= = = = વેબિનાર આ ‘ગુજરાતી’ સૅમિનારની પદ્ધતિએ વિકસી રહ્યો લાગે છે. એમ વિકસ્યા કરશે તો મને ડર છે કે ઝાઝી ઉપલબ્ધિ નહીં થાય = = = =
= = = = હા, વેબિનાર પદ્ધતિએ કવિસમ્મેલન શોભી ઊઠે કેમ કે કેટલાક કવિઓ કારકિર્દી દરમ્યાન કાવ્યસર્જન કરતાં કરતાં રૂપાળા થઈ ગયા છે. બાકી, ગુજરાતી સાહિત્યક્ષેત્રે હવે તો રૂપાળાં ખાસ નથી રહ્યાં = = = =
આ કોરોનાને કારણે કે પ્રતાપે આપણે ત્યાં એક વિદ્યાપ્રવૃત્તિ શરૂ થઈ છે, જેનું નામ છે, વેબિનાર. ઇન્ટરનેટ અને વેબ એટલે વેબિનાર; પણ એ નામ સૅમિનાર પરથી પડ્યું છે. એટલે મને વેબિનારના સ્વરૂપ વિશે બે શબ્દ કહેવા આવશ્યક બલકે અનિવાર્ય લાગે છે.
આપણા સાહિત્યક્ષેત્રે સૅમિનાર નામની પ્રવૃત્તિ ૫૦-૫૫ વર્ષથી શરૂ થઈ છે. એનું આપણે ‘પરિ સંવાદ’ નામ પણ રાખ્યું છે. તે જોતાં તેમાં ચર્ચા અને મતમતાન્તર તેમ જ વાદવિવાદ પછી એક જાતના કામચલાઉ સંવાદ પર પ્હૉંચવાનું હોય. ‘કામચલાઉ’ એટલા માટે કહીએ છીએ કે સાહિત્યકલાની ચર્ચા અનન્ત હોય છે એ પરમ સત્યનો આપણે માભો જાળવીએ છીએ.
પણ સૅમિનારનું મૂળ સ્વરૂપ જુદું છે. એ કે એમાં વક્તા ૧૫ -૨૦ મિનિટનું વક્તવ્ય રજૂ કરે, એની ઇચ્છા હોય તો ૧૦-૧૨ મિનિટનું પણ કરી શકે. પરન્તુ એ વક્તવ્ય લિખિત હોય જેને ‘પેપર’ કહેવાય, એટલું જ નહીં, સભામાં બેઠેલા સૌને તેની નકલ આપવામાં આવી હોય. અમેરિકામાં મેં એટલે લગી જોયું છે કે કોઈ વક્તા નકલો જાતે કરી લાવ્યો હોય ને સભામાં જાતે સૌને વ્હૅંચે ને પછી હસતા મુખે તેની રજૂઆત કરે.
ટૂંકમાં, મૉઢા મૉઢાની કાલી કાલી કે મધુરી મધુરી કે સુષ્ઠુ સુષ્ઠુ વાતો નહીં, જરા પણ નહીં. વક્તાના એ પેપરને અન્તે મુક્ત ચર્ચા ચાલે. એ પછી બીજા વક્તા એ જ પદ્ધતિએ પોતાનું પેપર રજૂ કરે ને ચર્ચાઓ થાય. બધી ચર્ચાઓ ક્યારેક સભાને છેડે પણ થાય. પણ પેપર અને ડિસ્કશન વગરનો સૅમિનાર ન હોય તે જ ન જ હોય. પેપરથી સભાને એક વ્યક્તિનો મત મળે અને સભામાં એ મત વિદ્વત્તા વડે ટિપાઈ ટિપાઈને સરખો થાય.
આપણે ત્યાં શરૂમાં સૅમિનારનું આ મૂળ સ્વરૂપ સચવાયું પણ ક્રમે ક્રમે બદલાઈ ગયું. પ્રારમ્ભે શૂરા પણ ધીમે ધીમે ‘ગુજરાતી’ ! દરેક વાતને પોતાના માપે વેતરી લેનારા આપણે ! પેપર ઘરેથી લખીને લાવવું પડે અથવા સંસ્થાને અગાઉથી પ્હૉંચાડવું પડે. એવી તકલીફ શાને લેવી? ખાસ કારણ તો એ કે લખ્યું હોય એટલે તેટલા પૂરતું તો બંધાવાનું થાય જ, પણ તે કેમ ફાવે? એટલે પેપરને સ્થાને મૌખિક વ્યાખ્યાનો થવા લાગ્યાં. સંસ્થાઓએ નિમન્ત્રણપત્રમાં લખ્યું હોય કે વ્યાખ્યાન લિખિત રૂપે પણ આપજો. પણ રામ રામ ભજો ! પરિણામે, દરેક બેઠક વ્યાખ્યાન'માળા' દીસે ને ૯ બેઠકોવાળો ૩-દિવસીય પરિસંવાદ વ્યાખ્યાન'માળાઓ'નો મોટો ઢગલો !
મેં મારી કારકિર્દીમાં શરૂમાં મૂળ સૅમિનારની રીતે અને પછી આ ‘ગુજરાતી’ પદ્ધતિએ આશરે ૧૦૦ જેટલા પરિસંવાદોમાં વક્તવ્ય આપ્યાં છે. મારાં પુસ્તકોમાં કેટલાંયે વ્યાખ્યાનો લેખરૂપે સંસિદ્ધ થઈને સંઘરાયાં છે. તાત્પર્ય, હું એ બદલાયેલા સ્વરૂપનો સમીક્ષક રહેવા છતાં એને નકારી શક્યો નથી બલકે એથી સંચિત થયેલી સૂઝબૂઝને મેં આવકારી પણ છે. એમ કે, ચાલો મગ એ પાણીએ ચડે છે તો એ પાણીએ ચડવા દઈએ.
વેબિનાર આ ‘ગુજરાતી’ સૅમિનારની પદ્ધતિએ વિકસી રહ્યો લાગે છે. એમ વિકસ્યા કરશે તો મને ડર છે કે ઝાઝી ઉપલબ્ધિ નહીં થાય. દૃશ્ય થયેલો વક્તા લખેલું વ્યાખ્યાન વાંચી જાય તે શી રીતે ચાલે? દર્શક-શ્રોતાઓ એને સાંભળવા ઉપરાન્ત જોતા પણ હોય છે અથવા કહો કે બન્ને વસ્તુ સાથે ને સાથે કરતા હોય છે. એટલે એની વેશભૂષા સરખી હોવી જોઈશે. માધ્યમ દૃશ્યશ્રાવ્ય છે પણ આપણે ટી.વી.-સ્ટાર નથી એ પણ યાદ રાખવું જોઈશે. હા, વેબિનાર પદ્ધતિએ કવિસમ્મેલન શોભી ઊઠે કેમ કે કેટલાક કવિઓ કારકિર્દી દરમ્યાન કાવ્યસર્જન કરતાં કરતાં રૂપાળા થઈ ગયા છે. બાકી, ગુજરાતી સાહિત્યક્ષેત્રે હવે તો રૂપાળાં ખાસ નથી રહ્યાં. એટલે, સારા દેખાવું જરૂરી છે પણ બહુ જ બનીઠનીને બેસવું જરૂરી નથી.
કેટલાકને તો મેં ઊંધું ઘાલીને લખેલું ગગડાવતા જોયા છે. એમને યાદ જ નથી રહેતું કે પોતે ‘લાઈવ’ છે છતાં શું કામ નિર્જીવ ભાવે વાંચે છે ! લિખિત નૉંધ રાખવી જ જોઈએ, તે પર દૃષ્ટિ નાખવાની પણ ‘ના’ નથી, છતાં મુખારવિન્દ તો દર્શક ભણી જ જોઈએ. એ સાથે જ એમ પણ જણાવું કે વક્તાએ એવા ભ્રમમાં ન રહેવું કે મારી સામે અનેકો બેઠા છે ને મને ધ્યાનપૂર્વક સાંભળે છે. વળી, એણે યાદ રાખવું જોઈશે કે વેબિનારના દિવસે ને સમયે વિષયમાં રુચિ રાખનારા સાહિત્યરસિકો નવરા ન પણ હોય. ખાસ મિત્રોને અને સ્વજનોને અગાઉથી સાગ્રહ કહી રાખ્યું હોય ને એમણે હા-હા કહ્યું હોય તો પણ દર્શક-શ્રોતાની આ સંભવિત ગેરહાજરીને વક્તાએ ધ્યાનમાં લેવી જોઈશે. એ સાવધાનીને કારણે એને સમજ પડશે કે પોતાના વક્તવ્યનાં રૂપરંગ કેવાં રાખવાં …
હું કેટલુંક જરૂરી, પણ વિષયાન્તર કરી ગયો. મારે ખાસ એ કહેવું છે કે વેબિનારને સૅમિનાર ન સમજો. અને તે માટે જરૂરી છે કે વેબિનારને વાતચીતની ઢબે વિકસાવો. વિષય માટે ત્રણ કે વધુમાં વધુ ચાર નિષ્ણાતોની પૅનલ બનાવો, એથી વધારે નહીં જ નહીં. દસ-બાર જણના ઝીણા ઝીણા ફોટાવાળી જાહેરાત જોવાનું આયોજકોને અને ફોટાબદ્ધોને ખૂબ ગમે પણ એ જાહેરાત જોનારો હાંફી જવાની બીકે ડરી જવાનો. ચાલો, ઘણાને ખુશ કરી દઉં-વાળી મતલબી માનસિકતા આમાં પણ નહીં ચાલે. એથી બચવું જોઈશે. દરેક પેનલિસ્ટને બીજા પેનલિસ્ટ ધ્યાનથી સાંભળે, ‘હુમ્મ’ કે એવા ટહુકા સાથે જાગૃતિ દાખવે અને યોગ્ય સમયે ચાલુ દૉરને ઝીલીને જોડાય ને સમગ્ર ડિસ્કશનને પોતાના મતની રીતે ટેકો કરે. મેં હમણાં અનુભવ્યું કે હું વક્તારૂપે બોલતો’તો તે વખતે સાથી વક્તાઓ, દેખાતા ન્હૉતા પણ વાતો કરતા સંભળાતા’તા. સંભવ છે કે કૅમેરા-સમ્મુખ વક્તા કોઈપણ ક્ષણે અઢળક ડિસ્ટર્બ થતો હોય ને એ મુસીબતની ફરિયાદ ચાલુ વક્તવ્યે કોને કરે?
વેબિનાર દરમ્યાન થોડી હઁસીમજાકભરી મસ્તી પણ ચાલવી જોઈશે. એક વેબિનાર ૪૦-૪૫ મિનિટથી વધારે નહીં ખમી શકે એ વાસ્તવિકતાને પણ નજરઅંદાજ નહીં કરી શકાય. આખો દિવસ કે બે દિવસ ચાલનારા વેબિનાર પોતાને જોરે ચાલી શકે છે પણ દર્શક-શ્રોતાની હાજરીપૂર્વકની ભાગીદારી એમાં કેટલી હશે એ સમજાય એવું છે.
વેબિનાર સવિશેષે સામી પાર્ટી માટે છે એ સત્યને ધ્યાનમાં લઈએ.
આ વિષમકાળે સાંપડેલી સાહિત્યપદાર્થના પ્રસરણની આ તકને હું મોટી હૂંફ ગણું છું ને એ વાતે ખુશ છું કે કેટલાક હૉંશીલા આયોજકો વડે ગુજરાતી સાહિત્યની વારતા આજે પણ ચાલુ છે …
= = =
(June 15, 2020 : Ahmedabad)