લોકોત્તર વાચન પ્રસારક મહેન્દ્ર મેઘાણીનું અવસાન 3 ઑગસ્ટ 2022ની સાંજે થયું. તેમને અંજલિ આપતો લેખ ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના 10 નવેમ્બર 2022 બહાર પડેલા અંકમાં આવ્યો. પોણા ત્રણ પાનાનો લેખ સવા ત્રણ મહિને પંદરમા ક્રમે આવ્યો.
— આ અંગે કેટલાક સવાલ :
• ગુજરાતી સાહિત્યને સાત દાયકાથી જનસામાન્ય સુધી લઈ જનાર મહેન્દ્રભાઈ પરનો અંજલિ લેખ ગુજરાતી સહિત્યનું પ્રતિનિધિત્વ કરનાર સંસ્થાના માસિકમાં આટલો મોડો આવે તે બાબત સાહિત્ય પરિષદને અને એકંદર સાહિત્ય જગતને ઉચિત લાગે છે ખરી ?
• આ વિલંબમાં સંપાદકનો ફાળો ખરો ? ‘પરબ’ ની પરામર્શન સમિતિ કે સાહિત્ય પરિષદના હોદ્દેદારોને આ વિલંબમાં કંઈ અનુચિત લાગ્યું ખરું? જો લાગ્યું હોય તો તેમણે એ અંગે કશું કહ્યું કે કર્યું ખરું ?
• ઑગસ્ટના જ અંકમાં ‘યંત્ર પર જતાં’ અંજલિ નોંધ મૂકવી એ ક્ષમતાની અપેક્ષા અને શક્યતા બંને ‘નિરીક્ષક’ના તંત્રી સિવાય બીજા મોટા ભાગના તંત્રીઓ પાસે રાખવી એ કદાચ વધારે પડતું ગણાય. પણ ઑગસ્ટના 27 દિવસ દરમિયાન,અને સપ્ટેમ્બર અને ઑક્ટોબરના આખા મહિનામાં ‘પરબ’ મહેન્દ્રભાઈ વિશે કોઈ સામગ્રી કેમ જોગવી ન શક્યું ?
• સંપાદકને સપ્ટેમ્બરના અંકના તેમના પોતાના લેખમાં ‘પ્રાણવંતા પૂર્વજો’ યાદ આવ્યા હોય તો એક વાચનવંતા સમકાલીન યાદ આવે એવી અપેક્ષા ન રાખી શકાય? સંપાદકના લેખમાં ભારતીય સાહિત્યના અરધો ડઝન પ્રગતિશીલ લેખકોના ઉલ્લેખો આવે છે. ‘આંબેડકરના વંશજ’ અને ‘માનવઅધિકારી’ કર્મશીલોની સંપાદકને ચિંતા થાય છે. આવા સંપાદકને મેઘાણીના વંશજ અને ગાંધીના ભેખધારી મહેન્દ્રભાઈ યાદ આવે એવી અપેક્ષા ન રાખી શકાય? ‘બળાત્કારીઓ મુકત થયાં’ તેનો સંપાદક સખેદ સુયોગ્ય ઉલ્લેખ કરે છે. આ રીતે આ લેખમાં (અને ‘પરબ’ ઉપરાંત પણ અન્ય અનેક જગ્યાએ) જાગૃત તંત્રી પોતાની ઊંડી સામાજિક નિસબત સતત વ્યક્ત કરતાં રહે છે. પણ તેમની કલમે સપ્ટેમ્બરના અંકમાં મહેન્દ્રભાઈની સામાજિક નિસબત તો જવા દો પણ તેમના નામનો ઉલ્લેખ સુદ્ધાં કેમ આવતો નથી એવો સવાલ ન થાય?
• ઑક્ટોબરના અંકમાં પણ સંપાદકના અગ્રતાક્રમમાં મહેન્દ્ર મેઘાણી ન હતા એમ ધારી શકાય?
• મહેન્દ્રભાઈને અંજલિ આપવા માટે 8 ઑગસ્ટે પરિષદ સહિત પાંચ રિપીટ પાંચ, સંસ્થાઓએ મળીને સભા કરી. તેના અપૂરતાં કમ્યુનિકેશન, અને તેમાં જોવા મળેલી પચીસથી ઓછી વ્યક્તિઓની હાજરી અંગે શું કહી શકાય ?
• સતત કાર્યરત જીવન જીવીને વાચકોના ભાવજીવનને સ્વસ્થ, ઉજળું રાખનાર મહેન્દ્રભાઈને યાદ કરવા માટેની સભા દરમિયાન સતત ‘શોકાંજલિસભા’ એવો મૉર્બિડ — રુગ્ણતાભર્યો, શબ્દ વપરાતો રહ્યો, એટલું જ નહીં તે સપ્ટેમ્બરના ‘પરિષદવૃત્ત’ના મથાળામાં પણ ચાલુ રહ્યો. સંપાદકને પણ આ શબ્દ યોગ્ય લાગ્યો એમ માની શકાય?
• ‘પરિષદવૃત્ત’માં સ્મરણસભાની નોંધ માત્ર 75 જેટલા, રિપીટ પંચોતેર જેટલા શબ્દોની હતી, જેમાં સાત ‘શ્રી’ અને પચીસેક શબ્દો વિશેષનામો હતા. વાચકો, સંપાદક, પરિષદ અને અન્યોને આવી નોંધ યોગ્ય લાગે છે ? આ સભાને આધારે સંપાદક કંઈ વિશેષ કરવા કે કરાવવાની સૂઝ ન દાખવી શક્યા હોત ?
• સપ્ટેમ્બરના અંકના પરિષદવૃત્તમાંની પંચોતેર શબ્દોની આ નોંધથી શું સંપાદક એટલા સંતુષ્ટ થયા કે પછી તેમને બે મહિના સુધી મહેન્દ્રભાઈને યાદ કરવાની જરૂર જ લાગી? ઓછા જાણીતા હોય તેવાં સામયિકોએ પણ મહેન્દ્રભાઈને પોતાની રીતે સમયોચિત અંજલિ આપી હતી એ સંપાદકના ધ્યાનમાં આવ્યું જ હોય ને ?
• સામયિક શબ્દનો સંબંધ સમસામાયિકતા અને સમયોચિતતા સાથે છે એ સંપાદક સુપેરે જાણતા હોય જ ને ? ફ્રેન્ચ લેખક એની અર્નોને 6 ઑક્ટોબરે નોબલ પુરસ્કાર જાહેર થાય છે. 10 નવેમ્બરે બહાર પડેલા ‘પરબ’માં સંપાદક અર્નો વિશે લખે છે. તેનું મથાળું છે ‘બાબુ સુથારના ઘરે કંસાર’. તેના ઉઘાડનો આખો પહેલો ફકરો વ્યક્તિલક્ષી કૃતક સંદર્ભ સાથે બાબુ સુથારને ફાળવ્યો છે. અર્નોની ફ્રાન્સના જાહેરજીવનમાં જોવા મળેલી ‘વંદનીય’ ‘સામાજિક નિસબત’નો ઉલ્લેખ લેખમાં છે. પણ સંપાદકને મહેન્દ્રભાઈનું સામાજિક નિસબત સાથેનું અક્ષરકર્મ ‘પરબ’ કે પરિષદના સંદર્ભમાં ક્યારે ય યાદ આવ્યું હશે ખરું ?
• ગુજરાતી સાહિત્ય પરિષદના ગુજરાતી માસિકના સંપાદક ફ્રાન્સના એની અર્નોના પ્રદાનને પોંખે છે અને મહેન્દ્ર મેઘાણીને ઉવેખે છે એવું માનવાનું ? કે પછી અર્નો વિશે લખવાથી એમની છાપ વિશ્વસાહિત્યના નિરીક્ષક એવા બહુશ્રુત સંપાદક તરીકે પડશે એવું સંપાદક માને છે એમ આપણે માનવાનું ? કે પછી સામયિકની સામયિકતા અંગે સંપાદક પોતાની સ્વાયત્તતા સર્વોપરી છે અને પરિષદ પણ તેમની એ સ્વાયત્તતાને બહાલી આપે છે એમ આપણે માનવાનું ?
• દસમી નવેમ્બરે બહાર પડેલાં ‘પરબ’ના અંક વિશેની આ નોંધ અત્યારે શા માટે ? – એવો સવાલ થતો હોય તો, ત્રીજી ઑગસ્ટે અવસાન પામેલા મહેન્દ્ર મેઘાણીને શ્રદ્ધાંજલિ આપતો લેખ દસમી નવેમ્બરે બહાર પડેલા અંકમાં શા માટે એવો સવાલ પણ થવો જોઈએ.
13 ડિસેમ્બર 2022
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર