે. અંકની સામગ્રીને સર્વોદયવિજ્ઞાન પુસ્તક રૂપે પ્રગટ કરવામાં આવી છે, જે અનેકને સાચવવામાં સગવડરૂપ થઈ પડશે.
પ્રથમ વરસને અંતે આર્થિક બોજના સ્વીકાર સાથે અને છતાં ‘વરસ રમતાંરમતાં વહી ગયું’ એવો હૃદયભાવ વ્યક્ત કરવા ઉપરાંત સંપાદકે શોષણવિહીન એ મુખ્ય અર્થમાં સમાજવાદી સમાજરચનાના રાહે વિકાસની માનવજાત માટે ઊઘડતી શક્યતાઓની જિકર કરી એમાં માર્ક્સ અને ગાંધીના ચિંતનનો મેળ સોનામાં સુગંધરૂપ નીવડશે, તે મતલબનો આશાવાદ પ્રગટ કર્યો છે. અલબત્ત, તે સાથે ચેતવણીની રીતે નોંધ્યું છે કે કોઈ પણ દેશ, પક્ષ, પંથ યા વાદને હસ્તક ઇજારદારી દોર હોવો હિતાવહ નથી તેમ જ એમાંથી એકેને અંગે અંધનિષ્ઠા કે અંધદ્વેષ પણ વિઘાતક છે.
સંપાદકીય કામગીરીમાં શ્રી રવિશંકર રાવળના મમતાભર્યા માર્ગદર્શન ઉપરાંત સુરેશ જોષી (કાવ્ય-આસ્વાદ) અને ગુલામ મોહમ્મદ શેખ (ચિત્રકલા-આસ્વાદ) દ્વારા ‘વિશ્વમાનવ’ને મળેલી વિશિષ્ટતાનો તેમ જ સહાયરૂપ યુવામિત્રો અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, મધુકર શાહ વગેરેનો વિશેષોલ્લેખ પણ કર્યો છે. પ્રથમ વર્ષ નિમિત્તે ઠીક-ઠીક વિગતે વાત કરવાનો હેતુ ‘વિશ્વમાનવ’ના આરંભિક મિજાજને સમજાવવાનો છે. હવે પછી ‘વિશ્વમાનવ’ની વિકાસરેખા ટૂંકમાં જોઈશું અને મહત્ત્વના નિર્દેશોની મિતાક્ષરી નોંધને ધોરણે ચાલીશું.
બીજા વરસની સામગ્રી પહેલા વરસે જન્માવેલ આશા અપેક્ષાને જેબ આપે એવી જ સમૃદ્ધ છે. એમાં પણ સંપાદકે વિનોબાની ગુજરાતયાત્રા સંદર્ભે કરેલું વૈચારિક મૂલ્યાંકન અને એના ઉજાસમાં તેમ વ્યાપક સંદર્ભમાં વિનોબા સાથેની એમની ચર્ચા, નેહરુનું સમગ્ર મૂલ્યાંકન, પરમાણુ વિશેષાંક, ડૉ. જિહ્યાંગે સંબંધે ઊહ અને અપોહ વિશેષ રૂપે ધ્યાનાર્હ બને છે. કેરળમાં દુનિયાભરમાં લોકશાહી રાહે રચાયેલી પ્રથમ સરકાર વિષયક ચર્ચા પણ નોંધપાત્ર છે. એલન પેટન, હાવર્ડ ફાસ્ટનાં આચમન ઉપરાંત ટૉલ્સ્ટૉયની અના કેરેનિના અને ગોમાત્રિની કુમુદ વચ્ચેનો સુજો સર્જ્યો સંવાદ પણ અહીં સંભારવા જોગ છે.
૧૯૬૦નું વરસ (‘વિશ્વમાનવ’નું ત્રીજું વરસ) ગુજરાત રાજ્યની સ્થાપનાનું વરસ હતું અને આ અવસરને શોભીતો સ્વાધ્યાયપૂર્વકનો વિશેષાંક ભોગીલાલ ગાંધી પ્રકાશિત કર્યા વિના રહે જ કેમ. નેહરુ-મીમાંસાના લેખો આગલા વરસથી ચાલુ હતા અને આ વરસમાં પણ રહ્યા. એટલું જ નહીં ‘નેહરુ : અણુયુગનો સમન્વયક’ નામે તે ગ્રંથસ્થ પણ થયા. પંડિત સુખલાલજીએ એની પ્રસ્તાવનામાં લખ્યું કે આ ગ્રંથમાં એટલી નક્કર સામગ્રી ભરેલી છે કે તે વાંચતાં કંટાળો આવે જ નહીં. જયપ્રકાશ નારાયણે ‘એ પ્લી ફૉર રિકન્સ્ટ્રકશન ઑફ ઇન્ડિયન પૉલિટી’ નામે તૈયાર કરેલ વિશેષ ખરડાનો સાર અને એને અંગે ટીકાટિપ્પણ પણ આ જ વરસમાં સાથેલગાં સુલભ થયાં. જેમ ગુજરાતદર્શન વિશેષાંક (મે) તેમ સુરેશ જોષીના સંપાદનમાં, એમના પ્રવેશલેખ સાથે નવી નવલિકા-વિશેષાંક (ઑક્ટોબર) પણ આ વરસને નામે જમે બોલે છે. રૂસી, હંગેરિયાઈ, જપાની, અમેરિકી, ફ્રૅચ, બ્રિટિશ, જર્મન, સ્વિડિશ વાર્તાઓનું આ ચયન કરતી વેળાએ સુરેશ જોષીએ નવી નવલિકા વિશે એક માર્મિક અવલોકન કર્યું છે : ઘટનાનો ભારે વજનનો પથ્થર બાંધીને વાર્તાને ડુબાડી દેવી તે પણ ઠીક નથી.
આગલા વિશેષાંકોની જેમ જ ‘ગુજરાતદર્શન’ને વ્યાપક આવકાર મળ્યો. વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી સંપાદકનાં ‘સાહસ અને દૃષ્ટિને યોગ્ય અભ્યાસવાળા લેખો મળ્યા … તેથી તે(અંક) વારંવાર ખપમાં આવશે’, એવું કહ્યા વિના રહી શક્યા નહીં. ર. મ. રા. એ ‘ગજબ કામ’ તરીકે એની નોંધ લીધી તો તરુણ તૂર્ક જેવા ચુનીલાલ મડિયાએ ‘તમારી કનેથી તો આવી જ અપેક્ષા હોય. આથી ઊણું કશું ન ચાલે.’ એવી ટિપ્પણી કરી. ટૂંકમાં, પીતાંબર પટેલના શબ્દોમાં, ‘જેમને ગુજરાતમાં રસ છે તેમણે ‘ગુજરાતદર્શન’ વાંચવું જ જોઈએ.’
વિશ્વસાહિત્યનો યત્કિંચિત બલકે આગ્રહપૂર્વકનો સંપર્ક શરૂઆતનાં આ બધાં વર્ષોનું એક નિત્યલક્ષણ રહ્યું છે. ઉત્સ્ફૂર્ત તો એવું કે રૂસના સોલ્ઝેનિત્સનથી માંડીને જપાનના યાસુનારી કાવાબાતા સહિત સંખ્યાબંધ સર્જકો હજુ નોબેલે પોંખાયા નહોતા તે પૂર્વે ‘વિશ્વમાનવ’ વાટે ગુજરાતને અક્ષરપ્રત્યક્ષ થયા હતા. એકંદરે ‘વિશ્વમાનવ’ના ચાહક રહેલા વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીએ, જો કે સરજાતા વિશ્વસાહિત્યના સપાટામાં ૧૯મી સદીના કલાસિક્સ વણસેવ્યા રહે, તો ‘પરસ્પેક્ટિવ’માં એથી કંઈક ખામી રહે એવીયે ટકોર કરી હતી.
