2023ના નોબેલ પુરષ્કાર વિજેતાઓ ગયા અઠવાડિયે જાહેર થઇ ગયા છે. સ્વીડિશ એકેડેમી દર વર્ષે કુલ 7 ક્ષેત્રો – કેમેસ્ટ્રી, ફીઝિક્સ, ઇકોનોમિકસ, ફીઝિઓલોજી, મેડિસિન, સાહિત્ય અને અને શાંતિ માટે નોબેલ પુરષ્કાર આપે છે. તેના વિજેતાઓની સૂચિ વિવિધ ક્ષેત્રો અને વિદ્યાઓનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તે બધા માનવતાની પ્રગતિમાં તેમના અસાધારણ યોગદાનથી જોડાયેલા છે. તેમનાં કામથી આપણી આસપાસની દુનિયાની અંગેની આપણી સમજણ અને આપણા સમયના કેટલાક પડકારોને ઉકેલવાની ક્ષમતા પર ઊંડી અસર પડે છે.
નોબેલ પુરસ્કાર એ વિશ્વનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે, જે સંબંધિત ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરે છે. સ્વીડિશ ઉદ્યોગપતિ અને શોધક આલ્ફ્રેડ નોબેલની ઇચ્છાના આધારે નોબેલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે.
આ વખતના પુરસ્કારોમાં, અમેરિકાના કુલ છ વૈજ્ઞાનિકોને મેડિસિન, કેમેસ્ટ્રી ને ફીઝિક્સના ક્ષેત્રમાં નવીન સંશોધન કરવા બદલ નવાજવામાં આવ્યા છે. એ છમાંથી ચાર વૈજ્ઞાનિકો ઇમિગ્રન્ટ છે, મતલબ કે બીજા દેશમાંથી આવીને અમેરિકામાં સ્થાયી થયા છે.
જેમાં કેટલીન કારિકો અને ડ્રૂ વેઇઝમેનને ન્યુક્લિયોસાઇડ બેઝ ફેરફારો સંબંધિત તેમની શોધો માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જેણે કોવિડ-19 સામે અસરકારક એમ.આર.એન.એ. રસીના વિકાસને સક્ષમ બનાવ્યો હતો.
કારિકોએ હંગેરીમાં પીએચ. ડી. કર્યું હતું, પણ તે ત્યાંના સામ્યવાદી શાસન હેઠળ કામ કરવા માંગતી નહોતી અને યુનાઇટેડ સ્ટેટ્સ આવીને પોસ્ટડૉક્ટરલ સંશોધક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. મોંગી બી. બાવેંડી (ફ્રાન્સ) અને એલેક્સી આઈ. એકિમોવ (ભૂતપૂર્વ સોવિયત સંઘ) નામના બે ઇમિગ્રન્ટ્સને અમેરિકાના લુઇસ ઇ. બ્રુસ સાથે રસાયણશાસ્ત્રમાં 2023નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ચોથા વિજેતા, પિયર એગોસ્ટિનીએ ફ્રાન્સથી અમેરિકા સ્થળાંતર કર્યું. તેઓ 2005માં ઓહિયો રાજ્યમાં આવ્યા હતા અને હવે ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર એમેરિટસ છે. એગોસ્ટિનીએ બે ફ્રેન્ચ વૈજ્ઞાનિકો સાથે ભૌતિકશાસ્ત્રમાં 2023નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
આ ચાર ઇમિગ્રન્ટ્સની વાર્તા સાબિત કરે છે કે અમેરિકા કેવી રીતે બીજા દેશોની પ્રતિભાઓ માટે શ્રેષ્ઠ જગ્યા છે. 2016માં, અમેરિકાના ફાળે કુલ છ નોબેલ પુરસ્કાર અંકિત થયા હતા અને એ તમામ વિજેતાઓ ઇમિગ્રન્ટ્સ હતા.
કેમેસ્ટ્રીના વિજેતા જે. ફ્રેસર સ્ટોડાર્ટ સ્કોટલેંડમાં જન્યા હતા, ફીઝિક્સના વિજેતાઓ ડંકન એમ. હાલ્ડાને, ડેવિડ થોલેસ અને માઈકલ કોસ્ટેર્લીત્ઝ અનુક્રમે બ્રિટન, સ્કોટલેંડ અને જર્મન મૂળના હતા. અર્થશાસ્ત્રમાં નોબેલ વિજેતા ઓલિવર હાર્ટ જર્મન મૂળના હતા અને બ્રિટનમાં જન્મ્યા હતા.
વાસ્તવમાં, નોબેલ પુરસ્કારોમાં અમેરિકાના ઇમિગ્રન્ટ્સનો કાયમ દબદબો રહ્યો છે. પાછલા વર્ષોના અમેરિકન નોબેલ વિજેતાઓ અંગે કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, અમેરિકાના વૈજ્ઞાનિક ક્ષેત્રે ઇમિગ્રન્ટ વૈજ્ઞાનિકોએ મોટા પ્રમાણમાં યોગદાન આપ્યું છે. એમાં ય છેલ્લા બે દાયકામાં ઘણો વધારો થયો છે.
નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી નામના એક સંગઠને કરેલા વિશ્લેષણ અનુસાર, કેમેસ્ટ્રી, મેડિસિન અને ફીઝિક્સમાં 2000ની સાલથી અત્યાર સુધીમાં અમેરિકાના ફાળે 112 નોબેલ પુરસ્કાર ગયા છે, જેમાંથી 40 પ્રતિશત, એટલે કે 45 વૈજ્ઞાનિકો ઇમિગ્રન્ટ્સ હતા. 1901માં નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત થઇ ત્યારથી 2023 સુધીમાં આ ત્રણે ક્ષેત્રોમાં અમેરિકાના નામે કુલ 319 નોબેલ અંકિત થયાં હતાં અને તેમાં 36 પ્રતિશત, એટલે કે 115 વૈજ્ઞાનિક ઇમિગ્રન્ટ્સ હતા.
2016માં, અમેરિકન પ્રમુખ પદ માટેની ચૂંટણીના પ્રચારમાં રિપલ્બિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ જોરશોરથી એવું કહેતા હતા કે તેઓ જો ચૂંટાશે, તો અમેરિકામાં આવતા અને રહેતા ઇમિગ્રન્ટ્સ પર તવાઈ લાવશે, કારણ કે ઇમિગ્રન્ટ્સ અમેરિકાને નબળું પાડી રહ્યા છે.
એ જ વર્ષે અમેરિકાના છએ છ નોબેલ વિજેતા ઇમિગ્રન્ટ્સ નીકળ્યા. તેમાંના એક, કેમેસ્ટ્રી વિજેતા ફ્રેસર સ્ટોડાર્ટે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “આ વખતના પુરસ્કારથી આખી દુનિયામાં એક ચોટદાર સંદેશો જવો જોઈએ કે વિજ્ઞાન વૈશ્વિક ક્ષેત્ર છે.”
યુનાઇટેડ સ્ટેટ્સ લાંબા સમયથી સમગ્ર વિશ્વના ઇમિગ્રન્ટ્સ માટે આકર્ષક સ્થાન રહ્યું છે, પણ એ દેશમાં એવું તે શું વિશેષ છે કે બૌદ્ધિકો અને વિદ્વાનો પણ ત્યાં જ જવાનું પસંદ કરે છે એટલું જ નહીં, ત્યાં જઈને શાનદાર પ્રગતિ કરે છે? તેનાં મુખ્ય 5 કારણો છે :
1. શૈક્ષણિક તકોઃ યુ.એસ.માં અસંખ્ય પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ સાથે સમૃદ્ધ અને વૈવિધ્યસભર શૈક્ષણિક વાતાવરણ છે. આ સંસ્થાઓ ટોચના વિદ્વાનોને આકર્ષે છે અને શૈક્ષણિક શાખાઓ સંશોધનની તકો પ્રદાન કરે છે. ઇમિગ્રન્ટ બૌદ્ધિકો આ શૈક્ષણિક વાતાવરણનો લાભ લઈને તેમના સંબંધિત ક્ષેત્રોમાં જ્ઞાનની પ્રગતિમાં ફાળો આપે છે.
2. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાઃ યુ.એસ. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે તેની પ્રતિબદ્ધતા માટે જાણીતું છે. તેનાથી ઇમિગ્રન્ટ બૌદ્ધિકોને તેમના દેશોની જેમ સતાવણી અથવા સેન્સરશીપનો સામનો કરવો પડતો નથી. આ સ્વતંત્રતા બૌદ્ધિક સંવાદ અને નવીન વિચારોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે.
3. સાંસ્કૃતિક વિવિધતાઃ યુ.એસ. સંસ્કૃતિઓ અને વંશીયતાનું મિશ્રણ છે, જે તેને ઇમિગ્રન્ટ બૌદ્ધિકોના વિકાસ માટે આદર્શ બનાવે છે. પરિપ્રેક્ષ્યો અને અનુભવોની વિવિધતા બૌદ્ધિક પ્રવૃત્તિઓને સમૃદ્ધ બનાવે છે અને વૈશ્વિક મુદ્દાઓની વ્યાપક સમજણને પ્રોત્સાહન આપે છે. ઇમિગ્રન્ટ બૌદ્ધિકો તેમના અનન્ય પરિપ્રેક્ષ્યો અને આંતરદૃષ્ટિમાં યોગદાન આપે છે, જે વિવિધ ક્ષેત્રોમાં નવીન ઉકેલો અને પ્રગતિ તરફ દોરી જાય છે.
4. ઉદ્યોગસાહસિક તકોઃ યુ.એસ. તેની ઉદ્યોગસાહસિક ભાવના અને નવીનતા સંચાલિત અર્થતંત્ર માટે જાણીતું છે. ઇમિગ્રન્ટ બૌદ્ધિકો ઘણીવાર જે નવા વિચારો, કુશળતા અને દૃષ્ટિકોણ લાવે છે, તે નવા વ્યવસાયો, તકનીકીઓ અને ઉદ્યોગોના નિર્માણમાં ફાળો આપે છે. અમેરિકા ફંડ, માર્ગદર્શન અને નેટવર્કિંગની તકો સાથે ઉદ્યોગસાહસિકતા માટે સહાયક વાતાવરણ પ્રદાન કરે છે.
5. સંસાધનોની પહોંચઃ યુ.એસ. ઇમિગ્રન્ટ બૌદ્ધિકોને અત્યાધુનિક સુવિધાઓ, પુસ્તકાલયો, સંશોધન અનુદાન અને ભંડોળની તકો પૂરી પાડે છે. આ સંસાધનો તેમને તેમના સંશોધનોને આગળ વધારવા, પ્રયોગો કરવા અને તેમના તારણો પ્રકાશિત કરવા માટે સક્ષમ બનાવે છે. વધુમાં, યુ.એસ. સંશોધન અનુદાન, ફેલોશિપ અને શિષ્યવૃત્તિ સહિત એક મજબૂત શૈક્ષણિક સપોર્ટ સિસ્ટમ પ્રદાન કરે છે, જે ઇમિગ્રન્ટ બૌદ્ધિકોને તેમના શૈક્ષણિક લક્ષ્યોને આગળ વધારવામાં મદદ કરી શકે છે.
એકંદરે, યુ.એસ. તેની શૈક્ષણિક તકો, અભિવ્યક્તિની સ્વતંત્રતા, સાંસ્કૃતિક વિવિધતા, ઉદ્યોગસાહસિક ભાવના, સહયોગી સંશોધન વાતાવરણ અને સંસાધનોની પહોંચ સાથે ઇમિગ્રન્ટ બૌદ્ધિકોને વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પ્રદાન કરે છે. ઇમિગ્રન્ટ બૌદ્ધિકો અમેરિકન સંસ્કૃતિ અને સમાજમાં તેમના યોગદાન માટે મૂલ્યવાન છે, અને તેમની હાજરી દેશના બૌદ્ધિક વાતાવરણને સમૃદ્ધ બનાવે છે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 22 ઑક્ટોબર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર