છેલ્લાં ઘણાં વર્ષોથી સત્તાધારી પક્ષોએ પછી કેન્દ્રની સરકાર ચલાવતાં હોય કે રાજ્યની સરકાર ચલાવતાં હોય, એ બધાં બંધારણીય જોગવાઇ પ્રમાણે લોકલક્ષી કામ ન કરતાં હોય કે કરવાનું ટાળતા હોય તો હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવીને ન્યાય મેળવવાની નાગરિકોને ફરજ પડે છે.
ખાસ કરીને જ્યારે વ્યાપકપણે લોકોનું અહિત કે તેમના બંધારણીય હકને બાજુએ મૂકી કેટલાક મુઠ્ઠીભર કે ખાસ વ્યક્તિઓનાં હિત સત્તાધીશો મનમાની કરતા હોય છે, ત્યારે પી.આઇ.એલ. યાને જનહિતની અરજીરૂપે એકાદ લોકશાહી પ્રક્રિયાની થપ્પડ જે તે સરકાર કે સત્તાતંત્રને પડે ત્યારે તેઓ લગરિક સીધાં ચાલતાં થાય અને કંઈક કામ થાય એવું આપણે સૌએ અનુભવ્યું છે.
ચૂંટાયેલા પ્રતિનિધિઓ સિવાય લોકોનો અવાજ ન્યાયતંત્ર દ્વારા સંભળાતો રહે છે તે જ લોકશાહી શાસન વ્યવસ્થાની એક ખાસ વિશેષતા છે.
ચૂંટાયેલા પ્રતિનિધિઓ બહુમતી મેળવી અને બહુમતીના જોરે લોકહિત વિરુદ્ધ નિર્ણયો કરે ત્યારે સૌને આ હાઈકોર્ટોને વડી સુપ્રીમ કોર્ટ ન્યાય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે એવી શ્રદ્ધા હજી આ દેશમાં દૃઢ થયેલી છે, અને તે રીતે આ દેશનો પોતાના જીવનનો ધબકાર ચાલુ રહે છે, તેવું મોટા ભાગના લોકો વિશ્વાસપૂર્વક માને છે અને ક્યારેક અનુભવે છે.
પણ છેલ્લા વીસેક દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં ન્યાય કરનારાઓમાં સર્વોચ્ચ એવા મુખ્ય ન્યાયાધીશની સામે જ ન્યાય મેળવવા માટેનો જહાંગીરી ઘંટ વાગે, અને તે પછી એ ઘંટનો અવાજ દેશભરમાં પડઘાય નહીં, એવા આશયથી જે રીતે ન્યાય પ્રક્રિયા ચાલી તે સૌ કોઈને માટે ચિંતા ઉપજાવનારી બાબત બની રહી છે.
સુપ્રીમ કોર્ટમાં જ કામ કરનાર મહિલા કર્મચારી જાતીય સતામણીની ફરિયાદ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની સામે જ કરે ત્યારે ન્યાય કોણ આપે ?
અને આ ન્યાય કોણ આપે એવો સવાલ પૂછીએ એ પહેલાં આ ફરિયાદમાં છેલ્લાં બે વર્ષમાં બનેલી ઘટનાઓ લખાઈ છે તે પણ ગંભીરતાથી જોવી પડે. મહિલા કર્મચારીની ખાતાકીય બદલીઓ અને છેવટે એક દિવસની મંજૂરી વિનાની ગેરહાજરી ને ફરજનિષ્ઠાની ગેરવર્તણૂક ગણી નોકરીમાંથી જ ફારેગ કરી નાંખવી અને ત્યારબાદ લાંચના આરોપસર કેસમાં પોલીસતંત્રની વધુ પડતી સક્રિયતા અને પતિની નોકરી જાય એવાં સંજોગો ઊભા થાય એવી વિગતો આ ફરિયાદમાં લખાઈ છે અને તે ફરિયાદ સુપ્રીમ કોર્ટના સૌ કોઈ ન્યાયાધીશોને ફરિયાદી મહિલા કર્મચારીએ મોકલી આપી.
કાર્યસ્થળ પર, નોકરીની જગ્યાએ મહિલાઓને થતાં યૌનઉત્પિડન, હેરાનગતિ, સતામણી, યૌન શોષણની સામે ખાસ કાયદો 2013થી આપણાં દેશમાં અમલી છે. અને તે હેઠળ થતી ફરિયાદની તપાસ માટેની કમિટી મહિલાના વડપણવાળી હોવી જ જોઈએ અને તે તપાસકમિટીમાં 50% સભ્યો મહિલા હોવી જરૂરી છે, અને ઉપરી અધિકારીઓનું દબાણ કામ ન કરે તે માટે થઈ કચેરી સિવાયની બહારની એક વ્યક્તિ પણ તે કમિટીની સભ્ય હોવી જ જોઈએ તેવી જોગવાઈ આ કાયદા હેઠળ છે.
પણ જેમ અન્ય કામના સ્થળોએ, સરકારી કે બિન-સરકારી કચેરીઓમાં આ કાયદા પ્રમાણે કમિટીઓ રચાતી નથી યા યોગ્ય રીતે સક્રિય હોતી નથી.
આ કામનાં સ્થળોએ તપાસ પ્રક્રિયા કાયદા કાનૂન પ્રમાણે ચાલે એ માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી શકાય છે.
પણ અહીં તો 'આંતરિક કમિટી'ની રચના કરી અન્ય સરકારી ને બિન-સરકારી સંગઠનો જેવી જ પરંતુ અલગ પ્રકારની કામકાજી મહિલાઓ પ્રત્યેની ઉપેક્ષા -ઉદાસિનતા વ્યક્ત થયેલી દેખાય છે.
ખાસ તો જેમની પાસેથી પૂરેપૂરી ન્યાયિક પ્રક્રિયાથી આ ફરિયાદ પર કાર્યવાહી થશે એવી અપેક્ષા દેખાતી હતી ત્યાં જેમના પર યૌન ઉત્પીડનના આરોપ છે, તે સર્વોચ્ચ ન્યાયાધીશે ખુદ જ ન્યાયિક તપાસ પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં જ કહી દીધું કે 'આ મારી સામેની એક મોટી ચાલના હિસ્સા તરીકે યૌન સતામણીની ફરિયાદ થઈ છે'.
અને આ મુખ્ય ન્યાયાધીશે ખુદ જ પોતાના વડપણ હેઠળ ન્યાય તોળવાની પ્રક્રિયા હાથ ધરી.
અને તે પ્રક્રિયા વિશે દેશભરમાં ઊહાપોહ થયો કે પોતે જ પોતાના પરના આરોપનો ન્યાય કેવી રીતે તોળી શકે ?
ત્યાર બાદ બીજા દિવસે અન્ય સૌથી સિનિયર ન્યાયાધીશના અધ્યક્ષ સ્થાને 'આંતરિક તપાસ કમિટી'ની રચના કરાઈ જેમાં અન્ય મહિલા ન્યાયાધીશોનો સમાવેશ કરવાની ફરજ પડી એવું કહીએ તો ખોટું નહીં લેખાય.
ફરિયાદી મહિલા કર્મચારી સાથે સતત બે દિવસ આ આંતરિક કમિટીએ પૂછપરછ કરી. ત્રીજા દિવસે આ મહિલા ફરિયાદીએ આ આંતરિક કમિટીની પદ્ધતિનો વિરોધ કર્યો અને તેને પોતાની રજૂઆત માટે વકીલની મદદ મળવી જોઈએ તેવી માગણી કરી અને કમિટીમાં હાજર થવાનો ઈન્કાર કર્યો.
આ તપાસ કમિટીએ જેમની સામે આરોપ છે તે મુખ્ય ન્યાયાધીશની રજૂઆત પણ રેકોર્ડ કરી અને ચુકાદો આપી દીધો કે મહિલા કર્મચારીની ફરિયાદમાં કોઈ તથ્ય નથી અને એ રીતે જાતીય સતામણીના આક્ષેપમાં મુખ્ય ન્યાયાધીશને ક્લીન ચીટ આપી દીધી !
અને સાથે સાથે એમ પણ જણાવ્યું કે આ આંત રિક તપાસ કમિટીનો રિપોર્ટ જાહેર નહીં કરાય, આંતરિક તપાસ કમિટીના રિપોર્ટને ખાનગી રાખવાની જોગવાઈ હોવાનો હવાલો આપી તેને ગુપ્ત રાખવામાં આવશે તેવો ખુલાસો પણ કરવામાં આવ્યો ..!
ફરિયાદી મહિલા કર્મચારીએ આ કમિટીના ચુકાદાને લઈ પ્રત્યાઘાત આપતા જણાવ્યું કે 'હું સામાજિક, આર્થિક રીતે પાયમાલ તો થઈ જ છું સાથે માનસિક રીતે ભારે હતાશા અનુભવું છું અને આ ચુકાદાનો રિપોર્ટ મને મળવો જ જોઈએ,એ મારો હક બને છે .'
કોઈ પણ ન્યાયિક પ્રક્રિયામાં ફરિયાદીને આ પ્રકારે તપાસનો રિપોર્ટ માંગવાનો હક એ સ્વીકૃત બાબત છે.
આ માગણી અંગે સુપ્રીમ કોર્ટના મૌન સિવાય ફરિયાદી મહિલા કર્મચારીને આ લખાય છે ત્યાં સુધીમાં કશું મળ્યું નથી.
અહીં ગંભીર સવાલ એ ઊભો થાય છે કે ન્યાયિક પ્રક્રિયાનો ભંગ કરવાનું કામ સર્વોચ્ચ અદાલતમાં સર્વોચ્ચ ન્યાયાધીશ સામેની ફરિયાદમાં જ થાય તેનો અર્થ આપણે શું કરવાનો ?
આ કાનૂની પ્રક્રિયા ભંગની અસરો દૂરગામી અને તે પણ ખાસ કરીને મહિલાઓને અન્યાયકર્તા અને તેમના અવાજને દબાવનારી રહેશે એ નિશ્ચિત છે.
એવી દલીલ થાય છે કે અહીં સર્વોચ્ચ અદાલતના સર્વોચ્ચની ઈજ્જત, માનમર્યાદા-ગરિમા ભંગ થાય છે અને આવા ઉચ્ચ ન્યાયના આસને બેઠેલાઓની બદનક્ષી કે વેરવૃત્તિના આશયે થનારી ફરિયાદોને અવરોધવા માટે આવી ખાસ આંતરિક તપાસ કમિટી બનાવી ઉચ્ચ ન્યાયાધીશો પાસે તપાસ કરાવડાવી રિપોર્ટને ખાનગી રાખવામાં આવ્યો છે.
આ દલીલ મૂળભૂત ન્યાયની પ્રક્રિયાનાં પહેલા પગથિયાંનો જ ભંગ કરનારી છે.
લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણે બંધારણ દ્વારા સૌ નાગરિકોને સમાન ગણેલા છે. કોઈ હોદ્દો, કોઈ ઉચ્ચ ભણતર, વિદ્વત્તા કે ધન-સંપત્તિને લઈ તે વ્યક્તિ 'માણસ' મટી જતો નથી. મોટા હોદ્દેદારની ગરિમા અને માનમર્યાદા હોય અને સામાન્યજનની નહીં ? સામંતી શાસનમાં તે હોઈ શકે, રાજાશાહી માં હોઈ શકે પરંતુ લોકશાહી વ્યવસ્થામાં તે ગળે ઉતરે એવી વાત નથી.
અને હવે આવી આંતરિક તપાસ કમિટીની પ્રથા ઊભી કરવાથી હવે દરેક કહેવાતી ઉચ્ચ કચેરીઓ કે ઉચ્ચ તંત્રોના વડા હોદ્દેદારો જો આ રસ્તે જ આગળ વધશે તો છેવટે આ દેશની મહિલાઓને જ ભોગવવાનું આવશે.
અત્યારે આમ પણ જ્યારે મહિલાઓ પર દમન, શોષણ, બળાત્કાર, છેડતીની ઘટનાઓ વધી રહી છે તેવા સમયે અને ખાસ તો ધીરે-ધીરે પણ મક્કમતાથી ભારે સંઘર્ષો કરીને દરેક ક્ષેત્રે સ્ત્રીઓ પોતાના હક-અધિકાર સ્થાપિત કરવાના પ્રયત્નો કરી રહી છે, ત્યારે આવા પ્રકારના નિર્ણયો મહિલા જાગૃતિ ને ધક્કો જરૂર પહોંચાડે તે નિર્વિવાદ વાત છે.
આમ પણ આપણા સમાજમાં પરિવારમાંથી જ મહિલાઓને વધુ ભણવા માટે કે બહાર કામ કરવા માટે ને સ્વતંત્ર રીતે જીવવા, દાદા, પિતા, ભાઈ કે પતિથી અવરોધો ઊભા થતાં જ રહેતા હોય છે.
હમણા ગયા અઠવાડિયે જ સમાચાર વાંચવા મળ્યા હતા કે કોલેજમાં અભ્યાસ કરવા ઈચ્છતી એક યુવતીને ભણતી રોકવા માટે તેના પતિએ તેના હાથની આંગળીઓ જ છૂંદી નાંખી ! આવા પિતૃસત્તાક સમાજમાં, માહોલમાં જ્યારે જોઈએ ત્યારે આવા ઉચ્ચ ન્યાયતંત્રમાં જે જાતની ફરિયાદો થઈ અને તે ફરિયાદોની ઉપેક્ષા થઈ તે મહિલાઓને આગળ વધતા રોકવા, નોકરીઓ કરતાં રોકવા, ખાસ કરીને ઉચ્ચ ઓફિસરો કે હોદ્દેદારોનાં ઘરની ઓફિસોમાં કામ કરવા નિરુત્સાહ કરશે એવું જરૂર કહી શકાય.
વિશેષમાં જ્યારે આ જાતીય સતામણીની ફરિયાદ બાદ સુપ્રીમ કોર્ટમાં એવી હવા ચાલી ને મીડિયામાં વહેતી થઈ કે હવે કોઈ મહિલા કર્મચારીઓને ન્યાયાધીશો પોતાના સ્ટાફમાં નહીં રાખે એ વાત તો વધુ ચિંતા ઉપજાવનારી છે. ન્યાયના ત્રાજવા તોલનારા જ ન્યાયથી ભાગીને મહિલાઓના હક પર, તેમનાં કામ કરવાનાં મૂળભૂત અધિકાર પર તરાપ મારવાની વાત કરે તે તો આ લોકશાહી વ્યવસ્થામાં ન જ ચલાવી લેવાય.
દેશભરમાં દિલ્હીથી માંડી જુદા જુદા શહેરોમાં આ મુદ્દે મહિલાઓએ જાગૃતિ દર્શાવી 'સુપ્રીમ અનજસ્ટીસ' એવા મથાળા હેઠળ આ કેસમાં કાનૂની પ્રક્રિયા બહાલ થાય એ માટે સંગઠિત લડાઈ આપી રહી છે તે નોંધપાત્ર છે. ધરણાં-સૂત્રોચ્ચાર કરતી આ મહિલાઓને એક યા બીજા બહાને ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવાય છે એ પણ નોંધપાત્ર મુદ્દો છે. એક પણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિરોધના આ પાયાના અધિકાર બાબતે સ્વયંસક્રિય બની પોલીસને તેમ કરતાં રોકાવાના આદેશો કરતી નથી એ પણ નોંધવા જેવી બાબત ગણવી જ રહી !
લોકશાહી વ્યવસ્થામાં છ દાયકાથી ઉત્તરોત્તર રાજકીય પક્ષો અને તેના નેતાઓથી લોકો હતાશ થતાં આવ્યાં છે. છેલ્લા દાયકામાં જે રીતે મીડિયા પણ ગોદી મીડિયા બન્યું છે અને સત્તાધારીઓ સાથે તાલ મિલાવી રહ્યું છે એ પણ ભયસૂચક છે જ.
હમણાં જ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે 'જુઠ્ઠુ બોલતા અને ઠાલાં વચનો જ આપ્યાં કરતાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બરાબરની લોકશાહીની થપ્પડ પડવી જોઈએ.'
દેશના મીડિયામાં મમતાજીએ મોદીને થપ્પડ મારવાની વાત કરી એવાં હેડીન્ગો સાથે હોહા મચી. ખુદ વડાપ્રધાને પણ આ જ રીતે તોડી મરોડ કરી 'મમતા દીદી મને થપ્પડ મારવાનું કહે છે ' એવું કહેવાનું રટણ ચાલુ રાખ્યું.
જ્યારે વડાપ્રધાન ખુદ જુઠ્ઠાણાંથી સત્યને દબાવવા ગોદી મીડિયાનો હાથ પકડી ચાલતા હોય તેવા સમયે એકમાત્ર આશારૂપ સુપ્રીમ કોર્ટમાં કાનૂની પ્રક્રિયા બરકરાર રહે અને દેશના બંધારણીય મૂલ્યો, ન્યાયી મૂલ્યો અને જહાંગીરી ન્યાયની પરંપરા ચાલુ રહે તેવી આશા રાખવી જરૂરી બની રહે છે.
દેશના ઠેઠ એક ખૂણે આવેલા લેહની પ્રેસ ક્લબમાં ભા.જ.પ.ની પત્રકાર પરિષદ નિમિત્તે ભેગા થયેલા પત્રકારોને જ્યારે જમ્મુ કાશ્મીરના ભા.જ.પ.ના પ્રમુખે બંધ કવરમાં રોકડ રૂપિયા ચૂંટણી ટાણે આપ્યા તેનો જાહેરમાં વિરોધ કરી, અપાતા રૂપિયાની ઘટના રેકોર્ડ કરી ચૂંટણી કમિશનમાં આ પત્રકારોએ ફરિયાદ કરી અને લાંચ આપવા બાબતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી.
આ હિમ્મત, આ તાકાત, આ મિજાજ દેશના પત્રકારો અને ન્યાયાધીશોમાં ય સલામત રહે તેવી આશા રાખવી આજે અસ્થાને નહીં ગણાય.
સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”,15 મે 2019