પ્રમુખીય
હમણાં દર્શકવિષયક બળવંત તેજાણીની હસ્તપ્રતમાંથી પસાર થતાં સ્વાભાવિક જ દર્શકની એ કેફિયતનુમા ઉક્તિનું સ્મરણ થયું કે એમણે પોતાની આરંભિક રચનાઓ – જેમ કે ‘બંદીઘર’ – પર ર.વ. દેસાઈની અસર હોવાનું નોંધ્યું છે. અહીં આ ક્ષણે ‘બંદીઘર’ (‘કબ્રસ્તાન’) કે ‘જલિયાંવાલા’ની ચર્ચામાં જવાનો ખયાલ અલબત્ત નથી. માત્ર, મુનશીમુગ્ધ ગુજરાતમાં ર.વ.ના પ્રવેશ સાથે જે paradigm shift તરેહના સંકેતો સમજાય છે એની જિકર જરૂરી સમજું છું. (મુનશીથી દર્શક એવી જે એક પર્યેષણા, બંકિમ-રવીન્દ્રને સમાંતર કરી રહ્યા છીએ, એથી સ્તો!)
ર.વ.ની સામાજિક નવલકથાઓ થકી જે ઉઘાડ આપણે ત્યાં થયો એમાં મોટી વાત એ બની કે પ્રતાપી પાત્રોની રાજમહેલાતી સૃષ્ટિથી તેમ તે પૂર્વે વાલકેશ્વર અને સુંદરગિરિની સધ્ધરલોક-અધ્ધરલોક સૃષ્ટિથી ઉફરાટે એક નવો નાયક આપણી સામે આવ્યો. કંઈક ગાંધીરંગી, કંઈક ડાબેઝૂક, લગરીક રોમૅન્ટિક એવા મધ્યમવર્ગી નાયકો એ ર.વ.નો વિશેષ રહ્યો. જોવાનું એ છે કે મુનશી બ્રાન્ડ ખાસંખાસ પ્રતાપી પાત્રો (તે સિવાયનાં સૌ માનવજંતુડાં જાણે) વચ્ચે આ નવો નાયકવર્ગ પોતાની જગ્યા બનાવી શક્યો; અને તે પણ તમને ને મને આંજ્યા વગર.
મુનશી ને ર.વ. બેઉ વંચાતાવેચાતા હતા અને સહસા ગુણવંતરાય આચાર્યની નવલકથાઓ પોતાની જગ્યા બનાવી લે છે. બે’ક દાયકા પર નીતિન વડગામાએ મને ગુણવંતરાય આચાર્ય અધ્યયન ગ્રંથ (શતાબ્દી ગ્રંથ) માટે લખવા નિમંત્ર્યો ત્યારે (શિખાપંડિત તો હું ક્યાંથી હોઉં પણ) સામાન્ય છાપને ધોરણે મુનશી – ર.વ. – આચાર્ય સમયસંક્રાન્તિ જોતાં જે સમજાય છે એનો ખયાલ કંઈક વિગતે ચર્ચવાનું બન્યું હતું. હમણાં મેં કહ્યું કે ર.વ. આવતે રાષ્ટ્ર પ્રતાપી પાત્રો અને રાજવટ, કાંઈક સાંસ્કૃતિક ભભક, હિંદુ રાજવટ આદિને સમાવતે છતે લાંઘી જતી ને લાંઘતે છતે સમાવતી મધ્યમવર્ગી ને જનસાધારણલક્ષી ખયાલાત બને છે.
જ્યાં સુધી આચાર્યનો સવાલ છે, તમે જુઓ, બેસતે સ્વરાજે તે હિન્દુપત પાદશાહત ગ્રંથાવલિ હાથ પર લે છે. છતે ભાગલે (કે એથી જ) આ નવલશ્રેણી પૂંઠે પોતાની ભાવભૂમિ એ બેબાક બોલી બતાવે છે કે “હિંદુસ્તાનની સાંસ્કારિક ભૂગોળ – સાંસ્કૃતિક ભૂગોળ આજે ધાર્મિક ભૂગોળમાં ફેરવાઈ જવાનો મહાભય ઊભો થયો છે.”
મુનશી કરણ ઘેલાની ઉત્તર કથા ‘ભગ્ન પાદુકા’ લઈને આવ્યા, તો આચાર્ય ‘રાય હરિહર’ આદિ વિજયનગર ગ્રંથાવલિ. આ હરિહર, વિજયનગર સામ્રાજ્યનો સ્થાપક, તે કોણ. કરણની પુત્રી દેવળદેવી દેવગિરિના યાદવરાજને વરી. એ લગ્નથી જે સંતાન થયું તે રાય હરિહર. વિજયનગર સામ્રાજ્યનો સ્થાપક. આ સામ્રાજ્યનો મહિમા આપણા આચાર્યને શી વાતે વસ્યો છે તે અહીં નોંધવાજોગ છે ‘…એ સામ્રાજ્યે હિંદુત્વને, આર્યત્વને – ખાસ કરીને નાગરિકત્વને – એક અનેરો રંગ આપ્યો છે … નાગરિકત્વ શબ્દ પર ખાસ ભાર મૂકવો ઘટે, કેમ કે સાંપ્રદાયિક વફાદારીઓની ઉપરવટ નાગરિકત્વની વફાદારીનો જેટલો સ્પષ્ટ ખ્યાલ આપણને વિજયનગર સામ્રાજ્યમાં મળે છે એવો ને એટલો તો કોઈ પણ બીજામાંથી મળતો નથી.’
