સિટીઝનશીપ અમેંડમેંટ એક્ટ (CAA) અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ(NRC)ના વિરોધમાં દેશભરમાં વિરોધ અને દેખાવો થઇ રહ્યા છે. સિટીઝનશીપ એક્ટ સંસદના બંને ગૃહોમાં પસાર થઇ ગયો છે, અને હવે તેની સામે સુપ્રીમ કોર્ટમાં ૫૯ પિટીશન દર્જ કરવામાં આવી છે. નેશનલ રજીસ્ટર માટે હજુ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું નથી, પણ ગૃહમંત્રી અમિત શાહ વખતો-વખત એવું જાહેર કરી ચુક્યા છે કે દેશમાં એન.આર.સી. લાગુ કરવામાં આવશે. ૯મી ડિસેમ્બરે લોકસભામાં સી.એ.એ. બીલની ચર્ચામાં અમિત શાહે કહ્યું હતું – માન કે ચલિયે, એન.આર.સી. આનેવાલા હૈ.
વ્યાપક વિરોધને જોતાં, મોદી સરકારે ડેમેજ કંટ્રોલ કરવા માટે, ગુરુવારે હિન્દી અને ઉર્દૂ સમાચારપત્રોમાં એક વિજ્ઞાપન જારી કરીને ખુલાસો કર્યો હતો કે દેશમાં 'ગલત' પ્રચાર કરવામાં આવી રહ્યો છે, અને "દેશવ્યાપી એન.આર.સી.ની જાહેરાત કરવામાં આવી નથી. જો એ ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે, તો એવી રીતે નિયમો ઘડવામાં આવશે, જેથી કોઈ ભારતીયને અસુવિધા ના થાય." આમાં 'જો એ ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે,' તે વાક્યને લઈને એવું માનવામાં આવ્યું રહ્યું છે કે એન.આર.સી.ને માળીયે ચઢાવી દેવાશે. ખેર, આ બંને જોગવાઈ શું છે અને તેનો વિરોધ કેમ થઇ રહ્યો છે?
નાગરિકતા સંશોધન એક્ટ (CAA) શું છે?
૧. આ બિલ હેઠળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતા લઘુમતી (હિંદુ, શીખ, ઈસાઈ, પારસી, જૈન અને બૌદ્ધ) લોકોને ભારતનું નાગરિકત્વ આપવાની જોગવાઈ છે. સરકારનો દાવો છે કે આ દેશો ઇસ્લામિક છે, એટલે ત્યાં લઘુમતીઓ પર અત્યાચાર થાય છે, અને ભારતે તેમને સંરક્ષણ આપવું જોઈએ.
૨. નાગરિકતા મેળવવા માટે તેમણે ભારતમાં ઓછામાં ઓછા ૬ વર્ષ માટે રોકાણ કરવું પડશે. અગાઉ આ સમય મર્યાદા ૧૧ વર્ષની હતી. જે લોકોએ ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ પહેલાં ભારતમાં પ્રવેશ કર્યો હશે, તેઓ નાગરિકતા માટે આવેદન કરી શકેશે.
૩. મુસ્લિમ ધર્મના લોકોને આ કાનૂન હેઠળ નાગરિકતા આપવામાં નહીં આવે, કારણ કે આ ત્રણે દેશોમાં મુસ્લિમો લઘુમતીમાં નથી. સરકારનો તર્ક એવો છે' કે બહુમતી વસ્તીના લોકો પર ધાર્મિક આધાર પર અત્યાચાર ના થાય.
૪. વિરોધ પક્ષો અને ઉદારાવાદીઓ આ કાનૂનનો વિરોધ કરી રહ્યા છે, તેમનો તર્ક છે કે આ કાનૂન બંધારણની કલમ ૧૪નું ઉલ્લંઘન કરે છે. કલમ ૧૪ સમાનતાનો અધિકાર આપે છે. ભારત બીજા દેશના પીડિત કોઈ પણ નાગરિકને રક્ષણ આપે છે. તેનો આધાર ધર્મ નથી.
