રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરમાં કબૂલ્યું કે રાજ્યના ખાસ કરીને બે વિભાગોમાં ભ્રષ્ટાચાર છે. અલબત્ત, આ નિખાલસ કબૂલાત બદલ તેઓ અભિનંદનના અધિકારી છે. પણ સવાલ એ પણ ખરો જ કે આ ભ્રષ્ટાચાર રોકવાની જવાબદારી પણ આપના વડપણ હેઠળની સરકારની જ ગણાય ! ખેર, મુખ્ય મંત્રીએ જે બે ખાતાંના ભ્રષ્ટાચારની વાત કરી તેમાં શિક્ષણ ખાતાનો ઉલ્લેખ રહી ગયો હોય તેમ જણાય છે. અન્ય પણ અનેક ખાતાં હશે, જેની માહિતીનું આકલન કરી મુખ્યમંત્રી યોજનાબદ્ધ રીતે આગળ વધીને રાજ્યને નમૂનારૂપ અને ઉત્તમ વહીવટ પૂરો પાડશે તેવી આશા રાખીએ. આમે ય તે આપણું રાજ્ય ‘ગુજરાત મૉડલ’ અને નંબર વન તથા ઉત્તમ વિકાસને વરેલું ગણાય જ છે. આવાં વિશેષણો ધરાવનાર રાજ્ય ભ્રષ્ટાચાર અને ગેરવહીવટથી ખદબદતું હોય તે તો માની જ ન શકાય.
રાજ્યમાં શિક્ષણમાં ભ્રષ્ટાચાર પ્રવર્તે અને વટીવટ ખાડાથી પણ નીચે ઊતરી ગયો હોય, તો શું થાય તેનું એક નમૂનારૂપ ઉદાહરણ મેડિકલ ક્ષેત્રનાં ફીનાં ધોરણ અને અભ્યાસના સંદર્ભે જોઈ શકાય છે. મેડિકલ શાખાનો દાખલો ઉપયોગી બને છે. કારણ કે આજના નવયુવા માટે નોકરી મેળવવાનાં લગભગ તમામ ક્ષેત્રો બંધ થઈ ચૂક્યાં છે. દેશની ૧૦૭ એન્જિનિયરિંગ કૉલેજો વિદ્યાર્થીના અભાવે ગયે વર્ષે બંધ થઈ. આ વર્ષે બીજી ૫૭ કૉલેજોએ એ.આઈ.સી.ટી.ઈ.ને બંધ થવાની નોટિસ આપી છે. સ્કિલ ઇન્ડિયાનો રાષ્ટ્રીય પ્રોગ્રામ ચલાવનાર દેશમાં આઈ.ટી.આઈ.થી માંડી આઈ.આઈ.ટી. સુધીનાને ભાગ્યે જ કામ મળે છે. તાજેતરના એક અહેવાલ મુજબ દેશની લગભગ અડધી યુવા વસ્તી બેકાર છે. ડેન્ટલમાં પાસ થનાર બી.ડી.એસ.ને માંડ ત્રણથી પાંચ હજારનો પગાર મળે છે. એમ.ફાર્મ. થયેલા પૈકી ઘણા દસમા-બારમાના ટ્યૂશન વર્ગોમાં ભણાવે છે ડેન્ટલ, હોમિયો અને આયુર્વેદ ભણેલાને ‘કૅપ્સ્યૂલ પ્રોગ્રામ’ દ્વારા એમ.બી.બી.એસ.ની સમકક્ષ બનાવવાનો ખ્યાલ છે.
આટ્ર્સ, કૉમર્સ, સાયન્સ, શિક્ષણ, મૅનેજમેન્ટ, લૉ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયો, ફાર્મસી, એન્જિનિયરિંગ વગેરેમાં અસંખ્ય ડિગ્રીધારકો છે પણ તે પ્રમાણમાં નોકરીઓ નથી. આથી હવે મા-બાપ અને વિદ્યાર્થી મેડિકલના પ્રવેશ વાસ્તે જી-જાનની બાજી લગાવીને ઝઝૂમી રહ્યા છે. દેશનાં બાળકો પંદર વર્ષનાં એટલે કે નવમું ધોરણ પાસ કરે, ત્યાં સુધી જ આનંદથી જીવી શકે છે. તે પછી દસમા-બારમા સુધી મેડિકલના પ્રવેશ માટે ભારે સંઘર્ષ અને તનાવ વેઠવા માંડે છે. નિશાળમાં ગેરહાજર રહેવા છતાં હાજરી પૂરવાની શરતે પ્રવેશ મેળવીને વાલીઓ પોતાના બાળકને મોંઘામાં મોંઘા ટ્યૂશન ક્લાસમાં મૂકે છે. સરકારે ક્યારે ય તપાસ કરી ખરી કે વિદ્યાર્થી જો શાળામાં હાજર હોય, તો તે જ સમયે ટ્યૂશન ક્લાસમાં પણ કેવી રીતે હાજર હોઈ શકે ?
