દેશભરમાં લોકસભા માટેની ચૂંટણી ચાલી રહી છે. અને સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીને લઈ મહત્ત્વના કેસ પણ ચાલી રહ્યા છે. ગયા અઠવાડિયે સરકારે આવા જ એક કેસમાં ઈલેક્ટોરોલ બૉન્ડના બચાવમાં સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી કે 'પક્ષોને ફંડ ક્યાંથી મળે છે તે જાણવાનો મતદારોને અધિકાર નથી ! એમાં પક્ષોને નાણાં-દાન આપનારની પ્રાઇવસી-ગુપ્તતાનો ભંગ થાય છે!'
સરકારની આ રજૂઆત, આ દલીલ વાંચતા એવું લાગે છે કે જાણે કે આ દેશના 90કરોડ મતદારો એ નાગરિક નથી પણ જાણે કે 'ગ્રાહકો' છે !
છેવટે, 'ચૂંટણી શાને માટે હોય છે ?' આ એક મહત્ત્વનો સવાલ દેશ આઝાદ થયો એ પછી ધીરે ધીરે ભૂંસાતો ગયો. મહત્ત્વનો આ સવાલ વરસો વરસ ઝાંખો થતો રહ્યો.
ચૂંટણીમાં કેન્દ્ર સ્થાને દેશની જનતા હોય, જનતા પોતાનામાંથી પોતાના પ્રતિનિધિ ચૂંટીને સંસદમાં મોકલે છે.
પોતાના પ્રતિનિધિની યોગ્યતા-અયોગ્યતા ચકાસે છે. અને કેવી રીતે જનતાના જીવનને વધુ બહેતર બનાવવા માંગે છે, તે કેવી વિચારધારા ધરાવતા પક્ષ સાથે સંકળાયેલો છે અને જે તે રાજકીય પક્ષ જનતાના ક્યા પ્રશ્નો – સમસ્યાઓ અને વિકાસ નકશાને અગ્રતાક્રમ આપે છે; તે બધું જાણીવિચારી,પોતાનો મત આપી પોતાના પ્રતિનિધિને ચૂંટે છે.
પણ અત્યારે તો દેશમાં રાજકીય પક્ષો એટલા હાવી થઈ ગયા છે કે તેઓ મતદાર જાણે કે ગ્રાહક હોય અને પોતે ચૂંટાયા પછી દુકાનમાં જે અને જેવો માલ હોય તે ફરજિયાત ગ્રાહકને ખરીદવા માટે મજબૂર કરે એવી હાલત કરી નાંખેલી છે.
પોતાની દુકાનમાં વધુ 'ઉત્તમ' માલ હશે, તે અંગેની લલચામણી જાહેરાતો તે ચૂંટણી પૂર્વે વચનો ને વાયદાઓથી આપે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી લોકોના પાયાગત સવાલો અને જરૂરિયાતોને હલ કરવામાં નિષ્ફળ રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ચૂંટણી ટાણે નાણાંકીય રાહતો કે સીધા જ નાણાં દરેકના ખાતામાં કે ખેડૂત કે બી.પી.એલ. કાર્ડ ધારકોના ખાતામાં જમા થઈ જશે એવાં વચનો આપવાની પરંપરા શરૂ કરી દીધી!
ગઈ 2014ની ચૂંટણીમાં, અચ્છે દિન આયેંગે ! સૂત્રની સાથે વિદેશોમાંથી અબજો રૂપિયાનું કાળું નાણું ઝપાટાભેર પાછું લાવીને અને દેશના દરેક પરિવારનાં ખાતામાં પંદર લાખ રૂપિયા જમા થઈ જ,શે એવી વાત કરવામાં આવતી હતી. એ પછી દરેક વિધાનસભાની ચૂંટણીએ દરેક પક્ષોએ આ રૂપિયા આપવાની વાત જ ચાલુ રાખી. જાણે કે સીધા જ જનતાને લાંચ આપવાનું વચન કે વાયદો !