વાચક જોશે કે ઇતિહાસવસ્તુ સાથે એક વાર્તાકાર તરીકે કામ પાડતાં આચાર્યને થતો અને વાચકને પણ થઈ શકતો આનંદ સ્વાતંત્ર્યસંગ્રામ અને સ્વરાજસાધનામાં હોઈ શકતી, સહજ ક્રમે આમ આદમી ભણી ઢળતી નાગરિક નિસબતનો છે. એમની જે બે નવલશ્રેણીનાં દૃષ્ટાંત આપ્યાં તે જો કે સ્વાતંત્ર્યોત્તર છે, પણ ‘કચ્છમાં ક્રાંતિ’ તો એ છેક 1931માં લઈ આવ્યા હતા જેમાં એમને ઇષ્ટ ડિંડિમિકાઘોષ તો એ અને એ જ છે કે “જો લોકોમાં જાગૃતિ હોય, ચેતના હોય, તો આપણે આપણો કારભાર ચલાવી શકીએ.” નાના મનાયેલાં માનવીની કથાઓ પોતાને વધુ ગમે છે એવું એ લગભગ ધ્રુવગાન પેઠે કહેતા રહ્યા છે.
દર્શક તો મોડેથી આવ્યા. એમનો જન્મ 1914માં. આચાર્યનો 1900માં. ને ર.વ.નો 1892માં. મુનશી વળી 1887માં રાષ્ટ્ર-રાજ્ય કહો, પ્રતાપી પાત્રો કહો, સામ્રાજ્ય કહો, એમાં મનેર માનુષ અગર ઘરનું ઘર બિલકુલ મજ્જાગતપણે જોતા મુનશીનયને મુકાબલે નાગરિક સંક્રાન્તિનો વૈકલ્પિક વિશ્વદૃષ્ટિ શો પ્રકર્ષ દર્શકમાં જોવા મળે છે, અને એ પણ એમણે હજુ ત્રીસીયે નહોતી વટાવી તે પૂર્વેથી. તમે જુઓ ગુજરાત જ્યારે ઉમાશંકર કહેતા તેમ પ્રભાતના પહોરમાં લશ્કર કૂચ કરતું હોય તેવી રવાનીવાળી મુનશીની નવલકથાઓમાં, ર.વ.ની એક યુગમૂર્તિની હોઈ શકે તેવી નવલકથાઓમાં કે ગુણવંતરાય આચાર્યના ગાજુસ પ્રવેશમાં હુલસતું હતું ત્યારે દર્શક ‘દીપનિર્વાણ’ લઈને ચુપચાપ આવે છે. જેમ મુનશી તેમ દર્શક પણ પ્રાચીન ભારત પાસે જાય છે. એમનું આ જવું ત્યારે બન્યું છે જ્યારે પોતે સંગ્રામવશ બંદીજન છે અને બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે :
“‘દીપનિર્વાણ’ પણ 1942માં જેલમાં લખાયેલું … ભારતનો સંગ્રામ હાર અને જીત વચ્ચે ઝોલાં ખાતો હતો. બીજું વિશ્વયુદ્ધ પણ આમ જ ઝોલાં ખાતું હતું … બીજી બાજુ ઇંગ્લૅન્ડની મૂડીવાદી લોકશાહી પણ જે અડગ રીતે એકલી યુદ્ધ આપતી હતી તે પણ મનમાંથી આફરીન પોકારાવતી હતી. નાનકડા ગ્રીસે ઈરાની શહેનશાહતનો જે વિરલ સામનો મૅરેથોન, સેલેમીસ, થર્મોપોલીમાં કર્યો તે નજર સામે જાણે થઈ રહ્યો હતો. મનમાં સળવળાટ થતો હતો. કોઈકે તો આને પ્રેમાનંદની માતા ગુર્જરીમાં ઉતારવા કોશિશ કરવી જોઈએ. તેમાં જયસ્વાલનું ‘હિંદુ પૉલિટી’ હાથ આવ્યું. તેમાં ગણરાજ્યોએ ઍલેક્ઝાન્ડરના કરેલા સામનાનું વર્ણન વાંચ્યું. મૅક્રિન્ડલના એ વિગતો આપતા ગ્રંથો મંગાવ્યા. ફરીફરી વાંચ્યા. હર્ષનો રોમાંચ અનુભવ્યો. જે ઇંગ્લૅન્ડ કરતું હતું, જે ઍથેન્સે કર્યું હતું તે અમે પણ કર્યું હતું. રગો કલમ લેવા માટે ઝણઝણવા લાગી. અકસ્માત રૉકહિલનું ‘બુદ્ધ‘ વાંચ્યું. તેણે મને છેવટે ધક્કો માર્યો …”
અહીં મુદ્દો એ છે કે રણોદ્યત છતાં આ રાષ્ટ્રવાદ વ્યાપક વિશ્વસંદર્ભમાં વિચારે છે અને પોતે જેનું સંસ્થાન છે એ મુલકનીયે નાત્સી બળો સામે ફતેહ ઇચ્છે છે. અહીં મુદ્દો એ છે કે રાષ્ટ્રીય જોસ્સો કોઈ અમૂર્ત આક્રમક ખયાલાતમાં નહીં પણ ગણરાજ્યની ગરવી પરંપરામાં અને એ ધોરણે પ્રતિકારની પ્રજાસૂય ધારામાં ઠરવા કરે છે.
મુનશીથી દર્શકની ધાટીએ વાત કરતે કરતે હું એક માંચીમુકામ ચૂકી ગયો, પનાલાલ પટેલ અને ‘માનવીની ભવાઈ’. લાંબી ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે એમાં લોકની પ્રતિષ્ઠા થઈ છે. ઇતિહાસ રાજામહારાજાઓનો નહીં પણ પ્રજાઓનો લખાવો જોઈએ, એકદા વૉલ્ટેરે કહ્યું હતું. રાજાઓ અને પ્રતાપી પાત્રો, વીરનાયકો ધીમન્તશ્રીમન્ત એલિટથી હટી લોકની કથા તે ‘માનવીની ભવાઈ’નો નિઃશેષ વિશેષ છે.
‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ એથી આગળ કંઈક નવી ભોં ભાંગે છે. ‘લોક’ અને ‘લોકયતિ ઇતિ લોકઃ’ બેઉ અહીં મળવા કરે છે. શ્રમિક – બૌદ્ધિક જુવારાંનું ભાંગવું તે તરફ દર્શકની સહજ ગતિ છે. કહેવું હોય તો કહી શકાય કે રાષ્ટ્રચર્ચા અને રાષ્ટ્રચર્યાનો આલેખ આપણે ભલે મુનશીથી દર્શકની ધાટીએ કર્યો, પણ ગોપાળબાપાની વાડી સાથે દર્શક ગુજરાતના સમાજ-અને-સંસ્કૃતિ-ચિંતનને ગો.મા.ત્રિ.ના કલ્યાણગ્રામથી ગોપાલગ્રામ લગી સંક્રાન્ત કરી આપે છે.
દર્શકની આ ગુંજાશ, કહો કે એમનો આ ગોપાલગ્રામ પ્રકર્ષ, ઉમાશંકરને બહુ વહેલાં પમાયેલ છે, છેક 1944માં. તાપીતટે માંડવીમાં પ્રાસ્તાવિક વચનો લખી તો રહ્યા છે ‘દીપનિર્વાણ’ના બીજા પુનર્મુદ્રણને અવસરે. પણ કૃતિની સમૃદ્ધિ ઉપસાવતે ઉપસાવતે ન જાણે કેમ ને ક્યારે એ સીધા કર્તા પર આવી લાંગર્યા છે. ‘દીપનિર્વાણ’ એમના મતે “ગોવર્ધનરામ પછીની એક અગ્રગણ્ય નવલકથા, – ખાસ કરીને ગોવર્ધનરામે નિરૂપેલા ‘સાક્ષરજીવન’ના ઉચ્ચ આદર્શની જેનામાં કાંઈક ઝાંખી થતી હોય એવા એક લેખકની કૃતિ ઠેરવવા બસ છે.”
જેણે સક્રિય ને સવિશેષ તો સ-ભાન જીવનનો અતિ અલ્પ હિસ્સો સાહિત્યસર્જનને આપ્યો, જેણે પ્રધાનપણે પ્રવૃત્તિમાર્ગમાં મુક્તિ જોઈ એનામાં ગો.મા.ત્રિ.ને અભીષ્ટ સાક્ષરજીવનની ઝાંખી જોવું કોઈકને નવાઈભર્યું લાગે તો ભલે લાગે. પણ, કલ્યાણગ્રામનું ગોપાલગ્રામમાં સમુત્ક્રાન્ત થવું તેમાં એનો ખુલાસો પડેલો છે. કોઈને દૂરાકૃષ્ટ લાગે તો છો લાગતું, પણ ‘સાક્ષરજીવન’ના બીજા પ્રકરણના ઉપસંહારમાં એ અંશતઃ જોઈ શકાશે.
બને કે દેખીતો જરી જુદી ચર્ચાએ ચડી ગયો લાગું. ગમે તેમ પણ, રાષ્ટ્રવિષયક વિમર્શને સાંકડા ને વળી હ્રસ્વદૃષ્ટિ દાયરામાંથી સંસ્કૃતિ અને સભ્યતાના વ્યાપક ફલક પર મૂકી આપતી વિશ્વગુજરાતી વિચારરૂખનું ઇંગિત પકડાય તો આ દેખીતું વિષયાંતર પણ કર્યું પ્રમાણ.
સપ્ટેમ્બર 22, 2022
(પ્રગટ : “પરબ”, ઑક્ટોબર 2022; પૃ. 06-08)