ખેર ! આ ટ્યૂશન ક્લાસો વિદ્યાર્થીઓ પાછળ સખત અને ઉચ્ચ ગુણવત્તાસભર પરિશ્રમ કરે છે. જો નિશાળોમાં ટ્યૂશન ક્લાસ જેવું ભણાવાય, તો જોઈએ જ શું ? આવા ક્લાસ, વિદ્યાર્થી અને સમગ્ર પરિવારની સખત મહેનતને પરિણામે જો વિદ્યાર્થી મેડિકલમાં પ્રવેશ મેળવવાની હદ સુધી પહોંચી જાય પછી શું ? આ ‘પછી શું’માં જ ભ્રષ્ટાચાર અને ગેરવટીવટની સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ પ્રસરેલો છે.
મેડિકલ સહિતની (ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદ, ફિઝિયોથેરાપી) વિવિધ ડિગ્રી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે હવેથી ‘નીટ’ની પરીક્ષા યોજાય છે. આવી પરીક્ષામાં સાવ ટોચના પણ નહીં અને સાવ છેવાડાના પણ નહીં એવા માર્ક્સ મેળવનારને માટે ખાસ પ્રકારની વિમાસણ ઊભી થાય છે. પ્રવેશની પદ્ધતિ ડિજિટલ ધોરણે ચાલે છે અને નિષ્પક્ષ હોય છે, પરંતુ તેમાં વિવિધ અંકુશો અને જોગવાઈઓ હોય છે. વિદ્યાર્થી સૌ પ્રથમ પોતાના માર્ક્સના આધારે અને પોતાની ઇચ્છા પ્રમાણે વિવિધ કૉલેજોમાં પ્રવેશ માટેના અગ્રતાક્રમ દાખવે છે. પણ પછી ફીનાં ધોરણો ચિત્રમાં પ્રવેશે છે. મેડિકલની વિવિધ સીટોમાં ‘પેમેન્ટ’, ઈ.ડબલ્યુ.એસ.નું રિઝર્વેશન અને ક્યારેક મૅનેજમેન્ટ ક્વૉટાની જોગવાઈઓ હોય છે, ફી વાર્ષિક રૂ. ત્રણ લાખથી માંડી રૂ. પંદર લાખ જેવી હોય છે. સરકારી કે ખાનગી કૉલેજમાં ગુણવત્તાના આધારે પ્રવેશપાત્ર બનનારાએ પણ ક્યાંક સાડા આઠ લાખ રૂપિયાની વાર્ષિક ફી ચૂકવવાની થાય છે. મતલબ કે એમ.બી.બી.એસ.નાં પાંચ વર્ષના અભ્યાસ માટે રૂ. પંદર લાખથી માંડી રૂ. પંચોતેર લાખ ખર્ચવાની તૈયારી રાખવી પડે. વળી, આ પાંચ વર્ષ દરમિયાન ફીમાં વધારો નહીં જ થાય તેવું નથી. વિદ્યાર્થીએ ફી ઉપરાંત હૉસ્ટેલ-ફી, ભોજન ખર્ચ, પુસ્તકો-સ્ટેશનરી અને જરૂરી સાધનો વસાવવાનો ખર્ચ કરવાનો રહે છે. અહીં બે પ્રશ્નોના ઉત્તર શોધવા રહ્યા :
(૧) ફીનાં આ ધોરણો કેવી રીતે નક્કી કરાય છે ? એક એમ.બી.બી.એસ.ને તૈયાર કરવાનું ફીનું ખર્ચ રૂ. પંચોતેર લાખ (વત્તા અન્ય ખર્ચા), હોઈ શકે ? સરકાર આ મુદ્દે ચૂપ કેમ રહે છે ?
(૨) આ કૉલેજોમાં અપાતું શિક્ષણ યોગ્ય ગુણવત્તા ધરાવે છે ? કૉલેેજોમાં જરૂરી લાયકાત ધરાવતા અધ્યાપકો પૂરતી સંખ્યામાં હોય છે ? એઇમ્સ અને રાજ્યોની મેડિકલ કૉલેજો વચ્ચે ગુણવત્તાની અસમાનતા કેમ છે ? વિદ્યાર્થીઓ પ્રવેશ માટે એઇમ્સને ઊંચો અગ્રતાક્રમ આપે છે, તે જાણીતું છે.
આ બે સવાલોની આસપાસ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ કેવી રીતે સંકળાય છે, તે જોઈએ :
નીટની પરીક્ષા પાસ કરનાર સમક્ષ રાજ્ય અને દેશની સર્વસામાન્ય મેડિકલ કૉલેજો અને એઇમ્સ સિવાય વધારાનો એક વિકલ્પ વિદેશમાં અભ્યાસ કરવાનો છે. આ દેશોમાં અપાતા મેડિકલ શિક્ષણની બાબતમાં મહત્ત્વના મુદ્દા આ પ્રકારે છે :
(૧) કુલ પાંચ વર્ષની ફી લગભગ રૂ. એકવીસ લાખથી માંડી રૂ. એકત્રીસ લાખ સુધીની છે.
(૨) અભ્યાસનાં પાંચ વર્ષના તબક્કા દરમિયાન, નવા વિદ્યાર્થીઓ માટે ફી વધારો કરાય તો પણ તે જૂનાને લાગુ પડાતો નથી.
(૩) ફીની રકમમાં રહેવા-જમવાનું, પુસ્તકો અને સાધનોનું, ગણવેશનું તેમ જ જીમખાનાનું ખર્ચ આવરી લેવાય છે.
(૪) એક વર્ગમાં માત્ર ચાલીસ વિદ્યાર્થીઓ જ હોય છે.
(૫) ઘણી યુનિવર્સિટીઓ અમેરિકન મેડિકલ કૉલેજોનો અભ્યાસક્રમ જ ભણાવે છે. આથી એમ.બી.બી.એસ. કર્યા પછી પોસ્ટ-ગ્રૅજ્યુએશન અમેરિકામાં કરવાનો માર્ગ સરળ બની જાય છે. અલબત્ત, આ માટેની જરૂરી પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોય છે, પણ તેમાં પાસ થવાનું વધુ સરળ બની રહે છે.
હવે સવાલ આટલા :
(૧) ભારત આટલો વિશાળ દેશ છે અને તેની મેડિકલ કૉલેજોમાં ભણીને ઇંગ્લૅન્ડ કે અમેરિકા જેવા દેશોમાં સમાઈ ગયેલા હજારો ડૉક્ટર્સ છે જ. દા.ત., યુનાઇટેડ કિંગ્ડમની મેડિકલ સેવામાં વીસ ટકા ભારતીય મૂળના ડૉક્ટર્સ છે. આમ છતાં, સરકાર આ જ્ઞાન, અનુભવ અને આવડતનો ભારતમાં વિકાસ કેમ કરી શકતી નથી ?
(૨) ભારતમાં ‘મેડિકલ ટૂરિઝમ’ વિશે વારંવાર કહેવાય છે. ૨૦૧૯ની શિક્ષણનીતિના ખરડામાં શિક્ષણની ‘નિકાસ’ કરવાની પણ વાત કહેવાઈ છે. શિક્ષણની નિકાસ કરવી તેનો અર્થ એ છે કે વિદેશી વિદ્યાર્થી આપણી યુનિવર્સિટીઓમાં ભણવા માટે આકર્ષવા. ભારત પાસે આટલા મોટા પ્રમાણમાં મેડિકલ શિક્ષણનું માળખું હોવા છતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા નથી. આ માટે ગુણવત્તા અને ઊંચી ફી ઉપરાંત સામાજિક સમરસતાના અભાવનું પણ કારણ હોઈ શકે.
(૩) ડૉક્ટરો સાથે પેશન્ટનાં સગાંઓ અને રાજકીય પક્ષોના નેતાઓની મારામારીના બનાવો વધતા ચાલ્યા છે. એક અંદાજ મુજબ દેશમાં રોજ ત્રણ ડૉક્ટર્સની પિટાઈ થાય છે. આટલી મહેનતનો અભ્યાસ, આટલો ખર્ચ અને પછી માર ખાવાનો ! સરકાર આટલો પણ વહીવટ કરી શકતી નથી; એવા સંજોગોમાં કયો ડૉક્ટર ગામડામાં જઈને સેવા કરે ? તે વિદેશ ભાગી જાય તો નવાઈ ખરી ?