આપણે ત્યાં ચૂંટણી પૂર્વે પક્ષો દ્વારા ચૂંટણી ઢંઢેરો લોકોની સમક્ષ મૂકવાની પરંપરા છે. જેમાં લોકોનાં કયા સવાલો – સમસ્યાઓ હલ કરવા માટે જે તે પક્ષ અગ્રતાક્રમ આપે છે અને વિકાસની દિશા તેમાંથી વ્યક્ત થતી દેખાય છે.
આ અત્યારની ચૂંટણી વખતે કૉન્ગ્રેસે બોંતેર હજાર રૂપિયા ગરીબ પરિવારોને આપવાની વાત કરી અને તે વિપક્ષમાં છે, એટલે કેટલાક નક્કર મુદ્દાઓ પણ મૂક્યા. એ જ રીતે ભા.જ.પે. પણ રોકડ રાહતો અને આતંકવાદને રાષ્ટ્રવાદની વાતો મૂકી અને સાથે સાથે કહી નાખ્યું કે લોકોના પાયાગત સવાલો તો અમે હલ કરી નાંખ્યા છે.
આ બધું વાંચતા-વિચારતા સવાલ તો સામે અથડાય જ કે હજી શિક્ષણ, આરોગ્ય, રોજગારી જેવી મૂળભૂત સમસ્યાઓમાં દેશના લોકો અટવાય છે, ત્યાં પાડોશી દુ:શ્મન દેશોનો ભય કે કોરી રાષ્ટ્રભક્તિ કે મંદિર નિર્માણની વાત સીધી રીતે આ દેશની સામાન્ય આમજનતાને કેવી રીતે તેમનાં રોજબરોજના જીવન સુધારવામાં ઉપયોગી નીવડે ?
ખરેખર તો દેશની જે હાલત છે, અવદશા છે, જીવતાં નાગરિકો જે પીડા-યાતના ભોગવે છે તે જોઈને વિકાસની કેડી કંડારવાના ઉપાયો મૂકાવા જોઈએ.
આજે તો નેતાઓ અને પક્ષો પોતાને લોકોથી પર સમજે છે અને પાંચ વર્ષમાં એક જ વાર લોકોને ગ્રાહકની જેમ લલચાવવાની જરૂર છે એવી માનસિકતા તેમનામાં દૃઢ બની ચૂકી છે.
અને તેને લઈ વર્ષોથી આ નેતાઓને પક્ષોના ચૂંટણીખેલ જોઈ લોકો ખુદ પણ એવું માનતા થઇ ગયા છે કે તેમની કિંમત માત્ર પાંચ વર્ષે એકવાર છે. બાકી તો રાજકીય પક્ષો અને નેતાઓ એ બધા દેશના સર્વોપરી છે અને બહુમતીથી જે ચૂંટાય એ પછી પહેલાંના જમાનામાં રાજા હતા, તેવી જ રીતે જાણે કે એ નેતાઓ મનસ્વી રીતે વર્તે એ એમનો અધિકાર છે, ધારે તે કરે; એવું સામાન્યજન માનતો થઈ ગયો છે.
આવી લોકોની બાદબાકીવાળી લોકશાહી સમાજવ્યવસ્થા એ આજે સૌ માટે ચિંતાની વાત બનવી જોઈએ.
ચૂંટણી સમયે લોકોની પોતાની ચોક્કસ ભૂમિકા છે, પોતે આ ચૂંટણીઓમાં દરમિયાનગીરી કરવી જોઈએ યા પોતાનો સંગઠિત અવાજ ઊભો કરવો જ જોઈએ.
ચૂંટણી સમયે ચૂપ રહેવાથી નહીં ચાલે એવી માન્યતા સાથે જ આ વખતની ચૂંટણી નોંધપાત્ર એટલા માટે છે કે, 'દેશમાં જે પ્રકારે અત્યારે અંધાધૂંધી ચાલે છે, લોકલક્ષી મુદ્દાઓને હડસેલીને નફરતનું રાજકારણ ચાલે છે તે ચલાવનારાઓને તો મત નહીં જ' – એવું નિવેદન કરી 200થી વધુ જુદી જુદી-જુદી ભાષાનાં લેખકોએ પોતાની વાત મૂકી છે. તે જ રીતે 600 ઉપરાંત નાટ્ય કલાકારોએ તો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરીને ભા.જ.પા.ને તો મત નહીં જ તેવું નિવેદન કર્યું છે. તો 900 જેટલા ફિલ્મ કલાકારોએ ભા.જ.પ.ને જ, નરેન્દ્ર મોદીને જ મત આપવાની અને મજબૂત સરકારની વાત કરી છે. જ્યારે જનવાદી લેખક સંઘ, પ્રગતિશીલ લેખક સંઘ, જનવાદી સંસ્કૃતિ મંચ અને દલિત લેખક સંઘે તો સ્પષ્ટ શબ્દોમાં ધાર્મિક રાષ્ટ્રવાદી ને ફાસીવાદી સરકારને જાકારો આપો તેવી લોકોને અપીલ કરી છે. અને ખાસ તો દેશની સેનાના લશ્કરી કાર્યો ને પોતાના ગણી સત્તાધારી પક્ષ ચૂંટણી પ્રચાર કરે છે, તેની સામે એડમિરલ કક્ષાથી માંડી ઉચ્ચ નિવૃત્ત 156 સેનાધિકારીઓએ પોતાની નારાજગી વ્યક્ત કરતું નિવેદન કર્યું છે.
પોતાનાં સ્પષ્ટ મત સાથે, વાદવિવાદ, તર્ક,ખંડન – મંડનની સાથે જાગૃત નાગરિકો બહાર આવે અને પોતાની માન્યતાઓ અને અભિપ્રાય ચૂંટણી ટાણે વ્યક્ત કરે તે આવકારદાયક ગણાવું જોઈએ. જે નિવેદનો વાંચી-જાણી જે તે લેખકો, કલાકારો, ચિત્રકારો, નાટ્યકારોના વિચારો સાથે સમ્મત કે અસમ્મત થતાં અન્ય કલાકારો, લેખકો પણ તેનાથી ઉત્પ્રેરિત થાય અને જાગૃત મતદાર તરીકે પોતાની ભૂમિકા આવા ચૂંટણી સમયે ભજવે.
એ જ રીતે જુદા જુદા ક્ષેત્રે કામ કરતાં સંગઠનોએ, એ પછી મજદૂર સંગઠનો હોય કે બાળકો માટે કાર્યરત સંસ્થા કે મહિલા સંગઠનો હોય કે વૈજ્ઞાનિકોના મંડળો કે આરોગ્ય ક્ષેત્રે કામ કરતા તબીબો ને કર્મશીલોના સંગઠન હોય તે બધાંએ પણ આ ચૂંટણી સમયે પોતાનાં ક્ષેત્રમાં ક્યા સવાલો છે, ક્યાં અને કેવો વિકાસ જરૂરી છે તેવી પોતાની માંગણીઓ અને માન્યતાઓને સંગઠિત અવાજમાં લોકોની વચ્ચે, નેતાઓની સામે મૂકી છે.
અને એ જ રીતે આપણા ગુજરાતમાં પણ 40-45 જેટલા જાગૃત નાગરિકો, વિવિધ ક્ષેત્રે લોકોની વચ્ચે કામ કરતા કર્મશીલો અને લેખકોએ 'પ્રજા ઝંખે છે પરિવર્તન'ના નામે લોક ઢંઢેરો યાને કી પીપલ્સ મૅનિફેસ્ટો નાગરિક સમાજના ઉપક્રમે બહાર પાડ્યો છે. છેલ્લા ચારેક મહિનાથી ચર્ચા-મિટીંગો કરી, લેખિત રજૂઆતો ને સંકલિત કરી આ પીપલ્સ મૅનિફેસ્ટો તૈયાર કરવામાં આવેલો છે.
આ લોક ઢંઢેરાની પુસ્તિકા પ્રગટ કરી તેને વ્યાપકપણે લોકોની વચ્ચે મૂકવાનો પ્રયત્ન આ નાગરિક સમાજના મંચથી થયો છે.
