પુસ્તક પરિચય
અગ્રણી વિવેચક-સંપાદક રમણ સોની સંપાદિત ‘મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા’ નામના માતબર સંચયમાં 130 કવિઓના પાચસો કરતાં વધુ પદો, તેમ જ પ્રેમાનંદના ‘ઓખાહરણ’ કે ‘સુદામાચરિત’ જેવાં આખ્યાનો સહિત સાઠ જેટલી પદ્યવાર્તાઓ/લાંબી કૃતિઓના અંશો મળે છે.
રમણભાઈ ‘સંપાદકીય’માં નોંધે છે : ‘આ સંપાદનમાં કાવ્યગુણે વધુ આકર્ષક હોય એવી કૃતિઓ અને એવાં કવિઓ વિશેષ પસંદ કરેલાં છે. પસંદગી અલબત્ત, ચુસ્ત નહીં પણ મોકળાશવાળી રાખી છે, જેથી સમગ્ર મધ્યકાલીન કવિતાનું યોગ્ય પ્રતિનિધિત્વ ઊપસી રહે.’
ગુજરાતી સાહિત્યનો મધ્યકાળ બારમી સદીમાં થઈ ગયેલા હેમચંદ્રાચાર્યથી 1853માં અવસાન પામેલાં દયારામ સુધીનો ગણાય છે. સાતેક સદીનો આ ગાળો અનેક રાજકીય ઊલથપાથલો, ધર્મપરાયણતા અને ભક્તિભાવથી ઓતપ્રોત હતો.
સાડા સાતસો પાનાંના સુઆયોજિત અને એકંદરે સમાવેશક સંગ્રહમાં બહોળું વૈવિધ્ય છે. નરસિંહ, મીરાં, દયારામ સહિતના ભક્તિકવિતાનાં આઠ-દસ રચયિતાં છે. અખો તો હોય જ, પણ તેના પૂર્વેના માંડણ-નરહરિ-બુટો સહિતના જ્ઞાનમાર્ગીઓ છે.
આખ્યાનકારોમાં ભાલણ, દેહલ, નાકર, વિષ્ણુદાસ, વિશ્વનાથ જાની તેમ જ અન્ય છે. સ્ત્રીઓનું સ્થાન ગૌણ હતું તે સદીઓમાં ગવરીબાઈ, ગંગાસતી, લોયણ, જાનકીબાઈ, કૃષ્ણાબાઈ, લીરલબાઈ, રતનબાઈ, રૂપાંદેએ સુંદર ભક્તિરચનાઓ આપી છે.
મધ્યયુગ દરમિયાન છએક સદીઓની મુસ્લિમ સત્તા અને હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયના ગાળામાં રાજે, નબી મિયાં, મીઠો, હોથી, જેસલપીર, મંહમદશા કાઝી જેવાએ કૃષ્ણકીર્તન, પ્રેમભક્તિ અને તત્ત્વદર્શનની રચનાઓ લખી છે. ત્રિકમ, લખીરાજ અને કરમણ અંત્યજ મનાતા વર્ગના છે.
કબીરસાહેબના પ્રભાવ હેઠળના અઢારમી સદીના પૂર્વાર્ધના રવિભાણ સંપ્રદાયના કવિઓ જેમના નામ પછી ‘સાહેબ’ લખવાની પ્રણાલી છે – ભાણ, ખીમ, રતન, ભીમ, મોરાર, પીર તરીકે પૂજાતા જેસલ અને કતીબશા પીર.
મધ્યકાલીન ગુજરાતી કવિતાનો આરંભ નરસિંહ પહેલાંના અપભ્રંશ ભાષામાં લખનારા હેમચન્દ્રાચાર્ય અને એમના પછી પંદરમી સદીના પૂર્વાર્ધ સુધી મારુ-ગુર્જર ગુજરાતીમાં લખનારા દસેક જૈન કવિઓથી થાય છે. તેમના અનુગામીઓ પછીની દરેક સદીમાં મળતા રહે છે.