(૪) મેડિકલના અભ્યાસ માટેની, ભારત કરતાં અનેક રીતે વધુ સારી સગવડો ઊભી કરનારા દેશો એશિયા, આફ્રિકા કે યુરોપના અને પ્રમાણમાં નાના અને ખાસ વિકસ્યા ન હોય તેવા દેશો છે. આ દેશો પૈકી કોઈને પોતે ‘જગતગુરુ’ હોવાનો વહેમ નથી. મેડિકલ જેવા આધુનિક વિજ્ઞાનને યોગ્ય પદ્ધતિથી અને ઘણા ઓછા ખર્ચે, ઊંચી ગુણવત્તા સાથે અને પૂરતી સગવડ આપીને ભણાવે છે. પોતાને મહાન ગણાવતા ભારતે આટલું પણ કર્યું નથી.
૧. ઊંચી ફીની ઉઘાડી લૂંટ સરકાર રોકી શકતી નથી.
૨. વિદેશોમાં પણ સરળતાથી સ્વીકારાય તેવી ગુણવત્તાવાળું સાર્વત્રિક શિક્ષણ સરકાર આપી શકતી નથી.
૩. દેશના અતિ ઉત્તમ અને અત્યંત મહેનતુ એવા યુવાધનને સરકાર સાચવી શકતી નથી.
૪. એમ.બી.બી.એસ. થયેલા ડૉક્ટરોની ઉપર શારીરિક હુમલા કરનારા દર્દીઓનાં સગાંવહાલાં-અને હવે રાજકીય નેતાઓથી પણ સરકાર ડૉક્ટરોને બચાવી શકતી નથી.
૫. વિદેશોમાં જો ઊંચી ગુણવત્તાવાળું શિક્ષણ રૂ. ૨૧થી ૩૧ લાખમાં અપાતું હોય, તો ભારતમાં રૂ. ૭૫ લાખ સુધીની ફી દ્વારા ચલાવાતી લૂંટને સરકાર રોકી શકતી નથી.
આ બધો માત્ર ગેરવટીવટ જ હશે કે પછી હથેળી ગરમ થાય, એટલે વટીવટમાં ઉપેક્ષાભાવ સેવવાનો થતો હશે ? નોંધપાત્ર બાબત એ પણ ખરી જ કે આ ગેરવ્યવસ્થાનો ભોગ બનનાર પણ ‘મારે શું ?’ કરીને ચૂપ રહે છે. મુખ્યત્વે તો ‘આપણે આપણું સાચવી લો’ અને ‘ખોટા ગામડાહ્યા ન થવું’, તેવો અભિગમ પણ ખરો !
આ બધાનું પરિણામ આ શિક્ષણ અને આપણા દેશ માટે વિઘાતક છે. જો સમાજ બોલે તો સરકારનું ધ્યાન દોરાય અને અસરકારક રીતે કામ કરતી થાય. આમ બને તો દેશની સ્વાસ્થ્ય સેવામાં સુધારા સુધીની વ્યાપક અસરો પડે. આજે ગામડાંમાં સ્વાસ્થ્ય સેવાઓ પોતે જ મરણપથારીએ પડી છે. શહેરના ઉત્તમ ડૉક્ટરો ઉપર કૉર્પોરેટ જગતની મોટી હૉસ્પિટલોની પકડ છે. કુટુંબો આર્થિક રીતે ખુવાર થઈને દીકરા-દીકરીને મેડિકલ કરાવે છે. યુવા વર્ગ અત્યંત તણાવભરી પરિસ્થિતિમાં જીવે છે. ટ્યૂશન ક્લાસના ‘હબ’ ગણાતા કોટામાં દર વર્ષે દસેક વિદ્યાર્થીઓ આ તણાવ જીરવી ન શકાતા આપઘાત કરે છે.
આ નવા કાયદામાં પાર વગરની અસ્પષ્ટતાઓ છે. કંપાઉન્ડર અને ફાર્માસિસ્ટ પણ હવે અગિયાર વર્ષ ભણીને, સ્પેશિયાલિસ્ટ બનેલા ડૉક્ટરની જેમ દર્દીની સારવાર કરી શકશે હવે ફાર્માસિસ્ટ ઑર્થોપેડિક ડૉક્ટર, આઈ-સ્પેશ્યાલિસ્ટ કે સ્કિન-સ્પેશ્યાલિસ્ટની જેમ ‘સારવાર’ કરી શકશે. આવું ન કરે માટે ઠેરઠેર નિયંત્રણ અને કાનૂની કાર્યવાહીની ક્ષમતા સરકાર પાસે છે ?
વળી દેશમાં એકસરખા મેડિકલ શિક્ષણની ઇચ્છા રાખનાર સરકાર પાસે પૂરતો ટીચિંગ સ્ટાફ છે ?
(૧) કોઈ પણ ચોક્કસ દેશની શિક્ષણ- વ્યવસ્થાનો પ્રચાર કરવાનો હેતુ ન હોવાથી કોઈ પણ દેશનાં નામ લખ્યાં નથી.
(૨) વાચકોને નમ્ર વિનંતી કે પોતાના વર્તુળમાં મેડિકલમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થી-વાલીની સાથે આ લેખના મુદ્દા ચર્ચી, બની શકે તો સરકાર સમક્ષ રજૂઆત કરે. આ કાર્ય કોઈ વિરોધનું નથી, બલકે દેશની વ્યવસ્થાને વધુ સારી બનાવવાનું છે. ૨૦૧૯ની નીતિમાં વિદેશમાં વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવે તેવી ઇચ્છા વ્યક્ત થઈ જ છે. જો વ્યવસ્થા સુધરે, તો આપણા વિદ્યાર્થીઓ પરદેશ જતા હોવાથી થતું નુકસાન અટકે અને વિદેશી વિદ્યાર્થીઓ આવવાથી થનાર લાભ વધે.
આ નવા બિલનો દેશભરમાં ડૉક્ટરોએ વિરોધ કર્યો છે, તેનું એક કારણ એ પણ છે કે હવે એમ.બી.બી.એસ. અને આયુર્વેદ વગેરેના ડૉક્ટર વચ્ચેનો ભેદ મિટાવી દે તેવો અનેક કેપ્સ્યૂલ પ્રોગ્રામ શરૂ કરાશે. એમ.બી.બી.એસ. થયા ન હોય તેવા હોમિયોપેથ, આયુર્વેદ વગેરેના ડૉક્ટરો પણ ઍલોપથીની દવાઓ લખી શકશે / મતલબ કે ઘણી મહેનત કરીને તથા ઘણી ઊંચી ફી ભરીને એમ.બી.બી.એસ. થયેલા અને પ્રમાણમાં ઓછી સિદ્ધિ અને ઓછું ખર્ચ કરીને ભણેલા સરખાં !
આ વર્ષના બજેટ સેશનમાં મેડિકલ શિક્ષણમાં સુધારણા હેતુથી સરકારે એક બિલ પસાર કર્યું છે. ૧૯૫૬થી ચાલી આવતી મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા તેના ભ્રષ્ટાચાર માટે પ્રખ્યાત છે. આ કાઉન્સિલના ભ્રષ્ટાચારીઓને પકડવા કે હટાવવાનું પસંદ કરવાને બદલે સરકારે એક નવું નૅશનલ મેડિકલ કમિશન (NMC) રચવાનું મુનાસિબ માન્યું. હવે એમ.બી.બી.એસ.ની પરીક્ષા દ્વારા એક સાથે ત્રણ હેતુઓ સિદ્ધ થશે :
૧. એમ.બી.બી.એસ. કક્ષાએ અટકી જવા માંગનારાની પાસ/નપાસની કસોટી થશે.
૨. એમ.બી.બી.એસ. પછી પોસ્ટ ગ્રૅજ્યુએટ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓની પ્રવેશ કસોટી થશે અને
૩. વિદેશોમાં એમ.બી.બી.એસ. થનારાઓને દેશની ડિગ્રીની સમકક્ષ ગણવા કે નહીં તેની પણ કસોટી કરાશે.
સરકાર એમ.સી.આઈ.નો ભ્રષ્ટાચાર રોકી શકી નથી પરિણામે મેડિકલમાં પ્રવેશપાત્ર માર્ક્સ મેળવનારને પણ આઠ લાખ રૂપિયા જેવી વાર્ષિક ફી ભરવાની થાય છે. પાંચ વર્ષના રૂ. ૪૦ લાખ અને વધારાના રહેવા, ખાવા, પુસ્તક, સાધન વગેરેનો કુલ ખર્ચ રૂ. પચાસ લાખ થઈ જાય છે. આની સામે વિદેશમાં રૂ. ૨૧થી ૩૧ લાખના ખર્ચમાં આ અભ્યાસ થઈ શકે તેમ છે. જો વિદેશમાં વર્ષનો લગભગ રૂ. ચાર લાખ ખર્ચ આવતો હોત, તો તેથી વધારાની તમામ ફી ખાનગી શિક્ષણકારોના ગજવાં ભરવા માટે જ છે ! સરકાર ભ્રષ્ટાચાર રોકીને સારો વહીવટ પૂરો પાડવામાં ફરી એક વાર ઊણી ઊતરી છે.
(સંપાદક, “અભિદૃષ્ટિ”)
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑગસ્ટ 2019; વર્ષ – 13; અંક – 141; પૃ. 02-05