= = = = સાર્ત્ર માનતા કે હ્યુસેર્લ વગેરે ફિલસૂફોને વિશેની પોતાની સમજ કરતાં સિમૉંની સમજ વધારે સારી છે. સાર્ત્ર અને સિમૉં લગ્ન કર્યા વિના પ્રગાઢ જીવનસાથી બનીને જીવેલાં = = = =
= = = = જિવાતા જીવનનો આ કોરોનાકાળથી વધારે વિષમ અને મોટો કયો અનુભવ હોઈ શકે? એની જેટલી વાતો સાહિત્ય વડે થાય એટલી સહજ લાગશે, સ્વીકાર્ય બનશે, પ્રેરક અને માર્ગદર્શક નીવડશે. એ વાતોમાં જરાક ફિલસૂફી ભળે તો કશું બગડી નથી જતું બલકે એ તો સોની જેમ સોનાનો દાગીનો ઘડતી વખતે માફકસરની બીજી ધાતુ ભેળવે છે એના જેવું જરૂરી બની રહે છે, કરણીય લાગે છે. = = = =
‘આ મુશ્કેલ સમયમાં’ શ્રેણીના ( 20 )-મા અંશમાં મે લખ્યું કે ‘જાત-અલગાવ’ સ્વીકારીને તેમ જ ‘સામાજિક અન્તર’ જાળવીને કોરોના અને કોવિડ-૧૯ને ડામી શકાય છે, પણ એ કામ સમગ્ર સમાજ કે સૌ પ્રજાજનો નથી કરી શકતાં. એમ કહીને મેં લખ્યું કે સામાન્યજનો જાત-અલગાવ અને સામાજિક અન્તર બાબતે પાછાં પડે છે, એમનાથી એ બધું નથી થતું, કહો કે, નથી થઈ શકતું. એઓ એવી કશી ગુંજાઈશ વગરનાં લાચાર હોય છે. ખાસ તો, એમનાથી રોજિન્દી જીવનશૈલી નથી છૂટતી. એમ પણ ઉમેર્યું કે આ મુશ્કેલ સમયમાં ઊભી થયેલી હાડમારીઓથી આમ પ્રજા, જનસમાજ, તો ઘાંઘાં થઈ ગયાં હોય છે. કારીગરો કે દ્હાડિયા મજૂરો કે રોજંદારો જાત-અલગાવ કરે તો એમનું શું થાય? નોકરીધંધાના ને ખાવા-પીવાના જ સાંસા પડ્યા હોય છે. રોજિન્દું જીવન વેરવિખેર થઈ ગયું હોય છે અને કશી જ સમજ નથી પડતી કે ગાડી પાછી ક્યારે પાટે ચડશે.
મેં આમ, વિશિષ્ટ વ્યક્તિઓની વર્તણૂકની સામે સામાન્યજનોના પક્ષે વાત મૂકી ને તેમની પ્રત્યે સહાનુભૂતિ દાખવવા કહ્યું તે અનેક મિત્રોને ખૂબ ગમ્યું. ઘણાઓએ વખાણ્યું. એક-બે જણને હું એ કારણે મારા આશ્ચર્ય વચ્ચે ‘સર્જક’ પણ લાગ્યો ! કોઈ કોઈએ એમ પણ કહ્યું કે મારી આ શ્રેણીના અગાઉના અંશો એમને ‘અઘરા’ લાગ્યા છે.
હવે આવી વાતો તો દરેક વાચકની દૃષ્ટિમતિનો વિષય ગણાય. એની નુક્તેચિની થઈ શકે, પણ શું કરવા કરવી? પરન્તુ એક મિત્રે ફોન કરી કહ્યું તે મને ચૉંકાવી ગયું. એણે કહ્યું કે – કોરોના સંદર્ભે તમે હમેશાં સાહિત્યના સહારે વાત કરો છો ને કંઇક ફિલસૂફીના સહારે. મને એણે સીધું પૂછ્યું કે – તમે બેમાંથી કોને વધારે શ્રદ્ધેય ગણો છો – સાહિત્યને કે ફિલસૂફીને?
મિત્રના પ્રશ્નને કારણે મને સિમૉં દ બુવા યાદ આવી ગયાં. આજે ફંટાઈને જરા એમની વાતો કરું :
ફ્રૅન્ચમાં લખાયેલા સિમૉંના Adieux : A Farewell to Sartre ગ્રન્થનો અંગ્રેજી અનુવાદ 1974 -માં Conversation with Jean-Paul Sartre શીર્ષકથી પ્રકાશિત થયેલો. એમાં સિમૉંએ સાર્ત્રને પૂછ્યું છે : તમને શું ગમે – તમને સાહિત્યકાર તરીકે યાદ કરવામાં આવે એ, કે ફિલસૂફ તરીકે? સાર્ત્રે જવાબ આપ્યો છે કે literature is essentially above philosophy – સાહિત્ય તત્ત્વત: ફિલસૂફીથી ચડિયાતું છે. કેમ કે, ફિલસૂફી હંમેશાં કશાક ને કશાક ઐતિહાસિક સમયસંદર્ભમાં જન્મે છે. જ્યારે સાહિત્ય એક અર્થમાં સમયસંદર્ભથી મુક્ત ચીજ છે – સાર્ત્રે વાપરેલો શબ્દ છે, timeless. સિમૉં સાર્ત્રની આ વાત સાથે સમ્મત થાય છે અને જણાવે છે કે સાહિત્યનું જ પરમ નિરપેક્ષ સ્વ-રૂપ હોય છે, નહીં કે ફિલસૂફીનું.
વળી, કદાચ એ કારણે એમ પણ બને છે કે અગાઉના ફિલસૂફે સંપડાવેલું સત્ય હંમેશાં ભાવિ ફિલસૂફો માટે સામગ્રી બની જાય છે. તેઓ એ પર કામ કરે છે અને ‘નવાં’ સત્યો રજૂ કરે છે. આ ક્ષણે, 'બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા' અને તે સત્ય-સંલગ્ન ષડ્દર્શનોવાળું ભારતીય પરમ્પરાનું આપણે ત્યાંનું દૃષ્ટાન્ત મને સહેજેય યાદ આવી જાય છે.
સિમૉં ૧૫ વર્ષનાં હતાં ત્યારથી જ ફિલસૂફીને બદલે સાહિત્યને ચાહવા લાગેલાં. એટલું જ નહીં, એમનામાં સાહિત્યકાર થવાની મનીષા જાગેલી. એમની આ પસંદગી બાબતે પિતા સહાયક નીવડેલા, કેમ કે પિતા માનતા હતા કે સાહિત્યકારો હંમેશાં ફિલસૂફો કે વિદ્વાનો કે શિક્ષણકારો કરતાં ચડિયાતા હોય છે.
The Prime of Life આત્મકથામાં સિમૉંએ સાર્ત્ર અંગેની એક સરસ વાત મૂકી છે. સાર્ત્ર માનતા કે હ્યુસેર્લ વગેરે ફિલસૂફોને વિશેની પોતાની સમજ કરતાં સિમૉંની સમજ વધારે સારી છે. સાંભળીને સિમૉંને સારું લાગેલું. સાર્ત્ર અને સિમૉં લગ્ન કર્યા વિના પ્રગાઢ જીવનસાથી બનીને જીવેલાં. સાર્ત્રને મળતાં પહેલાં સિમૉંએ ફિલસૂફીનું અધઝાઝેરું અધ્યયન કરેલું. ફિલસૂફી અને સાહિત્યના સમ્બન્ધનું ખાસ્સું વિશ્લેષણ પણ કરેલું. પણ પછી સિમૉંએ તારવ્યું હતું કે પૂર્વકાલીન ફિલસૂફોને ન સમજીને જ સારા ફિલસૂફ થઈ શકાય છે ! જો કે, સરવાળે, સિમૉં ફિલસૂફ ન જ થયાં.
સિમૉંની ઝંખના રહી કે પોતાનાં લેખનો demanding અને sophisticated હોય અને તે એવાં હોવાં જોઈએ કે તેમાં અનેક લોકો ભાવભાવનાની રીતેભાતે પ્રવેશીને જોડાઈ શકે -જેમ તેઓ જાઝ-સંગીતમાં જોડાય છે.
એમણે કથાસાહિત્ય, સંગીત, ફિલ્મ, ટી.વી. માટે પણ સતત અપીલ કર્યે રાખી કેમ કે એમાં જિવાતા જીવનની અનુભૂતિઓ આકારાઈ હોય છે. એથી નારીવાદી વિચારકોને ફિલસૂફોની જેમ મતમતાન્તરોની રીતે નહીં પણ સંવાદની રીતે વાત કરવાની જગ્યા મળે છે. એથી કથાસાહિત્યની બહુ-સાંસ્કૃતિક કથનપ્રણાલીઓને ઓળખીને આવકારી શકાય છે. એથી ગ્રીક ફિલસૂફોની અમૂર્ત વાતોમાં બંધ વસ્તુઓને સહજપણે ખોલીને સુખે પામી શકાય છે.
જિવાતા જીવનનો આ કોરોનાકાળથી વધારે વિષમ અને મોટો કયો અનુભવ હોઈ શકે? એની જેટલી વાતો સાહિત્ય વડે થાય એટલી સહજ લાગશે, સ્વીકાર્ય બનશે, પ્રેરક અને માર્ગદર્શક નીવડશે. એ વાતોમાં જરાક ફિલસૂફી ભળે તો કશું બગડી નથી જતું બલકે એ તો સોની જેમ સોનાનો દાગીનો ઘડતી વખતે માફકસરની બીજી ધાતુ ભેળવે છે એના જેવું જરૂરી બની રહે છે, કરણીય લાગે છે.
= = =
(June 7, 2020: Ahmedabad)