૫. આ કાનૂનનો સૌથી વધુ વિરોધ પૂર્વોતર રાજ્યોમાં થઇ રહ્યો છે, કારણ કે સી.એ.બી.થી આ રાજ્યોમાં અવૈધ નાગરિકોનીઓ સંખ્યા વધી જશે અને ક્ષેત્રીય સ્થિરતા જોખમાશે. ત્યાંના યુવાનોમાં ડર છે કે આનાથી તેમનો રોજગાર જોખમાશે.
નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) શું છે?
૧. એન.આર.સી.થી ખબર પડે કે કોણ ભારતીય નાગરિક છે, અને કોણ નથી. જે એમાં સામેલ ના હોય અને દેશમાં રહેતા હોય, તેમને ‘ગુસપેઠિયા' ગણીને જે તે દેશમાં મોકલી દેવાશે, અથવા રક્ષિત સેન્ટરોમાં રાખવામાં આવશે અને તેમને મતદાર યાદી સહિતની અનેક યાદીઓમાંથી રદ્દ કરવામાં આવશે, તેમાં ૨૫ માર્ચ ૧૯૭૧ પહેલાંથી ભારતમાં રહેતા લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે.
૨. બાંગ્લાદેશ સાથેના યુદ્ધ પછી ઘણા બાંગ્લાદેશીઓ આસામમાં ઘુસી આવ્યાનું મનાય છે. આસામમાં ૧૯૫૧માં એન.આર.સી. બનાવવામાં આવી હતી, પણ તે નિષ્ક્રિય હતી. ૧૯૮૩માં સંસદે આસામના ગેરકાયદે લોકોને અલગ તારવવા માટે ટ્રીબ્યુનલની રચના કરી હતી, પણ સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કર્યું હતું.
૩. ૨૦૦૫માં ભારત સરકારે એન.આર.સી. અપડેટ કરવાનું નક્કી કર્યું હતું. તેમાં સંતોષજનક પ્રગતિ ના થતાં, ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે તેની પર દેખરેખ રાખવાનું ચાલુ કર્યું હતું.
૪. ભા.જ.પ.નો 'ગુસપેઠિયા'નો મુખ્ય ચૂંટણી મુદ્દો રહ્યો છે. અમિત શાહ ચૂંટણી સભામાં કહેતા હતા કે આસામમાં ૪૦ લાખથી ૮૦ લાખ બાંગ્લાદેશી 'ગસપેઠિયા' છે. ૨૦૧૩માં મોદી સરકારે આસામમાં એન.આર.સી.ની કવાયત હાથ ધરી હતી.
૫. ઓગસ્ટ ૨૦૧૯માં આસામની ૩.૩ કરોડ વસ્તીમાંથી ૩.૧ કરોડ લોકોના નામ જાહેર કરવામાં આવ્યાં, ૨૦ લાખ લોકો એમાંથી બાકાત રાખવામાં આવ્યાં. સરકારનો આંકડો તો ખોટો પડ્યો, સાથે 'ગુસપેઠિયા'નો દાવો પણ સાબિત ના થયો, કારણ કે તેમાં મોટાભાગના અધિકૃત લોકો 'ગેરકાયદે' યાદીમાં આવી ગયા.
૬. રૂપિયા ૧,૦૦૦ કરોડની આ નિષ્ફળ કવાયત પછી સરકારે જાહેરાત કરી કે હવે એન.આર.સી.ની આ કવાયત દેશભરમાં (અને નવેસરથી આસામમાં) કરવામાં આવશે. સરકારનો તર્ક એ છે કે આસામની કવાયતમાં બહુ ત્રુટીઓ રહી ગઈ હતી. સંસદમાં એન.આર.સી. બિલ પાસ થયા પછી, આસામમાં સૌથી પહેલો ભડકો થયો, તેનું કારણ આ છે.
નાગરિકતા સંશોધન બિલ v/s નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ
નાગરિકતા સંશોધન બિલ પસાર થયા પછી પહેલાં આસામમાં અને પછી દેશભરમાં વિરોધ થયો, તેમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સનો પણ વિરોધ છે. વિરોધ પક્ષો માને છે કે એન.આર.સી. લાગુ કરવાનું આસન થઇ જાય, તે માટે જ સી.એ.બી. લાવવામાં આવ્યું છે. બંને જોડિયા બંધુ છે, અથવા એક સિક્કાની બીજી બાજુ છે. કેવી રીતે?
લોકો ભલે નાગરિકતા કાનૂનનો વિરોધ કરતા હોય (જે સંસદમાં પસાર થઇ ગયો છે), પરંતુ તેઓ અસલમાં એન.આર.સી.નો વિરોધ કરી રહ્યા છે (જેને દેશવ્યાપી લાગુ કરવાની સરકારની ઈચ્છા છે). એવું કહી શકાય કે બંને એકબીજા સાથે જોડાયેલા છે. વિરોધ કરનારા એવું પૂછે છે કે નાગરિકતા કાનૂનમાં મુસ્લિમોને સામેલ કેમ નથી કરવામાં આવ્યા? શું સરકાર એન.આર.સી.માંથી બહાર રહી ગયેલા હિંદુઓ અને અન્ય ધર્મોના લોકોને નાગરિકતા કાનૂન હેઠળ ભારતનના નાગરિક બનાવવા માંગે છે, અને એમાં સામેલ મુસ્લિમોને દેશ બહાર કરવા માંગે છે?
વિરોધીઓનો તર્ક એ છે કે, દાખલા તરીકે, આસામની એન.આર.સી.માં જે હિંદુઓ, દસ્તાવેજોના અભાવમાં, યાદીમાંથી બહાર રહી ગયા છે, તેઓ બીજા દેશમાં ધાર્મિક અત્યાચારથી ભાગીને આવેલા હિંદુ નાગરિકો હોવાનો દાવો આગળ ધરીને, સી.એ.બી. કાનૂન હેઠળ, ભારતની નાગરિકતા મેળવી શકશે.
એન.આર.સી. જો દેશભરમાં લાગુ કરવામાં આવે, તો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા ગેરકાયદે લોકોને અસર થશે. વધારામાં, ઘણા લોકોને બીક છે કે, જે મુસ્લિમો અધિકૃત દસ્તાવેજ રજૂ નહીં કરી શકે, તેમને 'ગુસપેઠિયા' ગણવામાં આવશે. એમનું શું થશે, તે હજુ સ્પષ્ટ નથી.
દેશમાં આ ‘ડબલ ગેઈમ’ને લઈને જે વિરોધ થઇ રહ્યો છે, તેને જોતાં ગૃહમંત્રી અમિત શાહ આ બંને જોગવાઈ એકબીજાથી અલગ છે, એવું કહી રહ્યા છે. જો કે, અગાઉ તે અનેક વખત બંને બાબતોને જોડી ચુક્યા છે, અને એટલે લોકોમાં વધુ ગભરાટ છે. આ વર્ષે ઓક્ટોબરમાં કોલકાતામાં એક રેલીમાં અમિત શાહે કહ્યું હતું, “દેશમાં એન.આર.સી. લાવતા પહેલાં, રાજ્યસભામાં (જ્યાં ભા.જ.પ.ની બહુમતી નથી) સી.એ.બી. પાસ કરાવવામાં આવશે.”
એક ત્રીજો વિરોધ એ પણ છે કે, નોટબંધી વખતે જેમ લોકો બેંકો આગળ લાઈનો લગાવીને નોટો બદલવા ઊભા રહ્યા હતા, તેવી રીતે એન.આર.સી.ની કવાયત વખતે પોતાની નાગરિકતા સિદ્ધ કરવા માટે પરિવાર ભારતમાં રહે છે, તેના પુરાવારૂપી દસ્તાવેજો લઇને સરકાર નિયુક્ત સેન્ટરો પાસે લાઈનમાં ઊભા રહેશે. આ ડરને ખારીજ કરવા માટે સરકારે ગુરુવારે એવી સ્પષ્ટતા કરી હતી કે જ્યારે પણ એન.આર.સી. લાગુ કરવામાં આવે, ત્યારે વ્યક્તિએ માત્ર તેની જન્મ તારીખ અને જન્મ સ્થળનો જ પુરાવો આપવો પડશે. પેરન્ટસને કોઈ દસ્તાવેજની ‘ફરજ’ પાડવામાં નહીં આવે. ૧૯૭૧ પહેલાંના નાગરિકોને કોઈ સાબિતીઓ આપવી નહીં પડે, એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જો કે, એન.આર.સી.ને લઈને હજુ નિયમો બની રહ્યા છે (અને એન.આર.સી.ને હાલ તૂરત લાગુ કરવામાં આવશે કે કેમ, તે પણ હવે પ્રશ્ન છે).
કાનૂની દાવપેચ પાછળનું રાજકારણ
અન્ય દેશોમાં પીડિત શરણાર્થીઓને આશ્રય આપવાની ભારતની જૂની પરંપરા છે, પણ સી.એ.બી. સામે વિરોધ થવાનું કારણ મુસ્લિમોની બાદબાકી છે. કૉન્ગ્રેસના સંસદીય નેતા અધીર રંજન ચૌધરીએ લોકસભામાં કહ્યું હતું કે, “આ બિલ ભેદભાવ કરે છે એટલું જ નહીં, તે આપણી બંધારણીય બુનિયાદને પણ તહસ-નહસ કરે છે. આર.એસ.એસ. અને ભા.જ.પ.નું હિંદુ રાષ્ટ્રનું જે સપનું છે, તે દિશામાં આ પગલું છે.” કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “સી.એ.બી. અને એન.આર.સી. સામૂહિક ધ્રુવીકરણનું હથિયાર છે. આ ગંદા હથિયાર સામે શાંતિપૂર્ણ વિરોધમાં હું સૌની સાથે છું.
બુધવારે દિલ્હીમાં ‘ઇન્ડિયા ટુડે’ જૂથના કાર્યક્રમમાં સાવરકરના હિંદુ રાષ્ટ્રની ધારણા અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે અમિત શાહે કહ્યું હતું, “ભા.જ.પ. ભારતને હિંદુરાષ્ટ્ર તરીકે જોતો નથી. ભા.જ.પ. શબ્દશઃ બંધારણને અનુસરે છે. દેશનો અને સરકારનો એક જ ધર્મ હોય; બંધારણ.” દિલ્હીમાં જામિયા મિલિયા યુનિવર્સિટીમાં હિંસા થઇ, તે પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે શાંતિ જાળવવાની અપીલ કરતાં ટ્વીટ કરી હતી કે, “ભારતના નાગરિકે ડરવાની જરૂર નથી. સ્થાપિત હિતો આપણને વિભાજીત કરી રહ્યા છે, અને અફવા ફેલાવી રહ્યા છે.”
એ પછી તો આ વિરોધ દિલ્હીમાંથી બહાર નીકળીને, આખા દેશમાં વિરોધ ફેલાઈ ગયો. એવું લાગે છે કે સરકારને આટલી ઉગ્ર પ્રતિક્રિયાનો અંદાજ ન હતો. સરકારને એમ પણ લાગે છે કે સી.એ.બી. પસાર કરાવીને તરત જ ગૃહમંત્રીએ જે અતિ આત્મવિશ્વાસથી કહ્યું કે ‘એન.આર.સી. આવે જ છે.’ તેનાથી લોકો વધુ ભડકી ગયા, અને એ રોષમાં સી.એ.એ. પણ હોમાઈ ગયું.
પ્રગટ : ‘સ્પેશ્યલ રિપોર્ટ’, “ગુજરાતી મિડ-ડે”, 22 ડિસેમ્બર 2019