સાધુ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ, વેદાન્તી, બ્રાહ્મણ એવી ઓળખ પણ સંપાદક આપે છે. ચારણી પરંપરાની કવિતા નામે અલગ પ્રકરણમાં છ કવિઓની રચનાઓ મળે છે.
સદીઓ મુજબ બનાવવામાં આવેલા અનુક્રમમાં દરેક પ્રકરણની અંદરનો ક્રમ તેમાં સમાવિષ્ટ કવિઓને જન્મના વર્ષ પ્રમાણેનો છે. જેમના જીવનકાળની સ્પષ્ટ વિગતો મળતી નથી એવા અઢાર કવિઓનું અલગ પ્રકરણ છે. કવિઓ કયા પ્રવાહના છે તે સંપાદકે દરેક કવિની રચનાઓ પહેલાં મૂકેલા વિદ્વતાપૂર્ણ છતાં મિતાક્ષરી કર્તાપરિચયમાંથી મળે છે.
શરૂઆતની સદીઓની કવિતાનું ભાષારૂપ કંઈક અપરિચિત છે, એટલે એવી કૃતિઓ સાથે સંપાદકે સહાયક સારઅનુવાદ મૂક્યા છે. જો કે એ નરસિંહ મહેતા પહેલાંના સમયમાં લખાયેલી વસંતવિલાસ (અજ્ઞાત કવિ), હંસાઉલી (અસાઇત), રણમલ્લ છંદ (શ્રીધર વ્યાસ), ત્રિભુવનદીપક પ્રબંધ’ અને હીરાણંદ (વિદ્યાવિલાસ પવાડુ) રચનાઓના અંશો સાથે પણ મૂકવાની જરૂર હતી.
સંપાદકે મધ્યયુગીન સાહિત્યનું સ્વરૂપવૈવિધ્ય પણ સુપેરે બતાવ્યું છે. એટલે અહીં પદ, આખ્યાન, ગરબા, ભજન તો હોય જ; પણ ઓછા જાણીતા કાવ્યપ્રકારો સંચયનો વિશેષ છે.
તેમાં જિનપદ્યસૂરિના ફાગુ છે. તેમના પછીના ઇન્દ્રાવતી, ઉદયરત્ન અને કર્પૂરશેખર જેવા અન્ય જૈન કવિઓ પાસેથી ઋતુકાવ્યોના વર્ગમાં આવતી બારમાસી(સા) મળે છે.
પ્રેમલક્ષણાભક્તિના પદકવિ રત્ના પાસેથી ‘મહિના’ મળે છે. અઢારમી સદીના પ્રીતમે તેના પુરોગામી અખાની જેમ ‘જ્ઞાનમાસ’ આપ્યા છે જેમાં જ્ઞાનનો ઉપદેશ બારમાસીમાં ગૂંથવામાં આવ્યો હોય.
ગીતાકાવ્યના સ્વરૂપમાં ‘ભ્રમરગીત’ (બ્રેહેદેવ), ‘જ્ઞાનગીતા’ (નરહરી) અને ‘અખેગીત’ છે. દુહા અને રાસને સામાન્ય રીતે સૌરાષ્ટ્રના લોકસાહિત્ય સાથે જોડવામાં આવે છે, દુહામાં સહુથી પ્રાચીન રચનાઓ પાટણના હેમચન્દ્રાચાર્યે આપી છે. એમાં તેમના પછી શાલિભદ્રસૂરિ અને હિરાણંદ છે.
પુરીબાઈ પાસેથી વિવાહલઉ, અને ગોપાળદાસ પાસેથી સાખીઓ તેમ જ ચાબખા મળે છે. પદ્મનાભના ‘કાન્હડદે પ્રબંધ’ના અને એકાધિક આખ્યાન કાવ્યોના હિસ્સા સમાવિષ્ટ છે. વલ્લભ ભટ્ટના ત્રણ લાક્ષણિક ગરબા છે.
કવિતનો એકમાત્ર દાખલો બારમી સદીના પૂર્વાર્ધની, જેસલમેરની પિતાપુત્ર બેલડી અણંદ-કરમાણંદ મિસણની રચનાઓમાં મળે છે.
