સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર મહિલાઓનાં નામની યાદીમાં એમનું નામ નહોતું મૂકાયું, પરંતુ એમણે ‘કપ્તાન’ બની મહિલા સેનાનીઓની આગેવાની કરેલી અને લખનઉની વિદેશી માલ વેચતી દુકાનોના પિકૅટીંગ માટે જેલમાં પણ ગયેલાં. સુપ્રસિદ્ધ હિન્દી લેખક મુનશી પ્રેમચંદનાં પત્ની, શિવરાની દેવીએ સ્વતંત્રતા સંગ્રામમાં તથા સાહિત્ય લેખન દ્વારા માતબર યોગદાન આપેલું.
“મુનશી પ્રેમચંદ ૧૯૨૪થી ૧૯૩૦, એમ સાડા છ વર્ષ એમના બે દીકરા, એક દીકરી અને પત્ની શિવરાની દેવી સાથે લખનઉમાં રહેલા. પતિ-પત્ની બન્નેને દેશની સ્વતંત્રતા માટેની લડતમાં ભાગ લઈને જેલમાં જવું હતું અને છેવટે શિવરાની દેવી બે મહિના માટે જેલમાં ગયાં,” એવું જાણીતા વિવેચક વિરેન્દ્ર યાદવ નોંધે છે. અમીનાબાદના ઝંડેવાલા પાર્કમાં ૧૧ નવેમ્બર, ૧૯૩૦ના રોજ વિદેશી માલ વેચતી દુકાનોના પિકૅટીંગ બદલ એમની ધરપકડ કરવામાં આવી હતી. યાદવ લખે છે, “લોકોના સામાજિક-આર્થિક ઉત્થાનમાં એમને હંમેશાં રસ હતો અને સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય ભાગ લેતાં. સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન ઝંડેવાલા પાર્કમાં ભૂતપૂર્વ પ્રધાન મંત્રી જવાહરલાલ નહેરુના માતૃશ્રી સ્વરૂપ રાની નહેરુનાં ભાષણ અને ધરપકડથી એ ખૂબ ચલિત થયાં હતાં. સ્વતંત્રતા માટેની તમામ પ્રવૃત્તિઓમાં એમની સક્રિયતાને લીધે એ એટલા લોકપ્રિય હતાં કે જ્યારે કૉંગ્રૅસ કાર્યકર્તા મોહનલાલ સક્સેનાએ મહિલા સેનાનીઓની યાદી બનાવી, શિવરાની દેવીને સર્વાનુમતે એમના કપ્તાન તરીકે પસંદ કરાયાં”.
યાદવ વધુમાં કહે છે, “સ્વતંત્રતા સંગ્રામમાં એમની ભાગીદારી અંગેની સૌથી રસપ્રદ બાબત એ છે કે મુનશી પ્રેમચંદ પણ એનાથી અજાણ હતા. એમને સેનાનીઓની નામાવલી હિન્દી અને ઉર્દૂમાં અનુવાદ માટે મોકલવામાં આવી, ત્યારે એમણે જોયું કે કૉંગ્રૅસની મહિલા શાખાના વડા તરીકે શિવરાની દેવીનું નામ છે.”
મનોહર બંધોપાધ્યાય લિખિત ‘લાઈફ ઍન્ડ વર્ક્સ ઑફ પ્રેમચંદ’માં (માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત) શિવરાની દેવીના પુસ્તક ‘પ્રેમચંદ ઘર મેં’માંથી શિવરાની દેવીની ધરપકડ અને એમની ધરપકડ કરનારા પોલીસકર્મીઓની ઉત્કટ લાગણીઓ વર્ણવતો હૃદયસ્પર્શી હિસ્સો સમાવિષ્ટ કર્યો છે. શિવરાની દેવીની ધરપકડ વખતે દેશને કાજે હસતા મુખે જેલ જતી નિ:સ્વાર્થ સ્ત્રીઓનાં માનમાં ભાવાંજલી અર્પણ કરતા એક પોલીસકર્મી પોતાને રોકી શક્યો ન હતો. પુસ્તકમાં પોલીસકર્મી સાથેનું એમનું આદાન-પ્રદાન આલેખાયું છે. પોલીસકર્મીએ એમને કહેલું “માતાજી, અમને અહીંથી ૨૩ રૂપિયા મળે છે પરંતુ અમને બીજે ક્યાં ય ૧૦ રૂપિયા પણ મળે ને તો અમે રાજીખુશી આ પાપી નોકરી છોડી દઈએ.” પોલીસકર્મીની વાતથી શિવરાની દેવી દ્રવિત થયેલાં અને પોલીસકર્મીને આશ્વાસન આપતાં એમણે કહેલું કે ગમે તેમ પણ એ પોતાની ઔપચારીક ફરજ નિભાવી રહ્યો હતો. જવાબમાં પોલીસકર્મીએ કહેલું, “તમે બહુ ઉદાર છો એટલે જેલ જાઓ છો. અમને દુ:ખ છે કે અમે અમારી માતાઓ અને બહેનોની પૂજા કરવાને બદલે એમને જેલ લઈ જઈ રહ્યાં છીએ.”
