કોઈ પણ સરકાર કે તંત્ર મૂરખ નથી, પણ તે મૂરખ બનાવી શકે છે. લોકો એ સમજતાં નથી એવું નથી, પણ તેમાં કેટલાક મતલબી, મૂરખ અને મવાળ હોય છે, એ પ્રતિક્રિયા ખૂણેખાંચરે આપતાં હોય છે ને તે સરકાર સુધી પહોંચતી નથી એટલે તેને એમ લાગે છે કે જે ચાલી રહ્યું છે તે પ્રજાને માન્ય છે. વધારામાં આવા લોકો શાસક પક્ષ પ્રેરિત ધાર્મિકતાનો શિકાર હોય છે. આ ધર્મ ઘરમાં ઓછો ને બહાર વધુ ફેલાયેલો હોય છે. એમાં આસ્થા હોય તો આનંદ થાય, પણ એ કોઈ પક્ષ પ્રેરિત હોય ત્યારે એની ગણતરી લાભ ઉઠાવવાની જ હોય છે.
ધાર્મિક લાગણી ન દુભાય એટલે સરકારે કુંભમેળો યોજાવા દીધો. એ સાચું કે તે બાર વર્ષે આવે છે, પણ આ વખતે કોરોનાએ જે કહેર વરસાવ્યો એ જોતાં તે લોકહિતમાં બંધ રહેવો જોઈતો હતો, પણ ઉત્તરાખંડના મુખ્ય મંત્રીની એવી ધારણા હતી કે કોરોના જેવું કૈં નથી એટલે કુંભમેળો યોજાયો. શાહી સ્નાન થયાં તેમાં બે તબક્કે 35 લાખ અને 14 લાખ લોકોએ સ્નાન કર્યું. આ મેળા દરમિયાન જ હજારથી વધુ સંતો ને ભક્તો સંક્રમિત હતા. એ સંખ્યા વધતી ગઈ ને પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ ત્યારે વડા પ્રધાને અપીલ કરવી પડી કે બબ્બે શાહીસ્નાન પૂરાં થયાં છે તો હવે મેળો સંકેલી લેવો જોઈએ. એ અગાઉ પણ અમુક અખાડાએ મેળો બંધ કરવાનો નિર્ણય લીધો ત્યારે બીજા કેટલાકને તેનો વાંધો પડ્યો હતો, કોઇકે તો ચૂંટણીમાં થતી ભીડ રોકવાની સલાહ પણ આપેલી, પણ વડા પ્રધાને અપીલ કરી તો સૌએ માન રાખીને મેળો બંધ થવાની જાહેરાત કરી. હવે બધું ખાલી થયું છે ત્યારે સંતો કહે છે કે મેળા કરતાં લોકોનું જીવન વધારે મહત્ત્વનું છે. આ જ્ઞાન, અજ્ઞાનથી ચડે એવું છે.
હવે મેળામાંથી પરત થયેલા ભક્તો કેટલાને કોરોનાનો પ્રસાદ વહેંચશે તે તો સમય કહેશે, પણ હરિદ્વારથી એક ટ્રેન ગુજરાત આવી તેમાં 49 સંક્રમિતો નીકળ્યાં. ગુજરાતના મુખ્ય મંત્રીએ તો જાહેરાત કરી જ છે કે કોઈ પણ યાત્રી ટેસ્ટ વગર ઘરે નહીં જઈ શકે. આપણા મુખ્ય મંત્રી ઉત્સાહી બહુ છે. કોરોનાની પાછળ પાછળ રાજકોટ, સુરત, પાટણ પણ પહોંચી જાય છે અને જાહેરાતો કરતાં રહે છે. જાહેરાતમાં દેખાવું અને જાહેરાત કરતાં રહેવું એ એમનાં “પ્રધાન” લક્ષણો છે. એમણે જાહેરાત કરી છે કે એક પણ દરદી રેમડેસિવિર ઇન્જેક્શન વગર નહીં રહે. એ જુદી વાત છે કે દરદીઓ ઇન્જેક્શનો વગર, ઓક્સિજન વગર, બેડ વગર, તરફડે છે ને ઘણા તો સારવાર વગર જ જીવવું છોડી દે છે. એક તરફ સાધનોની ભારે તંગી છે ને બીજી તરફ લોકો ઇન્જેકશનોના કાળાબજાર કરતાં શરમાતા નથી. એમ્બ્યુલન્સ તો છોડો, શબવાહિનીઓ ખૂટી પડી છે ને એકમાં જ એકથી વધુ મૃતદેહો ખડકીને સ્મશાને પહોંચાડવા પડે છે. આ સ્થિતિને નિવારવા કેટલીક જૂની એમ્બ્યુલન્સને શબવાહિનીમાં પણ ફેરવવી પડી છે. એમ્બ્યુલન્સને શબવાહિનીમાં ફેરવવી પડે એટલો વિકાસ તો થયો છે આપણો ! મુખ્ય મંત્રીએ જ જાહેરાત કરેલી કે પ્રદેશ પ્રમુખે સ્મશાનમાં ટ્રકો ભરી ભરીને લાકડાં મોકલ્યાં છે. કેવી ભવ્ય મદદ ! કૈં નહીં તો મરનાર લાકડાં તો પામ્યો. બળવા માટે લાકડાં મળી રહે એટલે તો સત્તા આપી હતી લોકોએ ! સાહેબે સિટિસ્કેનના ભાવની જાહેરાત પણ કરી. વડોદરાના એક નામી તબીબે સિટિસ્કેનના 2,500 રૂપિયાથી વધુ ન લેવાનો અનુરોધ કર્યો ને વડોદરામાં 2,500નો જ ભાવ ફાઇનલ કર્યો, તો મુખ્ય મંત્રીએ જાહેરાત કરી 3,000ની. 2,500ના 3,000 કેમ થયા તે નથી ખબર, પણ વડોદરાને 2,500 માન્ય હોય તો 3,000 ન કર્યા હોત તો ચાલતે, એવું નહીં?
ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા 18 લાખને પાર પહોંચવામાં છે ને શનિવારે જ 2.60 લાખ નવા કેસ ઉમેરાયા છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, અને છત્તીસગઢમાં જ દેશના 58 ટકાથી વધુ કેસ નોંધાયા છે. શનિવારે જ 1,492 મૃત્યુ દેશમાં કોરોનાને કારણે થયાં છે. ગુજરાતમાં શનિવારે 9,541 કેસ નવા ઉમેરાયા છે અને 97 લોકો મૃત્યુ પામ્યાં છે. સૌરાષ્ટ્રમાં 178 મોત થયાં છે. અહીં સવાલ એ થાય કે ગુજરાતમાં 97 મૃત્યુ નોંધાયા હોય તો સૌરાષ્ટ્રમાં 178 મોત કેવી રીતે થયાં? સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે તે તો ખરુંને? જો કે, ગુજરાતના આંકડાઓ પર તો હાઇકોર્ટને પણ ભરોસો નથી. એણે તો સરકારને સાચા આંકડાઓ જાહેર કરીને પ્રજાને વિશ્વાસમાં લેવાની તાકીદ પણ કરી છે, મગર વો દિન કહાં કિ ….
એક વાત સ્પષ્ટ છે કે આપણે અત્યારે કેવળ અરાજકતાનો શિકાર છીએ. એમાં તંત્રોથી વધુ જવાબદાર પ્રજા છે. તંત્રો ઢીલાશ દાખવે એમાં ચોક્કસ ગણતરી હોય. એણે ધાર્મિક, આર્થિક, રાજકીય કારણોસર લાચાર થવું પડે, પણ પ્રજા તરીકે ગાઈડલાઇનનું પાલન કરવામાં શી મુશ્કેલી છે એ નથી સમજાતું. પંચમહાલના કોઈ નેતાના દીકરાનાં લગ્નમાં ઢગલો માણસો નાચતાં દેખાયાં. ડી.જે.ને તાલે નાચવાનું સરકાર નથી કહેતી, કોઈએ ચોખા નથી મૂક્યા કે સભા-રેલીમાં જોખમ વહોરવા દોડવું જ પડે. કરફ્યુની જાહેરાત થાય કે લોકડાઉનની બીકે, ચીજવસ્તુઓ મળવાની જ ન હોય એમ બજારો પર કે લારીઓ તૂટી પડવાનું સરકાર કહે છે? તો, કેમ આપણે, આપણી સલામતી માટે ઘરમાં નથી રહી શકતા? જેમને ઘર નથી એમને તો લાચારી છે, બહાર રહેવાની, જેમને છે એમને કેમ ઘર નથી દેખાતું? આ શરમજનક છે ને જેમને સાચવવાના છે એમની મશ્કરી કરવા જેવું પણ છે.
એવી જ મજાક સરકાર અને તંત્રો, પ્રજાની પણ કરે છે. ચૂંટણી પંચ જો પોતાને વફાદાર હોય તો એ કડક રીતે કામ કરી જ શકે, પણ એવું ઓછું જ છે. રાજકીય પક્ષો ગાઈડલાઇનનું પાલન નહીં કરે તો પ્રતિબંધ મૂકવાની પંચ ધમકી આપે છે. અહીં પૂછવાનું થાય કે પાલન થતું નથી તે દુનિયાને દેખાય છે તો તમારી નજર જ કેમ કમજોર છે? પંચે શું નથી જોવાનું તે, તે બરાબર જુએ છે. તાજેતરમાં જ પંચે ફતવો બહાર પાડ્યો કે સાંજે 7થી સવારે 10 સુધી રેલી – સભા પશ્ચિમ બંગાળમાં યોજી શકાશે નહીં. પંચને ખબર છે કે રેલીઓ મોડી રાત્રે ને વહેલી સવારે નથી યોજાતી એટલે સાંજે 7 થી સવારે 10નો સમય નક્કી કર્યો. ફતવો એવી કાળજીથી બહાર પડાયો કે પ્રચારને ઊની આંચ ન આવે ને એમ પણ લાગે કે પંચ જવાબદારીપૂર્વક કામ કરી રહ્યું છે. તંત્રો આટલી હદે પ્રજાને મૂરખ સમજવાનું બંધ કરે, કારણ આ મૂરખ પ્રજા જ પગ નીચેથી જમીન ખેંચી લે છે એ ભૂલવા જેવું નથી.
વડા પ્રધાનને કોરોના યાદ આવે છે ત્યારે એ મુખ્ય મંત્રીઓ કે અધિકારીઓ સાથે બેઠક કરી લે છે. એમણે શનિવારે સાંજે બેઠક કરીને તાગ મેળવી લીધો કે બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન, દવાઓની શી સ્થિતિ છે. સાથે જ સંતવાણી પણ ઉચ્ચારી કે ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટનો કોઈ વિકલ્પ નથી. બહુ વખતે યાદ આવ્યું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આનંદ થાય કે વડા પ્રધાન દેશ માટે આટલું તો કરે છે, બાકી કોણ આ જમાનામાં આટલી ચિંતા કરે છે ! તેમણે તંત્રોને સંવેદનશીલ બનવાનું પણ કહ્યું. આની સામે વડા પ્રધાન પણ થોડા સંવેદનશીલ બને તો કેવું સારું?
વડા પ્રધાનની આસાનસોલની શનિવારની રેલીમાં લોકો એટલી મોટી સંખ્યામાં ઊમટી પડ્યા કે તેમણે કહેવું પડ્યું કે આવી સભા પહેલીવાર જોઈ છે. લોકોએ એવી તાકાત દેખાડી છે કે ચારે તરફ લોકો જ દેખાઈ રહ્યાં છે. લોકોએ કમાલ કરી દીધી. એ જોઈને હરખ થાય કે વડા પ્રધાનને માનનારો મોટો વર્ગ છે. એમની સભામાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એનો સહજ આનંદ આમ જ વ્યક્ત થઈ શકે, પણ કોરોના કાળમાં આ પ્રશંસા ઘણા અનર્થ સર્જી શકે. આમાં કોઈ ગાઈડલાઇનનું પાલન ન જ થયું હોય એ નક્કી છે. આવે વખતે ચૂંટણી પંચે એ ભૂલી જ જવાનું હોય કે પ્રતિબંધની કોઈ વાત એણે કોઈ કાળે કરેલી. આંખ આડા કાન કરવાની આ સસ્તી યુક્તિ પકડાઈ જાય એવી છે.
એક તરફ વડા પ્રધાન ગંભીરતાથી અધિકારીઓને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટની તાકીદ કરતા હોય ને બીજી બાજુ ભીડ કરવા બદલ લોકોને પ્રોત્સાહિત કરતાં હોય તો આ ભીડ, પાછળથી કોરોનાની ટ્રીટમેન્ટ માટે તો ભેગી નથી કરાઈને એવો સવાલ થાય. રેલીમાં ભેગા થાવ તો વખાણ થાય ને લગ્નમાં ભીડ કરો તો દંડ થાય એ કેવું? રસ્તે માસ્ક વગર નીકળો તો ચલણ ફાટે, પણ મેળા કે મેળાવડામાં ભીડ કરો તો પીઠ થાબડવામાં આવે, એ કોઈ પણ રીતે યોગ્ય નથી.
સરકાર ભલે એવા ભેદ કરે, પણ કોરોના કોઈની શરમ રાખતો નથી. પશ્ચિમ બંગાળ અને કુંભમેળો લોકોને પોક ના મૂકાવે એવી પ્રાર્થના જ કરવાની રહે છે. કૈં થયું તો એવા લોકો વેઠવાના છે જે જવાબદાર નથી. આવનારી પેઢી આપણને માફ કરે એવી થોડી જગ્યા તો રહેવા દઈએ.
સબ કો સન્મતિ …
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 19 ઍપ્રિલ 2021