આજે વિશ્વ આખામાં સામાજિક બદીઓ, રાજકીય અંધાધૂંધી, ધાર્મિક ઝનૂનથી દોરવાઈને આચરાતી હિંસા અને માનવતાનું અસ્તિત્વ જોખમાય તેવી દુર્ઘટનાઓ થતી રહી છે. આ માટે સમગ્ર માનવ જાત જવાબદાર છે, પણ એક એવી માન્યતા છે કે મોટા ભાગના ગુનાઓ, ઘૃણિત કાર્યો અને હિંસક હુમલાઓ પુરુષો જ કરે છે, જેની ભોગ મહિલાઓ અને બાળકો બને છે. બીજા શબ્દોમાં આજની આવી સ્ફોટક પરિસ્થતિમાં પુરુષ જાતનો જ વાંક છે એમ મનાય છે. અમુક અંશે આ વાત સાચી પણ છે, પરંતુ સ્ત્રીઓ માત્ર આવી સમસ્યાઓનો ભોગ બને છે કે કેટલેક અંશે ભાગીદાર પણ હોય છે એ તપાસવાનો સમય આવી ગયો છે.
સામાજિક બદીનું એક ઉદાહરણ લઈએ. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ગ્રાહકો કે પોતાના કામદારોને લૂંટે છે. પરિણામે જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી મળે અને બહેનો જ મોટે ભાગે ગૃહ સંચાલન કરતી હોવાથી ગરીબીનો ભરડો તેમને વધુ ગુંગળાવે. પણ એ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ઘેર માતા કે પત્ની હશે અને તેમને પોતાના પુત્ર કે પતિની વેપાર-ઉદ્યોગની નીતિ, તેનાથી થતો નફો વગેરેની જાણ પણ હશે. તો સવાલ એ પૂછીએ કે એ મહિલાઓએ પોતાના સ્વજનને આવી ગેરરીતિ ન આચરવાનું કહ્યું હશે? એવી જ રીતે લાંચ રુશ્વત બહોળા પ્રમાણમાં લેવાય અને દેવાય છે. અહીં પણ ટ્રૅઇનની ટિકિટ બુક કરાવવાથી માંડીને કોલેજમાં એડમિશન મેળવવાનું હોય કે ધારાસભાની સીટ માટે માગણી કરવાની હોય ત્યારે પુરુષ કદાચ ખુલ્લેઆમ લાંચ આપતો હશે, પણ બાજુમાં તેની બહેન કે પુત્રી ઊભી હશે. તો શું તેમની એવી નૈતિક ફરજ નથી બની રહેતી કે ડાબે હાથે અપાતી રકમથી મળતા લાભ પોતે જતા કરે અને પોતાના કુટુંબના સભ્યને તેમ કરવા સમજાવે?
ભારતમાં બનેલ એક સાચી ઘટનાની વાત કહું. એક પિતા પોતાના પુત્ર માટે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા ગયા, તો જુદી જુદી કોલેજમાં ઓછુંવત્તું ‘ડોનેશન’ આપવાનું કહેવામાં આવ્યું. એકાદ કોલેજમાં પોસાય તેવી ‘દાન’ની માંગણી સ્વીકારવી કે નહીં એ વિચારતાં માતા-પિતાએ મોટી પુત્રીની સલાહ લેવા ફોન કર્યો. તેણે પિતાની આવું ડોનેશન આપવાની તૈયારી જાણીને ફોન જ મૂકી દીધો. પિતાએ કારણ પૂછ્યું તો કહે, ‘જ્યાં આવું ડોનેશન ન આપવું પડે એવી સરકારી કોલેજમાં ભણાવો, મારો ભાઈ હોશિયાર છે, એને અનીતિના પાઠ નથી ભણાવવા. આ વાત ભાઈએ પણ મંજૂર રાખી અને આજે એ એક ઉત્તમ ફિઝિયોથેરપિસ્ટ બનવા તૈયાર થઈ રહ્યો છે. આમ દરેક સ્ત્રી પોતાનું નૈતિક બળ અજમાવે તો આવી દરેક ગેરરીતિ અટકાવી શકાય.
સમાજના નૈતિક અધઃપતનની ચરમ સીમા તેનાં સ્ત્રી સભ્યોનાં શીલની રક્ષા કરવાનું સામર્થ્ય ગુમાવવામાં છે. દૌપદીનાં ચીર ખેંચાયાં એ સમયથી સ્ત્રીની લાજ પુરુષના હાથમાં રહેતી આવી છે અને પુરુષ વર્ગ તેને લૂંટવા અને તેનો સાક્ષી થવાને ટેવાયેલો રહ્યો છે એ દુઃખદ બીના છે. અપહરણ અને બળાત્કારના કિસ્સાની નોંધ વધુ લેવાય છે. તો સહેજે સવાલ થાય કે આવું નિમ્ન કક્ષાનો ગુનો કરનાર આખર એક કુટુંબનો સભ્ય છે, તેને પાડોશીઓ, મિત્રો, સાથી કાર્યકરો છે, તો શું કોઈને આવા મર્દોની માનસિકતાનો ખ્યાલ જ ન હોય તે શક્ય છે? તેવા લોકોને જન્મ આપનાર, ઉછેરનાર, જીવનમાં સાથ આપનાર તમામ નારીઓ આંખ આડા કાન કરે તેને માફ કરી શકાય? પોતાના જાણીતા કોઈ પણ પુરુષના બદ ઈરાદાની જાણ થતાં તેને સમજાવવાની કોશિશ કરાય કે તેને પોલીસને હવાલે સોંપાય તો આવા ગુનાઓ થતા અટકી જાય અને એ ફરજ તેમના જીવન સાથે જોડાયેલી મહિલાઓની છે. આવાં અનેક સામાજિક દૂષણો વિષે જરા ઊંડાણથી તપાસ કરીએ તો પુરુષોના હાથે થતા અત્યાચાર પાછળ સ્ત્રીઓની ચુપકીદી, અવગણના અને કશું કરવાની હિંમતનો અભાવ દેખાઈ આવશે. એક સ્ત્રી બળાત્કારનો ભોગ બને છે તેની સામે ગુનેગારની સ્વજન હોય તેવી બીજી તે વિષે મૌન પણ સેવે છે એ કેમ ભુલાય?
રાજકારણ ક્યારે ય નહોતું તેવું માનવ જીવનના દરેક ક્ષેત્ર પર આધિપત્ય જમાવતું બની રહ્યું છે. જીવનનું એક પણ પાસું એવું નથી જેને રાજકીય કાવા દાવા અને સ્વાર્થ પટુતાની ઝાળ ન લાગી હોય. ઇતિહાસ બોલે છે કે લોકશાહી રાજ્ય પદ્ધતિના આગમન પહેલાં રાજા મહારાજાઓ લડાઈઓ કરતા, જેમાં લશ્કરના સૈનિકો માર્યા જતા અને તેમની માતા, બહેનો, પત્નીઓ, પુત્રીઓ બેહાલીના જીવનમાં ધકેલાઈ જતા. આટલું જાણે પૂરતું ન હોય તેમ વિજેતા સૈન્ય લૂંટફાટ કરતા અને સ્ત્રીઓની લાજ લૂંટાતી. આ બધું જ કરનારાઓ મુખ્યત્વે પુરુષો જ હતા, વીરાંગનાઓ ભાગ્યે જ રણસંગ્રામમાં જોવા મળતી. પરંતુ આપણે રખે ભૂલીએ કે લડાઈ કરવાના નિર્ણય પાછળ, તેની તૈયારી માટે શસ્ત્રો સજવામાં, સૈનિકોને શૂરાતન ચડાવવા માટે અને વિજયી સેનાને વધાવવા સ્ત્રીઓ અગ્રીમ હરોળમાં કામ કરતી. આજે હવે લોકશાહી આવી, સ્ત્રીઓને પુરુષ સમાણા અધિકાર મળ્યા. ગ્રામ પંચાયતથી માંડીને દેશનું સૂકાન સંભાળવાની તક મળી તો તેણે શું કર્યું? નાના કે મોટા પદની અધિકારી થઈને પુરુષ કરતાં ય સવાયું શોષણ કરતાં, ક્રુરતાથી વિરોધીઓનો કાંકરો કાઢતાં અને સત્તાના મદમાં એકહથ્થુ વહીવટ કરતાં શીખી ગઈ. તો કૂટ રાજદ્વારી નીતિ અને દમનકારી કાયદાઓનો ભોગ જેમ કેટલી સ્ત્રીઓ બને છે તેમ એ નીતિઓ ઘડવામાં અને કાયદાઓનો અમલ કરાવવામાં સ્ત્રીઓ સરખે હિસ્સે ભાગીદાર બનવા લાગી છે.
રહી વાત પર્યાવરણની જાળવણીની અને સ્વાસ્થ્યની સંભાળની. તે એ બંને બાબતો જેટલી વ્યક્તિગત તેટલી જ વૈિશ્વક મહત્તા ધરાવે છે અને બંને જીવન પદ્ધતિ સાથે નિસ્બત ધરાવે છે. ભૌતિક સુખોની ઝંખના, તેને માટે સુખ-સગવડનાં સાધનોનો અમર્યાદ ઉપયોગ અને તેનો અવિચારી વ્યય થાય છે જેને માટે પુરુષોથી વધારે નહીં તો તેમના જેટલી જ મહિલાઓ જવાબદાર છે. બહેનો ઘર ગૃહસ્થીની વ્યવસ્થાથી માંડીને આંતરરાષ્ટ્રીય સ્તરે કુદરતી સંસાધનોના ઉપયોગના આયોજનમાં સક્રિય ભાગ લઈને પોતાનું ઉત્તરદાયિત્વ પૂરવાર કરે તે જ ઇચ્છનીય છે.
દુનિયાના મુખ્ય ધર્મોમાંના કોઈ પણ ધર્મોમાં સ્ત્રીઓને સર્વોચ્ચ સ્થાન મળ્યાનું કે તેમને ધાર્મિક ક્રિયાઓ કરાવવા માટે સમાનાધિકાર હોવાનું હજુ સુધી શક્ય નહોતું, જેમાં હવે પરિવર્તન આવવા લાગ્યું છે. પણ તેથી શું થયું, વ્યાસપીઠ પર વિરાજમાન થયા વિના, મોટી મેદનીને સંબોધન કર્યા સિવાય બહેનો પોતાના ઘર આંગણે બેસીને હાલરડાં ગાઈ, વાર્તાઓ કહીને તેમ જ તહેવારો અને પ્રસંગોની ઉજવણી ટાણે લોકગીતો ગાઈને પોતાના ધર્મની આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનની રસધારા સદીઓથી પોતાના પછીની પેઢીઓને પીવડાવતી આવી છે. તો હવે જયારે સાંસ્કૃિતક મૂલ્યોનું ધોવાણ થઇ રહ્યાની બુમરાણ મચી રહી છે, ત્યારે શું એ જ માતાઓ, દાદીમા અને નાનીમા પોતાની ફરજ ચૂક્યાનાં ભાન સાથે સમાજને ફરી બેઠી નહિ કરે? ધર્મનો ઉલ્લેખ કર્યો જ છે તો તેના અંચળા હેઠળ થતાં માનસિક અને જાતીય શોષણ અને આતંકી હુમલાઓ આપણા ધ્યાનમાં આવ્યા વિના ન રહે. સ્ત્રી-પુરુષ સમાનતાનો વાયરો હવે વિધ્વંસક અને હિંસક પ્રવૃત્તિઓમાં પણ આવવા લાગ્યો છે, અને તેથી જ તો નાની કુમળી બાળાઓ પણ ઇસ્લામિક સ્ટેઇટ દ્વારા સંચાલિત સામૂહિક હત્યાઓ જેવા અમાનવીય કૃત્યોમાં પણ જોડાઈ જ છે. તો હવે સ્ત્રીઓ માત્ર આતંકવાદનો ભોગ બને છે એમ ખસૂસ નહીં કહી શકાય કેમ કે તેઓ માત્ર ભાગીદાર નહીં, પોતાના અને અન્ય પુરુષોના કરતૂતો માટે સરખે હિસ્સે જવાબદાર પણ છે.
અહીં એટલું જ કહેવાનો આશય છે કે ‘નારી દુનિયાની સમસ્ત સમસ્યાઓનો ભોગ બને છે’ એમ કહીને સ્ત્રી દાક્ષિણ્ય ધરાવનાર પુરુષ વર્ગ અને કર્મશીલોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરવો એ હવે ‘અબળા’ હોવાની નિશાની ગણાવી જોઈએ. સ્ત્રીની ખરી શક્તિ તો નાનામાં નાની સામાજિક બદીથી માંડીને માનવ અધિકારનો ભંગ કરે અને હિંસા કરે તેવા કર્મો પાછળ રહેલા પોતાના ઉત્તરદાયિત્વને સ્વીકારે અને એ બધું મૌન રહી નિષ્ક્રિય રહેવાને બદલે તેમ થતું અટકાવે, તેનો વિરોધ કરે અને જરૂર પડ્યે અસહકાર કરી એવી પરિસ્થિતિઓનો અંત લાવે તેમાં સમાયેલી છે.
‘કોઈ પણ સમસ્યાઓનો ન ભોગ બનીએ, ન ભાગીદાર’ એવી પ્રતિજ્ઞા સહુ બાળાઓ અને યુવતીઓ લે તો હાલની વણસતી જતી પરિસ્થિતિમાં પુરુષ એકલો પડી જશે અને તેથી તેનો અંત પણ આવશે એવી શ્રદ્ધા છે.
કરી તો જોઈએ.
e.mail : 71abuch@gmail.com