યજ્ઞ પ્રકાશન દ્વારા પ્રગટ કરવામાં આવેલી આ પુસ્તિકામાં જે મુદ્દાઓને સમાવવામાં આવ્યા છે, એ જોતાં જ દેશના વિવિધ સમૂહોના પ્રશ્નોને એકસાથે મૂકવાના પ્રયાસરૂપ જણાય છે. આ મુદ્દાઓમાં શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ જેમાં વાયુ, જળ અને ઘન કચરાના પ્રદૂષણની વિગતે વાત મૂકાઈ છે, પર્યાવરણ વ્યવસ્થાપનના સવાલો, સૌથી બદતર હાલતમાં મૂકાયેલા આદિવાસીઓ અને જંગલ સંવર્ધનની સમસ્યાઓ, કામદારો, કિસાન-ખેડૂત, દલિતો, વિચરતી અને વિમુક્ત જાતિઓની હાડમારીઓ, મહિલાઓ, બાળકો, મુસ્લિમો-લઘુમતીઓ, માછીમાર પંચાયતી રાજ, અને માહિતી અધિકારના જવાબ માંગતા સવાલો ઉપરાંત વિવિધ પરિવર્તન માંગતા મુદ્દાઓનો સમાવેશ અહીં જોવા મળે છે.
આ દરેક મુદ્દા વિશેની આંકડાકીય યા વાસ્તવિક સ્થિતિ કેવી છે તેનું ટૂંકમાં નિરૂપણ કરી આ મુદ્દા અંગે શું હજી સુધી થયું નથી અને શું કરવાની જરૂર છે, લોકોની આ મુદ્દે નેતાઓ, પક્ષો પાસે શું અપેક્ષાઓ છે, ઈચ્છાઓ છે તે દર્શાવવાનો પ્રયત્ન થયો છે.
આ મુદ્દાઓ જોતાં, વિચારતાં એમ જ લાગે કે હજી આપણે આઝાદીના સાત દાયકા પછી પણ ઠેરના ઠેર જ છીએ ! સામાન્ય લોકોના પાયાના પ્રશ્નો હલ કરવામાં પણ અત્યાર સુધીની ચૂંટાયેલી તમામ સરકારો ઉત્તરોત્તર નબળી પુરવાર થતી રહી છે અને આજના સમયમાં તો જાણે દરેક સરકારને લોકોના સવાલો હલ કરવામાં લગીરે રસ નથી, એવું દુ:ખદ ચિત્ર આપણી સામે આવીને ઊભું રહે છે.
આ લોક ઢંઢેરામાં આ વિવિધ સમુદાયલક્ષી-સમસ્યાલક્ષી મુદ્દાઓ ઉપરાંત નીતિગત મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે આપણા દેશમાં મીડિયા માટે હજી કોઈ પોલીસી નથી તો તેની રચના થવી જોઈએ, જાદૂટોના-ચમત્કાર-અંધશ્રદ્ધા નાબૂદી માટે મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં કાયદો છે પરંતુ સમગ્ર દેશમાં આ અંગે કોઈ ચોક્કસ કાયદો નથી તે બનવો જોઈએ જેમાં ખાસ કરીને ટીવી-મીડિયાને પણ સાંકળી લેવાય.
આ એક ગુજરાતના નાગરિકોએ ઊભી કરેલી લોક ઢંઢેરાની પહેલ ઠેકઠેકાણે ઊભી થાય અને તેની લોકોમાં ચર્ચા થાય તો અત્યારે જે રીતે ખાનગી અને સરકારી ટીવી ચેનલો, ફિલ્મો અને ઠેર ઠેર અઢળક રૂપિયા ખર્ચીને અપાતી ચૂંટણીની જાહેરખબરોના બજારમાં આ દેશનાં સામાન્યજનનો, આમજનતાનો અવાજ અરસ પરસ ચર્ચાય અને તે અવાજ મજબૂત બની સત્તાખોરોને પડકારે એ આજના સમયની તાતી જરૂર છે એવું લાગે છે.
સૌજન્ય : ‘મિડ વિક ગાર્ડિયન’ પૂર્તિ, “ગુજરાત ગાર્ડિયન”, 17 એપ્રિલ 2019