જેલમાંથી છૂટ્યાં બાદ પણ શિવરાની દેવી બેસી રહ્યાં ન હતાં. એમનાં કથળતા આરોગ્ય વચ્ચે પણ સી-ક્લાસ કેદીઓને ભૂખ્યા રાખીને અને શિયાળામાં ગરમ વસ્ત્રો નહીં આપીને એમની સાથેના અમાનવીય વ્યવહાર સામે સક્રિય વિરોધનું આયોજન કરેલું. સત્તાધીશોને આખરે એમની માંગણી સામે ઝુકવું પડેલું.
“શિવરાની દેવીની ધરપક્ડ વખતે પ્રેમચંદ વારાણસીમાં હતા. જ્યારે પ્રેમચંદ શિવરાની દેવીને જેલમાં મળવા ગયા ત્યારે એમણે પત્નીને કહેલું, “તું નહીં, બાળકોની સંભાળ લેવાની હોવાથી હું જેલમાં છું,” એમ લખનઉ યુનિવર્સિટીના હિન્દી વિભાગના અધ્યાપક અને વિવેચક રવિ કાન્ત ચંદન નોંધે છે અને ઉમેરે છે કે “પ્રેમચંદને લાગતું કે વારાણસીથી પરત ફરતા ગમે ત્યારે એમની ધરપકડ કરવામાં આવશે. વાસ્તવમાં તો એ ‘ભવ્ય’ દિવસની એમને પ્રતિક્ષા હતી. એમની પત્ની એમનાથી આગળ નીકળી ગયાંથી એમને હર્ષ થયો. પ્રેમચંદે કહેલું કે એમની પત્નીએ એમનું ગૌરવ સો ગણું વધારી આપ્યું હતું.” શિવરાની દેવીને અંગ્રેજી નહોતું આવડતું એટલે બ્રિટિશ રાજ વખતે સૌથી પ્રભાવક દૈનિક ‘લીડર’માં છપાતા સમાચારો મુનશી પ્રેમચંદ એમના માટે હિન્દીમાં અનુદિત કરી આપતા.
લખનઉમાં તેમના રહેવાસ દરમ્યાન આ યુગલ દર વર્ષે ઘર બદલતું કારણ કે ઉનાળાની રજાઓમાં પ્રેમચંદ વારાણસીના પોતાના ગામ લમ્હી જતાં અને ઘેર હોય તે દરમ્યાન ભાડાના નાણાં વેડફાય એ એમને પોસાય એમ નહોતું, એમ વિવેચક વિરેન્દ્ર યાદવનું કહેવું છે.
શિવરાની દેવી સાહિત્યિક કુશળતા ધરાવતા હતાં, પરંતુ એમણે ખાસ્સા સમય સુધી જાહેર ના થવા દીધું. ૧૯૩૧માં એમણે એમની પ્રથમ વાર્તા ‘સાહસ’ પ્રકાશિત કરી, ત્યારબાદ પ્રેમચંદને એની જાણ થઈ. શિવરાની દેવીની વાર્તા ‘સાહસ’ને ‘ચાંદ’ સામયિકના તંત્રી સેહગલે સુધારીને ‘શિવરાની દેવી, પ્રેમચંદના પત્ની’ નામ હેઠળ પ્રકાશિત કરી હતી. ‘સાહસ’ની નાયિકા એક બહાદુર યુવતી છે, જેણે લગ્ન વિધિ દરમ્યાન એના થનાર પતિને માર માર્યો હતો. સેહગલે પ્રેમચંદને અભિનંદન આપતા કહેલું કે “નવલકથાઓના રાજા”નાં પત્ની પણ લેખન કરતાં થઈ ગયાં છે. પ્રેમચંદના સાહિત્ય સંદર્ભે શિવરાની દેવીનું પુસ્તક ‘પ્રેમચંદ ઘર મેં’ ખૂબ ઉપયોગી છે અને વિદ્વાનો-સંશોધકો માટે અનિવાર્ય છે.
(“ધ ટાઈમ્લ ઑફ ઈન્ડિયા”, ઑગસ્ટ ૬, ૨૦૨૨)
https://timesofindia.indiatimes.com/city/lucknow/premchands-wife-a-writer-an-unsung-freedom-fighter/articleshow/93352868.cms
e.mail: rupaleeburke@yahoo.co.in