આઝાદી પછી ભારતે લોકશાહી અપનાવી છે, પણ અંગ્રેજોના જમાનાની પરંપરાઓ છોડી નથી. જૂની રાજાશાહી પ્રણાલીમાં રાજા-મહારાજાઓ મનફાવે તેને મરજીમાં આવે તેટલી રકમ આપતા, જમીન-જાગીરોની વહેંચણી કરતા. જેના પર મહેરબાન થાય તેને માટે રાજના ખજાનામાંથી લહાણી કરવામાં પાછું વળીને જોતા નહીં. આ બધું લોકશાહીના પ્રતાપે હોદ્દા સંભાળનાર આગેવાનોએ પણ ચાલુ જ રાખ્યું. પોતાના સાથીઓને સરકારી અમલદારોને, ન્યાયાધીશોને, સામાન્ય પ્રજાજનોને મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાનો નજીવી કિંમતે જમીનના પ્લોટ અથવા મકાનો-ફ્લેટો ફાળવે છે. આફતગ્રસ્તોને આગવા ફંડમાંથી નાણાં આપે છે. પત્રકારોને, રમતવીરોને, બીમાર કલાકારોને નાણાંકીય મદદ આપે છે અને પોતાનાં ગુણગાન ગવડાવે છે.
પરંપરાથી ચાલતી આવેલી રૂઢી-રસમોના કારણે આપણને આ ખેરાતોમાં કશું ખોટું કે ખરાબ નજરે ચડતું નથી, પણ આ લહાણી અને ખેરાતો હવે હદ વટાવી ગઈ છે. સર્વોચ્ચ અદાલતે નેતાઓ, સરકારી નોકરો અને ન્યાયાધીશો તથા રાજકીય પક્ષોને મફતના ભાવે આપવામાં આવતી સ્થાવર મિલકતો સામે આંખ કરડી કરી છે. જનતાની જમીનો લાગવગિયા લોકો ચાંઉ કરી જતા હોવાથી લોકો માટે ઘર મેળવવાનું વધારે મુશ્કેલ અને વધારે મોઘું બનતું જાય છે. આવી ફાળવણી માટેની યોગ્ય નિયમાવલી ઘડી કાઢવામાં આવશે તેવું સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું છે અને ત્યાં સુધી આવી ફાળવણી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
સર્વોચ્ચ અદાલતે અપનાવેલો અભિગમ આવકાર્ય છે, પણ અધૂરો છે. દુનિયાની કોઈ લોકશાહીમાં આવી ખેરાતો કરવાની કશી સત્તા પ્રધાનો કે વડાપ્રધાનોને આપવામાં આવી નથી. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની ઇચ્છા થાય તો વડાપ્રધાનો કે હોદ્દા ધરાવનાર લોકો પોતાની અંગત મિલકત વાપરી શકે છે, પણ બજેટમાં ઠરાવવામાં આવેલા કારણસર ફાળવવામાં આવેલી રકમ કરતાં બીજી કોઈ ફાળવણી કે વહેંચણી પ્રધાનો કરી શકે નહીં. કોઈને ઇનામ-અકરામ આપી શકે નહીં. કોઈની બીમારી કે અવસાન પ્રસંગે મદદ પણ કરી શકે નહીં. સરકારી નાણાં પાર્લામેન્ટના આદેશ અનુસાર જ વાપરી શકાય છે. પ્રધાનો પોતાની ઇચ્છા અનુસાર સરકારી ખજાનામાંથી એક રૂપિયો પણ વાપરી શકે નહીં.
આવી ખેરાતોમાં અન્યાય થવાનો સંભવ છે. કોને કેટલી જરૂર છે અને કેટલી રકમ આપવી તે બધું વડાપ્રધાન કે મુખ્યમંત્રીની મુનસફી પર છોડવામાં આવે તો તે વ્યક્તિગત જાણકારી અનુસાર આપી શકાય. કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી સમર્થ હોય અને ગમે તેટલી સજાગ હોય તો પણ આખા સમાજની તમામ વ્યક્તિઓની સ્થિતિ કે જરૂરિયાતનો ખ્યાલ રાખી શકે નહીં, તેથી આવી વહેંચણી હંમેશાં પક્ષપાતી જ બની જાય છે. જે પક્ષ સત્તામાં હોય તે પોતાના ટેકેદારો કે અનુયાયીઓને લાભ આપે અને તેમાં કશી તટસ્થતા જાળવવાનું શક્ય નથી.
સર્વોચ્ચ અદાલતે આવી ફાળવણી માટે માર્ગદર્શિકા ઘડી કાઢવાનું ઠરાવ્યું છે, પણ માર્ગદર્શિકાનું અર્થઘટન તો સત્તાધારી પક્ષ કે હોદ્દેદાર કરવાનો છે અને કોઈ પણ કાયદાનું, કોઈ પણ આદેશનું અને કોઈ પણ નિયમનું અર્થઘટન અલગ અલગ રીતે કરી શકાય છે. પહેલા વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સના સંયુક્ત લશ્કરીદળના સેનાપતિ માર્શલ ફોંશે તો પોતાના હાથ નીચેના અફસરો માટે પરિપત્ર બહાર પાડેલો. ‘તમે જે કંઈ હુકમ આપશો તેનો વિપરીત અર્થ કાઢી શકાશે અને કાઢવામાં આવશે જ તેમ સમજી-વિચારીને હુકમો આપજો.’
આ વાત સરકારી તંત્રને પણ લાગુ પડે છે. જેને અપાય છે તેને લાભ મળે, પણ જેને અપાયું નથી તે નારાજ થાય, પણ બીજી વાત વધારે મહત્ત્વની છે. કોઈ પણ સરકારને આવી સત્તા આપવામાં આવે તો તેના કારણે ભ્રષ્ટાચાર થવાની સંભાવના વધી જાય છે.
લોકશાહીમાં સરકારી તંત્ર અને સત્તાધારી પક્ષની ભૂલ, બેદરકારી કાર્યક્ષમતાની ઊણપ અને કામચોરી પર નજર રાખનાર, આ બધું ઉઘાડું પાડનાર અને તેને અટકાવનાર બે મુખ્ય સંસ્થાઓ કામગીરી બજાવે છે. પત્રકારો અને ન્યાયાધીશો પર આમજનતા આવો વિશ્વાસ ધરાવે છે કે જે કંઈ ખોટું કે ખરાબ હશે તે પત્રકારો ઉઘાડું પાડશે અને અદાલતો તેને અટકાવશે. સરકારને અટકાવવાની સત્તા કે સગવડ પત્રકારો પાસે નથી, પણ મોટા ચમરબંદીની શેહમાં દબાયા સિવાય આ બધું ખુલ્લું પાડવામાં આવે તેના કારણે ઘણી ગંદકી અટકે છે અને પોતે ઉઘાડા પડી જશે તેવા ડરથી પણ રાજકારણીઓ ખોટું કરતા અટકે છે અથવા ખચકાય છે. સરકાર અને પત્રકારો વચ્ચેના ધંધાદારી સંબંધો હંમેશાં શાપ-નોળિયાના સંબંધો હોવા જોઈએ. રાજીવ ગાંધીના જમાનામાં મદ્રાસના હિન્દુ અખબાર અને ઇન્ડિયન એક્સપ્રેસે બોફોર્સ રુશવતની વિગતો જાહેર કરીને રાજીવ ગાંધીને બેબાકળા બનાવી દીધેલા. ભારતમાં આવું અનેક વખત બન્યું છે તેની બધી વિગતો ટૂંકાણમાં આપવાનું શક્ય નથી.
ન્યાયાધીશો પણ સમાજમાં બનતી ઘટનાઓ પોતાની પાસે રજૂ થાય ત્યારે કોઈની શરમ કે ભય રાખ્યા વગર પોતાની ફરજ બજાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ભારતમાં ન્યાયતંત્ર વધારે સક્રિય છે અને પોતાની નિગેહબાનીનો પણ પૂરો ઉપયોગ કરે છે.
સરકાર પત્રકારો અથવા ન્યાયાધીશોને કોઈ પણ જાતના લાભ કરી આપે તો પત્રકારની કલમ અને ન્યાયાધીશનો ફેંસલો, બંનેની ધાર બુઠ્ઠી થઈ જાય છે. લાભ મેળવનાર કદી તટસ્થ રહી શકે જ નહીં, કારણ કે તટસ્થતાનો નાશ હંમેશાં લાલચ-લોભથી કરી શકાય છે. ગુજરાતીમાં કહેવત છે કે માણસને માથામાં લાકડી મારો તો ઊંચું જોવાનો છે, પણ મોઢામાં કોળિયો ખવડાવો તો નીચું જોવું પડે છે.
પણ વાત આટલેથી અટકતી નથી. લાભ મેળવનાર તો ભ્રષ્ટ બને જ છે, પણ આવા લાભ મળશે, મળવાનો સંભવ છે. સરકાર કદાચ પોતાને લાભ આપશે તેવી ગણતરીથી પણ પત્રકાર અને ન્યાયાધીશની તટસ્થતામાં ઊણપ આવે છે. જરૂર હોવા છતાં સરકારી લાભ કદાચ મળી જશે તેવી લાલચના કારણે પણ પત્રકારો અને ન્યાયાધીશો, આગેવાનો, લેખકો અને કલાકારો સરકાર અને સરકારી સત્તાધારીઓની હજૂરિયાગીરી કરતા હોય તેવા દાખલા પણ ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે.
તેથી સરકાર કે સત્તા-હોદ્દા ભોગવનાર લોકો કોઈને કશો લાભ આપી શકે જ નહીં તેવી જડબેસલાખ વ્યવસ્થા ગોઠવવી તે લોકશાહીની સુરક્ષા માટે જરૂરી છે. પત્રકારો અને ન્યાયાધીશોનો ખાસ ઉલ્લેખ વારંવાર કર્યો છે, પણ આ મુદ્દો સહુ કોઈને સરખા પ્રમાણમાં જ લાગુ પડે છે. આપણા સમાજમાં આજે ચોમેર ભ્રષ્ટાચાર દેખાય છે તેની સરવાણીઓ તો અનેક ક્ષેત્રોમાંથી આવે છે, પણ ભ્રષ્ટાચારની ગંગોત્રીનું મુખ્ય ઉદ્્ગમસ્થાન ભારત સરકાર અને પ્રાદેશિક સરકારો છે.
ચીની તત્ત્વશાસ્ત્રીઓ કહે છે તેમ માણસ પોતાની જાતે જ બગડે છે અને પોતાની જાતે જ સુધરે છે. માણસને સુધારવાનું કામ સરકાર કે સમાજ કરી શકે નહીં, પણ વ્યક્તિની ખરાબીથી સમાજ કે સરકારને નુકસાન ન થાય તેવી વ્યવસ્થા અને તેવું તંત્ર ગોઠવવું જોઈએ. આ માટેની નિયમાવલી દરેક સમાજમાં અને દરેક રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે, પણ એક યા બીજી પદ્ધતિનો અમલ તો થવો જોઈએ.
e.mail : nagingujarat@gmail.com
સૌજન્ય : 'તડ અને ફડ' નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 06 સપ્ટેમ્બર 2017