Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376874
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુશ્કેલ સમયમાં (21)

સુમન શાહ|Opinion - Opinion|7 June 2020

= = = = સાર્ત્ર માનતા કે હ્યુસેર્લ વગેરે ફિલસૂફોને વિશેની પોતાની સમજ કરતાં સિમૉંની સમજ વધારે સારી છે. સાર્ત્ર અને સિમૉં લગ્ન કર્યા વિના પ્રગાઢ જીવનસાથી બનીને જીવેલાં = = = =

= = = = જિવાતા જીવનનો આ કોરોનાકાળથી વધારે વિષમ અને મોટો કયો અનુભવ હોઈ શકે? એની જેટલી વાતો સાહિત્ય વડે થાય એટલી સહજ લાગશે, સ્વીકાર્ય બનશે, પ્રેરક અને માર્ગદર્શક નીવડશે. એ વાતોમાં જરાક ફિલસૂફી ભળે તો કશું બગડી નથી જતું બલકે એ તો સોની જેમ સોનાનો દાગીનો ઘડતી વખતે માફકસરની બીજી ધાતુ ભેળવે છે એના જેવું જરૂરી બની રહે છે, કરણીય લાગે છે. = = = =

‘આ મુશ્કેલ સમયમાં’ શ્રેણીના ( 20 )-મા અંશમાં મે લખ્યું કે ‘જાત-અલગાવ’ સ્વીકારીને તેમ જ ‘સામાજિક અન્તર’ જાળવીને કોરોના અને કોવિડ-૧૯ને ડામી શકાય છે, પણ એ કામ સમગ્ર સમાજ કે સૌ પ્રજાજનો નથી કરી શકતાં. એમ કહીને મેં લખ્યું કે સામાન્યજનો જાત-અલગાવ અને સામાજિક અન્તર બાબતે પાછાં પડે છે, એમનાથી એ બધું નથી થતું, કહો કે, નથી થઈ શકતું. એઓ એવી કશી ગુંજાઈશ વગરનાં લાચાર હોય છે. ખાસ તો, એમનાથી રોજિન્દી જીવનશૈલી નથી છૂટતી. એમ પણ ઉમેર્યું કે આ મુશ્કેલ સમયમાં ઊભી થયેલી હાડમારીઓથી આમ પ્રજા, જનસમાજ, તો ઘાંઘાં થઈ ગયાં હોય છે. કારીગરો કે દ્હાડિયા મજૂરો કે રોજંદારો જાત-અલગાવ કરે તો એમનું શું થાય? નોકરીધંધાના ને ખાવા-પીવાના જ સાંસા પડ્યા હોય છે. રોજિન્દું જીવન વેરવિખેર થઈ ગયું હોય છે અને કશી જ સમજ નથી પડતી કે ગાડી પાછી ક્યારે પાટે ચડશે.

મેં આમ, વિશિષ્ટ વ્યક્તિઓની વર્તણૂકની સામે સામાન્યજનોના પક્ષે વાત મૂકી ને તેમની પ્રત્યે સહાનુભૂતિ દાખવવા કહ્યું તે અનેક મિત્રોને ખૂબ ગમ્યું. ઘણાઓએ વખાણ્યું. એક-બે જણને હું એ કારણે મારા આશ્ચર્ય વચ્ચે ‘સર્જક’ પણ લાગ્યો ! કોઈ કોઈએ એમ પણ કહ્યું કે મારી આ શ્રેણીના અગાઉના અંશો એમને ‘અઘરા’ લાગ્યા છે.

હવે આવી વાતો તો દરેક વાચકની દૃષ્ટિમતિનો વિષય ગણાય. એની નુક્તેચિની થઈ શકે, પણ શું કરવા કરવી? પરન્તુ એક મિત્રે ફોન કરી કહ્યું તે મને ચૉંકાવી ગયું. એણે કહ્યું કે – કોરોના સંદર્ભે તમે હમેશાં સાહિત્યના સહારે વાત કરો છો ને કંઇક ફિલસૂફીના સહારે. મને એણે સીધું પૂછ્યું કે – તમે બેમાંથી કોને વધારે શ્રદ્ધેય ગણો છો – સાહિત્યને કે ફિલસૂફીને?

મિત્રના પ્રશ્નને કારણે મને સિમૉં દ બુવા યાદ આવી ગયાં. આજે ફંટાઈને જરા એમની વાતો કરું :

ફ્રૅન્ચમાં લખાયેલા સિમૉંના Adieux : A Farewell to Sartre ગ્રન્થનો અંગ્રેજી અનુવાદ 1974 -માં Conversation with Jean-Paul Sartre શીર્ષકથી પ્રકાશિત થયેલો. એમાં સિમૉંએ સાર્ત્રને પૂછ્યું છે : તમને શું ગમે – તમને સાહિત્યકાર તરીકે યાદ કરવામાં આવે એ, કે ફિલસૂફ તરીકે? સાર્ત્રે જવાબ આપ્યો છે કે literature is essentially above philosophy – સાહિત્ય તત્ત્વત: ફિલસૂફીથી ચડિયાતું છે. કેમ કે, ફિલસૂફી હંમેશાં કશાક ને કશાક ઐતિહાસિક સમયસંદર્ભમાં જન્મે છે. જ્યારે સાહિત્ય એક અર્થમાં સમયસંદર્ભથી મુક્ત ચીજ છે – સાર્ત્રે વાપરેલો શબ્દ છે, timeless. સિમૉં સાર્ત્રની આ વાત સાથે સમ્મત થાય છે અને જણાવે છે કે સાહિત્યનું જ પરમ નિરપેક્ષ સ્વ-રૂપ હોય છે, નહીં કે ફિલસૂફીનું.

વળી, કદાચ એ કારણે એમ પણ બને છે કે અગાઉના ફિલસૂફે સંપડાવેલું સત્ય હંમેશાં ભાવિ ફિલસૂફો માટે સામગ્રી બની જાય છે. તેઓ એ પર કામ કરે છે અને ‘નવાં’ સત્યો રજૂ કરે છે. આ ક્ષણે, 'બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા' અને તે સત્ય-સંલગ્ન ષડ્દર્શનોવાળું ભારતીય પરમ્પરાનું આપણે ત્યાંનું દૃષ્ટાન્ત મને સહેજેય યાદ આવી જાય છે.

સિમૉં ૧૫ વર્ષનાં હતાં ત્યારથી જ ફિલસૂફીને બદલે સાહિત્યને ચાહવા લાગેલાં. એટલું જ નહીં, એમનામાં સાહિત્યકાર થવાની મનીષા જાગેલી. એમની આ પસંદગી બાબતે પિતા સહાયક નીવડેલા, કેમ કે પિતા માનતા હતા કે સાહિત્યકારો હંમેશાં ફિલસૂફો કે વિદ્વાનો કે શિક્ષણકારો કરતાં ચડિયાતા હોય છે.

The Prime of Life આત્મકથામાં સિમૉંએ સાર્ત્ર અંગેની એક સરસ વાત મૂકી છે. સાર્ત્ર માનતા કે હ્યુસેર્લ વગેરે ફિલસૂફોને વિશેની પોતાની સમજ કરતાં સિમૉંની સમજ વધારે સારી છે. સાંભળીને સિમૉંને સારું લાગેલું. સાર્ત્ર અને સિમૉં લગ્ન કર્યા વિના પ્રગાઢ જીવનસાથી બનીને જીવેલાં. સાર્ત્રને મળતાં પહેલાં સિમૉંએ ફિલસૂફીનું અધઝાઝેરું અધ્યયન કરેલું. ફિલસૂફી અને સાહિત્યના સમ્બન્ધનું ખાસ્સું વિશ્લેષણ પણ કરેલું. પણ પછી સિમૉંએ તારવ્યું હતું કે પૂર્વકાલીન ફિલસૂફોને ન સમજીને જ સારા ફિલસૂફ થઈ શકાય છે ! જો કે, સરવાળે, સિમૉં ફિલસૂફ ન જ થયાં.

સિમૉંની ઝંખના રહી કે પોતાનાં લેખનો demanding અને sophisticated હોય અને તે એવાં હોવાં જોઈએ કે તેમાં અનેક લોકો ભાવભાવનાની રીતેભાતે પ્રવેશીને જોડાઈ શકે -જેમ તેઓ જાઝ-સંગીતમાં જોડાય છે.

એમણે કથાસાહિત્ય, સંગીત, ફિલ્મ, ટી.વી. માટે પણ સતત અપીલ કર્યે રાખી કેમ કે એમાં જિવાતા જીવનની અનુભૂતિઓ આકારાઈ હોય છે. એથી નારીવાદી વિચારકોને ફિલસૂફોની જેમ મતમતાન્તરોની રીતે નહીં પણ સંવાદની રીતે વાત કરવાની જગ્યા મળે છે. એથી કથાસાહિત્યની બહુ-સાંસ્કૃતિક કથનપ્રણાલીઓને ઓળખીને આવકારી શકાય છે. એથી ગ્રીક ફિલસૂફોની અમૂર્ત વાતોમાં બંધ વસ્તુઓને સહજપણે ખોલીને સુખે પામી શકાય છે.

જિવાતા જીવનનો આ કોરોનાકાળથી વધારે વિષમ અને મોટો કયો અનુભવ હોઈ શકે? એની જેટલી વાતો સાહિત્ય વડે થાય એટલી સહજ લાગશે, સ્વીકાર્ય બનશે, પ્રેરક અને માર્ગદર્શક નીવડશે. એ વાતોમાં જરાક ફિલસૂફી ભળે તો કશું બગડી નથી જતું બલકે એ તો સોની જેમ સોનાનો દાગીનો ઘડતી વખતે માફકસરની બીજી ધાતુ ભેળવે છે એના જેવું જરૂરી બની રહે છે, કરણીય લાગે છે.

= = =

(June 7, 2020: Ahmedabad)

Loading

7 June 2020 સુમન શાહ
← તારા થકી હું …..
અનલોક →

Search by

Opinion

  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 
  • હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ
  • પણે કેવળ પ્રાસંગિક થઈને રહી ગયા છીએ ….
  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો

Poetry

  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved