૨૧મી સદીના પહેલા દાયકાનું ગુજરાત મોડેલ ઇવેન્ટોનું મોડેલ હતું. લોકો ફાટી આંખે જોતા રહે એવી ભવ્ય ઇવેન્ટો યોજવાની. ગુજરાતના લોકોને એમ લાગવું જોઈએ કે જીવતા તો આપણને એકલાને જ આવડે છે, અને બીજા દેશવાસીઓ તો ‘બિચારા’ છે. બિચારા એટલા માટે છે કે તેઓ મહાપ્રતાપી નેતૃત્વથી વંચિત છે. દેશમાં બીજાં રાજ્યોના લોકોને એમ લાગવું જોઈએ કે દેશમાં એક માત્ર ગુજરાત છે જ્યાં ક્રાંતિ થઈ રહી છે. એક ઇવેન્ટનો હરખનો ઓડકાર હજુ તો શમે નહીં ત્યાં બીજી ઇવેન્ટની તૈયારી શરૂ કરી દેવાની. ઇવેન્ટ આફ્ટર ઇવેન્ટ.
આનાથી ઊલટું ભારતનું મોડેલ ક્રાઈસીસનું મોડેલ છે. એમ પણ કહી શકાય કે ભારતનું મોડેલ ક્રાઈસીસ મેનેજમેન્ટનું પણ મોડેલ છે. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે આખી દુનિયાને એમ લાગતું હતું કે આ સંકટગ્રસ્ત દેશ લાંબો સમય ટકી નહીં શકે. ભારત અરાજકતાની ગર્તામાં ધકેલાઈ જશે અને અનેક ટુકડાઓમાં વિભાજીત થઈ જશે. જગતના અનેક ડાહ્યા લોકોએ સલાહ આપી હતી કે સંપૂર્ણ લોકતંત્રનું જોખમ નહીં ઉઠાવો, શરૂઆતનાં વર્ષોમાં મર્યાદિત લોકતંત્ર સાથે સબૂરીથી કામ લો. ભારતના એ સમયના નેતાઓને આત્મવિશ્વાસ હતો.
તેમણે દેશના વહીવટીતંત્રનો એવો ઢાંચો વિકસાવ્યો જેમાં સંકટ કેન્દ્ર સરકારે પોતાની પાસે રાખ્યાં અને મોકળાશ રાજ્યોને આપી. ભારતના સમવાય ઢાંચાની (ફેડરલ ઇન્ડિયાની) આ ખૂબી છે. આખી દુનિયા ફાટી આંખે જોતી રહે એવી એ શું કહેશું, ‘ઇવેન્ટ’ હતી! ગરીબી દૂર કરવાની, આર્થિક વિકાસ, અન્ન સ્વાવલંબન, વસ્ત્ર સ્વાવલંબન, રોજગારી પૂરી પાડવાની, માળખાકીય વિકાસ, દેશની અખંડતા, દેશનું સંરક્ષણ, વિદેશ વહેવાર, રાજ્યો વચ્ચેનાં સંઘર્ષરહિત સંબંધો ભારતની પ્રતિષ્ઠા વગેરે દરેક પ્રકારની ઉપાધિઓ કે પળોજણ કેન્દ્રએ પોતાની પાસે રાખી હતી. આવી વ્યવસ્થા કરવા પાછળનાં બે કારણ હતાં. એક તો એ કે પોતપોતાનાં રાજ્યનો વિકાસ કરવા માટે રાજ્યોના શાસકોને ઉપાધિઓથી મુક્તિ અને મોકળાશ મળે અને બીજું એ કે જો રાજ્યોને પડકારોનો સામનો કરવાનું કહેવામાં આવે તો સ્વાભાવિકપણે તેને સત્તા આપવી પડે અને જો સત્તા આપવામાં આવે તો રાજ્યો દેશની એકતા અને અખંડતા સામે જોખમ પેદા કરે. મહત્ત્વનો મુદ્દો એ છે કે જો રાજ્યોના શાસકો પોતાનાં રાજ્યનો વિકાસ કરવા ઇચ્છતા હોય તો મોકળાશ ઘણી હતી.
અહીં જવાહરલાલ નેહરુએ રાજ્યોના મુખ્ય પ્રધાનોને જે પત્રો લખ્યા હતા, એનું મનન કરવું જોઈએ. દૃષ્ટિ અને નિસ્બત શું કહેવાય એનાં ઉદાહરણરૂપ એ પત્રો છે. સતત ૧૭ વરસ સુધી પ્રતિ માહ ટાઈપ્ડ દસ-બાર પાનાંનાં પત્રો વાંચશો તો ખ્યાલ આવશે કે નેહરુની રાજ્યોના શાસકો પાસેથી કેવી અપેક્ષા હતી. ઉપાધિમુક્ત મોકળાશનો લાભ લઈને રાજ્યનો વિકાસ કરો અને કેન્દ્ર સરકારને ભાગે આવેલી ઉપાધિઓ સામે લડવામાં કેન્દ્રને મદદ કરો. એ કઈ રીતે થઈ શકે તેના ઉપાયો પણ બતાવ્યા છે. જાગતિક રાજકીય પરિસ્થિતિમાં થઈ રહેલાં પરિવર્તનોની બાબતે અવગત કરીને તેનો કઈ રીતે લાભ લઈ શકાય અને કઈ રીતે બચી શકાય તેની પણ સલાહ તેમણે એ પત્રોમાં આપી છે. જો કોઈ વાચકને ઉત્કંઠા હોય તો નેહરુએ લખેલા સેંકડો પત્રોમાંથી પસંદ કરેલા પત્રો હવે પુસ્તકરૂપે પણ ઉપલબ્ધ છે. વડો પ્રધાન કેવો હોય એનું મૂર્તિમંત ઉદાહરણ નેહરુ હતા.
ભારતનું બંધારણ ઘડનારાઓએ વિકટ ઉપાધિઓ કેન્દ્રને આપી અને રાજ્યોના શાસકોને ઉપાધિમુક્ત રાખીને રાજ્યનો ઝડપી વિકાસ કરવાની મોકળાશ આપી પણ વાસ્તવમાં તેનું પરિણામ શું આવ્યું? પ્રારંભમાં ભાષાઓની અસ્મિતાને નામે ભાષાવાર પ્રાંતરચના કરવામાં આવી. એ તો જાણે સમજાય એવી વાત હતી કે પોતાની ભાષામાં રાજ્યમાં શાસન ચાલે તો મોકળાશ ધરાવનારા શાસકો ભાષાકીય મોકળાશ ઉમેરાતા હજુ વધારે મોકળાશપૂર્વક શાસન કરી શકે. પણ જવાહરલાલ નેહરુના અવસાન પછી એવું બન્યું નહીં. કોઈ રાજ્યમાં દ્રવિડ રાજ્ય સ્થાપવા માટે, બીજા રાજ્યમાં મરાઠા રાજ્ય સ્થાપવા માટે, કેટલાક રાજ્યમાં યાદવ રાજ્ય સ્થાપવા માટે, પંજાબમાં શીખ સૂબાનું રાજ્ય સ્થાપવા માટે એમ દરેક રાજ્યમાં પ્રજાકીય ઉદ્ધારની જગ્યાએ બહુમતી અસ્મિતાઓનાં રાજ્યો સ્થાપવાની હોડ શરૂ થઈ. બોજામુક્ત મોકળાશનો ઉપયોગ બહુ ઓછા શાસકોએ કર્યો હતો. ગુજરાત આમાં પ્રમાણમાં નસીબદાર હતું. ગુજરાત ઓછું અસ્મિતાગ્રસ્ત હતું એટલે મુંબઈ રાજ્યના વિભાજન વખતે મુંબઈ શહેર ગુમાવવા છતાં ગુજરાતે બે દાયકામાં દેશના પ્રગતિશીલ રાજ્યનો દરજ્જો મેળવી લીધો.
ભારતનાં લગભગ દરેક રાજ્યમાં શાસકો અસ્મિતાઓનો જયજયકાર કરતા હતા અને બંધારણપ્રદ મોકળાશનો ઉપયોગ કરવાની તક ગુમાવતા હતા એમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા પછી જુદો રાહ અપનાવ્યો. એ રાહ હતો ઇવેન્ટનો. એવી એવી ભવ્ય ઇવેન્ટો કરવી કે લોકો જોતા રહે અને લોકોને એમ લાગે કે સ્વર્ગ તો માત્ર ગુજરાતમાં જ છે. લોકોને એમ લાગવું જોઈએ કે આખો દેશ પાછળ રહી ગયો છે અને ગુજરાત ક્યાં ય આગળ નીકળી ગયું છે. લોકોને એમ લાગવું જોઈએ કે ગુજરાતના નાથને જો દેશનું નેતૃત્વ સોંપવામાં આવે તો ગુજરાતની રાહે દેશનો વિકાસ થઈ શકે છે.
૨૦૧૪માં નરેન્દ્ર મોદી દિલ્હી તો પહોંચી ગયા, પરંતુ તેમની હથરોટી ઇવેન્ટની હતી. એમને પોતાને પણ એમ લાગતું હતું કે ગુજરાતની માફક જગત અંજાઈ જાય એવી ઇવેન્ટ કરતા રહીશું અને ગાડું ગબડતું રહેશે. તેમને એ વાતની જાણ નહોતી કે સમવાય ભારતમાં સત્તા અને જવાબદારીઓની જે વહેંચણી કરવામાં આવી છે એમાં સમસ્યાઓનો ટોપલો કેન્દ્રના શિરે છે. ગુજરાતમાં ઇવેન્ટો કરવાની જે મોકળાશ હતી એ તો રાજ્યોને મળેલી મોકળાશ હતી જેનો ઇવેન્ટો યોજવા માટે લાભ લેવામાં આવ્યો હતો, બીજી બાજુ કેન્દ્ર પાસે તો એટલી બધી સમસ્યાઓ છે કે શ્વાસ લેવાની પણ મોકળાશ નથી. નરેન્દ્ર મોદીએ અને બી.જે.પી.ના અત્યારના નેતાઓએ જો અરુણ શૌરી જેવા વિચક્ષણ લોકોને પૂછ્યું હોત તો તેમણે ભારતમાં કેન્દ્ર અને રાજ્યની વચ્ચે શાસનના સ્વરૂપ અને જવાબદારી વચ્ચે રહેલા ફરકની જાણ કરી હોત. ભારતમાં કેન્દ્ર સરકાર એટલે સતત સમસ્યાઓની સામે ઝૂઝતી સંસ્થા. મોકળાશ નામની નહીં.
કેન્દ્ર અને રાજ્યમાં ફરક એટલો છે કે દિલ્હીમાં ઇવેન્ટ કરવા જાઓ તો પણ સમસ્યામાં ફેરવાઈ જાય છે. નોટબંધી ઇવેન્ટ હતી જે સમસ્યામાં ફેરવાઈ ગઈ. જી.એસ.ટી. એક ઇવેન્ટ તરીકે લાગુ કરાવમાં આવ્યો જેણે સમસ્યા પેદા કરી. વિદેશનીતિમાં નમસ્તે ટ્રમ્પની ઇવેન્ટ યોજી અને હવે ટ્રમ્પ હારી ગયા પછી અમેરિકાના સંબંધોમાં સમસ્યા થશે. લોકડાઉનને ઇવેન્ટ તરીકે લાગુ કર્યો અને સમસ્યા પેદા કરી. વીસ લાખ કરોડ રૂપિયાનું પેકેજ ઇવેન્ટના સ્વરૂપમાં જાહેર કર્યું અને જી.ડી.પી.નો દર બંગલાદેશ કરતાં પણ પાછળ ધકેલાઈ ગયો. આવા તો હજુ બીજા અનેક દાખલા તમે આપી શકો એમ છો.
ભારત એક જટિલ સમાજવ્યવસ્થા ધરાવતો દેશ છે. એમાં સરળીકરણ ન ચાલે. બંધારણ ઘડનારાઓએ બધી જ સમસ્યા અને ઉપાધિઓ કેન્દ્રના માથે નાખી છે, કે જેથી કોઈ તેને હળવાશથી ન લે. વર્તમાન શાસકોએ જો આ સમજવાની કોશિશ કરી હોત અને ઇવેન્ટનો મોહ ન રાખ્યો હોત તો વર્તમાન સરકારની આજે જે હાલત થઈ છે તે ન થઈ હોત. બહુમતી હોવા છતાં સરકાર વમળમાં ફસાયેલી છે. કાશ્મીર, ચીન, ખાડે ગયેલું અર્થતંત્ર, બેરોજગાર યુવાનોની નારાજગી અને હવે ખેડૂતોની નારાજગી. ઉતાવળ, આત્મવિશ્વાસ, સરળીકરણ અને દરેક નિર્ણયને ઇવેન્ટમાં ફેરવવાના મોહનું આ પરિણામ છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 ડિસેમ્બર 2020