જો કે કેટલીક વાર કવિઓના પરિચયમાંથી જાણવા મળતું સ્વરૂપ વૈવિધ્ય તેમની રચનાઓમાં દેખાતું નથી, મોટે ભાગે પદો જ મળે છે. ધીરો ભગત, હરિદાસ, નિરાંત અને બાપુસાહેબની રચાઓની પસંદગીમાં આ જોવા મળે છે.
સંચયનો આખરી વિભાગ લોકગીતોનો છે. સંપાદક સ્પષ્ટતા કરે છે : ‘… લોકગીતો અર્વાચીન સમય-સંસ્કૃતિ પૂર્વેનું – મધ્યકાલીન કાવ્યસ્વરૂપ ગણાય એથી એને અહીં સ્થાન આપ્યું છે.’ એટલે અહીં ‘એક વણઝારી ઝીલણ ઝીલતી’તી’, ‘ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ’, જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે’, ‘ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર!’, ‘મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટાં ઝાડ’, ‘સોનાવાટકડી રે, કેસર ઘોળ્યાં વાલમિયા’ જેવાં લોકગીતો વાંચવા મળે છે.
અત્યારે નવરાત્રીમાં આ બધાં અને બીજાં ગીતો / આરતીઓ / સ્તવનો સાંભળીએ ત્યારે તે મૂળ પાઠથી કેટલાં જુદાં પડે છે તે જોવું રસપ્રદ બને છે.
સંપાદકના પોતાની રીતે સૌંદર્યપૂર્ણ પ્રવેશકનો વ્યાપ મધ્યકાલીન સાહિત્યની ઐતિહાસિક રાજકીય-સામાજિક ભૂમિકા જોતા મર્યાદિત લાગે છે. મધ્યયુગ દરમિયાન થયેલા ચાર સત્તાપલટા અને ધાર્મિક પરિબળોની તેના સાહિત્યની ભાતીગળતાની સાથેનો ઘનિષ્ઠ સંબંધ ઉપસાવવાની જરૂર હતી.
આ કામ સહુથી નોંધપાત્ર રીતે બે લખાણોમાં જોવા મળે છે : એક, અનંતરાય રાવળનું પુસ્તક ‘મધ્યકાલીન સાહિત્ય’(1976)નું બીજું પ્રકરણ; અને બે, મધ્યયુગીન ભારતીય સાહિત્યના અંગ્રેજી અનુવાદોના સાહિત્ય અકાદમી, દિલ્હીએ Medieval Indian Literature : An Anthology (1997) નામે પ્રસિદ્ધ કરેલા ત્રણ ખંડોના સંપુટમાં ગુજરાતી વિભાગના સંપાદક તરીકે ચીમનલાલ ત્રિવેદીએ પહેલાં ખંડમાં અંગ્રેજીમાં લખેલો સાઠ પાનાંનો પ્રવેશક.
આ બંને પ્રવેશકોમાંથી પસાર થતાં, રમણભાઈના સંપાદન ‘પૂર્વરંગમાં’ અપેક્ષિત મુદ્દા ધ્યાનમાં આવે છે. તદુપરાંત, ગ્રંથનામ સૂચિ, ઉલ્લેખસૂચી તેમ જ પાનાં પરના કવિઓના નામના ફૂટર (footer) આ સંદર્ભ ગ્રંથને વધુ reader-friendly બની શક્યા હોત.
મધ્યકાલીન સાહિત્યના અનેક સંપાદનોમાં કઠિન શબ્દોની સૂચિ હોતી નથી, જે રમણભાઈના આ સંપાદનમાં પણ નથી. જયંત મેઘાણીએ મેઘાણી-સાહિત્યના દૃષ્ટાંત સમા સંપાદનમાં આ દરકાર રાખી છે. બીજા દાખલા પણ મળી શકે. ખુદ રમણભાઈએ ‘કુંવરબાઇનું મામેરું’ના સંપાદનમાં શબ્દાર્થ આપ્યા છે.
કઠિન શબ્દોની સૂચિ મધ્યકાલીન સાહિત્યના બહુ જ આરંભિક – સંભવત: પહેલાં – સંપાદનમાં છે. ઇ.સ. 1886થી 1912 દરમિયાન આઠ ખંડોમાં પ્રસિદ્ધ થયેલાં એ સંપાદનનું નામ છે ‘બૃહદ કાવ્ય દોહન’. તેના સંપાદક ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ (1853-1912) પ્રખર પત્રકાર, પ્રકાશક, અનુવાદક અને અંગ્રેજ સરકાર દ્વારા રાજદ્રોહનો આરોપ વેઠનારા દેશભક્ત હતા.
બૃહદ કાવ્યદોહન તેમણે કરેલું પાયાનું કામ છે, તે ગુજરાતી સાહિત્યના કેટલાક અભ્યાસીઓ / ઇતિહાસલેખકો અચૂક સ્વીકારે છે. પણ મધ્યકાલીન સાહિત્યના કેટલાક સંપાદકો ઇચ્છારામે, ખાસ તો એમના સમયમાં સિદ્ધ કરેલાં અસાધારણ કામની ઉચિત નોંધ લેતા નથી, અથવા તો તેને બિલકુલ ચૂકી જાય છે.
પ્રસ્તુત ગ્રંથમાં રમણ સોનીએ સ્રોત-ગ્રંથો અને સંદર્ભગ્રથોની જે યાદી આપી છે તેમાં બળવંત જાની અને મનસુખ સલ્લાએ સંકલિત કરેલાં ‘બૃહત કાવ્યદોહન’ (પુનર્વ્યવસ્થા) ખંડ 1થી4’નો ઉલ્લેખ છે. આ સંપુટમાં બંને સંકલનકારોએ ઇચ્છારામ જે સંપાદનની ‘પુનર્વ્યવસ્થા’ કરી છે તેમાં ઇચ્છારામની નહીંવત નોંધ લીધી છે.
કનુ પટેલનું આવરણચિત્ર પરંપરાગત અક્ષરલેખન અને ચિત્રાત્મકતા છતાં સુંદર બન્યું છે. પુસ્તકનાં પાનાં પરની માંડણી આ પ્રકારના પુસ્તકમાં હોવી જોઈએ તેવી એટલે કે શક્ય એટલી મોકળાશભરી છે, અને બાંધણી પણ પૂરતી મજબૂત છે.
આ ગ્રંથ વધુ રમણીય ડિજિટલ સ્વરૂપે એકત્ર ફાઉન્ડેશને ઇન્ટરનેટ પર મૂક્યો છે. છપાયેલા પુસ્તકના કવિચિત્રોમાંથી કેટલાક કલાગુરુ રવિશંકર રાવળે દોરેલાં છે. નમૂનાની હસ્તપ્રતો પણ જોવા મળે છે. આ બંને સંચયની ઇ-આવૃત્તિમાં ઘણાં આકર્ષક લાગે છે.
ગુજરાતીમાં મધ્યકાલીન સાહિત્ય પરના અનેક સંપાદનો અને અભ્યાસો થયાં છે. ઇચ્છારામથી શરૂ થયેલી પરંપરામાં રમણ સોની એક મહત્ત્વની કડી છે એવું તેમની કારકિર્દી અને તેમના પુસ્તકોની યાદી બંને બતાવે છે. એટલે તેમની પાસેથી અપેક્ષા વધુ રહે છે.
(950 શબ્દો)
[આભાર : નલિનીબહેન દેસાઈ, તોરલબહેન પટેલ, અજય રાવલ]
—-———————————–
પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન, 2023, રૂ. 1500/-
પ્રાપ્તિસ્થાન :
ગૂર્જર, સંપર્ક : 079-26934340, 22144663, 22149660, મો. 9835368759
ગ્રંથવિહાર, 079-26587949, 9898762263
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 22 ઑક્ટોબર 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર