હમણાં એક ગુજરાતી દૈનિકમાં ૮ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ ‘શ્રી આંબેડકરના આશીર્વાદ’ શીર્ષક હેઠળનો લેખ વાંચવામાં આવ્યો. કહેવાતા પ્રબુદ્ધ ચિંતકો જ્યારે રાગ દરબારી આલાપે, કેવા વરવા લાગે છે તે પણ અનુભવાયું.
જ્યારથી જમ્મુ-કાશ્મીર વિષયક બંધારણની કલમ (અનુચ્છેદ) ૩૭૦ના ઉપયોગથી ભારતના અવિભાજ્ય અંગ રહેલા રાજ્યના વિશેષ દરજ્જાને ખતમ કરવામાં આવ્યો છે (અને હજુ તે સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે) ત્યારથી આ સમગ્ર બાબતમાં આર.એસ.એસ.ના ભા.જ.પ. સહિતના સમગ્ર સંઘપરિવાર અને હિંદુ મહાસભાની જુગલબંધીને બાબાસાહેબનું સમર્થન હતું, અને વૈચારિક રીતે ડૉ. બાબાસાહેબ આ વિચારસરણીની નજીક હતા, તેવું દલિતોને ઠસાવવાની કોશિષ થઈ રહી છે. ઇતિહાસ અને હકીકતો પર નજર કરીએ, ત્યારે આવી ચેષ્ટાઓથી એક દલિત તરીકે વેદના થાય છે.
હકીકતમાં ૧૯૫૨ની પહેલી લોકસભા ચૂંટણીમાં બાબાસાહેબની પાર્ટી ‘શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન(એસ.સી.એફ.)ના ચૂંટણી ઢંઢેરામાં જણાવાયું હતું કે કાશ્મીર ખીણમાં વસતા લોકોએ ભારતમાં રહેવું છે કે પાકિસ્તાનમાં એ બાબતે જનમત (પ્લેબિસાઇટ) લેવાવો જોઈએ. અને મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર જો પાકિસ્તાન સાથે જોડાવાની તરફેણ કરે, તો (ખીણમાં વસતા બહુમતી કાશ્મીરીઓની ઇચ્છા હોય તો જ) એ પાકિસ્તાનને સોંપવો અને જમ્મુ-લદ્દાખનો વિસ્તાર જે અનુક્રમે હિંદુ અને બૌદ્ધ બહુમતીવાળો વિસ્તાર છે તેને ભારત સાથે જોડવો જોઈએ. આના સમર્થનમાં દલિત ઇતિહાસકાર અને ધ બુદ્ધિસ્ટ સોસાયટીના ચૅરમેન ડૉ. પી.જી. જ્યોતિકરના સિક્કાવાળી ઉક્ત ચૂંટણી ઢંઢેરાની નકલ ઉપલબ્ધ છે. તેમાં પૃષ્ઠ ૧૨ ઉપર સ્પષ્ટ લખ્યું છે :
(૧) હિંદના ભાગલા રદ્દ કરી ફરી અખંડ ભારત સ્થાપવાની વાતો બંધ કરવી જોઈએ. ભાગલાને એક નક્કર સત્ય હકીકત તરીકે ખેલદિલીપૂર્વક સ્વીકારી લેવા જોઈએ અને બંને દેશો જુદાં જુદાં સાર્વભૌમ રાજ્યો તરીકે ચાલુ રહેવાં જોઈએ.
(૨) કાશ્મીરના ભાગલા પાડવા. મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર પાકિસ્તાન સાથે જોડાઈ જાય (ખીણમાં વસતા બહુમતી કાશ્મીરીઓની ઇચ્છા હોય તો જ) અને જમ્મુ અને લદ્દાખ બિન-મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો હિંદ સાથે જોડાય.
જ્યારે સામાન્ય રીતે ડૉ. બાબાસાહેબ અંગેનાં અધકચરાં નિવેદનો ઉછાળવામાં આવે છે, ત્યારે એમની ભૂમિકાને વિકૃત કરવાના પ્રયાસને પડકારતાં તથ્યો જાહેરમાં પ્રસ્તુત કરવાં એ એક દલિત તરીકે મારી ફરજ સમજું છું. હકીકતમાં સરદારસાહેબે બંધારણસભામાં ડૉ. બાબાસાહેબ મુંબઈ-મહારાષ્ટ્રમાંથી ચૂંટાય નહીં, એની કાળજી લેવા રાજ્યના મુખ્યમંત્રી બી.જી. ખેરને ભારપૂર્વક સૂચના આપી હતી. (સંદર્ભ : શ્રી એ. આનંદ ‘ભીમાયણ’) દલિત-મુસ્લિમ એકતાના હિમાયતી એવા જોગીન્દરનાથ મંડળે કૉંગ્રેસના વિરોધને જોતાં બાબાસાહેબ માટે બૉમ્બે પ્રોવિન્સમાંથી બંધારણસભામાં ચૂંટાવું અશક્ય હોવાનું તેમને સમજાવ્યું હતું અને મુસ્લિમ લીગના સહયોગથી એ વેળાના બંગાળના મુખ્યમંત્રી હુસૈન શહીદ સુહરાવર્દીના સહયોગથી બંગાળમાંથી તેમને ચૂંટી મોકલ્યા હતા. મંડળ એ વેળા બંગાળની મુસ્લિમ લીગ સરકારમાં સંસદીય બાબતો અને બાંધકામના મંત્રી હતા. આ હકીકતને રાગદરબારી આલાપતા ચિંતકો જાહેરમાં મૂકવાનું મુનાસીબ માનતા નથી. (સંદર્ભ : Cristophe Jaffrelot Dr. Ambedkar & Untouchability, page: 100) શ્રી દ્વૈપાયન સેન દ્વારા લિખિત Econmic and Social History Review નામક પુસ્તકમાં ઉપરોક્ત બાબત અંગે લખ્યું છે કે શા માટે મંડળ અને આંબેડકર દલિત-મુસ્લિમ એકતાના હિમાયતી હતા. “The spirit animating his (Mandal’s) alliance with the Muslim League was closely linked to the socio – economic circumstances experienced by Dalitsh and Muslims alike. They shared experience of the grinding poverty of rural Bengal was common to both their communities.”
ઉપર્યુક્ત લેખમાં બહુ સાચી રીતે જણાવાયું છે કે ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી આદરણીય વિભૂતિ હતા; પરંતુ ફક્ત નેહરુ અને અન્ય વિભૂતિઓ વિશે જે તથ્યો જણાવે છે, એવાં શ્યામાપ્રસાદ વિશે પણ મૂકવાં જોઈએ. ડૉ. મુખરજીને હરિજનો વિશે કેટલો આદર હતો, એ વાત આનંદ તેલતુંબડે પોતાના પુસ્તક Republic of Casteમાં પાન ૨૭૩ પણ જણાવે છેઃ “In the wake to Curzon’s partition of Bengal in 1905, Shyama Prasad Mookerjee had grimly predicted that the Bhadrlok in East Bengal would now have to live under the Chandals (a derogatory term for Dalits in Bengal who had began to call themselves Namashudra)”. ૧૯૪૦માં લાહોરના મુસ્લિમ લીગ અધિવેશનમાં પાકિસ્તાનનો ઠરાવ રજૂ કરનાર ફઝલુલ હકની બંગાળ પ્રાંતની સરકારમાં શ્રી મુખરજી ૧૨ ડિસેમ્બર, ૧૯૪૧થી ૨૦ નવેમ્બર ૧૯૪૨, સુધી નાણામંત્રી રહ્યા હતા. ઇતિહાસવિદ અને દિલ્હી યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપક શમ્સુલ ઇસ્લામ શ્યામાપ્રસાદ તો અંગ્રેજ શાસકો અને મુસ્લિમલીગ સાથેની સાઠગાંઠથી બ્રિટિશ વિરોધી આઝાદીની ચળવળને કચડવામાં સહયોગ કરનારા હોવાનું નોંધે છે.
મહામના ડૉ. બાબાસાહેબ આંબેડકરને વૈચારિક રીતે દત્તક લેવાનું આર.એસ.એસ.નું વલણ પણ કાયમ દ્વિધાજનક રહ્યું છે. કેન્દ્ર સરકાર હસ્તકના ઇન્દિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર ધ આટ્ર્સના વર્તમાન અધ્યક્ષ અને સંઘની સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થીપરિષદના સંગઠનમંત્રી રહેલા રામબહાદુર રાય ‘આઉટલુક’ને આપેલી મુલાકાતમાં બાબાસાહેબની બંધારણ ઘડવામાં ભૂમિકાને કલ્પિત અને ક્ષુલ્લક ગણાવે છે. એમના જ શબ્દો કંઈક આવા છે: It’s myth that B.R. Ambedkar framed the country’s Constitution. In fact it was B.N. Rau who did the actual drafting while Ambedkar corrected the language. B.R. Ambedkar’s role was limited.” said Rai, “So that whatever material B.R. Rao gave him he would correct its language. It was like RAW and IB where foot soldiers write reports in broken English and IPS officer turn it into good English capable of being presented to the PM. So Ambedkar did not write the Constitution.” આ જ વાતનો પડઘો સંઘના મુખપત્ર ઑર્ગેનાઇઝર”ના ૬ માર્ચ, ૨૦૧૧ના અંકમાં પાડવામાં આવે છે. “The Credit for drawing up the draft [of the Constitution] is generally known even among the literati is that most of the work has done by Rau who had been appointed by the Viceroy to be the advisor to the Constituent Assembly.”(કુલદીપ કુમારનો લેખ).
ડૉ. આંબેડકર થકી ભારે પરિશ્રમથી તૈયાર કરાયેલા ભારતીય બંધારણને ‘ગુલામીનો દસ્તાવેજ’ કહેવા સુધી રાય જાય છે. તેઓ તો લોકસભાને બંધારણ સભામાં પરિવર્તિત કરીને સમયને અનુકૂળ બંધારણ ઘડવાનું સમર્થન કરે છે. હિંદુ બ્રિગેડના સ્વામી મુક્તાનંદ સરસ્વતી અને સ્વામી વામદેવ મહારાજ દ્વારા વર્તમાન બંધારણને ‘હિંદુ વિરોધી’ ગણાવીને આ બંધારણને ફગાવી નવું બંધારણ ઘડવા ઉપરાંત રાષ્ટ્રધ્વજમાંથી અશોકચક્રને દૂર કરવા, જાતિને આધારે એસ.સી. અને એસ.ટી. માટેની અનામતને દૂર કરવાની તરફેણ કરવામાં આવી હતી.
આર.એસ.એસ.ના તત્કાલીન વડા પ્રા. રાજેન્દ્રસિંહે ૧૯૯૩માં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકમાં લખેલા લેખમાં નોંધ્યું હતું કે “ભારતનું બંધારણ મૂળ ભારતીય તત્ત્વો અને પરંપરાને અનુરૂપ નહીં હોવાથી ભવિષ્યમાં તો એને અનુરૂપ બંધારણ બનાવવું જોઈએ.” વાજપેયી સરકારે આ સલાહને અનુસરીને જ કદાચ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ વેંકટચેલૈય્યાના વડપણ હેઠળ બંધારણની સમીક્ષા માટે સમિતિ પણ બનાવી હતી. જો કે આ સમિતિની ભલામણો સત્તાધીશોની અપેક્ષા મુજબની નહોતી. હિંદુ કોડ બિલના મુદ્દે પંડિત નેહરુ અને ડૉ. આંબેડકરનો વિરોધ કરીને ૧૯૪૯માં તેમની નનામીઓ બાળનાર લોકો હવે આંબેડકરને પોતીકા ગણાવવાની કોશિષમાં લાગ્યા છે.
ગુજરાતના લોકપ્રિય અને ચિંતક કટારલેખકોને આ સત્તાપક્ષી પેરવીમાં કાંસીજોડાં વગાડવાની ગરજ ન હોવી જોઈએ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2019; પૃ. 17 તેમ જ 16