‘જલદર્શન’માં રહીને વિશ્વદર્શન કરાવનારા ભગત સાહેબના દેહાવસાનથી, સાહિત્ય અને જાહેર જીવન સાથે નિસબત ધરાવનારા સૌ કોઈએ આંચકો અનુભવ્યો. કેમ ન અનુભવે? આ જણે સમગ્ર માનવજાતને, એની મર્યાદાઓ સહિત, ચાહી હતી. આ કરુણ ઘટનાથી સહેજ પણ વિક્ષુબ્ધ ન થનાર, દેખાડા ખાતર પણ શોકાંજલિ ન પાઠવનારા, મહનુભાવો(!)ની ઉદાસીનતા અંગે શો પ્રતિભાવ આપવો? સામાન્ય વિવેક ચૂકી જનાર, આ ‘એન્કાઉન્ટર પ્રિય’ જમાતને આટલું જ કહેવું રહ્યું : ‘ભૂંડા લાગો છો ભૂંડા.’
હમણાં મંજુ ઝવેરીનાં લખાણોને આવરી લેતું પુસ્તક ‘સલામ મંજુ ઝવેરી’ વાંચી રહ્યો છું. જેના અંત ભાગમાં ભાયાણી સાહેબે ઘટતા જતા ઉત્તમ વાચનરસ વિશે ચિંતા વ્યક્ત કરતાં નોંધ્યું છે તેમ, ‘ચોતરફની દોટંદોટ, કોલાહલ અને વાવાઝોડા વચ્ચે થોડાક અખંડ દીવા ટમટમે છે, એને જૈન પરિભાષા વાપરીએ તો એક ‘અછેરું’ જ કહેવું પડે.’ આજે અધ્યયન અને અધ્યાપન ક્ષેત્રે નરી અરાજકતા પ્રવર્તી રહી છે. ત્યારે પોતાના જ્ઞાનવારસાની છુટ્ટે હાથે લહાણી કરી જનાર, પૂરી નિષ્ઠા અને જવાબદારીથી જીવી જનાર ભગત સાહેબની હયાતી, અપવાદરૂપ ઘટના હતી. અછેરુ જ ને વળી.
થોડુંક અંગત. એકવાર એમને મળવા ગયો ત્યારે એમણે, ધીમે ધીમે બધું છોડતા જવાની ટેવ પાડવાની, સલાહ આપી હતી. જો આ ટેવ નહીં હોય તો અંતકાળે આ મનખા દેહ સરળતાથી કેવી રીતે છોડી શકાશે?
ભગતસાહેબ આપણને ઘણું બધું આપી ગયા છે. પ્રશ્ન – મિલિયન ડૉલર ક્વેશ્ચન – આ છે, આપણે એમને શું આપ્યું – સિવાય ઘોર ઉપેક્ષા?
આદર સૂચક શબ્દ સાહેબ એમના જેવા વિદ્યાવ્યાસંગી અને અપાર સંવેદના ધરાવનાર જણની અટક સાથે દીપી ઊઠે – લોકોને સતત ભયમાં રાખનાર, પ્રસિદ્ધિ પાછળ છોડનાર કોઈ રાજકીય હસ્તીને સત્તા લોલુપ તત્ત્વો ભલે ‘સાહેબ’ કહી રાજી રાખે પણ એમાં આદરનાં દર્શન થતાં નથી.
ગુણવંતી ગુજરાતના શિક્ષણપ્રેમી સજ્જનો, વિચારકો, અધ્યાપકો, વહીવટકારો, અમલદારોના આ અદના ચાહકની વિદાય ટાણે કેમ અકળ મૌન સેવ્યું હશે?
‘Autonomy’ અને ‘autocracy’ વચ્ચેના ગજગ્રાહમાં છેવટે જીત તો ‘autonomy’ની જ થશે, થવી જોઈએ. જી.એસ.ટી.ની ચિંતા છોડી જી.એસ.પી.ની (ગુજરાતી સાહિત્ય પરિષદની) વધારે દરકાર જેટલી સમજ સત્તાધીશો ક્યારે દાખવશે?
આપણે પ્રાર્થીએ કે આવનાર વર્ષોમાં ભગત સાહેબની કૃતિઓને અભ્યાસક્રમમાંથી હટાવી દેવામાં ન આવે.
એક ફિલ્મના પ્રદર્શન સામે વિરોધના વાવંટોળ સામે ઝુકી જઈ, તેને જોયા વિના જ તેનું પ્રસારણ અટકાવી દેનારી સરકાર, સાહિત્યકારો અને અધ્યાપકો રસ્તાઓ પર નથી ઊતરી આવવાના, બસો નથી સળગાવવાના, થિયેટરોમાં ભાંગફોડ નથી કરવાના એ સુપેરે જાણતી હોઈ, ‘સ્વાયત્તતાના શહીદ’ની આટલી હદે અવગણના કરી શકે.
‘Niranjan Bhagat is no more. Long live autonomy.’
ડીસા/અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 18 ફેબ્રુઆરી 2018; પૃ. 10