૧૯૬૨માં રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી અને પરિણામ આસપાસની ચર્ચા આરંભે મુખ્ય હતી. સંપાદકે કેડે કાંકરો મેલીને જોગવેલી સામગ્રી, પોતે દૈનિકની કામગીરીમાં મોકળેમને નિયોજી છે એવી આ ગાળામાં ઈશ્વર પેટલીકરની પોતાની કૉલમચર્યા અને આનુષંગિક લેખનપ્રવૃત્તિ સબબ સાહેદી જોવા મળે છે. ચીનનું આક્રમણ ૧૯૬૨ના ઉત્તરાર્ધથી ‘વિશ્વમાનવ’ની ચાલુ સામગ્રી ઉપરાંત વિશેષ જગ્યા સ્વાભાવિક જ રોકે છે, કેમ કે ઘટના અને ઘટનની દૃષ્ટિએ સંપાદક માટે તે પોતાના સમર્પિત સામ્યવાદી જીવનની પૃષ્ઠભૂ પર સવિશેષ તપાસલાયક બાબત બની રહે છે અને રાષ્ટ્રીય છેડેથી નાગરિક નિસબત તો એ છે જ.
હમણાં વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીનાં જે હિતવચનો સંભાર્યા એની અણચિંતવી સાખ પૂરતો હોય એવો અદ્યતન સોવિયત સાહિત્ય વિશેષાંક સપ્ટેમ્બર-ઑક્ટોબર, ૧૯૬૩માં મળે છે. ખ્રુશ્ચોફયુગી ઉઘાડ પછી અને છતાં જે ચિત્ર પ્રવર્તતું હશે, એનો એક અંદાજ એથી મળી રહે છે. એક રીતે, ‘પછી અને છતાં’ની પરિણતિ શાસન ક્ષેત્રે શું હોઈ શકે, એનો જે અહેસાસ વળતે વરસે દુનિયાને મળવાનો હતો – ખ્રુશ્ચોફના પતન રૂપે – એની નાન્દી-શો આ વિશેષાંક હતો.
વાત કરતે કરતે જરી આગળ નીકળી ગયા આપણે, પણ પાછળ નજર કરી એક ઉલ્લેખ ખાસ કરી લેવો જોઈએ તે ૧૯૬૧માં શતાબ્દી નિમિત્તે રવીન્દ્રદર્શન વિશેષાંકનો. ભોગીભાઈની પોતાની વિષયસજ્જતાને નગીનદાસ પારેખ, સુરેશ જોષી, નારાયણ દેસાઈ અને જયંતીલાલ આચાર્ય તરફથી ‘ઘણો મોટો ફાળો અને સલાહ-સૂચન’ પ્રાપ્ત થયાં હતાં. એની નોંધ એમણે ‘સદ્ભાગ્ય’ તરીકે લીધી છે. રવીન્દ્ર-પરિચય, રવીન્દ્ર- ચિંતન (ધર્મ, કલા, સંસ્કૃતિ, શિક્ષણ), રવીન્દ્રસર્જન (ગદ્ય, ગીતો, કાવ્ય, શિશુવાર્તા, શિશુકાવ્યો) આદિથી સંપન્ન ને સંગ્રાહ્ય આ અંકમાં સામાન્યપણે ગુજરાતમાં જેની ચર્ચા ઓછી થતી હોવાની છાપ છે, તે મુદ્દો – રવીન્દ્રનાથની રાષ્ટ્રવાદમીમાંસા – પણ આવરી લેવાયો છે, એટલી એક નોંધ સંપાદકીય સજ્જતાના પુનઃ પુનઃ નિદર્શન રૂપે ઉતાવળે પણ કરી લેવી જોઈએ.
૧૯૬૫ના વરસમાં ભારત-પાક સંઘર્ષને અનુલક્ષીને સ્વાભાવિક જ સવિશેષ સામગ્રી (માહિતી અને વિશ્લેષણ) સુલભ કરવાનું થયું. હંમેશ મુજબ સાહિત્યિક તથા અન્ય ઘટના-ઘટન સામગ્રી ઉપરાંત આ વરસ ઊતરતે સ્નેહરશ્મિની આત્મકથા ‘મારી દુનિયા’ ક્રમશઃ પ્રગટ કરવાનું શરૂ થયું તે અહીં ખાસ નોંધવું જોઈએ. કવિ અને કેળવણીકાર તરીકે સુપ્રતિષ્ઠ આ પ્રતિભાના ઉછેર અને ઘડતર વખતના ગુજરાત-મુંબઈની ચિત્રણા ઉપરાંત સ્વાતંત્ર્યસૈનિક તરીકેની એમની સમર્પિત સક્રિયતા અને જાહેરજીવનની નિરૂપણા આ આત્મવૃત્તાંતમાળાના એક વિશેષ રૂપે હવેનાં વરસોમાં ‘વિશ્વમાનવ’ના વાચકોને મળતાં રહેવાનાં હતાં.
તાશ્કંદ-સમજૂતી, વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની ચિરવિદાય અને ઇન્દિરા ગાંધીના ઉદય આદિ ઘટનાક્રમ સાથે ૧૯૬૬ના વરસમાં એશિયા વિશેષાંક નોંધપાત્ર રહ્યો. ૧૯૬૭નું વરસ જેમ લોકસભાની ચૂંટણીને ધોરણે રાષ્ટ્રજીવનમાં તેમ ‘વિશ્વમાનવ’માં પણ એક પ્રકારે સંક્રાન્તિનું વરસ હતું; કેમ કે બેંતાલીસ બિરાદરીના જૂના સાથીઓ ‘વિશ્વમાનવ’માં સહભાગી થવાની હોંશ સાથે મળ્યા હતા. સ્વાતંત્ર્યસૈનિક અને વરિષ્ઠ પત્રકાર નીરુભાઈ દેસાઈ વગેરે સાથે લાંબા પરિચયની સુષમા અને પ્રજાસત્તાક સ્વરાજના નિર્માણની ધખનાનો સહજ મેળ પણ હતો. એમાંથી રેખા કા-ઑપરેટિવ પ્રિન્ટિંગ ઍન્ડ પબ્લિશિંગ સોસાયટી હસ્તક ‘વિશ્વમાનવ’ પ્રકાશિત થાય એવું ઠર્યું. ‘રેખા’ના મૅનેજિંગ ડિરેક્ટર બકુલ ત્રિપાઠીનું નામ પ્રકાશક તરીકે મૂકવામાં આવ્યું. આગળ ચાલતાં આ જવાબદારી અનુક્રમે સૂર્યકાન્ત પરીખ અને દામુભાઈ શુક્લે સંભાળી હતી. મુખ્ય સંપાદક ભોગીભાઈ ઉપરાંત વિમલ શાહ અને રઘુવીર ચૌધરી, બે સહસંપાદક તેમ જ બી.કે. મજમુદાર, યશવન્ત શુક્લ, નીરુભાઈ દેસાઈ સંપાદકમંડળના સભ્યો તરીકે સંયોજાયા. આ નવા આયોજનમાં કામગીરીનું કેન્દ્ર સ્વાભાવિક જ અમદાવાદ બન્યું અને સ્થળ પરની સંપાદકીય જવાબદારી સહસંપાદક રઘુવીર ચૌધરીએ સંભાળી. તે પછી સપ્ટેમ્બર ૧૯૬૮થી આ લખનાર પણ એક સહસંપાદક તરીકે સંકળાયો.
રેખાતબક્કાની એક વિશેષતા એણે પરિસંવાદોની જે રમઝટ બોલાવી એમાં હતી. આ પરિસંવાદોમાં વ્યાપક સામેલગીરી અને સઘન ચર્ચાનું એક ધોરણ હતું, પછી તે બધું અંકમાં લેખરૂપ સંકલિત-સંપાદિત થતું. ચૂંટણીના સંદર્ભમાં લોકશાહીની સમસ્યા, પદ્યનાટક, ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ઇષ્ટ પરિવર્તન, વર્તમાન આર્થિક સમસ્યા અને ઉકેલ, કેન્દ્ર-રાજ્ય સંબંધો, કલાશિક્ષણ, શૈક્ષણિક સ્વાયત્તતા, ટૂંકી વાર્તા, અનુવાદ, ભારતીય ખેતીની સમસ્યા, રશિયન ક્રાંતિનાં પચાસ વરસ, બૌદ્ધિકોનું દાયિત્વ, હર્બર્ટ રીડ જેવા વિષયો આ નિમિત્તે ચોમેરચોફેરથી તપાસાયા અને ચર્ચાયા. ઉમાશંકર જોશી, મનુભાઈ પંચોળી, કપિલરાય મહેતા, નગીનદાસ સંઘવી, દેવવ્રત પાઠક, હરિવલ્લભ ભાયાણી, જયંતી દલાલ, રજની કોઠારી, કીર્તિદેવ દેસાઈ, ડોલરરાય માંકડ, એસ.આર. ભટ્ટ, પુરુષોત્તમ માવળંકર, વી.એસ. વ્યાસ, ગિરીશ પટેલ, શંખો ચૌધરી, માધવ અચવળ, જ્યોતિ ભટ્ટ, ચંદ્રકાન્ત દરુ, એમ.એલ. દાંતવાલા, એ.બી. શાહ, રાવજીભાઈ પટેલ, અચ્યુત યાજ્ઞિક; આ થોડાંક જ નામો વિવિધ પરિસંવાદ નિમિત્તે અહીં સંભારીએ છીએ.
ફેબ્રુઆરી ૧૯૬૯થી મુખ્ય કે સહ એવી ઓળખથી નિરપેક્ષપણે ભોગીલાલ ગાંધી, વિમલ શાહ, રઘુવીર ચૌધરી, પ્રકાશ (ન.) શાહ એમ સંપાદકમંડળ તરીકે ચાર નામનો ચાલ શરૂ થયો. આ વરસમાં ગાંધીશતાબ્દી, અમદાવાદમાં કોમી રમખાણ, કૉંગ્રેસના વિઘટનની શરૂઆત, પાઠ્યપુસ્તકોનું પ્રકાશન રાજ્ય સરકાર હસ્તક લેવા માટે બોર્ડની રચના જેવા ઘટનાક્રમમાં વિશેષાંક, લેખનગુચ્છ, પરિસંવાદ, લાંબી ટિપ્પણી એમ અલગ-અલગ ધાગે બરાબર કામ લઈ શકાયાની છાપ ઊઠે છે. ગાંધીશતાબ્દી નિમિત્તે વિશેષાંકની સામગ્રીમાં ગાંધીવિચાર બાબતે પરત્વે આમૂલ પુનર્વિચારની જરૂરત ચીંધતો લેખ પણ હોઈ શકે, તે પાછળ નજર કરતાં ‘વિશ્વમાનવ’નો સ્વતંત્ર ખોજમિજાજ બરકરાર હોવાની સાખ પૂરે છે.
દરમિયાન, સંજોગો બદલાયા. આમ તો, જો કે, ભોગીભાઈએ નોંધ્યું છે તેમ, “રેખા સહકારી પ્રવૃત્તિનો આરંભ ‘વિશ્વમાનવ’થી થયો. બૌદ્ધિક ક્ષેત્રે ચિંતનના એક મહત્ત્વના માધ્યમ તરીકે તેનો ઘાટ ઘડાતો થયો. સાહિત્ય, શિક્ષણ, રાજકારણ, અર્થકારણ, વિજ્ઞાન અને લલિતકલાનાં વિવિધ પાસાંઓને મહિને-મહિને પરિસંવાદો અને સંવિવાદ દ્વારા વાચા મળી. ‘વિશ્વમાનવ’નું કાઠું પુષ્ટ થતું ગયું. સાથોસાથ પ્રેસની પ્રવૃત્તિ સમગ્ર પ્રવૃત્તિનું કેન્દ્ર બને અને ‘વિશ્વમાનવ’ તેનું માધ્યમ બને એવી શક્યતાઓ પણ ઊપસી આવી. પ્રયાસો થયા. અનેક સન્નિષ્ઠ અને શુભકામનાઓ ફળે જ એવું હંમેશ બનતું નથી. ૧૯૬૯ના અંતમાં રેખાની આંતરિક-આર્થિક સ્થિતિ સમજીને મેં જેટલા સહજભાવે ને ઉમળકાથી ‘વિશ્વમાનવ’ તેમને સોંપ્યું હતું. તેટલા જ સહજભાવે ને ઉમળકાથી મને પાછું સોંપવા વિનંતી કરી, અને સંસ્થાએ તા. ૮-૧-૧૯૭૦ના રોજ ઠરાવ કરીને મને ‘વિશ્વમાનવ’ પરત કર્યું. છતાં, ખૂબ જ ખુશીની હકીકત એ છે કે આ દિવસોમાં મારી તબિયત – કદાચ લાંબો સમય હું નિષ્ક્રિય રહું તેવી બગડતી દેખાતાં મેં તત્કાળ ‘વિશ્વમાનવ’ આગળ ચલાવવાનું કદાચ ન બને એવો ઇશારો કર્યો કે તરત જ રેખાના કાર્યકર્તાઓએ ‘વિશ્વમાનવ’ બંધ પડે તે કરતાં મુશ્કેલીમાં ય ચલાવવાનું વિચાર્યું ! ‘વિશ્વમાનવ’ પ્રત્યેની એમની આ મમતા માટે મેં એમનો અહેસાન માન્યો, તે પહેલાં, ‘વિશ્વમાનવ’ના પરિવાર સમા સાથીઓએ પોતાને શિરે ઘણો બધો બોજ ઉપાડી લેવાની તૈયારી બતાવી મને નિશ્ચિંત કરી દીધો હતો …
"૧૯૭૦ જાન્યુઆરીથી ‘વિશ્વમાનવ સંસ્કારશિક્ષણ ટ્રસ્ટ’ની પ્રવૃત્તિ રૂપે ‘વિશ્વમાનવ’ (હવે દ્વિમાસિક રૂપે) પ્રગટ કરવાનું નક્કી થયું છે. મારે માટે તો, ‘વિશ્વમાનવ’ અનેક નવા સંબંધોની સુગંધ લઈને પાછું આવ્યું છે. પૂરાં બાર વર્ષ (૧૯૫૮થી ૧૯૬૯) – એક ‘તપ’ પૂરું થયું છે. પૂરા ૧૦૮ અંકે માળાનો એક આંટો ય પૂરો થયો છે. હવે કેવળ મારી અંગત ‘અર્જ’ પર મુસ્તાક રહીને આજે જ્યારે એનો બધો બોજો એકલપંડ ઉઠાવવાની ગુંજાશ ઓછી થઈ છે ત્યારે (ત્યારે હું ૪૭નો હતો, હવે ૫૯ પૂરાં કરું છું એ પણ ખરું) મારો ભાર મિત્રોને માથે લાદીને હળવાશ અનુભવવા નથી ઇચ્છતો. કોઈના પર બોજ લાદીને જ ચલાવવાનો રસ હતો નહિ અને છે નહિ, છતાં, ‘વિશ્વમાનવ’ની હયાતી ટકી રહેશે, તો એ મારે માટે એક મોટું આશ્વાસન હશે …
“આવી મનઃસ્થિતિમાં વિશ્વમાનવનાં પરિવારજનો તા. ૨૬મી જાન્યુઆરીએ ભેગાં થયાં. વૈયક્તિક ‘અર્જ’ અને સંસ્થાકીય ‘જરૂરિયાત’ના અનુભવો સાથે હવે ‘વિશ્વમાનવ’ ત્રીજી મંજિલ ખેડે છે …”
જુગતરામ દવે (અધ્યક્ષ), ભોગીલાલ ગાંધી (સંયોજક), સુભદ્રા ગાંધી (સંચાલક), નગીનદાસ પારેખ, ભાઈદાસભાઈ પરીખ એ સ્થાપક ટ્રસ્ટીઓ અને ગગનવિહારી મહેતા, બબલભાઈ મહેતા, ધીરુભાઈ મ. દેસાઈ તેમ જ નાનુભાઈ અમીન એ પરામર્શકો, આ ધોરણે ટ્રસ્ટ કાર્યરત થયું અને નગીનદાસ પારેખ તેમ જ ભોગીલાલ ગાંધીના પરામર્શનમાં પ્રકાશ ન. શાહ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, મુકુંદરાય મુનિ, સુમન શાહ, સુભદ્રા ગાંધીનું સંપાદકમંડળ બન્યું. સંપાદકીય પત્રવ્યવહાર માટે પ્રકાશ ન. શાહનું નામ મૂકવા સાથે ત્યારે બીલીમોરામાં ગુજરાતી શીખવતા અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (સાહિત્યવિભાગ : સર્જન) અને કપડવંજ કૉલેજમાં કાર્યરત સુમન શાહ (સાહિત્યવિભાગ : વિવેચન) એમ જવાબદારી ફાળવવામાં આવી.
ભોગીભાઈએ ૨૬ જાન્યુઆરી, ૧૯૭૦ના દિવસે (એમના સાઠમા જન્મદિવસે) એમને ત્યાં જે પરિવાર મળ્યાનો ઉલ્લેખ કર્યો છે, તે પૈકી એક આ લખનાર પણ હતો. સ્વરાજની પહેલી પચીસી ઊતરતે, અણુયુગના સમન્વયક નેહરુના સત્તર વરસના શાસનકાળ પછી, એમની જેમ જ વૈશ્વિક પરિમાણ અને રાષ્ટ્રીય ધારામાં છતાં સમાંતર હોઈ શકતી વિનોબા-જયપ્રકાશની સત્તાબાહ્ય ગતિવિધિથી માંડીને ગાંધી-શતાબ્દીપર્વ જેવાં સહજ મંથનમોકાભેર વિવિધ પ્રવાહો અને પરિબળો વચ્ચે પેલું ઓઝોન ગુરુવારિયું હવે વ્યાપક અર્થમાં ક્યાં ઠરવા કરતું હશે, એનો અંદાજે હિસાબ આપતું જે એક નિવેદન અમે ત્યારે ઘડેલું – વ્યક્તિગત, વિધિવત્ સંમતિથી નિરપેક્ષપણે છતાં અણકહી એકંદરમતી જેવું – તે જાન્યુઆરી-ફેબ્રુઆરી ૧૯૭૦ના અંકમાં (એટલે કે વિશ્વમાનવ સંસ્કારશિક્ષણ ટ્રસ્ટના નેજા હેઠળના પ્રથમ અંકમાં) પ્રકાશિત કર્યું હતું. એનું શીર્ષક ‘મનોરથ અને મથામણ’ એવું આપ્યું હતું. અહીં એની એકંદર રૂખ અને મિજાજનો કંઈક ખયાલ મળી રહે, એ ખયાલે એનો ઉત્તરાર્ધ ઉતારીએ છીએ :
* ચાલો આપણે બૌદ્ધિકો અને સર્જકો – દેશી કે વિદેશી, પુરાણયુગી કે મૉડર્ન – કોઈ પણ પ્રકારનાં વાડા કે બંધિયારસૂત્રોની સાંકળોમાંથી દૂર થઈએ. જ્યાંક્યાંયથી જે કોઈ આકારે કે પ્રકારે સર્જનનો આહ્લાદ મળે, ત્યાં તેને બાથ ભરીને આલિંગીએ. જ્યાંક્યાંય, જે કોઈ નામે અને નિમિત્તે ચિંતનનાં ઊંડાણ લાધે ત્યાં અવગાહન કરીએ.
* ચાલો આપણે – બૌદ્ધિકો અને સર્જકો – પોતાના કોચલામાં ગૂંગળાઈ મરવાને બદલે, સમસ્ત ચૈતન્યના જ્યાં ફુવારા ઊડે છે તે દિશા ઢૂંઢીએ. હૃદયમનની ક્ષિતિજો વિસ્તારવા ઝંખતા, નવું-નવું પામવા મથતા તરુણો, વિદ્યાર્થીઓ, અધ્યાપકો, અભ્યાસીઓ અને અદના નાગરિકો સૌની સાથે સાદ્યંત સેતુ બાંધીએ – અખંડ સંવાદ સાધીએ અને તે દ્વારા આપણે આપણાપણું અનુભવીએ.
* ચાલો આપણે વિજ્ઞાન, સાહિત્ય, ટૅક્નોલૉજી, શિક્ષણ, રાજકારણ, અર્થકારણ, મનોવિજ્ઞાન, સમાજકારણ અને તત્ત્વચિંતન આદિ ક્ષેત્રો વચ્ચેની આડશો વટાવી જઈએ; તે દરેકની વિશેષતા અને વિલક્ષણતા છતાં, તેમની અલગતાને જ પોષનારી કૃત્રિમ દીવાલો તોડીએઃ નિષ્ણાતીકરણને નામે પોષાતી અલગતા અને એકાંગિતાને બદલે અખિલાઈ આરાધીએ.
* ચાલો, આપણે સૌ એવો સમાજ ઝંખીએ અને એવાં મૂલ્યો માટે મથીએ જ્યાં કલા, કારીગરી અને શ્રમ સૌંદર્યમયી અને આનંદમયી અનુભૂતિ બની રહે – તંદુરસ્ત જીવનની પ્રક્રિયા બની રહે.
વાચક જોશે કે આ નિવેદનમાં સહૃદય સાહિત્યસેવન અને સૈદ્ધાંતિક ધોરણે સ્વાધ્યાયપુત તેમ કંઈક મુગ્ધ – કંઈક વયસ્ક એવી કર્મશીલતા વાસ્તે હોંશ ને અજંપો સેવતી મંડળીનો મિજાજ ફોરવા કરે છે. પરમાનંદ કુંવરજી કાપડિયાએ મુંબઈની સુપ્રતિષ્ઠ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં પોતાની વાત કરવા માટે ભોગીભાઈને નિમંત્ર્યા, ત્યારે ગાંધીની વિદ્યાપીઠની શિક્ષાદીક્ષા અને સામ્યવાદી પક્ષની સમર્પિત કામગીરી તેમ જ એમાંથી બહાર આવવાની પ્રક્રિયા, આ સઘળું સંભારીને ભોગીભાઈએ એક ભવમાં બે ભવ કર્યાની લાગણી પ્રગટ કરી હતી, એ અહીં સાંભરે છે. છાયાભેદે અને ઝોકફેરે ગુજરાતમાં ત્રીસીનાં જે સંતાન આવ્યાં, ગાંધીએ ઘડાયાં ને માર્ક્સે ખેંચાયાં, એમણે પોતપોતાની રીતે સમજનો લય કેળવી – કોઈકે માકર્સને ગાંધીસાત્ કરી તો કોઈકે ગાંધીને માકર્સસાત્ કરી – ચોક્કસ દિશા ને ગતિની કોશિશ કીધી હતી. કોઈ પક્ષીય કે સીધા છાવણીગત સંધાન વિનાનું આ નિવેદન કંઈક અંશે એ પ્રક્રિયાને પ્રતિનિધિતને વ્યાખ્યાયિત કરતું કહી શકાય, એમ પાછળ નજર કરતાં લાગે છે.
આ નિવેદન લખાયું ત્યારે જો કે અણુયુગની સમન્વયક એવી કહો કે જવાહર – જયપ્રકાશની સમાંતર છતાં સાથે હોઈ શકતી ધારાને ઇન્દિરાઈ રાજકારણગત નવા વળ અને આમળા ચડી રહ્યા હતા. એટલે વ્યાપક નાગરિકસમાજમાં હમણાં લગી છેક જ નહીં તોપણ નહિવત્ એવા ધ્રુવીકરણ અને મોરચાબંધીની સંભાવના ઊભરવામાં હતી. કલા, કારીગરી, અને શ્રમ એક સૌંદર્યમયી અને આનંદમયી અનુભૂતિ બની રહે – તંદુરસ્ત જીવનની પ્રક્રિયા બની રહે એવા ન્યાયી સમાજ માટેની ધખનાએ રાજકારણના કેવાંક વળાંક, વહેણ અને વમળ સાથે કામ પાડવું રહેશે, એ અમૂઝણ ક્ષિતિજ પર દેખીઅણદેખી ડોકાઈ રહી હતી, પણ એનો અનિવાર્ય નિર્દેશ યથાક્રમ કરીશું.
નવપ્રસ્થાનના પહેલા જ અંકમાં બર્ટ્રાન્ડ રસેલને અંગે અંજલિવિશેષ, ‘સમાજવાદ : પુનર્વિચાર’ એ સંવિવાદ (એ.બી. શાહ, એમ.એલ. દાંતવાલા, બી.કે. મજુમદાર, સંપૂર્ણાનંદ, રાજગોપાલાચારી, આચાર્ય કૃપાલાની), વ્યક્તિ અને સમાજ (હર્બર્ટ રીડ), ‘વેઇટિંગ ફોર ગોદો’ (સુમન શાહ), જાત જોડે (જયંતી દલાલ) રાષ્ટ્રીય લોકશાહી મોરચો અને સમાજવાદની ‘મિથ’ (પ્રકાશ ન. શાહ), ઉદ્યોગધંધાના અગ્રણીઓ અને લોકશાહી પ્રગતિ (ભોગીલાલ ગાંધી) વગેરે વિષયો જોવા મળે છે.
અહીં નમૂનાદાખલ સમગ્ર અંકની ઝલક આપી છે, પણ હવે મિતાક્ષરી નિર્દેશથી આગળ ચાલીશું.
૧૯૭૦ના વરસમાં સ્નેહરશ્મિની આત્મકથાનો બીજો ભાગ ‘નવી કેડી’ શરૂ થાય છે, તો સમાજવાદ વિષયક પુનર્વિચાર-અને-સહવિચારના દોર સાથે ચાલુ રાજકીય વ્યૂહરચનાના તક અને તકાજાને અનુલક્ષીને ‘રાષ્ટ્રીય લોકશાહી મંચ’ના ખ્યાલ આસપાસ સંવિવાદ-પત્રચર્ચા, સરકારી બોર્ડ હસ્તકનાં પાઠ્યપુસ્તકોની ચર્ચા, શહેર(અમદાવાદ)ની રચના અને વિકાસને સમજતી-સમજાવતી લેખમાળા (પનુભાઈ ભટ્ટ) વગેરે ધ્યાનાર્હ બની રહે છે. રશિયા છાંડી ભારત વાટે અમેરિકામાં આશ્રય લેતી સ્તાલિનપુત્રી સ્વેતલાનાનાં સંભારણાંની શ્રેણી ‘એ પનોતું એક વરસ’ (રજૂઆત : સુભદ્રા ગાંધી) આ વરસમાં શરૂ થાય છે, તો જયંતિ દલાલે અવસાનના થોડા દિવસ પૂર્વે આ લખનારને બોલાવી હાથોહાથ સોંપેલ ‘વજીરનો હાથી’ (ઇવો આન્દ્રીચ કૃત લાંબીટૂંકી વાર્તા કે લઘુનવલનો અનુવાદ) પણ યાદગાર છે.
૧૯૭૧નું વરસ ઇન્દિરા ગાંધી હસ્તક મધ્યસત્ર ચૂંટણી અને તેમની કૉંગ્રેસ માટે વ્યાપક લોકસભા-સમર્થનનું હતું તેમ જ બાંગ્લાદેશમાં, ત્યાંની મુક્તિવાહિનીની તરફેણમાં એમના નેતૃત્વ હેઠળ સશસ્ત્ર કુમકના અભૂતપૂર્વ નિર્ણયનું હતું. ‘વિશ્વમાનવ’માં આ અંગેની ચર્ચામાં પૂર્વ બંગાળ સાથે કેન્દ્રીય પાક સરકારનો એક સંસ્થાન જેવો વહેવાર તેમ જ બાંગલા ઉન્મેષની રાષ્ટ્રવાદી તાસીર ને સ્વાતંત્ર્યઝંખના સુપેરે ઊપસતાં માલૂમ પડે છે. જ્યાં સુધી ઇન્દિરા કૉંગ્રેસ અને મધ્યસત્ર ચૂંટણી સહિતના ઘટનાક્રમનો સવાલ છે, બે સ્પષ્ટ સામસામા મતને અહીં સ્થાન અપાયું છે. ‘નવી કૉંગ્રેસની તરફેણમાં’ (રજની કોઠારી) અને ‘ઇન્દિરાશાહી સમાજવાદ અને લોકશાહી’ (ભોગીલાલ ગાંધી) બેઉ છેડાનાં નિદર્શન છે. દર અંકે પહેલે પાને મુકાતી ચિંતન/વિમર્શનોંધમાં પણ ભોગીભાઈની કોશિશ દેશના રાજકારણ વિષયક સૈદ્ધાંતિક પૃષ્ઠભૂગત ઊહાપોહની અગર સહવિચારની જણાય છે, જેમ કે ‘થોડી લાંબી અને છતાં મૂલ્યદૃષ્ટિએ પાયાની પ્રક્રિયા ઓળંગી જઈને રાતોરાત ફતવાઓ દ્વારા – અન્યથા મુશ્કેલ અને લાંબો લાગે એવો નિર્ણય, ટૂંકા રસ્તાની સરળ તરકીબ દ્વારા દેશને માથે ઠોકવાની પદ્ધતિ લોકશાહીની જ વિઘાતક નીવડે છે … હકીકતમાં લોકશાહી બંધારણનાં મૂળિયાંને જ મચોડે છે, તોડે છે …’ જાન્યુઆરી-૧૯૭૧ની આ ચિંતનનોંધ બાબતે ભોગીભાઈનો તે પછીના અંકમાંનો લેખ ખાસો ફોડ પાડતો બની રહે છે, દા.ત., ‘ઇન્દિરાજી જે નિસરણીનાં પગથિયાં ચડતાં જાય છે તે જ પગથિયાં તેઓ તોડતાં જાય છે … પરંતુ, તેઓ ભૂલી જાય છે કે તેટલા પ્રમાણમાં લોકશાહીની સીડી બોદી થતી જશે. ધરતી પરના લોકોની ભૂમિકાથી તેઓ એટલાં તો કપાઈ જશે કે તેમને માટે સરમુખત્યારીનો જ એકમાત્ર ઉપાય સહજ બની જશે.’ ગમે તેમ પણ, દેશની રાજનીતિ એક નવા તબક્કામાં પ્રવેશી રહી હતી, તે પૂર્વે પાછળ નજર કરી બધું સમીચીનપણે સંકોરી લેવું હોય તેમ ડિસેમ્બર ૧૯૭૧ના અંકમાં ભારતીય રાજકારણ વિશે એક આખો લેખગુચ્છ વિશેષ રૂપે અપાયો છે.
આ બધાં વર્ષોને રાજકીય વળાંક સંદર્ભે વિશેષ સંભારાય છે, એવી છાપ વાચકને પડે તો ખોટું નથી. માત્ર, આવો એક ઢોળાવ છતાં વિવિધ વિચારપ્રવાહો, પરિબળો, પ્રતિભાવો ચર્ચવાનું કદાપિ છૂટ્યું નથી એટલું અહીં એક વાર અધોરેખિતપણે અંકિત કરી લેવું જોઈએ. અબૂ સઇદ અય્યુબના અનુભવે લેખો, ‘સમકાલીનતા અને આધુનિકતાઃ જીવનમાં અને સાહિત્યમાં’ ને અનુલક્ષીને સૌમ્યેન્દ્રનાથ ઠાકુરે કરેલી છણાવટ, ‘ગુપી ગાઇન બાઘા બાઇન’, ‘અનુભવ’ જેવી ફિલ્મ-સમીક્ષા, બ્રોનોવ્સ્કીની દૃષ્ટિએ વિજ્ઞાન-સમીક્ષા તરેહનો દોર અલબત્ત અનિરુદ્ધ રહે છે. ‘ભારતે અણુબૉમ્બ બનાવવો જોઈએ?’ ‘બૌદ્ધિકનો યુગધર્મ’ જેવા પરિસંવાદો (ઊહાપોહ) પણ સંભારવા જોગ છે, તો અરવિંદ શતાબ્દીને અનુલક્ષીને સમૃદ્ધ વિશેષાંગ પણ કેમ વણનોંધ્યું રહે.
નવેમ્બર ૧૯૭૨થી સંપાદકમંડળમાં પ્રકાશ ન. શાહ અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ પૂર્વવત્ રહે છે, જ્યારે બાકી નામો જણાતાં નથી, અને રમેશ મ. ભટ્ટનું નામ ઉમેરાય છે. ૧૯૭૩નું વરસ ગુજરાતના આદિવાસીઓ વિષયક ઘનશ્યામ શાહ વગેરેના ત્રણ અભ્યાસલેખોના ગુચ્છથી તેમ ચાર લેટિન અમેરિકી કવિઓ વિષયક ચંદ્રકાન્ત ટોપીવાળાની લેખમાળાથી ધ્યાનાર્હ બની રહે છે. અન્ય લેખસામગ્રી ઉપરાંત આ વરસમાં ગુજરાતના રાજકારણ અને જાહેરજીવન વિષયક કેટલીક સામગ્રીમાં ૧૯૭૪ના નવનિર્માણ આંદોલનના પૂર્વસંકેતનો ખયાલ મળી રહે છે. જૂન ૧૯૭૩નો અંક, આમ તો, સુભદ્રા ગાંધીના સંકલન-સંપાદનમાં ‘ટૉલ્સ્ટૉયનું અંતરંગ દર્શન’ પ્રગટ કરતો વિશેષાંક છે, પણ આ અંકમાં ૧૯૭૩ના ડિસેમ્બરમાં સોળ વરસ પૂરાં કરી ‘વિશ્વમાનવ’ સત્તરમા વરસમાં પ્રવેશશે એવી પહેલા પાનાની નોંધને છેડે હવેનાં વર્ષોમાં અગાઉના સાતત્યપૂર્વક પણ વિશેષ રૂપે ‘વિશ્વમાનવ’ની સક્રિય ભૂમિકા શું હશે, એનો નિર્દેશ મળી રહે છે :
‘વિશ્વમાનવ’ દુઃખી છે. ચોપાસ વધતી ભીંસ સામે વધતી જતી અસહાયતાના અનુભવે અધિક વ્યથિત છે. વૈચારિક શુદ્ધિ માટેની સમ્યકચિંતનની ભોંય જ જાણે સરકી ગઈ છે. બૌદ્ધિકો વચ્ચે મૂળભૂત અભિગમની એકવાક્યતા હોય એ ઇષ્ટ છે. એ ન હોય તો પણ, ભિન્ન અને વિરોધી અભિગમો હોય તો ય, ભેગા થવાની ભૂમિકા, પરસ્પરને સમજવાની ગરજ-આરત હોય, અને જે સાચું માન્યું તેને, જોખમ ખેડીને, પ્રગટ કરવાની અને વ્યવહારમાં મૂકવાની નિષ્ઠા હોય તો ય બસ.
“હા, લોકશાહી સુરક્ષાસંઘ છે, ડેમોક્રેટિક ફોરમ છે, આચાર્યકુળ જેવી સંસ્થા છે; લોકસેવક સંઘ ઊભો થઈ રહ્યો છે. આ બધી સંસ્થાઓ, શિક્ષકો, સાહિત્યકારો, પત્રકારો, ચિંતકો; બૌદ્ધિકોની જમાત માટે ‘સહચિંતન’ માટેની મિલનભૂમિ બની શકે … ‘વિશ્વમાનવ’ એ દિશામાં કશુંક તો કરી શકે જ …”
૧૯૭૦માં વિશ્વમાનવ સંસ્કારશિક્ષણ ટ્રસ્ટ વાટે, એક અર્થમાં નવપ્રસ્થાન પેઠે, જે અભિલાષ પ્રગટ કર્યો હતો, એના અનુષંગે ગુજરાતમાં જાહેરજીવનની દૃષ્ટિએ કશીક દરમિયાનગીરીના બનતા આવતા માહોલના નિર્દેશરૂપે હમણાં ટાંકી તે નોંધ જોવા જેવી છે. એક રીતે, ૧૯૭૪માં નવનિર્માણ – બિહાર આંદોલન સાથે લોકપહેલ અને પ્રજાસૂય હસ્તક્ષેપનું જે નવ્ય હોઈ શકતું રાજકારણ હતું એ સંદર્ભે વિશ્વમાનવના પરામર્શક-સંપાદક(ભોગીભાઈ અને પ્રકાશ)ની સંભવિત ભૂમિકાનો આ સંકેત હતો. આંદોલનમાં સીધી દરમિયાનગીરીથી માંડીને સહભાગિતાના અર્થમાં ન હોય ત્યારે પણ વૈચારિક આપ લે, મતઘડતર, એ ધોરણે એકત્ર આવવાની બળુકી ચેષ્ટા એમાં અભિપ્રેત હતી. ‘ક્મ્પેરિંગ નોટ્સ’ અલબત્ત બધો વખત, બધે તબક્કે એક ચાલુ પક્રિયા હોય જ; પણ એથી આગળ જવાની અનિવાર્યતા પણ સમજાતી હોય એવી ગાભણી ને ગોરંભાયેલી નિયતિ જાણે …
ફેબ્રુઆરી ૧૯૭૪ના નવનિર્માણ દિવસોને અનુલક્ષીને ‘લોકઆંદોલન : શિસ્ત – શુદ્ધિ – પુષ્ટિ’ એવી અગ્રનોંધમાં ગુજરાતમાં જયપ્રકાશ નારાયણની વિશેષ ઉપસ્થિતિ અને પ્રત્યક્ષ માર્ગદર્શનમાં લોકસ્વરાજ આંદોલનનાં મંડાણની જિકર સાથે સમાપનવચનોમાં કહ્યું છે : “૨૫ વર્ષ સુધી ગાંધીની ‘તલવાર’ વાપરી નહીં ને કટાઈ ગઈ .. હવે કટાયેલી તલવાર ઘસીને કાટ ઉતારવાની પ્રક્રિયા જેટલી વહેલી શરૂ થશે, એટલી ક્રૅડિટેબિલિટી – વિશ્વસ્તતા પ્રાપ્ત કરશે …”
નવનિર્માણ-આંદોલન અને લોકસ્વરાજ-આંદોલન વિશે માહિતી ને ટિપ્પણી, બિહાર-આંદોલનના અગ્રચરણને અનુલક્ષીને નુક્તેચીની સમેત વિગતો, બિહાર-આંદોલનનો એક આંખોદેખા હાલ (ભોગીભાઈની જેપી સાથેની પ્રવાસનોંધ) ૧૯૭૪માં પ્રકાશિત સામગ્રીનો સિંહભાગ રોકે છે. જો કે કળાની સાર્થકતા, રવિભાઈ સાથે કળાચર્ચા, હેમિંગ્વેની વાર્તાકલા, ઉસ્તાદ અમીરખાં સાહેબ, સવિશેષ તો સોલ્ઝેનિત્સિનની સુદીર્ઘ આત્મકથાત્મક નોંધ વગેરે વૈવિધ્ય જારી છે. દાદા ધર્માધિકારીની વિશેષ ટિપ્પણી, આચાર્ય કૃપાલાનીની ગાંધી-વિનોબા મીમાંસા તેમ જ પ્રબોધ ચોકસીની જેપી ટીકા બાબતે ભોગીભાઈની મુખતેસર પ્રતિક્રિયા પણ આ સંદર્ભમાં સ્મરણીય છે.
૧૯૭૫માં જેપી દોર અગ્રતાક્રમે આગળ ચાલે છે. આંદોલન સબબ રાષ્ટ્રીય સ્તરની ચર્ચાસામગ્રી ઉપરાંત લોકસ્વરાજ અંદોલન – લોકશક્તિ સંગઠન – લોકસંઘર્ષ સમિતિ અને જનતામોરચા લગીની રચનાપ્રક્રિયાની વૈચારિક પૃષ્ઠભૂ સહિતની ગતિવિધિ અહીં જોવા મળશે અને જૂન, ૧૯૭૫માં ગુજરાતમાં જનતામોરચા સરકારની વાંસોવાંસ ૨૫મી જૂનથી દેશભરમાં જાહેર થયેલ કટોકટી પરત્વે પ્રતિભાવ પણ જોવા મળશે. કટોકટી સાથે સેન્સરશિપ જોડે આટાપાટાપૂર્વકની વિચાર-અને-પ્રતિકાર-સામગ્રી જોગવવાનો પડકાર, પ્રકાશ ન. શાહ અને રમેશ મ. ભટ્ટની સંપાદકીય સહાય સાથે ગાંધી દંપતીએ સુપેરે ઝીલી જાણ્યો. ‘સબ કો સન્મતિ દે ભગવાન’ એ આર્તવચનો નવાખલી યાત્રી ગાંધીના રેખાચિત્ર સાથે આ મહિનાઓનો એક રાબેતો હતો. સ્વતંત્રતા-અને-જાગૃતિ-લક્ષી વાચન માટે સોલ્ઝેનિત્સિનનો સંગ્રામલેખ, માર્ટિન લ્યુથર કિંગની જીવનયાત્રા; સુરેશ જોષીની જનસત્તા-લોકસત્તાની કૉલમકારીમાં સીધા નિર્દેશ વગર કટોકટીવલણોની ટીકા ઊપસી રહે એવી લલિત જેવી કામગીરી, સેન્સરની નજરે પસાર થઈ શકેલા કીર્તિદેવ દેસાઈ – પ્રવીણ ન. શેઠના લેખો, સૂચિત બંધારણસુધારાની ચર્ચા પણ ધ્યાનાર્હ છે.
૧૯૭૬માં પણ આ જ દોર જારી છે. જો કે માર્ચમાં જનતામોરચા સરકારના પતન સાથે આ લખનારની મિસા અંતર્ગત જેલ કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. માર્ચ-એપ્રિલ-મે સંયુક્ત અંક ‘ક્ષમસ્વ’ મથાળે એવી નોંધ સાથે પ્રગટ થાય છે કે ટ્રસ્ટના સંયોજકની લાંબી માંદગી અને સંપાદકની અટકાયતને કારણે અસાધારણ વિલંબ થયો છે. દેખીતી રીતે જ આ ગાળામાં સુભદ્રા ગાંધી પર વિશેષ બોજ આવે છે. પછીથી તો, જો કે, જેલમાંથી હું સામગ્રી મોકલી શકું એવીયે સરળ ભૂગર્ભવ્યવસ્થા ગોઠવાઈ ગઈ એ એક સ્મૃતિરોમાંચ ! સેન્સર-પ્રક્રિયા ટપી શકતી કટોકટી વિષયક ટીકાત્મક સામગ્રી, ‘બંધ પડી ઘડિયાળ : હવે માગે છે ચાવી’ એવો રજની કોઠારીનો વિશેષ લેખ, કટોકટી દરમિયાનના અર્થતંત્ર પર સંવિવાદ, અલગ અલગ દેશકાળમાં પ્રતિકારની કહાણીઓ વાંચવા મળે છે.
૧૯૭૭ના જાન્યુઆરીમાં કટોકટી હળવી થયાની તેમ જ ચૂંટણીની જાહેરાત સાથે સ્વાભાવિક જ પ્રતિહારનાં સર્વ બળોના રાજકીય એકત્રિકીકરણ અગર સમજૂતીને જોરે કટોકટીરાજના સત્તા-પ્રતિષ્ઠાનના વૈકલ્પિક પડકારનો મુદ્દો મહત્ત્વ બને છે. સક્રિય રાજકારણીઓ અને સ્વતંત્ર બૌદ્ધિકો, અપક્ષ કાર્યકરો વચ્ચે આ સંદર્ભમાં સાર્થક સંવાદની કોશિશ ચાલે છે. માર્ચ, ૧૯૭૭માં જનતા રાજ્યારોહણ પછી બેત્રણ ધાગે એકસાથે કામ લેવાય છે. જયપ્રકાશની ભૂમિકાને ધોરણે મોરારજી દેસાઈની સરકાર અને જનતાપક્ષ પરત્વે સહૃદયતાપૂર્વક સલાહસૂચનથી માંડી દો ટૂંક આલોચના તેમ જ તે દૃષ્ટિએ લોકમતની ઉદ્યુક્તિ લાયક સામગ્રી બધું સાથેલગું ચાલે છે. જનતા પક્ષથી સ્વતંત્રપણે લોકસમિતિ અને છાત્ર યુવા સંઘર્ષવાહિનીની પ્રક્રિયામાં બૌદ્ધિક વિમર્શ તેમ જ તે અંગેના પ્રવાહોની સટીક વિગતો પણ અપાતી જાય છે. ઑગસ્ટમાં શગઘટના જેવો ગુજરાતી સામયિકોમાં અદ્વિતીય એવો કટોકટી વિશેષાંક (બસોથી વધુ પાનાંમાં) ખાસી દસ્તાવેજી સામગ્રી સાથે પ્રકાશિત થાય છે, અને ઑક્ટોબર આવતે જયપ્રકાશના જીવનચિંતનને અનુલક્ષી અમૃત-મહોત્સવના ઉપલક્ષ્યમાં વિશેષ વાચન જોગવાઈ છે. સોલ્ઝેનિત્સિનનાં ગદ્યકાવ્યો, બુકોવ્સ્કી : મુક્તિ કે દેશવટો, બનફુલની લાંબી મુલાકાત, ટ્રસ્ટીશિપ વિષયક ચિંતન અને પ્રયોગોને લગતો ગુચ્છ, એ પરંપરા અલબત્ત ઓછીવત્તી પણ જારી છે.
જાન્યુઆરી, ૧૯૭૮ બેસતે વિશ્વમાનવ ટ્રસ્ટ, ૨૦ વરસ પૂરાં કરી ૨૧મા વરસમાં પ્રવેશતાં ૧૯૭૪-૧૯૭૭ના ગાળા વિશે નોંધ લે છે :
“છેલ્લાં અનેક વર્ષો દરમિયાન દેશ ભારે કસોટીમાંથી પસાર થઈ રહ્યો હતો; ત્યાં એકાએક ‘કટોકટી’ના દોઝખમાં ફસડાઈ પડ્યો. મહાભાગ્ય કે તેમાંથી મુક્ત બની, કમ સે કમ, મૂળભૂત નાગરિક સ્વાતંત્ર્યોના ખુલ્લા આકાશ નીચે પાછો ફરી શક્યો છે.
“આ નવો ઉઘાડ આવતાં, ‘વિશ્વમાનવ’ તેનાં મૂળ વૈવિધ્ય સાથે – રાજકારણ, અર્થકારણ, શિક્ષણ, સંસ્કૃતિ, તત્ત્વચિંતન, ધર્મ, સમાજકારણ, સાહિત્ય, કલા, વિજ્ઞાન વગેરે વિષયો સાથે – આપની સમક્ષ ઉપસ્થિત થશે.
“હા, ‘વિશ્વમાનવ’નો જન્મ જ ‘માનવીય મૂલ્યોની પ્રતિષ્ઠા’ની આરતમાંથી થયો છે. અને ‘કટોકટી’ દરમિયાન તેણે યથાશક્તિ પોતાનો ફાળો આપ્યો છે – જો કે, એમાં જ એણે એના અસ્તિત્વની સાર્થકતા માની છે. હવે, આપણા દેશને પ્રાપ્ત થયેલી ‘બીજી આઝાદી’ને રક્ષવાના અને તેનું ન્યાયી, માનવીય, સંસ્કારી સમાજમાં રૂપાંતર કરવાના પુરુષાર્થમાં ‘વિશ્વમાનવ’ પોતાથી બનતું કરી છૂટવા મથશે …”
સંપાદકીય જવાબદારી હવે સુભદ્રા ગાંધી, ગિરધર તલાટી અને ભોગીભાઈ ગાંધીની બને છે.
સાત મરાઠી કાવ્યોનો ગુચ્છ, ડૉ. સુમન્ત મહેતાની આત્મકથાના અંશો (જેલજીવન – ૧૯૩૨), કેન્દ્રીય બજેટની સમીક્ષા, યોજના અને સાધનો (ડી.ટી. લાકડાવાળા), રખડુ પેગમ્બર (શરદબાબુ વિશે ‘આવારા મસીહા’ને આધારે), સબ નયે સિરે સે (બીજા વિશ્વયુદ્ધની ઊથલપાથલ વચ્ચે રૉબર્ટ આર્દ્રે લિખિત ‘વલ્ડ્ર્ઝ બિગિનિંગ’નાં કેટલાંક પ્રકરણ) ઉપરાંત ખાસ તો ૧૦૧ થી ૨૦૧ અંકોમાં પ્રકાશિત રાજકીય સામગ્રી વિશે પ્રા. જયંતી કે. પટેલના સર્વગ્રાહી લેખનો ઉલ્લેખ કરવો જોઈએ.
૧૯૭૯ના નવેમ્બરથી ભોગીભાઈ ‘ભારત કયે માર્ગે ?’ લેખમાળા શરૂ કરે છે. જનતાપક્ષમાં ભંગાણ, ચરણસિંહની સરકાર અને તેનું રાજીનામું, નવી ચૂંટણી પછીનું ચિત્ર – આ બધાંને આવરી લેતી આ લેખમાળા ખંડ ૧ (પ્રકરણ ૧થી ૧૨), ખંડ ૨ (પ્રકરણ ૧૩થી ૧૫), અને ખંડ ૩ (પ્રકરણ ૧થી ૯) ચાલે છે; અને પૂરક લેખો, ઉપરાંત આ ગાળામાં ભોગીભાઈ ‘વિજ્ઞાન અને ગુહ્યજ્ઞાન’ ચર્ચતી લેખશ્રેણીનો પ્રારંભ કરે છે, જેને અંગે વાચકવર્ગમાં સંમિશ્ર લાગણી જોવા મળે છે. ચાલુ રાજકીય પ્રકરણોની ચર્ચા કરતા દિનેશ શુક્લ, રાજેન્દ્ર દવે વગેરેના લેખ, જીવનયોગ (રોહિત મહેતા) જેવું વિશેષાંગ, શુભ મૂલ્યોની શોધમાં (શુમાકર), નવો અવતાર (ટૉલ્સ્ટૉય કૃત ‘રીસરેક્શન’) વિશે સુરેશ જોષી ધ્યાનાર્હ છે.
આ જ ઘાટીએ એક પછી એક વીતતાં વર્ષોમાં ડિસેમ્બર-૧૯૮૪, જાન્યુઆરી ૧૯૮૫ના સંયુક્ત અંકમાં ઇન્દિરાજીના શાસનના આરંભથી રાજીવની પ્રતિષ્ઠા સુધીનાં ૧૮ વરસની સમીક્ષા ભોગીભાઈએ હાથ ધરી છે. વૈકલ્પિક રાજનીતિની ચર્ચા પણ ચાલુ રહે છે. (‘અપરંપાર આંદોલનો ખરાં – પણ આદરણીય પ્રતિકારો કેટલાં’, જૂન ૧૯૮૫)
જાન્યુઆરી ૧૯૮૬થી ભોગીભાઈ તંત્રી અને ગુજરાત યુનિવર્સિટી સમાજવિદ્યાભવનના રાજ્યશાસ્ત્રના અધ્યાપક દિનેશ શુક્લ સંપાદક, એ રીતે મજલ શરૂ થાય છે. પ્રસંગોપાત્ત લેખક તરીકે તો દિનેશ શુક્લ વર્ષોથી સંકળાયેલા હતા જ. પ્રકાશન-રવાનગી સાથે રમેશ ર. દવે સંકળાય છે. યોગેશ જોષી સાહિત્ય-વિશેષાંકોની જવાબદારી સાથે વિશેષપણે જોડાય છે. ૧૯૮૭માં ‘મુસ્લિમ સમાજ : સમાજસુધારણાનો ચક્રવ્યૂહ’ એ ભોગીભાઈની લેખમાળા ચાલે છે. દિનેશ શુક્લ આગવી રીતેભાતે વ્યાપક અભિગમપૂર્વક સંપાદકીય લખતા તો ક્વચિત્ત એ અતિથિ કામગીરી પ્રકાશ ન. શાહ નિભાવતા, પ્રસંગોપાત્ત ભોગીભાઈ પણ દરમિયાન થતા. ગુજરાતના ને દેશનાં તેમ દુનિયાનાં સ્થિત્યંતરો પણ તે પછીનાં વર્ષોમાં ચર્ચાતાં રહ્યાં. એપ્રિલ ૧૯૮૯થી સંપાદનની જવાબદારી નિઃશેષ ભોગીભાઈની અને અનૌપચારિક સંડોવણી મારી એમ ગોઠવાયું. આ વર્ષોમાં પર્યાવરણીય પડકારો વિશે એમ.જી. પારેખની લેખમાળા ધ્યાનાર્હ બની રહી. ભોગીભાઈએ દિનકર મહેતા વિષયક અંજલિનોંધ સાથે ગુજરાતના જૂનાનવા સામ્યવાદી સાથીઓને એમના પોતાના ઘડતરમંથનની વાતો લખતા કર્યા. જૂન ૧૯૯૧માં વિશ્વમાનવ સંસ્કારશિક્ષણ ટ્રસ્ટના આરંભથી અભિન્ન સાથી ભાઈદાસભાઈ પરીખ પર વિશેષાંજલિનું ગુચ્છ અપાયું હતું. ૧૯૯૧ના સપ્ટેમ્બર-ઑક્ટોબરના સંયુક્ત અંકોમાં એક નોંધપાત્ર સામગ્રી ’રશિયા : વિચાર અને વ્યવસ્થાના પરિવર્તનનો પડકાર’ એ હતી. ( ત્રિદીપ સુહૃદ, જે.કે. પટેલ, એમ.ટી. દેસાઈ, યોગેન્દ્ર માંકડ, દિનેશ શુક્લ, પ્રવીણ ન. શેઠ, ભોગીભાઈ ગાંધી, ધર્મવીર ભારતી, સિદ્ધાર્થ ન. ભટ્ટ). આ જ વરસમાં નવેમ્બર-ડિસેમ્બરમાં છેલ્લાં વર્ષોની પરંપરા મુજબ યોગેશ જોષીના સંપાદનમાં સાહિત્ય – વિશેષાંક અપાય છે. મે-જૂન ૧૯૯૨નો વિશેષાંક પ્રકાશ ન. શાહના સંપાદનમાં ઇન્દુલાલ યાજ્ઞિક શતાબ્દીને અનુલક્ષીને હતો. સપ્ટેમ્બર-ઑક્ટોબર ૧૯૯૨માં ગુજરાતના ઉદ્દામ કાર્યકરોનો પરિચય અને કેફિયત અપાયાં.
જાન્યુઆરી, ૧૯૫૮થી મે ૧૯૯૩થી છત્રીસ વરસની અક્ષરમથામણની આ એક ઉતાવળી, કંઈક અદૂકડી ઝલક છે. છેલ્લાં બારેક વરસ તો એમ જ દોડાવી દીધાં છે. ઠીક-ઠીક ચુસ્ત બંધ અને ઠીક – ઠીક શિથિલ બંધની આ અંકમાળા દેશ અને દુનિયાનાં પછી તે ગાળાનાં મોટાં પરિવર્તનો અને પડકારો સાથે સમજ(અને કિંચિત દરમિયાનગીરી)ની રીતે કામ પાડવાના અદના પ્રયાસરૂપ આ દસ્તાવેજી જેવી સામગ્રી, ઠીક ઠીક પાકી, કંઈક કાચીપાકી, કંઈક કાલીઘેલી, એને કાલવી શકે એવા અભ્યાસીની રાહ જુએ છે, પણ છપાયેલા અંકો અવ્યવસ્થિત ને આઘાપાછા થઈ છેક લુપ્ત થઈ જાય એ પૂર્વે એને સાચવી લઈ સુલભ રાખવાનો આ નમ્ર પ્રયાસ છે, અને હવેનાં વરસો સારુ કશીક સંબલ ચેષ્ટા પણ .
બે હજાર કરતાં વધુ કર્તાઓનાં છ હજાર જેટલાં લખાણો (અગણિત પેટા વિષયો સહિત) મળીને સોળ હજાર કરતાં વધુ પાનાં આમ સચવાઈ ગયાં. તે માટે વિપુલ કલ્યાણીની સાર્થક પહેલ અને ગુજરાતી લેક્સિકોન(અશોક કરણિયા તેમ જ મૈત્રી શાહ)ના સક્રિય સહયોગ તેમ જ આયોજનમાં સહાયરૂપ થનાર નયના શાહ અને ખૂટતા અંકો સબબ ગુજરાતી સાહિત્ય પરિષદ અને ફાર્બસ ગુજરાતી સભાના સંગ્રહાલયના ઋણી છીએ.
ગાંધી શ્રાદ્ધપર્વ
૧૨ ફેબ્રુઆરી, ૨૦૧૯
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2019; પૃ. 08 – 15